સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/રમણ સોનીની વિવેચના

From Ekatra Wiki
Revision as of 02:14, 17 August 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
રમણ સોનીની વિવેચના

રમણ સોનીની વિવેચનપ્રવૃત્તિનો વ્યાપ વિશાળ છે. એમણે આ ક્ષેત્રે અનેક પ્રકારનાં કામ કર્યાં છે. એ પોતાની વાતને બને તેટલી વિષદ કરવાનો પ્રયાસ કરે છે. એ જેની તપાસ કરવા માગે છે એની પહેલાં તો એક રૂપરેખા આપી દે છે અને એ રૂપરેખાને અંત સુધી વળગી રહે છે. ‘ઉમાશંકર જોશીનું કૃતિવિવેચન’ નામના લેખનો આરંભ આમ થાય છે. : ‘વિવેચક તરીકે ઉમાશંકર જોશીની નજર કૃતિવિવેચન- સમીક્ષા, અવલોકન, આસ્વાદ તરફ વિશેષ રહી છે. એટલું જ નહીં આખીય વિવેચનપ્રવૃત્તિની સાર્થકતા ને મૂલ્યવત્તા સરજાતા સાહિત્યના વિવેચન પર જ નિર્ભર છે એવું તે દૃઢપણે માનતા આવ્યા છે.’૧ જોઈ શકાશે કે રમણ સોનીને ઉમાશંકર જોશીના કૃતિવિવેચનની તપાસ કરવાની છે એટલે એમણે આ વિવેચકે વિવેચનમાં કયા કયા ક્ષેત્રે પ્રદાન કર્યું જે પોતે અવલોકવાના છે એનો ખ્યાલ તો આપ્યો જ સાથે સાથે આવા પ્રકારના વિવેચન વિશે ઉમાશંકરના મનમાં કેવો અભિગમ છે એનો ખ્યાલ પણ ટૂંકમાં આપી દીધો. ‘આપણી ગ્રંથસમીક્ષા-પ્રવૃત્તિના પ્રશ્નો’ નામના લેખમાં એમણે એ સમયની વિવેચનપ્રવૃત્તિની તાસીર બરાબર રજૂ કરી છે. એમાં આરંભે સમીક્ષકની જવાબદારી વિશે વાત કરી આ પ્રવૃત્તિના આદર્શોનો નિર્દેશ કરી આ આદર્શો સામે સાંપ્રત સમયમાં ગુજરાતી સાહિત્યમાં આ પ્રવૃત્તિનું ચિત્ર કેવું ઊપસે છે તેનો ખ્યાલ આપે છે. સમીક્ષકે બે પ્રકારના પ્રશ્નોનો સામનો કરવાનો રહે છે. એક સમીક્ષાના આંતરિક પ્રશ્નો જે સમીક્ષકની સજજતાને લગતા છે. સજજતા વિનાના સમીક્ષક કોઈ કૃતિની સમીક્ષા કરે તો એને સમીક્ષાના આંતરિક પ્રશ્નોનો સામનો કરવાનો આવે. રહી વાત સમીક્ષાના બાહ્ય પ્રશ્નોનો તો સમીક્ષકને ઘણા એવાં દબાણોનો સામનો કરવાનો આવે એ વિવેચનની પ્રવૃત્તિને બદલે સાવ બહારનાં હોય જેને રમણ સોની સાહિત્ય બહારની ગૂંચો કહે છે. પછી સમીક્ષક આ પ્રવૃત્તિનો એક હથિયાર અને ઢાલ તરીકે કેવો ઉપયોગ કરી જાણે છે તેનો ખ્યાલ આપી આપણી સમીક્ષાપ્રવૃત્તિને નબળી પાડનાર વલણોનો ઉલ્લેખ કરી સમીક્ષાપ્રવૃત્તિના અસ્તિત્વ અને વજૂદ વિશે સાવ નવેસરથી વિચારવાનું કહી આવી સમીક્ષાઓની કોને જરૂર છે સર્જકને કે ભાવકને કે પછી સમીક્ષકને પોતાને! આ બધા