સવાસો વર્ષની વાર્તાઓ/જો હું વાર્તાની નાયિકા હોત તો...

From Ekatra Wiki
Revision as of 01:51, 18 September 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જો હું વાર્તાની નાયિકા હોત તો...

વિનોદિની નીલકંઠ

અષાઢ મહિનાના પહેલા દિવસને તો કવિકુલશિરોમણિ કાલિદાસે અમર બનાવી દીધો છે, પણ આજે તો અષાઢનો પહેલો નહિ, પણ છેલ્લો દિવસ છે. શનિવારનો શરૂ થયેલો વરસાદ આજે મંગળવાર સુધી થંભ્યા વગરનો એકધારો પડ્યે જ જાય છે! મારા મનનો પડછાયો પાડતું હોય તેમ આખું આભ ઘેરાં કાળાં વાદળોથી છવાયેલું છે. અને આખું આકાશ જાણે ધરતી ઉપર ઝૂકી પડયું છે. પાલીબહેન, એટલે મોટી બહેનનાં સાસુ અનુભવની વાણી વદે છે કે : શનિવારે હેલી શરૂ થાય એટલે લંબાય જ. શનિવારનો વાર તો ચીકણો જ કહેવાયો છે. આજે આ વરસાદની સતત વરસી રહેલી મુશળધારા, મારા દિલમાં અનેક પ્રકારની લાગણીઓ ઊભરાવી દે છે. ફરી ફરીને એક વિચારનું રટણ મારા મનમાં ચાલે છે, અને ઊથલાવી ઊથલાવીને એનો એ જ પ્રશ્ન હું મારી જાતને પૂછ્યા કરું છું કે, શું મારી જિંદગી આમ, મોટી બહેનના સંસારને ઉંબરે બેસવામાં જ વીતી જશે? પહેલાં જ કહી દઉં કે, મારું વય છત્રીસ વર્ષનું છે. લગ્ન કરવામાંથી હું ‘રહી ગયેલી' છું. મોટી બહેન પરણ્યાં, પણ તે પછી મારું કંઈ ગોઠવાયું જ નહીં. અમારી જ્ઞાતિમાં પૈસા આપવા-લેવાનો રિવાજ નથી, તેમ જ હું કંઈ કાણી, લૂલી કે ઠૂંઠી અગર બહેરી—બોબડી પણ નથી નથી મારા ચહેરા ઉપર શીળીના ડાઘ કે નથી હું વધુ પડતી જાડી. તેમ કદમાં પણ હું છેક ઠીંગણી અગર લાંબી વાંસ જેવી પણ નથી. સાથે સાથે એટલું પણ કબૂલ કરી લઉં કે હું ફૂટડી કે અતિશય નમણી પણ નથી. સામાન્ય કક્ષાની ગણાઉં. મારે માટે વર શોધવાની મા-બાપે ઘણી મહેનત કરી, અને છેવટે નિરાશ થયાં. આજે તો તે બંનેની હયાતી આ પૃથ્વી ઉપર નથી. આજે આ વરસાદની હેલી અને કાળાં વાદળ મારાં ખિન્ન મનને, ખિન્ન બનાવે છે. હું રહી કેમ ગઈ? રહી જવામાં દુઃખ પણ છે; એકલતા તો ખરી જ. ઉપરાંત રહી ગયાની એક પ્રકારની શરમ પણ તેમાં ઉમેરાય છે. મને એમ થાય છે કે હું આ વાસ્તવિક અને નઠાર દુનિયાની વિધાતાને હાથે ઘડાયેલી નારી હોવાને બદલે, કોઈ વાર્તાસૃષ્ટિની નાયિકા હોત તો? ભલેને કોઈ મહાન વાર્તાકારે નહીં, પણ સાવ અણઘડ નવલિકાકારે પણ મને પસંદ કરી હોત તો; સાહિત્યજગતમાં અગર તો છેવટ સરકારી સ્પર્ધામાં તેને પારિતોષિક ન મળ્યું હોય તો પણ શો વાંધો? જો હું સાવ મામૂલી ગણાય એવા લેખકને હાથે સર્જાયેલી નાયિકા હોત તો પણ સુંદર તો જરૂર હોત જ. પછી ભલે લાવણ્યવતી નાયિકાના વર્ણનમાં ઊણપ અગર અણઆવડત હોત. વળી તેવા વાર્તાકારે મને ખૂબ જ હોંશિયાર પણ બનાવી હોત. ઘણું કરીને હું બહુ શ્રીમંત પિતાની—માતાવિહોણી —એકની એક અને તેથી કરીને અત્યંત લાડકી પુત્રી હોત. વળી ભણવામાં ખરી રીતે હું મૅટ્રિકમાં બે વખત નાપાસ થઈ, પછી મેં અભ્યાસ મૂકી દીધો છે, પરંતુ વાર્તાની સૃષ્ટિમાં તો હું ઘણી હોંશિયાર હોત. અને ઘણું કરીને પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે દરેક પરીક્ષા પસાર કરી ગઈ હોત. વળી મારાં વાસ્તવ જીવનની સૌથી મોટી ઊણપ પણ તે નવોસવો વાર્તાકાર પૂરી શક્યો હોત. મારાં જેવી મનોહર સ્વરૂપવાળી અને અત્યંત પ્રતિભાશાળી તેમ જ ગર્ભશ્રીમંતની પુત્રીને દરેક રીતે અનુરૂપ – પરંતુ નિર્ધન – એવો જીવનસાથી પણ મળી ગયો હોત. હું પહેલે નંબરે તો તે બીજે નંબરે પરીક્ષાઓ પસાર કરતાં હોત. વળી કૉલેજના નાટકમાં હું શકુંતલા અને તે દુષ્યન્ત, અગર એવી જ કોઈ જગવિખ્યાત જોડી અમે ભજવી હોત. અહાહા! શું રોમાંચક મારું જીવન બન્યું હોત !

