આચમની/૪

From Ekatra Foundation
Jump to navigation Jump to search

જર્મનીમાં સોળમાં સૈકામાં થઈ ગયેલા જેકબ બોએહ્મ આજે વિશ્વભરના વિરલ દૃષ્ટાઓમાંનો એક ગણાય છે. પરંતુ જીવનમાં તો તેને ઉપહાસ ને અપમાન મળેલાં. ખેડૂતનો દીકરો, પણ શરીરે નબળો એટલે મોચીકામ શીખવા બેસાડી દીધો હતો. ચાર ચોપડી માંડ ભણ્યો હશે પણ તેની આંતરિક દૃષ્ટિ ઉઘાડતી ઘટના તેના પચ્ચીસમા વર્ષે બની અને તે જગતની કિતાબ વાંચવા લાગ્યો. તેણે શું જોયું? દરેક વસ્તુ પર ‘ઈશ્વરની સહી. તેના પુસ્તકનું નામ છે : ઈશ્વરની સહી. આ સૃષ્ટિના સર્જનહારે હરેક ચીજની ભીતર ‘સહી દસ્તક પોતે’ લખ્યું છે. સપાટીને ભેદીને જોઈ શકે તેને એ હસ્તાક્ષર વંચાય, એમાં રહેલો સંદેશો ઊકલે. બોએહ્મને માટે પૃથ્વીનો પડદો ખોલતો પ્રસંગ આમ બન્યો હતો. બોએહ્મની નજર ધાતુની એક ચકચકતી રકાબી પર પડી. તેની કાળી સપાટી પર સૂર્યનાં કિરણો પડતાં હતાં. એક વિચિત્ર પ્રકારનું સ્પંદન બોએહ્મે અનુભવ્યું. તેને થયું કે એ તો કુદરતની તમામ વસ્તુઓના હાર્દમાં જોઈ શકે છે. આ જગત અને તેનો અર્થ તે બરાબર જાણી શકે છે. આ દર્શનને જાણવા અને માણવા તે ખેતરોમાં ગયો, તો ત્યાં પણ એ જ અનુભૂતિ. વૃક્ષો અને ઘાસ જાણે કાચ જેવાં પારદર્શક હોય તેમ એ તેમની ભીતર શું છે તે જોઈને જાણી શકે છે, એમ તેને લાગ્યું. આ દર્શન બોએહ્મ માટે ક્ષણિક ઝબકારો થવાને બદલે જીવનભર રહ્યું. ઘણીવાર મિત્રો તેને કોઈ ફૂલ વિષે, કોઈ છોડ વિષે પૂછતા અને એક નજર નાખતાં જ બોએહ્ય એના ગુણધર્મો કહી આપતો. ઈશ્વરે તેને શા માટે અહીં મોકલ્યાં છે તેનો સંદેશો તે વાંચી બતાવતો. આપણે કુદરતની સમાંતર ચાલીએ છીએ. પર્યાવરણની વાતો કરી વનસ્પતિ અને જીવસૃષ્ટિને બચાવવાની કોશિશ કરીએ છીએ. આ સારી વસ્તુ છે. પણ કુદરતની સાથે કાંઈ આદાન-પ્રદાન, કાંઈ વાર્તાલાપ, કાંઈ અંતરંગ નાતો આપણે બાંધીએ છીએ ખરા? મનુષ્યને બચાવવા માટે પ્રદૂષણ દૂર કરવું જોઈએ તે ખરું પણ મનુષ્યને ઈશ્વરની સમગ્ર સૃષ્ટિ સાથે સમાનભાવે તાલ આપતો કરવો એ જુદી જ ભૂમિકા માગી લે છે. આવી દૃષ્ટિની ભૂમિકા બંધાશે તેની બોએહ્મને પૂરી શ્રદ્ધા હતી. કોઈકે તેની મજાક ઉડાવતાં પૂછ્યું હતું : ‘મૂરખા, તારાં દિવાસ્વપ્નો જોવાં બંધ ક્યારે કરીશ?’ બોએહ્મે આનંદિત સ્વરે કહેલું : ‘હું રાગકમળના રાજ્યમાં છું’ ઈસુએ સોલોમન બાદશાહના વૈભવ સાથે રાગકમળને સરખાવતાં કહેલું કે આ એકાદ કમળની તોલે પણ તેનો સમગ્ર વૈભવ આવી શકે એમ નથી. મનુષ્યની બુદ્ધિ બહેર મારી જાય એવાં પ્રકૃતિનાં રહસ્યદ્વાર ઊઘડતાં આવે છે અને તેમાં રહેલો પ્રજ્ઞાનઘન પરમાત્મા કહેશે : ‘મારી સહી વાંચી? આ રહ્યો હું.’

***