પ્રશ્નોનો વિચાર કરી આ પ્રવૃત્તિના આદર્શને રજૂ કરવા વળી પાછા પ્રશ્નો પૂછી સમીક્ષાના અસલ રૂપને અજવાળતા કહે છે. : ‘સો વાતની એક વાત – સમીક્ષક સાચે જ ભાવકશ્રેષ્ઠ છે? કૃતિના મર્મને એ ઓળખે ને ઓળખાવે છે ખરો? વાચકને એ પ્રેમના તંતમાં ઝાલીને એ કૃતિ સુધી ને સર્જકને રસકીય તત્વ સુધી પહોંચાડે છે? કૃતિના સમુચિત પરિચયથી માંડીને એના સર્વાશ્લેષી દીર્ઘ વિવરણ સુધીની એની રેંજ છે? એ અભિગ્રહો,પૂર્વગ્રહો – અભિપ્રાયો - પ્રતિભાવોને વહેતા કરવાને બદલે સાધાર ને પ્રતીતિજનક વાત કરે છે? એ ઓથોરિટેટિવ નહીં પણ ઓથેન્ટિક છે?’ ૨ જોઈ શકાશે કે આપણે ત્યાં સમીક્ષાપ્રવૃત્તિની સૌથી નબળી કડી સમીક્ષક કૃતિને બરાબર પચાવ્યા વિના જ પોતાના કૃતિને માપવાના તૈયાર માપદંડોને કામે લગાડી બીબાઢાળ અભિપ્રાયો આપી કૃતિભેદે કોઈપણ કૃતિને લાગુ પાડી શકાય એવાં વિધાનો જે કૃતિની વિશેષતાને ચાતરીને જતાં રહેતાં હોય તેવાં હોય છે. આવાં વલણો આપણે જે સમયગાળાના વિવેચનની વાત કરીએ છીએ એને પણ બરાબર લાગું પડી શકે તેમ છે. બલકે અત્યારે આ ધોરણો ઘણાં નીચે ઊતરી ગયાં છે અને એના જેવી બીજી સમસ્યાઓનો ઉમેરો થયો છે જે આપણી એકવીસમી સદીની સમીક્ષાપ્રવૃત્તિને મંદપ્રાણ બનાવે છે. રમણ સોનીની વિવેચનાનું ઉડીને આંખે વળગે એવું લક્ષણ એમની વિવરણની ભાષા અને વિવેચનની પરિભાષા વિશેનો પોતાનો આગવો ખ્યાલ છે. વિવરણની ભાષા વિશે બહું અગત્યનો મુદ્દો ઉપસ્થિત કરતા કહે છે. : ‘સમીક્ષકની અભિવ્યક્તિ કેવી હોવી જોઈએ અને એના અભાવમાં કેવાં અવળાં ધોરણો પ્રસ્થાપિત થાય તેની વાત કરતા કહે છે . ‘સમીક્ષકની અભિવ્યક્તિ સાફ અને સુરેખ હોય, કૃતિ અંગેનાં માર્મિક નિરીક્ષણોને તેમજ સંકુલ વિશ્લેષણોને પણ ઘૂંટાયેલી ગૌરવયુક્ત છતાં વિષદ ને પ્રવાહી શૈલીમાં રજૂ કરી શકતા હોય એ તો એની પહેલી ને મહત્વની આવશ્યકતા છે...’ આવું ઉચ્ચ ધોરણ રજૂ કરી ને આગળ વર્તમાન સમીક્ષકોની આ સંદર્ભે વાત કરતા લખે છે ‘કેટલાક વિદ્વતજનો કઈક પાંડિત્યના દબદબાવાળી દુર્બોધ ને કંટાળો આપનારી ભાષા પ્રયોજતા હોય છે... સાહિત્યની પ્રતિભાષાને બિનજરૂરી રીતે ચોકસાઈ વિના, ને ક્યારેક તો એની મૂળ સમજ વિના યોજયે રાખવાનો શોખ કે ટેવ પણ અભિવ્યક્તિને ચર્વિત ભાષા- પરિભાષાથી ગંઠાઈ ગયેલી ને સંદિગ્ધ બનાવી મૂકે છે.’ 