કદાચ હું ગ્રામજીવનની નાયિકા તરીકે વાર્તામાં સર્જાઈ હોત તો? તો હું ગામડામાં નવરાત્રીમાં ગરબે ઘૂમતી હોત, ખેતરમાં ચાર વાઢતી હોત અગર ભાત લઈ ખેતરે જતી હોત. અને વાર્તાનો નાયક કેવો કોસ ચલાવતાં ચલાવતાં ગીત લલકારતો હોત— ઝાંપે તારી ઝૂંપડી, ઘાયલ ! આવતાં ને જાતાંનો નેડો લાગ્યો! અથવા વૈશાખ મહિને બહેનપણીની જાનમાં તે નજીકને ગામેથી આવેલો મારી નજરે પડ્યો હોત અને હું એની નજરે. અને પછી શ્રાવણના મેળામાં પાવા વગાડતો એ આવ્યો હોત, અને પછી પેલા ચગડોળમાં બેસવાની કેવી ગમ્મત આવી હોત! આવી રીતે મને કેમ કોઈ વાર્તાકારે ન ગોઠવી વારુ? કદાચ હું કોઈ છેક જ આધુનિક વાર્તાકારની કલમે ઘડાઈ હોત, તો પણ તેણે મને દેહસૌંદર્ય તો અવશ્ય અર્પણ કર્યું હોત. કદાચ તેણે મારી નીતિમત્તા વિશે શંકા ઉઠાવી હોત, મારા દાંપત્યજીવનમાં કલહ, અગર છેવટે કોઈ પ્રકારનું ઘર્ષણ તો જરૂર ખડું કર્યું હોત; છતાં પણ હું તે સ્વીકારી લેત. આ રીતે અત્યારે વાસ્તવમાં હું છત્રીસ વર્ષે કુંવારી, કોઈ પ્રકારની વિશિષ્ટતાવિહીન કલા કે કૌશલ્યવિહોણી છું. તેવી તો તે વાર્તાકારે મને ન જ રહેવા દીધી હોત. હા, કદાચ તે આધુનિક લેખકે તેની કલમના ગોદા વડે મને અર્થરહિત રીતે પહાડોમાં ભટકતી અગર સમુદ્રનાં ઊછળતાં મોજાને નિહાળવા માટે સાગરતટે ધકેલી આપી હોત. કદાચ પતિ ઉપરાંત બીજા એકાદ પુરુષમિત્રને મારી હથેળીમાં નચવવાની તે લેખકે મને ફરજ પાડી હોત, છતાં પણ આ રીતે, જેમાં પુરુષનો પડછાયો સુધ્ધાં નથી જણાતો, એવી-ગરીબ કુટુંબની, ઘી વગરની અને જાડા બરછટ ચોખાના ટુકડા અને કોરમાની ખીચડી જેવી—સાત લુખ્ખી અને રસહીન જિંદગી તો ન જ જીવવી પડત ને? કદાચ કોઈ નવલિકાકારે મને ગણિકા બનાવી હોત. તો તો વળી અજોડ સૌંદર્ય ઉપરાંત તેણે મને કોકિલકંઠ પણ અર્પણ કરી દીધો હોત. મારું સંગીત સાંભળીને પેલા કવિ કહે છે તેમ : *કાયાના કંડિયામાં પૂરેલ પ્રાણ તેનો નાગ જેમ ડોલ્યો' હોત. અનેક પુરુષો મારા ચરણમાં આળોટતા હોત. અને પછી વાર્તા જ્યારે મુખ્ય વળાંક લેત, ત્યારે એક દિવસ કોઈ દુઃખિયારો. આધેડ વયનો એકલવાયો પુરુષ, અર્ધો શરમાતો, પૂરો ગભરાતો મારી પાસે આવ્યો હોત, અને ત્યાંથી મારી રોમાંચકથાનો આરંભ થયો હોત. અલબત્ત, વાર્તાને અંતે તે ગૃહસ્થે મારું પાણિગ્રહણ કર્યું હોત અને પછી હું કેવી પતિવ્રતા, પ્રેમાળ, ચતુર, શાણી, પવિત્ર ગૃહિણી બની હોત! અને થોડા મહિના પછી તે નિઃસંતાન ગૃહસ્થના ઘરને બાળકના રુદન અને હાસ્યથી ગજવી આપવાની આશા મેં મારા પતિના કાનમાં કહીને તેને કેવો હર્ષઘેલો બનાવી મૂક્યો હોત ! અરેરે ! કોઈ અત્યંત કાચી વયના, આદર્શઘેલા યુવક અથવા તેવી જ યુવતીએ મને પોતાની ટૂંકી વાર્તા માટે કેમ ન ઝડપી લીધી? જો એમ બન્યું હોત તો હું એક નવપરિણીત—નવવધૂ—સાંજે મારા પતિ ઘેર આવે ત્યારે, ચાનો કપ તથા નાસ્તો ધરવામાં હું નારીજીવનનું સાર્થક્ય સમજતી હોત અને પગારને દિવસે પતિ કદાચ મારે અંબોડે ફૂલવેણી બાંધી આપત અગર એકાદ સસ્તી સાડી ખરીદવા લઈ જાત, તો પણ મારું જીવન ખરે જ ધન્ય થઈ ગયેલું હું ના સમજત, શું? અને પછી મારાં પતિની નોકરી છૂટી જાત ત્યારે હું એને કેટલું આશ્વાસન આપત! કોઈ સંસ્થા તરફથી જાહેર થયેલી ટૂંકી વાર્તાની હરીફાઈમાં ઇનામ જીતવાની મારા પતિની આશા નિષ્ફળ જાત, પરંતુ તે જ હરીફાઈમાં પતિથી છૂપી રીતે હું પણ ઊતરીને પહેલું એક હજાર રૂપિયાનું ઇનામ જીતી લાવત ને? અને પછી તો અમારાં દાંપત્યજીવનના માર્ગ ઉપર વાર્તાલેખકે કાંટા વિનાનાં ફૂલ જ પાથર્યા હોત ને? હું તો વિચારી રહી છું કે કોઈ હાસ્યરસિક કથા લખવાનો પ્રયાસ કરતા અર્ધદગ્ધ લેખકે મને પોતાની વાર્તાની નાયિકા બનાવી હોત તો પણ હું છું તે કરતાં તો જરૂર સુખી હોત. વાચકોને હસાવવા ખાતર મારાં સર્જકે મને સ્થૂળ કાયાવાળી અને ઝઘડાખોર ભલેને બનાવી હોત! પરંતુ હું તોફાની બાળકોની માતા તો અવશ્ય બની હોત. ભલેને પછી તે બાળકોની સંખ્યા ઘણી બધી કેમ ન હોત? મારું માતૃત્વ તો તે લેખકે જરૂર તૃપ્ત કર્યું હોત. કોઈ સામાજિક ચિતાર આપવા ઇચ્છતા જૂનવાણી વિચારના ધગશદાર લેખક મારી વહારે ધાયા હોત તો પણ હું ફરિયાદ ન કરત. ભલેને તેણે મને દિનભર વૈતરું કરતી અને સાસુનણંદનાં મહેણાં-ટોણાં સહન કરતી આર્યનારી કેમ ન બનાવી હોત? રાત પડયે હું મારા પતિના હૈયામાંથી આશ્વાસન પામતી સંયુક્ત કુટુંબની આદર્શમય પત્ની બનીને સંતોષ માણી શકી હોત.

