કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/‘ગાફિલ’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 18: Line 18:
છે મૃત્યુય જુદાં જનાજે જનાજે.’</poem>'''}}
છે મૃત્યુય જુદાં જનાજે જનાજે.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મનુભાઈ ત્રિવેદીએ ‘સરોદ’ ઉપનામથી ભજનો તથા અન્ય કાવ્યો તથા ‘ગાફિલ’ તખલ્લુસથી ગઝલો રચી. એમના ચાર કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા, બે ભજનસંગ્રહો – ‘રામરસ’ (૧૯૫૬) અને ‘સુરતા’ (૧૯૭૦) તથા ગઝલસંગ્રહ ‘બંદગી’ (૧૯૭૩). ત્યારબાદ ‘પવન પગથિયાં’ (૨૦૦૪, સંપાદનઃ ચંદ્રકાન્ત ટોપીવાળા) જેમાં છાંદસ કાવ્યો, ભજનો, ગઝલો, બાળકાવ્યો વગેરેનો સમાવેશ થયો છે.
મનુભાઈ ત્રિવેદીએ ‘સરોદ’ ઉપનામથી ભજનો તથા અન્ય કાવ્યો તથા ‘ગાફિલ’ તખલ્લુસથી ગઝલો રચી. એમના ચાર કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા, બે ભજનસંગ્રહો – ‘રામરસ’ (૧૯૫૬) અને ‘સુરતા’ (૧૯૭૦) તથા ગઝલસંગ્રહ ‘બંદગી’ (૧૯૭૩). ત્યારબાદ ‘પવન પગથિયાં’ (૨૦૦૪, સંપાદનઃ ચંદ્રકાન્ત ટોપીવાળા) જેમાં છાંદસ કાવ્યો, ભજનો, ગઝલો, બાળકાવ્યો વગેરેનો સમાવેશ થયો છે.{{Poem2Close}}
{{center|૨}}
{{center|૨}}
મનુભાઈનો માંહ્યલો ભક્તકવિનો. મનુભાઈની કવિતાનાં મૂળ જોવા માટે, એમાં પ્રવેશવા માટે ‘સુરતા’ની પ્રસ્તાવનામાં આ કવિ ‘દો બાતાં’ કહે છે તે જોઈએ –
{{Poem2Open}}મનુભાઈનો માંહ્યલો ભક્તકવિનો. મનુભાઈની કવિતાનાં મૂળ જોવા માટે, એમાં પ્રવેશવા માટે ‘સુરતા’ની પ્રસ્તાવનામાં આ કવિ ‘દો બાતાં’ કહે છે તે જોઈએ –
‘સૌરાષ્ટ્રના એક નાનકડા ગામને પાદર આવેલા નાના મંદિરના ઓટા પર બેસી ખોળામાં રામસાગર લઈ ધીમા સૂરે સૂઝે તેવાં ભજનો ગાતા કોઈ અલ્હડ બાવાનો હું સીધો વારસદાર છું. તે વારસો જાળવવો કઠણ છે, છતાં અણઘડ વાણીમાં જેવાં આવડે તેવાં ભજનો ગાઈ મારો રામ રીઝવવા મથું છું.’
‘સૌરાષ્ટ્રના એક નાનકડા ગામને પાદર આવેલા નાના મંદિરના ઓટા પર બેસી ખોળામાં રામસાગર લઈ ધીમા સૂરે સૂઝે તેવાં ભજનો ગાતા કોઈ અલ્હડ બાવાનો હું સીધો વારસદાર છું. તે વારસો જાળવવો કઠણ છે, છતાં અણઘડ વાણીમાં જેવાં આવડે તેવાં ભજનો ગાઈ મારો રામ રીઝવવા મથું છું.’
તથા ‘દો બાતાં’માંની બીજી ‘બાત’ જોઈએઃ
તથા ‘દો બાતાં’માંની બીજી ‘બાત’ જોઈએઃ