3 આની સામે ‘ઉમાશંકર જોશીનું કૃતિવિવેચન’ નામના લેખમાં ઉમાશંકર જોશીનું કૃતિવિવેચન કેવું વસ્તુલક્ષી, મર્મગ્રાહી અને વાસ્તવિક છે તેનો ખ્યાલ આપે છે ઉમાશંકર જોશીના વિવેચનને ઘડનારાં પરિબળોની ટૂંકી ચર્ચા કરીને એમના સંશોધન, એમના કૃતિવિવેચનની ખાસિયતોનો પરિચય કરાવે છે. આ ઉપરાંત એમનાં ગદ્ય અને પદ્યવિવેચનના વિશેષોની લાક્ષણિકતાઓ એમને બીજા સમકાલીન વિવેચકોથી ક્યાં જુદા પાડે છે એનો ખ્યાલ આપી ઉમાશંકર જોશીના કૃતિવિવેચનની સર્વગ્રાહી વિવેચના કરી છે. આ લેખમાં રમણ સોની જે રીતથી ઉમાશંકર જોશીની કૃતિવિવેચનાને અવલોકી છે ત્યાં ક્યાંય સમતોલનનો અભાવ ખટકતો નથી એટલે જ કશું પણ ચૂકાઈ જતું હોય તેમ લગતું નથી. એમના વિવેચનની પરિભાષા સાદી અને સરળ છતાં મર્મગ્રાહી હોવાથી રમણ સોનીની વિવેચનની એક આગવી રીતિનો અનુભવ થાય છે. ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદના પગરણનો સંદર્ભ આપી આ સમયગાળામાં આપણે ત્યાં સાહિત્ય અને સાથે સાથે વિવેચનમાં આ વાદનો પ્રતિકાર -સ્વીકાર અને એના પરિણામ સ્વરૂપે ગુજરાતી સાહિત્યમાં કેવાં કેવાં વલણો પાંગર્યાં તેની આછી રૂપરેખા આપી સાતમા આઠમા દાયકામાં ગુજરાતી સાહિત્યમાં કયા કયા વિવેચકો સક્રિય હતા તેની તવારિખ આપી છે. આ વિવેચકોએ વૈશ્વિક સાહિત્યિક પ્રવાહો સાથે કદમ મિલાવવા સાહિત્યમાં આલેખાતી માનવસંવેદના સંદર્ભે માનસશાસ્ત્ર માનવવંશશાસ્ત્ર, ફિલોસોફીનો પણ અભ્યાસ જરૂરી ગણ્યો. જયંત કોઠારી, સુરેશ જોષી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, શિરીષ પંચાલ, પ્રમોદકુમાર પટેલ જેવા વિવેચકોએ પાશ્ચાત્ય અને સંસ્કૃત રસમીમાંસાનું યથાયોગ્ય મેળવણ કરી સાહિત્ય વિવેચનના કેટલાક મૂળભૂત સિદ્ધાંતોની વિશદ છણાવટ કરી એની નોંધ રમણ સોની લે છે. પૂર્વ અને પશ્ચિમની સાહિત્ય વિચારણાના પરિશીલનના પરિણામે ગુજરાતી સાહિત્યમાં તુલનાત્મક અધ્યયનની એક નવી શાખાનો ઉદય થયો. આ અભ્યાસશાખાના પ્રવર્તનમાં સિતાંશુ યશશ્ચંદ્ર, યશવંત ત્રિવેદી, ઉમાશંકર જોશી, ભોળાભાઈ પટેલ, નગીનદાસ પારેખ, નિરંજન ભગત, સુરેશ જોશી વગેરે આ ક્ષેત્રના પ્રદાનની નોંધ કરી આ સમયગાળાને રમણ સોની ગુજરાતી સાહિત્યમાં તુલનાત્મક સાહિત્ય અભ્યાસનો આરંભિક સમયગાળો ગણાવે છે. આ ઉપરાંત રમણ સોની બે દાયકા દરમિયાન વિવિધ સાહિત્ય પ્રવાહને મૂલવવા તપાસવાનાં કાર્યોની યથાયોગ્ય નોંધ લે છે. તો કૃતિલક્ષી આસ્વાદના પ્રયાસોમાં સમર્થ રીતે કામ થયું છે તેની સરાહના કરીને પણ નબળાં કાર્યોની નોંધ લેતા લખે છે : ‘આ પ્રકારનાં વિવેચનોના એક મોટા જથ્થામાં તો આવું કશું વિત્ત નથી, કૃતિ વિવેચન એક પડકાર બનવાને બદલે સહેલી લેખનપ્રવૃત્તિ બની રહે છે.’