અરે! હું તો ઇચ્છું છું કે છેવટ કોઈ ગુજરાતી ડિટેક્ટિવની વાર્તામાં પણ મને સ્થાન મળી ગયું હોત તો પણ શું ખોટું હતું? મારી જિંદગી આવી એકધારી અને નીરસ તો ન જ બની ગઈ હોત ને? ભોંયરામાં બેસીને હું ભેદી પત્રો લખી શકી હોત, આંખે કાળાં ચશ્માં ચઢાવી, કારણે—અકારણે રેલવે ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કૂપેમાં મુસાફરીની મોજ માણતી હોત. હાથની વીંટીમાં અથવા મોં ઉપર પાઉડર છાંટવાના કોમ્પકેટમાં અગર સિગારેટ ચેતાવવાની નાનીશી ડબ્બીમાં છૂપી કરામતભર્યા કેમેરા વડે છબીઓ ઝડપી લેતી હોત. અરે, પિસ્તોલ વડે ધડાધડ ધડાકા કરીને, સરસ નવીનક્કોર મોંઘીદાટ અમેરિકન મોટરમાં બેસીને મારાં છૂપા રહેઠાણ તરફ હું નાસી શકી હોત. અષાઢના આ છેલ્લાં દિવસે હજી એકધારો વરસાદ વરસી રહ્યો છે. મારી વિચારધારા પણ એ જ વેગથી વહી જાય છે. મારી જિંદગીમાં વર્ષો પણ વહી રહ્યાં છે. ઊગતી જુવાનીમાં સેવેલા કોડ હવે સાવ સુકાઈને કોઈ સ્ત્રીના ઉદરમાં છોડ થઈ ગયેલા ગર્ભ જેવા બની ગયા છે. જીવન સાવ નીરસ અને શુષ્ક બની ગયું છે.