Latest revision as of 01:36, 1 June 2024


કવિ અને કવિતાઃ મનુભાઈ ત્રિવેદી (‘સરોદ’, ‘ગાફિલ’)
Manubhai Trivedi - Sarod.jpg

સાચા રુદ્રાક્ષ જેવા ભક્તકવિ મનુભાઈ ત્રિવેદીનો જન્મ તા. ૨૭ જુલાઈ, ૧૯૧૪ના રોજ માણાવદરમાં. પિતા રાવબહાદુર ત્રિભુવનદાસ ત્રિવેદી માણાવદર સ્ટેટના નવાબના દીવાન. પ્રામાણિકતા, કાર્યનિષ્ઠા, વિદ્યાપ્રીતિ, સાહિત્યપ્રેમ જેવા સંસ્કારો એમને પિતા પાસેથી મળ્યા. કુટુંબ વત્સલ માતા પ્રેમકુંવરબેન પાસેથી ધર્મ તથા ભક્તિનો વારસો મળ્યો. એમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માણાવદર અને રાજકોટમાં, કૉલેજનું શિક્ષણ જૂનાગઢ તથા અમદાવાદમાં. ૧૯૩૫-૩૬માં તેઓ કાયદાના સ્નાતક થયા. થોડો સમય વકીલાતનો વ્યવસાય, ત્યારબાદ ન્યાયાધીશ તરીકે સેવાઓ બજાવી. ૧૯૭૨માં તેઓ અમદાવાદની સ્મૉલકોઝ કોર્ટના જજ નિમાયા. ત્યારબાદ અમદાવાદ ટાઉનહૉલ ખાતે યોજાયેલા મુશાયરામાં તેઓ શ્રોતા તરીકે ગયેલા પરંતુ કવિ મિત્ર અમૃત ઘાયલ તથા અન્ય મિત્રોના આગ્રહથી મંચ પરથી ગઝલ રજૂ કરી ને પોતાના સ્થાને બેસવા ગયા ત્યાં જ ઢળી પડ્યા, બેભાન થઈ ગયા ને બીજે દિવસે તા. ૯-૪-૧૯૭૨ના રોજ તેમનું અવસાન થયું. છેલ્લે તેમણે જે ગઝલ રજૂ કરેલી તે ગુજરાતી ભાષાની અમર ગઝલ બની રહીઃ

‘જુદી જિંદગી છે મિજાજે મિજાજે;
જુદી બંદગી છે નમાજે નમાજે.
છે એક જ સમંદર, થયું એટલે શું?
જુદા છે મુસાફર જહાજે જહાજે.’

*
‘જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,

છે મૃત્યુય જુદાં જનાજે જનાજે.’

મનુભાઈ ત્રિવેદીએ ‘સરોદ’ ઉપનામથી ભજનો તથા અન્ય કાવ્યો તથા ‘ગાફિલ’ તખલ્લુસથી ગઝલો રચી. એમના ચાર કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા, બે ભજનસંગ્રહો – ‘રામરસ’ (૧૯૫૬) અને ‘સુરતા’ (૧૯૭૦) તથા ગઝલસંગ્રહ ‘બંદગી’ (૧૯૭૩). ત્યારબાદ ‘પવન પગથિયાં’ (૨૦૦૪, સંપાદનઃ ચંદ્રકાન્ત ટોપીવાળા) જેમાં છાંદસ કાવ્યો, ભજનો, ગઝલો, બાળકાવ્યો વગેરેનો સમાવેશ થયો છે.

મનુભાઈનો માંહ્યલો ભક્તકવિનો. મનુભાઈની કવિતાનાં મૂળ જોવા માટે, એમાં પ્રવેશવા માટે ‘સુરતા’ની પ્રસ્તાવનામાં આ કવિ ‘દો બાતાં’ કહે છે તે જોઈએ –

‘સૌરાષ્ટ્રના એક નાનકડા ગામને પાદર આવેલા નાના મંદિરના ઓટા પર બેસી ખોળામાં રામસાગર લઈ ધીમા સૂરે સૂઝે તેવાં ભજનો ગાતા કોઈ અલ્હડ બાવાનો હું સીધો વારસદાર છું. તે વારસો જાળવવો કઠણ છે, છતાં અણઘડ વાણીમાં જેવાં આવડે તેવાં ભજનો ગાઈ મારો રામ રીઝવવા મથું છું.’ તથા ‘દો બાતાં’માંની બીજી ‘બાત’ જોઈએઃ ‘બીજું, મારા ભજનોની શરૂઆત એક અવતારી પુરુષની અદીઠ પ્રેરણાથી થયેલ છે. એ જ અવતારી પુરુષની પ્રગટ કૃપાદૃષ્ટિથી ભજનો લખાતાં રહે છે.’ આ ‘અવતારી પુરુષ’ એ જ એમના ગુરુ?! —

‘અમને ગુરુ મળ્યા છે ગરવા —
એના શબદ ગયા સોંસરવા :
અમને ગુરુ મળ્યા છે ગરવા.’
... ...
‘શબદ સોંસરવા સર્યા મૌનમાં,
મોંઘે મોત એ મરવાં;
સદ્ગુરુ, અમને જુગતિ બતાવો
પંડ પાર પરવરવા. —
અમને ગુરુ મળ્યા છે ગરવા.’