૪ આ ઉપરાંત રમણ સોની આ સમયગાળામાં થયેલા સાહિત્યિક સંશોધનની નોંધ પણ લે છે. એમાં પણ ગુણવત્તાના પ્રશ્નો એમને દેખાય છે. આવાં કાર્યો સાહિત્યક્ષેત્રમાં ઉપયોગી બનવાને બદલે નડતરરૂપ બની રહે છે એવું કહે છે. ‘વિવેચનસંદર્ભ’ પુસ્તકના બીજા ખંડમાં એમણે આવી બાબતોને લગતા લેખો સમાવ્યા છે. જે એમની જે -તે સમયની વિવેચનપ્રવૃત્તિનો માત્ર અહેવાલ બનીને અટકી જતા નથી બલકે આપણા સાહિત્ય સંશોધનની કથળતી સ્થિતિને એ ચિંતક દૃષ્ટિએ જોઈને આ પ્રવૃત્તિને મંદપ્રાણ બનતી અટકાવવાનાં ઉપાયો પણ બતાવે છે. આપણાં પદવીકેન્દ્રી સંશોધનો અગાઉ આજનાં સંશોધનોનાં ઉધાર પાસાંની ચર્ચા સાથે સાથે સંશોધનનાં સારાં પાસાંઓની ચર્ચા બાદ સંશોધનની ગુણવત્તામાં સંશોધકની વિષય પસંદગી, આયોજનની આધાર સામગ્રીથી લઈ સંદર્ભ સામગ્રીનો ઉપયોગ, લખાવટ કે લેખનપદ્ધતિના પ્રશ્નો કેવા અસરકર્તા બને છે, એના કારણે ક્યારેક સંશોધન દિશાવિહીન બની રહે છે તેનો વિગતવાર ખ્યાલ આવ્યો છે. ઘણા સંશોધકો સંશોધન માટે મધ્યકાલીન સાહિત્યને પસંદ કરે છે. આ પસંદગી પાછળનો હેતુ સરળતાનો આગ્રહ હોવાથી આવાં સંશોધનો કેવાં બિનઉપયોગી બની રહે છે તેનો ખ્યાલ આપે છે. સમીક્ષાપ્રવૃત્તિ આળી પ્રવૃત્તિ છે. સમીક્ષાપ્રવૃત્તિ પરીક્ષક માટે ઢાલ અને શસ્ત્ર બંનેનું કામ કરે છે. સમીક્ષાનું પહેલું પ્રાગટ્ય સામયિકોન પાને થવાનું હોઈ સામયિકના સંપાદકો પર બધો જ મદાર રહે છે. સમીક્ષાની કોને જરૂર છે? સર્જક સમીક્ષકને કે ભાવકને? આ પ્રશ્નની છણાવટ કરતા લખે છે. ‘કશું નક્કર ન કહેવાનું હોય, કોઈ બે વાત ઉમેરી આપવાની કે ઉજાળી આપવાની ન હોય, અભ્યાસને ચરિતાર્થ કરી આપી શકવાનો ન હોય કે વાંચ્યાના કોઈ આનંદને પણ પ્રતીતિકર રૂપે મૂકી આપવાનાં ત્રેવડ ને તૈયારી ન હોય તો વિવેચનની પ્રવૃત્તિ ક્ષુલક ઉપરછલ્લી અને બિન ઉપયોગી છે’ ૫ આ ચર્ચા કરી રમણ સોની આપણા સાહિત્યને વધારે સારી દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરતા દેખાય છે. રમણ સોની આવા આદર્શ રજૂ કરી અટકી ગયા નથી. એમણે પોતે સંશોધનનાં સમીક્ષાનાં સંપાદનનાં ઉત્તમ ધોરણ પણ પોતાનાં આ વિષયક કામોથી રજૂ પણ કર્યાં છે. એટલે એમણે સમીક્ષાપ્રવૃત્તિ સંપાદનપ્રવૃત્તિ કે સંશોધનપ્રવૃત્તિ વિશે