મારી મોટી બહેનની પાંચ સુવાવડો મેં ખડે પગે રહીને પાર પાડી આપી છે. પાંચે ભાણેજ મને પ્રેમપૂર્વક ‘વહાલી માશી’ને નામે સંબોધે છે. બહેન-બનેવી પણ અપાર માયા રાખે છે, પણ તેમાં મારી પ્રત્યે ‘બાપડી, બિચારી’નો ધ્વનિ આવ્યા વગર રહેતો નથી; કેમ કે હું 'રહી ગયેલી' છું.

આવતીકાલે સવારે શ્રાવણ મહિનો બેસશે. હું વિચાર કરું છું કે હવે શ્રાવણનાં ઝરમર ઝરમર સરવરિયાં વરસશે. કવિએ પેલું ગીત ગાયું હતું:

ઝીણાં ઝરમર વરસે મેહ,
ભીંજે મારી ચૂંદલડી.
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મારી ચૂંદલડી.

આ ગીત મારા જેવી પ્રૌઢ કુમારિકાને લાગુ પાડી શકાય ખરું?

વાર્તા અને વાર્તાકાર :

વિનોદિની નીલકંઠ (૦૯-૦૨-૧૯૦૭ થી ૨૯-૧૧-૧૯૮૭)
નિબંધકાર, નવલકથાકાર, વાર્તાકાર.
રમણભાઈ નીલકંઠના દીકરી.

ચાર વાર્તાસંગ્રહ :

1. આરસીની ભીતર (1942) (નથી મળ્યો)
2. કાર્પાસી અને બીજી વાતો (1951) 20 વાર્તા
3. દિલ દરિયાવનાં મોતી (1958) 27 વાર્તા
4. અંગુલિનો સ્પર્શ (1965) 20 વાર્તા

‘જો હું વાર્તાની નાયિકા હોત તો...’ વાર્તા વિશે :

