ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/મણિલાલ નથુભાઈ દેશી

From Ekatra Wiki
Revision as of 04:10, 10 September 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મણિલાલ નથુભાઈ દોશી|}} {{Poem2Open}} એઓ જ્ઞાતિએ વીશા ઓસવાલ જૈન; અને અમદાવાદના વતની છે. એમનો જન્મ ૨જી નવેમ્બર ૧૮૮૨માં–સં. ૧૯૩૮ના આસો વદ ૭ ના રોજ–વિજાપુરમાં થયો હતો. એમના પિતાનું નામ નથ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મણિલાલ નથુભાઈ દોશી

એઓ જ્ઞાતિએ વીશા ઓસવાલ જૈન; અને અમદાવાદના વતની છે. એમનો જન્મ ૨જી નવેમ્બર ૧૮૮૨માં–સં. ૧૯૩૮ના આસો વદ ૭ ના રોજ–વિજાપુરમાં થયો હતો. એમના પિતાનું નામ નથુભાઈ જીવરાજ દોશી અને માતાનું નામ માકોરબાઈ મયાચંદ છે.

એમણે બધું શિક્ષણ અમદાવાદમાં જ લીધેલું. સન ૧૮૯૮માં મેટ્રીક્યુલેશનની પરીક્ષા પસાર કરી હતી. તે પછી ગુજરાત કૉલેજમાં દાખલ થઈ સન ૧૯૦૨માં ભાષા અને સાહિત્ય ઐચ્છિક વિષય લઈને બી. એ.ની ડીગ્રી મેળવી હતી; અને ઉંચે નંબરે આવવાથી તેઓ દક્ષિણા ફેલો નિમાયા હતા. સન ૧૯૦૩માં તેમણે એક શિક્ષકનો ધંધો પસંદ ક્યોં હતો. એમની શિક્ષણ આપવાની પદ્ધતિથી અને શિષ્યો પ્રતિના સમભાવ અને પ્રેમથી તેઓ વિદ્યાર્થી વર્ગમાં બહુ પ્રિય થઈ પડતા; અને એમના સાલસ સ્વભાવ અને ઉત્તમ ચારિત્ર્યથી, એમના સમાગમમાં આવનાર સૌ કોઈને પોતા પ્રતિ આકર્ષતા હતા. એમના પ્રિય વિષયો માનસ શાસ્ત્ર, નીતિ અને ધર્મ છે. વળી એમ કહેવું વધારાપડતું નથી કે તેના અભ્યાસ અને પ્રચાર કાર્ય પાછળ એમણે પોતાનું જીવન સમર્પણ કરેલું છે. આખા ગુજરાતમાં તેઓ એક આગેવાન થિઓસોફીસ્ટ તરીકે જાણીતા છે. એમના એ સેવા કાર્યથી ઘણાંનાં જીવનમાં સુંદર ફેરફાર અને પલટો થયલા અમારા જાણવામાં છે. શિક્ષણકાર્ય સાથે સમાજસેવાના કાર્યમાં તેમજ થિઓસોફીના પ્રચારકાર્યમાં વખતોવખત મુશ્કેલીઓ નડવાથી સન ૧૯૧૯માં એમણે શિક્ષક તરીકેની નોકરી કાયમ માટે છોડી દીધી હતી અને તે સમયથી એક સમાજસેવક તરીકે અને થિઓસોફીના પ્રચારક તરીકે પ્રવૃત્તિ આદરી રહ્યા છે. લેખનકાર્ય તો એમણે સન ૧૯૦૩થી શરૂ કરેલું અને એ પ્રવાહ સતત વહેતો અને વિકસતો રહેલો છે. માત્ર નાના મોટા પુસ્તકો લખીને એમણે સંતોષ માન્યો નથી; પણ જૂદે જૂદે સમયે એક વા બીજું માસિક ચલાવીને, તે દ્વારા જનતાની સેવા કરવાને પ્રયત્નો કરેલાં છે. અત્યારે તેઓ બે માસિકો ચલાવે છે. સ્ત્રીજીવનના વિકાસ અને અભ્યુદય અર્થે પણ એમની પ્રવૃત્તિ થોડી નથી. સ્ત્રીઓ માટે તેઓ એક જૂદું માસિક કાઢે છે. એમનું “સખીના પત્રો” એ નામનું પુસ્તક ગુ. વ. સોસાઇટી તરફથી પ્રસિદ્ધ થયેલું છે, તે પરથી જોઈ શકાશે કે સ્ત્રીમાનસને સમજવામાં તેઓ કેટલા નિપૂણ અને ઉંડા ઉતરેલા છે.