આ કીર્તનિયા કવિને ગરવા ગુરુ મળ્યા છે ને ગુરુના પ્રતાપે અધ્યાત્મના સાચુકલા અનુભવો થયા છે.

‘ગુરુ મારો ગરવો મેહુલિયો,
ચડ્યો મારા ચિતને અકાશઃ
ગુરુ મારો ગરવો મેહુલિયો.’

*
તેજ જોઈ તલપે નેણાં,કંઠમાં ખૂંચે છે વેણાં,

ગુરુદેવ! વારે મારી ચડો રે ચડો!
મારી સૂરની સૃષ્ટિમાં વાગ્યો બેહદ પડો.’

*
‘સદ્ગુરુ બેઠો પંડમાં, એને

થવું ન થવું સમજાય,
શાપિત એના જ્ઞાનથી પૂછ્યા –
વિણ ન કંઈ કહેવાય.
લાગી લાખાગૃહમાં લ્હાય.’

‘ગહન ગિરનારી બાવા’ જેવા આ કવિની ભીતરના સાચા શબદને સ્વામી આનંદેય પ્રમાણ્યો છે. એમણે નોંધ્યું છેઃ ‘લગભગ એકે એક ભજનમાં અંતરના તાર ઝણઝણાવી મૂકે એવી આરત, અભિવ્યક્તિ ને ભક્તહૃદયની નમ્રતા પડ્યાં છે. એને અડફેટે આવનાર પાવન જ થાય ને એના મનના મેલ ધોવાય.’ ‘રામરસ’ના પ્રવેશકમાં સ્વામી આનંદે નોંધ્યું છેઃ ‘આ નાનકડી ભજનમાળાના અનેક મણકા અપાર ભક્તિરસમાં તરબોળ થઈને મેં ફરી ફરી ફેરવ્યાં છે, ને એના ગાનાર ભક્તકવિની ‘ધન વચન ધન વાણી’ એમ કહી કહીને વારંવાર મનોમન વંદનાઓ કરી છે.’ ‘ધન વચન, ધન વાણી’નું એક જ ઉદાહરણ જોઈએઃ

‘આપ કરી લે ઓળખાણ
એ સાચા શબદનાં પરમાણ.
સાકર કહે નહિ, હું છું મીઠી,
વીજ ન પૂછે, મુજને દીઠી?
મોત બતાવે ન યમની ચિઠ્ઠી,
પેખ્યામાં જ પિછાણ
એ સાચા શબદનાં પરમાણ.’

મનુભાઈની ભીતરના અધ્યાત્મ વિશે એમના અંતરંગ અને અધ્યાત્મયાત્રી સાંઈ મકરન્દ દવેએ ‘બંદગી’ની પ્રસ્તાવનામાં નોંધ્યું છેઃ ‘મનુભાઈના નિવાસમાં, ખોળિયામાં કોઈ જ્યોતિનો પ્રવેશ થયો હતો એ અછતું નહોતું રહેતું... ...અત્યંત નિર્મળ અંતઃકરણવાળાને સાંપડે તેના અધ્યાત્મના અનુભવો તેમને થયા કરતા...’ આ કવિની કુંડલિની જાગ્યાની અનુભૂતિની પ્રતીતિ થાય તેવા કાવ્ય ‘ફૂલે ફૂલે’ની આ પંક્તિઓ જોઈએઃ

‘મૂળાધારનો માટીક્યારો,
ફૂટ્યો ત્યાંથી વેલફુવારો;
ડગતી ધારને અડગ અટંકી
સુરતા જોગે જડી.
કે ફૂલે ફૂલે વેલ ચડી.’

ષટ્ચક્રભેદનનો આ કવિને અનુભવ થયો હોવાનું આવી પંક્તિઓમાં જણાય છે આથી જ તો —

‘વલ્લરી વાધે એમ વરસતી
અવિરત ઓજસ ઝડી.’
આથી જ તો —
‘અમથા અમથા અડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા.
...
જુગ જુગ ઝંખ્યા સરોદ સ્વામી
જોતે જોતે જડ્યા. —
કે અમને રણઝણ મીણા ચડ્યા.’