કરેલી વાત માત્ર આદર્શરૂપ બની રહેવાને બદલે સાહિત્ય જગત સામે પોતાનાં કાર્યો થકી આદર્શ નમૂના પણ રજૂ કરેલ છે એમ કહી શકાય. રમણ સોનીની સમીક્ષાપ્રવૃત્તિ એમની કારકિર્દીના આરંભથી જ સમાંતર બીજાં વિદ્યાકાર્યોની સમાંતર ચાલતી રહી છે. વિવેચકનું સાચું મૂલ્ય તો એણે કરેલી સમીક્ષાઓના આધારે જ કરી શકાય. એમાંય આ સમીક્ષાઓમાં સર્જાતા સાહિત્યને અથવા સમકાલીન કૃતિઓને સમાવવી એ એક પ્રકારનો પડકાર હોય છે. આવા પડકાર ઉપાડવામાં જ વિવેચકના કાર્યનું મૂલ્ય થાય છે. રમણ સોની સમકાલીન સર્જકોની કૃતિઓનું બરાબર આંકલન તો કર્યું જ છે સાથે નિર્ભીક બની મર્યાદા દેખાય ત્યાં બતાવી પણ છે. આ પ્રકારનું નિર્ભીકપણું એમનાં બધાં જ પ્રકારનાં વિવેચનાત્મક લખાણોમાં જોવા મળે છે. સર્જાતા સાહિત્યને વિશુદ્ધ કરવા અને નવી દિશા બતાવવા વિવેચકે આ આપદધર્મ બલકે વિવેચકધર્મ બજાવવાનો હોય છે. આવું કાર્ય રમણ સોનીએ બખૂબી નિભાવ્યું છે. વિવેચન વિશેની પોતાની કેફિયત રજૂ કરતા રમણ સોની કહે છે ‘વિવેચન એ ખૂબ જવાબદાર પ્રવૃત્તિ છે. ને નિર્ભીક વિવેચકે તો સવિશેષ જવાબદારીથી વર્તવું પડે છે. નિર્ભીક વિવેચન એટલે ઘણું મથીને, વિચારીને, પૂરી કર્તવ્યબુદ્ધિથી કરેલું વિવેચન. એવા વિવેચકે ભાષાની શક્તિઓનો પણ કસ કાઢવો પડતો હોય છે. ચુસ્ત રીતે નિયંત્રિત કરવી પડતી હોય છે. કષ્ટસાધ્ય હોય છે. એવું વિવેચન, ભલે પછી એ પાણીના રેલાની જેમ વહેતું દેખાતું હોય એવો મારો અનુભવ છે’ ૬ એમની આરંભની વિવેચનામાં મહદંશે વિવેચનનું વિવેચન છે. પછીના તબક્કામાં બાકીના સ્વરૂપના ગ્રંથોની માત્રાનું સાતત્ય જળવાતું અનુભવાય છે. વિજય શાસ્ત્રીના ‘અત્રતત્ર’ નામના વિવેચન ગ્રંથમાં રમણ સોનીને સ્પષ્ટ અને સઘન લખાવટના પ્રશ્નો દેખાયા છે, તો પણ એમના અમુક લેખોમાં જ્યાં ધ્યાનપાત્ર બાબતો દેખાઈ ત્યાં સરાહના પણ કરી છે. રઘુવીર ચૌધરીએ કરેલા અદ્યતન કવિતાના અભ્યાસને અભ્યાસકની કવિતાની સમજનો લાક્ષણિક આલેખ કહી એ કેવી રીતે લાક્ષણિક છે તેનો પૂરતાં ઉદાહરણો આપી ચર્ચા કરી છે. જે તે સમયે ઓછી ગુણવત્તાવાળાં કામો/ અભ્યાસોમાં ક્યારેક સારા અને ગુણવત્તાવાળાં કાર્યોની નોંધ પણ લેવામાં આવી છે. ગુણવત્તાની /ગુણવત્તાના સ્તરની બાબતમાં નીચે ઉતરતાં જતાં સંશોધનોના જમાનામાં હેમંત દેસાઈએ ‘અર્વાચીન કવિતામાં પ્રકૃતિ નિરૂપણ’ વિષય પર સંશોધન કર્યું છે. એમાં રમણ સોનીને અભ્યાસકમાં સહ્રદયતા