લેખન વ્યવસાયમાં તેમ એક ઉપદેશક તરીકે એમનું ઘણું ખરું જીવન વ્યતીત થયેલું હોવાથી એમનો લેખ સંગ્રહ બહુ મોટો જણાશે. અહિં માત્ર એમના ગ્રંથોની યાદી આપી છે:-

 
૧ અર્હન્નીતિ (શ્રી હેમચંદ્રાચાર્ય કૃત સંસ્કૃત પુસ્તકનો ગુજરાતી અનુવાદ.) ઇ. સ. ૧૯૦૬
૨ ગુરુદર્શન ૧૯૦૮
૩ આત્મ પ્રદીપ (શ્રીમદ્ બુદ્ધિસાગરે રચેલા ૧૦૦ સંસ્કૃત શ્લોકનું ભાષાંતર તથા વિવેચન.) ૧૯૧૦
૪ દયાનો ઝરો (રાલ્ફ વોલ્ડો ટ્રાઇનના “Every Living Creature”નું ભાષાંતર) ૧૯૧૦
૫ સ્વર શાસ્ત્ર ૧૯૧૦
૬ સુબોધચંદ્ર (આધ્યાત્મિક નવલકથા)
૭ લધુ લેખસંગ્રહ ૧૯૧૧
૮ શ્રી બુદ્ધચરિત્ર (પાંચ આવૃત્તિઓ થઈ છે.) ૧૯૧૧
૯ મહાન ગુરુનો પ્રસાદ (‘At the feet of the Master’નો અનુવાદ) ૧૯૧૧
૧૦ યોગમાર્ગનો ભોમીઓ ૧૯૧૨
૧૧ શ્રી બુદ્ધોપદેશ (ધમ્મપદના બુદ્ધ ગ્રંથનું પાલીમાંથી ભાષાંતર)
 ૧૨ શ્રી ધર્મબિન્દુ (શ્રી હરિભદ્રસૂરિ કૃત ગ્રંથનું ભાષાંતર અને વિવેચન.)
૧૩ આદર્શ પુરુષ (ડો. બેસન્ટના “Path to the Masters of Wisdom”નો અનુવાદ.) ૧૯૧૩
૧૪ પ્રભુમય જીવન (ત્રણ આવૃત્તિ થઈ છે.) (‘In tune with the Infinte’નું ભાષાંતર.) ૧૯૧૬
૧૫ થિઓસોફી લેખમાળા ૧૯૧૯
૧૬ પ્રભુને નામે (સી. જીનરાજદાસના ‘In His Name’નું ભાષાંતર)
૧૭ શ્રધ્ધા એ જીવન (સી. જીનરાજદાસના “Faith that is Life”નો અનુવાદ.)
૧૮ શ્રી સીમન્ધર સ્વામીને ખુલ્લા પત્રો ૧૯૨૦
૧૯ સંયમ સામ્રાજ્ય ‘Kingship of self–control’નું ભાષાંતર)
૨૦ શ્રી ભગવદ્ ગીતા અધ્યયન (ડૉ. બેસન્ટના ‘Hints on the Study of Gita’નું ભાષાંતર.)
૨૧ વિદ્યાર્થી બંધુઓની સેવામાં (ડૉ. એરેંડેલના ‘Talks to Students’નો અનુવાદ)
૨૨ દિવ્ય જીવન ૧૯૨૨
૨૩ સખીને પત્રો ૧૯૨૪
૨૪ ઉપદેશ રત્નકોષ (બે આવૃત્તિઓ) (માગધીમાંથી ભાષાંતર અને વિવેચન.) ૧૯૨૪
૨૫ ઉચ્ચ જીવનના નિયમો (ડૉ. બેસન્ટના ‘Laws of Higher Life’નો અનુવાદ.) ૧૯૨૬
૨૬ દૈનિક ધ્યાનનાં સૂત્રો (ડો. બેસન્ટના ‘Daily Meditations’નું ભાષાંતર.) ૧૯૨૭
૨૭ પવિત્રતાને પંથે (ચાર આવૃત્તિઓ) (જૈનધર્મ ગ્રંથ.)
૨૮ મુક્તિનું રહસ્ય (સી. જીનરાજદાસના ‘Release’નું ભાષાંતર) ૧૯૨૮
૨૯ ચારિત્ર મંદિર (વ્યાખ્યાનોનો સંગ્રહ.)
૩૦ નવીન યુગનો આત્મા (‘Spirit of the Unborn’નો અનુવાદ.)
૩૧ પ્રેમ અને સેવા ૧૯૨૯
૩૨ શ્રાવક ધર્મ
૩૩ જ્ઞાન પ્રભાવ
૩૪ જીવન સંદેશ (શ્રી કૃષ્ણ મૂર્તિના વ્યાખ્યાનો તથા લેખોનો અનુવાદ.) ૧૯૩૦
૩૫ બાળશિક્ષણ (માબાપ અને શિક્ષણ સંઘની ચાર પત્રિકાઓનો અનુવાદ.)