આ કવિને ‘ભજનની ઠોર’ લાગી છે, ‘તન તંબૂરો, મન મંજીરા, એક સૂર લય તોર’નો અનુભવ થયો છે. આથી જ તો અંતરમાંથી અલખના ઉદ્ગાર આફૂડા આવે છે. ‘મૂળ એક, એનાં મુખ અનેક હો જી’-ની જાણ છે આ કવિને. આથી જ તેઓ મથે છે નામરૂપની પાર જવા. આ કવિના પંડમાં પ્રભુએ પાલખ ફરી છે. આ કવિમાં જીવતર કેરુ જંતર વાગે છે ને શબદુની વાટે ઝલમલ જ્યોતિ ઝગે છે. મકરન્દ દવેએ ‘સુરતા’ની પ્રસ્તાવનામાં નોંધ્યું છેઃ ‘જેની વાણીનો તાર અનાહત ઝંકાર સાથે મળી ગયો, જેની સુરતા શરીરના પ્રત્યેક હલનચલન પર જાગૃત ચેતનાની ચોકી બની ગઈ અને બહારના બધાં જ અવલંબનો હટાવી જે સ્વસ્થ થઈ ગયા એવા મુક્તાત્માનો આ ચિતાર છે. પરંપરિત મધ્યકાલીન સંતવાણીમાં સરોદની અર્વાચીન ભજનવાણી એટલે સુરત અને નૂરત જેવાં એક બની જાય છે તે સહજનો પ્રદેશ.’ કાઠિયાવાડમાં આ કવિ અનેક ભજનિકો, સંતો, સાધકોના પરિચયમાં આવેલા. ભજનોના અનેક લય, ઢાળ, સૂર એમની ચેતનામાં રોપાયા છે ને એમનાં ભજનોમાં પ્રયોજાયા છે. ઘણી વાર એમના ઘરે પણ ભજનોની મંડળી જામતી. ભાવવિભોર થઈને તેઓ એકતારા પર ગાતા. એક ભજનમાં તેઓ પોતાની ઓળખ ‘કીર્તનિયા’ તરીકે આપે છેઃ

‘હરિરસકેરો રસિયો,
હરિ, હું તો કીર્તનિયો, કીર્તનિયો.’
...
ભુક્તિ ન માગું, મુક્તિ ન માગું,
તવ લીલામય ભોમ ન ત્યાગું,
જનમ જનમ નર્તનિયો. —
હરિ, હું તો કીર્તનિયો, કીર્તનિયો.’

મકરન્દ દવેના ચિરંજીવ કાવ્ય ‘અમે રે સૂકું રૂનું પૂમડું’ જેવું જ કાવ્ય સરોદ પાસેથી પણ પ્રાપ્ત થાય છેઃ

‘અમે રે માટી કેરાં કૂલડાં,
તમે રે પાણી કેરી ધાર,
પાક્યાં રે હશું તો તમને ઝીલશું,
કાચેરાં લજવશું સંસાર.
સૂણો રે સૂણો રે સુરતા,
સોહવીએ આ માનવનો અવતાર જી.’

(મકરન્દ દવેનું ‘અમે રે સૂકું રૂનું પૂમડું’ રચાયું તા. ૧૪-૧૨-૧૯૫૫; સરોદના આ કાવ્યની રચનાતારીખ પ્રાપ્ત નથી, પણ કાવ્યસંગ્રહ ‘રામરસ’ ૧૯૫૬માં પ્રગટ થયો.)

*

રાજેન્દ્ર શાહ તથા ઉશનસ્ જેવા મોટા કવિઓ ગઝલ-લેખનમાં સફળ નથી થયા. જ્યારે મનુભાઈની ગઝલોમાં ‘અસલના ઉતારા’ મળે છે, ગઝલની નજાકત અને પોતીકો મિજાજ મળે છે, આ કવિને ગઝલનોય આગવો રંગ લાગ્યો છે. આથી જ તો ભજન તથા અન્ય કાવ્યો માટે આ કવિનું ઉપનામ ‘સરોદ’, પણ ગઝલ માટે ખાસ તખલ્લુસ ‘ગાફિલ’! અમૃત ઘાયલ અને મકરન્દ દવે મનુભાઈના અંતરંગ મિત્રો. ‘ગાફિલ’ની સર્જકચેતનામાં ગઝલ બા-અદબ રોપાઈ છે, ખૂલી છે, ખીલી છે, મહेકી છે. ‘ગાફિલ’ની ગઝલો વિશે મર્મ-નર્મના કવિ શ્રી હરિકૃષ્ણ પાઠકે નોંધ્યું છેઃ ‘વિલક્ષણ રદીફ-કાફિયા, ભારોભાર ચુસ્તી, વધુ સભાન કવિકર્મથી સંમાર્જિત રચનાઓમાં પ્રગટતી કવિની ખુમારી, મસ્તી ને નિખાલસતા, ક્યાંક સૂફી રંગની છાંટ, કંઈ કેટલી બધી પીડાની અભિવ્યક્તિ, માનવનિયતિના પ્રશ્નો, ક્યાંક મરમાળી આછી હાસય-કટાક્ષની રંગત, ક્યાંક મૃત્યુનાં પગલાં સાંભળી લીધાની ભણક; અને આ બધાંની અંતર્ગત વહેતી પેલી ભક્તિભાવની સરવાણીયે ખરી.’ ‘ગાફિલ’ના જ શબ્દો ટાંકીને કહીએ તો, એમની ગઝલોમાં ‘અસલના ઉતારા’ છે, ‘મોઘમ ઇશારા’ છે, ‘રૂપાળા તિખારા’ છે, ‘સળગતા સિતારા’ છે, ‘સહારે સહારા’ છે ને ‘કિનારે કિનારા’ છે. ‘ગાફિલ’ના કેટલાક શેર જોઈએઃ