અને આલોચકદૃષ્ટિનો સમન્વય દેખાય છે. રમણ સોની એમની કારકિર્દીના મધ્યાંતરે ગ્રંથસમીક્ષાનો વિષયની અને સ્વરૂપ દૃષ્ટિએ વિસ્તાર સાધે છે. એમના ‘સમક્ષ’ નામના વિવેચનસંગ્રહમાં એમણે માત્ર ગ્રંથ સમીક્ષા જ સમાવી છે. એમાં એમણે સ્વરૂપવાર સાત વિભાગોમાં ગ્રંથોની સમીક્ષા કરી છે. સમયની દૃષ્ટિએ જોઈએ તો વીસમી સદીના છેલ્લા ત્રણ દાયકાના વિવિધ સ્વરૂપના ગ્રંથોનું સર્જાતા સાહિત્યની તાસીરનો સમદર્શી આલેખ મળી આવે છે. સાત વિભાગોમાં એમણે કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા, નાટક નિબંધ, વિવેચન અને કોશ-વ્યાકરણના ગ્રંથોની સમીક્ષા કરી છે. રમણ સોનીની સમીક્ષાપ્રવૃત્તિનો આલેખ અને અભિગમ આ પુસ્તકના આરંભે આપેલા અઢાર પાનાંના લેખમાં આપણી ગ્રંથ સમીક્ષાપ્રવૃત્તિના પ્રશ્નોમાં મળી આવે છે. રમણ સોની સમીક્ષાપ્રવૃત્તિની જરૂરિયાતને અધોરેખિત કર્યા બાદ આ કાર્ય સમીક્ષકને કેવી રીતે તાવે છે, કેવી રીતે સજ્જતાની સજગતાની અપેક્ષા રાખે છે. સમીક્ષકનું નાનું એવું સ્ખલન ગુજરાતી સાહિત્યજગતને કેવી મોટી ક્ષતિ પહોંચાડે છે તેની વાત કરતા રમણ સોની કહે છે. ‘સાહિત્યની કૃતિ માટે ઉમળકો હોવો ને છતાં તણાઈ- ખેંચાઈ ન જવું; સાહિત્યકળાના માપદંડો માટેની સજગ ખેવના હોવી ને છતાં શુષ્ક ટીકા ટિપ્પણમાં જ વેરાઈ ન જવું, નિષ્પક્ષ આકરી ટીકા માટેની નિખાલસતાભરી નિર્ભય માનસિકતા હોય અને છતાં અભિવ્યક્તિમાં કોઈ તોછડાશ ન આવી જાય એની જાતકેળવણી સમીક્ષક સૂઝ -શ્રમપૂર્વક મેળવી લેવી પડે.૭ રમણ સોનીની સમીક્ષાપ્રવૃત્તિ સાતત્યપૂર્વક ચાલતી રહી છે. એમની અભિવ્યક્તિ સાફ અને સુરેખ અને કૃતિ અંગેનાં માર્મિક નિરીક્ષણોને તેમજ સંકુલ વિશ્લેષણોને પણ પ્રવાહી શૈલીમાં રજૂ કરે છે. એમની અભિવ્યક્તિમાં ક્યાંય વાગ્મિતા પ્રવેશતી નથી. પોતાના મનમાં પડેલા વિવેચકના આદર્શને અભિવ્યક્ત કરતા રમણ સોની જણાવે છે, ‘સમીક્ષા જરૂર પડ્યે વિશ્લેષણ પણ હોય ને જરૂર પડ્યે ટીકાપાત્ર સ્થાનોની હળવી શૈલીથી ખબર લેનારી પણ હોય જ. મારા વિવેચનલેખનને પણ લખાવટનાં બહુવિધ સ્તરોમાં ચુસ્તીભર્યાં વિશ્લેષણથી લઈને હળવાશભર્યા પણ અર્થસાધક પ્રયોગોમાં વિસ્તરવા દીધું છે’ ૮ રમણ સોનીની વિવેચનાને સમાંતર સંપાદનપ્રવૃત્તિ પણ ચાલતી રહી છે. એમના સંપાદન આદર્શો પણ ઠીક ઠીક ઘડાયેલા દેખાઈ આવે છે. એમણે સંપાદન પ્રવૃત્તિને પોતાના વિવેચન કાર્યની સાથોસાથ સ્થાન આપ્યું