‘જો હું વાર્તાની નાયિકા હોત તો...’ ભલે થોડી બોલકી લાગે પણ આવું નિખાલસ કથન એ સમયે જ્વલ્લે મળે. 35 વર્ષની, બેનની સાથે રહેતી, પોતાનું પણ એક ઘર હોત તો... એવું ઝંખતી પ્રૌઢા આ વાર્તા કહે છે. પોતાની જાતને તે ‘રહી ગયેલી’ કહે છે. ‘હું કેમ રહી ગઈ?’ એવો પ્રશ્ન જાતને કરતી આ 36 વર્ષની પ્રૌઢા વરસાદી હેલીમાં કલ્પનાના કનકવા ચગાવે છે. જો હું કોઈ વાર્તાસૃષ્ટિની નાયિકા હોત તો? અને વાસ્તવિક જિંદગીમાં જે નથી – સુંદરતા, ધન, હોંશિયારી... એ બધું વાર્તાની નાયિકામાં તો હોય જ. એટલે રોમાંચક કલ્પનાલોકમાં જઈ ચડે છે. ધારો કે હું ગ્રામજીવનને લગતી વાર્તાની નાયિકા હોત તો એ ક્યાંક મેળામાં પાવો વગાડતો આવી રહ્યો હોત ! આમ જો-તોની કેડીએ કલ્પના આધુનિક વાર્તાકાર સુધી પહોંચે છે. એની આ કલ્પનાઓ દ્વારા આડકતરી રીતે વાર્તાનાયિકાની બદલાતી વિભાવના પણ પ્રગટ થતી ગઈ છે. એ લખે છે : ‘આધુનિક વાર્તાકારે કદાચ પતિ ઉપરાંત બીજા એકાદ બે પુરુષમિત્રને મારી હથેળીમાં નચાવવાની મને ફરજ પાડી હોત... છતાં પણ આ રીતે, જેમાં પુરુષનો પડછાયો સુદ્ધાં નથી જણાતો, એવી ગરીબ કુટુમ્બની, ઘી વગરની અને જાડા બરછટ ચોખાના ટુકડા અને કોરમાની ખીચડી જેવી સાવ લુખ્ખી અને રસહીન જિંદગી તો ન જ જીવવી પડત ને?’ (અંગુલિનો સ્પર્શ-141) વાર્તામાં એ ગણિકા બનવા પણ તૈયાર છે ! કોઈ દુઃખિયારા, આધેડવયના એકલવાયા પુરુષ સાથે પાણિગ્રહણ કરી, એના સંતાનની માતા બની કેવી સુખી, સભર જિંદગી જીવવા મળી હોત ! એવી કલ્પનામાં પણ રાચે છે. હાસ્યરસિક કથા લખવાનો પ્રયાસ કરતા કોઈ અર્ધદગ્ધ લેખકની સ્થૂળ, ઝઘડાખોર નાયિકા કે સામાજિક ચિતાર આપતા લેખકની દિનભર વૈતરું કરતી ને સાસુ-નણંદનાં મહેણાં-ટોણાં સહન કરતી આર્યનારીને પણ રાત પડે પતિના હૈયામાંથી આશ્વાસન તો મળતું હોત ને? આ કલ્પનાના ઘોડાઓની લગામ ખેંચીને પાછી કબૂલે છે : ‘મારી જિંદગીના વર્ષો પણ વહી રહ્યાં છે. ઊગતી જુવાનીમાં સેવેલા કોડ હવે સાવ સુકાઈને કોઈ સ્ત્રીના ઉદરમાં છોડ થઈ ગયેલા ગર્ભ જેવા બની ગયા છે. જીવન સાવ નિરસ અને શુષ્ક બની ગયું છે.’ ભલે વાર્તા અતિ બોલકી લાગે પણ આટલી સ્પષ્ટ કબૂલાત આપણી કેટલી નાયિકાઓએ કરી હશે?

અન્ય સારી વાર્તાઓ :

જલકમલવત્, મેં ભૂલ કરી?, યુવાનીના ઉંબરા પર, પાછલી અવસ્થા, તૃપ્તિની તૃષ્ણા, ચમેલીનાં ફૂલ, અમાસની રાતે, પડવાને વહાણે

‘બકરી ઈદ’ વાર્તાની નોંધ લેવાનું મન એટલે થાય કે અહીં મુસ્લિમ સમાજની રહેણીકરણી, એની ખાસિયતને નજીકથી જાણતા હોય એ રીતે વિનોદિનીબેન આલેખી શક્યાં છે. કદાચ હજુ વેરઝેર એટલાં ઊંડાં નહોતાં ઊતર્યાં, બેઉ સમાજ એકમેકથી એકદમ દૂર નહોતા સરી ગયા. આપણા છેલ્લા ચાર દાયકાની વાર્તાઓમાં મુસ્લિમ પાત્રો, પરિવેશ લગભગ અદૃશ્ય થતા જાય છે. કોમી તોફાનોની વાર્તાઓમાં જ મુસ્લિમ પાત્રો દેખાય છે.