‘ખબર એ તો નથી અમને કે શાનો રંગ લાગ્યો છે,
મળે છે તે સહુ ક્‌હે છે, મજાનો રંગ લાગ્યો છે.’

*
‘જુદા અર્થ છે શબ્દના બોલવા પર,

છે શબ્દોય જુદા અવાજે અવાજે.’

*
‘જો પ્રેમ નહીં તો વેર વડે, જો ખેર નહીં તો કેર વડે,

પ્રત્યક્ષ કરે તમને એવું શું સચરાચરમાં કોઈ નથી?’

*
‘દીવાનાને ક્યારે જમાનાએ માર્યો,

જમાનાને કાયમ દીવાનાએ માર્યો.’

*
‘થયો છેવટે ગુમ ગઝલમાં જ ગાફિલ;

તરન્નુમ, તસવ્વુફ, તરાનાએ માર્યો.’

*
‘ગમે ન્હૈ કેમ ‘ગાફિલ’ની ગઝલ હર એક હૈયાને?

કે એનો શેર એકેકો અલખનો ભાવવાહી છે.’

મરણ-વિષયક એમની ગઝલ ‘કેટલો વખત?’માંથી થોડા શેર ટાંકુંઃ

‘ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત?
વહેવારના ઉચાટ હવે કેટલો વખત?
કાનાએ કાંકરી લીધી છે હાથમાં,
અકબંધ રહેશે માટ હવે કેટલો વખત?
...
ખૂટી રહ્યું દિવેલ ને કજળી રહી છે વાટ;
જ્યોતિ ઝગવશે પાટ હવે કેટલો વખત?
‘ગાફિલ’, તમારો ઘાટ ઘડાવાની છે ઘડી;
ઘડશો ઘણેરા ઘાટ હવે કેટલો વખત?’

આ કવિ કાવ્યો ગ્રંથસ્થ કરવામાંય પોતાનો ‘મોહ’ જુએ છે ને કેવો સંકોચ અનુભવે છે! – ‘રામરસ’ પ્રગટ થયો ત્યારે નિવેદનમાં આ કવિ કહે છેઃ ‘અંતરવ્યથાના તવે તવાતાં રામરસનાં સિંચને ઉદ્ભવેલ છમકારા ચારેકોર ગુંજતા કરવાનો મોહ આજે મૂર્તરૂપ ધારણ કરે છે. મારી નિર્બળતા જોઈ માથું ઝૂકી જાય છે.’ ‘રામરસ’ની પ્રસ્તાવના સ્વામીઆનંદે ‘અંતર વલોણું’ શીર્ષકથી લખી છે. અંતરવલોણાની કવિની વ્યથા કેવી હશે? કવિએ જ મિત્ર મકરન્દ દવેને લખેલા પત્રમાંથી કવિની વ્યથાની ભાળ મળે છેઃ ‘ભજનમાં જે ગાઉં છું તે મારા અનુભવની ભૂમિકા પર મંડાયેલા ભાવો છે... ... જાણું છું કે મારે ઘણો પંથ કાપવાનો છે. હોડી જર્જરિત થઈ ચૂકી છે, પણ ધપવા પ્રયત્ન છે. મારા ભજનમાં આનંદ-ઉલ્લાસ ક્યાંથી હોય? જે હોય તે ક્ષણને પકડવાનું પુણ્ય છે. બાકી તો છાતીને તોડી નાખતી વ્યથા, ઘણી વખત મારી ઇચ્છા ન હોય તોપણ વ્યક્ત થઈ જાય છે. મારો સભાન પ્રયત્ન તેને મોળી કરવાનો હોય છે. નહિતર હું ગાઉં નહીં, માત્ર રોઉં જ.’

૧૮-૪-’૨૦૨૪
અમદાવાદ
– યોગેશ જોષી