હોવાથી એમણે ઘણાં આદર્શ કહેવાય એવાં સંપાદનો પણ કર્યાં છે. એમની સંપાદન પ્રવૃત્તિનો ખ્યાલ મેળવ્યા પહેલાં એમણે ઘણાં સંપાદનોની સમીક્ષા કરી છે એમાંથી પણ એમના સંપાદન વિશેના ખ્યાલનો પરિચય થાય છે. ‘ચંદ્રહાસાખ્યાન’, ‘નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં’, ‘અનુવાદ : સિદ્ધાંત અને સમીક્ષા’ ‘તત્વદર્શી પારદર્શકતા’ જેવાં સંપાદનોમાં એમણે ગુજરાતી સાહિત્યમાં ચીલાચાલુ સંપાદનો સામે સંપાદનનો આદર્શ ઊભો કરી આપ્યો છે. એમના સંપાદનની ઊડીને આંખે વળગે એવી વિશેષતા હોય તો એમના સંપાદનમાં રહેલી વિશદતા છે. એમનાં સંપાદન reader friendly હોય છે. એમણે આ વાતનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો હોય છે. એમના કૃતિ સંપાદનો સર્જક -અભ્યાસો અને મધ્યકાલીન કૃતિ અને કૃતિ અભ્યાસોમાં એમની સંપાદન દૃષ્ટિનું લાભ મળ્યો છે. જયંત કોઠારીના વિવેચન લેખોનું સંપાદન એમનાં ઉત્તમ સંપાદનોમાં સ્થાન પામે તેવું છે. ખાસો બાર પાનાંઓ સંપાદકીય લેખ છે. જયંત કોઠારીનો વિવેચક તરીકેનો બલકે વિવેચક તરીકેનાં બધાં જ લાક્ષણિક પાસાંઓનો સમુચિત સમાવેશ થઈ શકે એ માટે પ્રથમ તો સંપાદક તરીકે અગાઉ એમનાં વિવેચનો પ્રસંગોપાત વાંચ્યાં હોવા છતાં આ સંપાદનના ભાગ સ્વરૂપે એમના બધા જ પંદરસો પાનાંમાં વિસ્તાર પામેલા વિવેચનને પોતે નિર્ધારેલા ત્રણસો પાનાંમાં સમાવવા રમણ સોનીએ ખાસી કસરત કરી, નિરાંતે એમના વિવેચનનો અભ્યાસ કરી shortlist કરતા જાય છે. અને જયંત કોઠારીની વિવેચકમુદ્રાને બરાબર અભિવ્યક્ત કરી બતાવે એવું સંપાદન કરે છે. જે ભાવિ સંપાદકો માટે આદર્શરૂપ બની રહે તેમ છે. આ સંપાદનમાં અવકાશપૂરકો તરીકે જયંત કોઠારીની વિવેચન પ્રતિભાને ઉજાગર કરતાં બીજા વિવેચકોનાં અવતરણો સંપાદનને સુંદર બનાવે છે રમણ સોનીએ ગુજરાતી સાહિત્યમાં ‘ગ્રંથ’ નામનું એકમાત્ર સમીક્ષા સામયિક બંધ થયું પછી ઈ. સ. ૧૯૯૧માં ‘પ્રત્યક્ષ’ નામનું આવું સામયિક શરૂ કર્યું. જે પૂરાં છવ્વીસ વર્ષ સુધી અવિરત ચલાવ્યું, એની નોંધ લેવી રહી. ત્રેમાસિક સ્વરૂપે પૂરા સો અંક થયા. એમાં આપણા સંશોધનની સમયમર્યાદાના ગુજરાતી સાહિત્યના વિવેચનનો સમરેખ, સમયવર્તી ગતિવિધિનો આલેખ આ સામયિક બની રહે છે. માત્ર વિવેચનને વરેલ આ સામયિક ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ અને નવોદિત વિવેચકોની વિવેચનયાત્રાને શબ્દરૂપ આપવાનું નિમિત્ત બની