ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/કેશવલાલ હરગોવિંદદાસ શેઠ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કેશવલાલ હરગોવિંદદાસ શેઠ

એઓ જ્ઞાતિએ ખડાયતા વણિક છે. એમનો જન્મ ખેડા જીલ્લામાં ઉમરેઠ ગામમાં સંવત ૧૯૪૫ના કાર્તિક વદ બીજના દિવસે થયો હતો. એમના પિતાનું નામ હરગોવિંદદાસ દ્વારકાદાસ શેઠ અને માતાનું નામ નાથીબ્હેન છે. એમનું મૂળ વતન ઉમરેઠ છે. ત્યાંની જ્યુબિલિ હાઇસ્કુલમાં છ ધોરણ સુધી એમણે અભ્યાસ કર્યો હતો. પછી તેઓ અમદાવાદમાં આવી વસ્યા હતા. અહિં તેમણે ઇંગ્રેજી, મરાઠી, હિન્દી વગેરે ભાષાઓનો ખાનગી રીતે અભ્યાસ કરવાનું જારી રાખી, આજીવિકા અર્થે સ્વતંત્ર માલિકીનું ખડાયતા મુદ્રણકલા મંદિર ખોલ્યું છે. એમના પ્રિય વિષયો લૉજિક અને તત્ત્વજ્ઞાન છે; પણ જે વિષયને તેઓ છેડે છે તેને એમની કલમ તેજસ્વી કરી મૂકે છે. શરૂઆતમાં તેઓ અહિંના અઠવાડિક પત્રો ‘ગુજરાતીપંચ’ અને ‘પ્રજાબંધુ’માં લેખક તરીકે રહ્યા હતા; પરંતુ એમના સ્વતંત્રતાપ્રિય સ્વભાવને કેટલાક અંકુશો ન રૂચ્યા એટલે અંતે એમણે એક જૂદું માલિકીનું છાપખાનું કાઢી, જ્ઞાતિમાસિકનું તંત્રીપદ હાથમાં લીધું. તેમજ બીજી અનેક રીતે સાહિત્યમાં પોતાનો હિસ્સો આપવા તેમજ સાહિત્ય પ્રકાશનના કાર્યને આગળ વધારવા તેઓ સારા યત્નો કરી રહ્યા છે. ‘પ્રજાબંધુ’ પત્રમાં હતા ત્યારે એમણે તે પત્ર માટે બે ભેટનાં પુસ્તકો ‘કોન્સ્ટેન્ટિનેપલની કથા’ અને ‘શંભાજીનું રાજ્યારોહણ’ લખી આપ્યાં હતાં; અને તે અનુવાદગ્રંથો હોવા છતાં લેખકનું વ્યક્તિત્વ તેમાં દેખા દેતું હતું. પણ એ બધા કરતાં એક કવિ તરીકે એમનું નામ સારા ગુજરાતમાં જાણીતું થયલું છે. એમનો એ રસપ્રવાહ, આપણે ખુશી થવા જેવું છે કે, સતત વહેતો, વેગભર વહેતો રહ્યો છે. છેલ્લાં દશ વર્ષમાં એમણે ‘સ્વદેશ ગીતાવલિ’, ‘સ્નેહ સંગીત’, ‘પ્રભુચરણે’, ‘રાસ’, ‘અંજલિ’ અને ‘રાસમંજરી’ વગેરે પુસ્તકો ગુજરાતી પ્રજાને ભેટ ધર્યાં છે; અને ગુજરાતી રસિક વાચકવર્ગે પણ તેનો એટલા જ ઉલટથી સત્કાર કર્યો છે. વળી એમની જ્ઞાતિસેવા પણ એટલી જ જ્વલંત ઝળકી ઉઠે છે. જ્યારથી ‘ખડાયતા મિત્ર’નું તંત્રીપદ એમના હસ્તક આવ્યું છે ત્યારથી જ્ઞાતિમાં સુધારાર્થે એઓ ભારે ચળવળ કરી રહ્યા છે; અને એમના લખાણની સારી અસર થતી માલુમ પડી આવે છે. એ સુધારો સુગમ બને, સિદ્ધ થાય, તે અર્થે જ્ઞાતિબંધુઓને તેનો સંદેશો પહોંચાડવા, આ યુગનું એક ઉપકારક સાધન–ટુંકી વાર્તા–એનો ઉપયોગ કરવાનું તેઓ ચૂક્યા નથી. એ રીતે જ્ઞાતિ સુધારા માટે, જૂદી જૂદી દૃષ્ટિએ લખેલી એમની વાર્તાઓ ‘કળિયુગની વાતો’ તેમ ‘ફુલછાબ’ એ નામથી પ્રસિદ્ધ થયલી છે, તે સાહિત્યની દૃષ્ટિએ પણ પ્રિયકર થશે. તેમજ પોતાની જ્ઞાતિના અગ્રેસર પુરુષોનો જ્ઞાતિજનોને પરિચય કરાવવા, ‘જીવન સ્મરણો’ એ નામથી એક પુસ્તક એમણે તૈયાર કર્યું છે; એ બતાવી આપે છે કે જ્ઞાતિસેવા અર્થે તેઓ કેવા કેવા પ્રયત્નો આદરે છે.

એમના ગ્રંથોની યાદી:

પ્રવાસીના પત્રો સં. ૧૯૭૨
સ્વદેશ ગીતાવલિ [ડૉ. હરિપ્રસાદ વૃજરાય દેસાઈની પ્રસ્તાવના સાથે] ”  ૧૯૭૫
સ્નેહ સંગીત ”  ૧૯૭૫
પ્રભુ ચરણે પ્રાર્થના ”  
કોન્સ્ટેન્ટિનોપલની કથા ”  ૧૯૭૭
શંભાજીનું રાજ્યારોહણ ”  ૧૯૭૮
રાસ [કવિશ્રી ન્હાનાલાલની પ્રસ્તાવના સાથે] ”  
કળિયુગની વાતો ”  ૧૯૮૧
અંજલિ ”  ૧૯૮૨
જીવન સ્મરણો ”  ૧૯૮૪
રાસમંજરી ”  ૧૯૮૫
ફુલછાબ ”  ૧૯૮૬