રહ્યું છે. આ સો અંકમાં પથરાયેલી છવ્વીસ વર્ષની સમીક્ષાપ્રવૃત્તિનો આલેખ બની રહે છે. રમણ સોનીએ ગુજરાતી સાહિત્યમાં સમયાન્તરે અનિવાર્યપણે કરવાના કાર્યો વિષે ‘પ્રત્યક્ષ’ના સંપાદકીયમાં સતત લખ્યે રાખી ગુજરાતી સાહિત્યની વિવેચનપ્રવૃત્તિને ધબકતી રાખી છે. એમણે સંપાદન વિશે પણ ઘણું લખ્યું છે. એમાં એક લેખનું શીર્ષક છે ‘ઝટપટ સંપાદનો : સંપાદનપ્રવૃત્તિનું હ્ર્સ્વીકરણ’ એનો આરંભ કરતા લખે છે. ‘ગંભીરતા અને જવાબદારીથી લેતાં જે કામ બહુ વિચાર માગી લેનારું અને મથામણ કરાવનારું હોય છે અને ઘણીવાર આસાન બનાવી દેવામાં આવતું હોય છે!’ ૯ તો ‘કૃતિ સંપાદનના પ્રશ્નો’ નામના લેખમાં રમણ સોની સંપાદનવિધાના અવનવીન પ્રશ્નોની વાત ઉદાહરણ સાથે કરે છે. સંપાદન પાછળનો હેતુ જો સંપાદનપ્રવૃત્તિના મૂળ હેતુ સિવાયનો હોય તો કેવા ગોટાળા થાય તેનો ખ્યાલ ‘મારી હકીકત’ અને ‘ભદ્રંભદ્ર’ જેવી પ્રસિદ્ધ કૃતિઓનાં સંપાદનોના દાખલા આપી આ પ્રવૃત્તિનાં ભયસ્થાનો સામે રમણ સોનીએ થોડું કડક પણ સાચું લખ્યું છે. રમણ સોનીએ પોતાની કારકિર્દીના ઉત્તરાર્ધમાં પ્રગટપણે જેને સિદ્ધાંતવિચાર કે વિવેચનવિચાર કહેવાય એવા પ્રકારનાં વિમર્શાત્મક દીર્ઘ લખાણો ઓછાં કર્યાં છે, અલબત્ત તેમની અગાઉની ગ્રંથસમીક્ષાઓ અને વિવેચનલેખોમાં પૂરક સ્વરૂપે આ સિદ્ધાંતોનો અવશ્ય વિનિયોગ થતો રહેતો હતો અને સિદ્ધાંતોની સાચી ઉપાદેયતા પણ કૃતિવિવેચનમાં સમાવિષ્ટ હોય ત્યારે જ સાર્થક થઈ કહેવાય એવી સમજણને કારણે જ રમણ સોની પાસેથી આવાં નર્યાં સિદ્ધાંત વિવેચનો ઓછાં મળ્યાં છે. ‘ગિરિધરો ને પિચ્છધરોની વચ્ચે’ જેવું લાક્ષણિક શીર્ષક ધરાવતો લેખ પ્રત્યક્ષ વિવેચનનાં સિદ્ધાંત અને સમજૂતી વ્યક્ત કરે છે ગુજરાતી વિવેચનપ્રણાલીનું ઘડતર પશ્ચિમના સિદ્ધાંતોના આધારે થયેલું હોઈ, મોટેભાગે એનું પ્રવર્તન અનુકરણ કક્ષાનું રહ્યું છે. એના પરિણામે રમણ સોની ચંદ્રકાંત ટોપીવાળાનો હવાલો આપી ‘વિવેચનક્ષેત્રે સાહિત્ય સિદ્ધાંતો સર્વોપરી બની ગયા, સાહિત્ય પોતે વિચારે પડ્યું’ આવી સ્થિતિમાં રમણ સોનીએ આવા સિદ્ધાંતવાદીઓએ કરેલા સિદ્ધાંતવિચારની દૂર્બોધતાનાં કારણો આપ્યાં છે. આ લેખમાં રમણ સોનીને આવા સિદ્ધાંતવાદીઓની વિચારણામાં ચિકિત્સાદૃષ્ટિનો, કેળવાયેલી સમજનો અને પોતાના વિચારોને વિશદતાથી અભિવ્યક્ત કરવાનો અને સાહિત્યકલા પ્રત્યેની નિસ્બતનો અભાવ વર્તાય છે.

■ પ્રવીણ કુકડિયા
પાદટીપ