સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/કુમારસંભવનો અનુવાદ

From Ekatra Foundation
Revision as of 06:32, 8 March 2026 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
૪. કુમારસંભવ
[સમશ્લોકી અનુવાદ]

નાગરદાસ અમરજી પંડ્યા

કુમારસંભવના સમશ્લોકી ભાષાંતરનો પરિચય કરાવતાં મને હર્ષ થાય છે. સંસ્કૃત વાઙ્‌મયનાં ઉત્તમ મહાકાવ્યો ગુજરાતી વાચકને સુગમ હોવાં જોઈએ. વર્તમાન ગુજરાતી સાહિત્યમાં સ્વતંત્ર મહાકાવ્યો હોવાં જોઈએ એમ ઘણા સમયથી આપણા વિવેચકોને અને રસજ્ઞોને લાગતું આવ્યું છે. પણ હજી સુધી એવું મહાકાવ્ય લખાયું નથી. લાંબાં કાવ્યો જ ઘણાં ઓછાં લખાય છે, જોકે તેને માટે હવે બુદ્ધિપૂર્વક પ્રયત્નો થવા લાગ્યા છે. આમ થવાને માટે કાવ્યમર્મજ્ઞ વર્ગ – જેમાંથી જ કવિતાલેખકો નીકળી આવે છે – તેમને આપણાં સંસ્કૃત મહાકાવ્યો આપણી પોતાની જ ભાષામાં સુલભ કરી આપવાં જોઈએ – આપણાં અર્વાચીન ગુજરાતી મહાકાવ્યો એના જેવાં જ થવાં જોઈએ એવો કોઈ હેતુથી નહિ, પણ મહાકાવ્યને માટે જે જાતની કલ્પના, વસ્તુપસંદગી, રચનાકૌશલ, વસ્તુસંવિધાન, અલંકારકલ્પક બુદ્ધિ વગેરે જોઈએ તે આવા અભ્યાસથી જ કેળવાય અને ઉત્તેજાય. માટે. મહાભારત, રામાયણ, ભાગવત જેવાં વિરાટ કાવ્યોને એક બાજુ રાખતાં, પંચકાવ્યોમાંથી કાલિદાસનાં કુમારસંભવ અને રઘુવંશ ભાષાંતર કરવા યોગ્ય કાવ્યો છે એ સંબંધી ભાગ્યે જ મતભેદ હોય! પંચકાવ્યોમાં ગણાતાં બાકીનાં કિરાતાર્જુનીય, શિશુપાલવધ અને નૈષધચરિત્ર ગુજરાતીમાં ભાષાંતરયોગ્ય છે એમ થોડા જ આગ્રહપૂર્વક કહી શકશે. આ ત્રણ કાવ્યોમાં જેને સળંગ લાંબું કાવ્ય અંગ્રેજીમાં જેને ‘એપિક’ (epic) કહીએ એવું ઘણું ઓછું છે – એ તત્ત્વ આ ત્રણમાં ઉત્તરોત્તર ઊતરતું જાય છે. વિશાલ અર્થની અપેક્ષાએ અલંકારો તરફ અને અલંકારમાં પણ શબ્દાલંકારો તરફ એના કર્તાઓનું ધ્યાન વધતું ગયું જણાય છે. જે ભાષાંતરમાં પ્રતિકૂળ હોવા સાથે કાવ્યત્વને હાનિકારક છે. અલંકારનો આગ્રહ વધવા સાથે તેમાં એકએક શ્લોક ઉપરની કારીગરી અને ભાષાપાંડિત્ય વધ્યાં અને સમગ્રમાંથી કોઈ ઉદાત્ત ભાવ તરી આવે એ દૃષ્ટિ લગભગ અદૃશ્ય થઈ ગઈ. કાલિદાસનાં મહાકાવ્યોમાં પણ દરેક શ્લોક ઉપર કારીગરી જણાશે. દરેક શ્લોક સ્વતંત્ર રીતે પણ એક-એક ટૂંકું સરખું કાવ્ય કે મુક્તક હોય એ કાલિદાસને પણ અભિમત હોય એમ જણાય છે. પણ સમગ્ર તરફની દૃષ્ટિ કદી પ્રમાદી થતી નથી, અને એની કલ્પના સ્વાભાવિક રીતે જ ઉદાત્ત ભાવને પકડે છે. અલંકારોમાં પણ તે હંમેશાં શબ્દાલંકાર કરતાં અર્થાલંકારનો જ પક્ષપાતી છે અને શબ્દાલંકાર પણ અર્થઘનતાના જોખમે તે ભાગ્યે જ લે છે, – ઘણે ભાગે તો જે કેટલાક ભાગો રસઘન વસ્તુખંડોને જોડનારા હોય – જે મહાકાવ્યમાં અવશ્ય આવે છે – તેમાં જ તે શબ્દાલંકારથી વર્ણનમાં વૈચિત્ર્ય આણે છે. તેની સૌંદર્યની પારખ – મામૂલી મનાતા બનાવોમાં પણ ગૂઢ રહેલા સૌંદર્યની ઓળખ, અને તે સૌંદર્ય પ્રસન્ન શૈલીમાં, બહુ જ ઉચિત અને સૂચક અલંકારો વડે વ્યક્ત કરવાની શક્તિ, કંઈ અજબ છે. વિશાલ જીવન તરફના કોઈ અદ્વિતીય સમભાવથી તે જીવનના બધા પ્રદેશોમાંથી રસ લઈ શકે છે અને તે સાથે તેનામાં ક્વચિત્‌ જ ઔચિત્યભંગ દેખાય છે. ગુજરાતીમાં મહાકાવ્યો ઉતારવાં હોય તો તેમાં સૌથી પ્રથમ અવશ્ય કાલિદાસનાં જ આવે. અને કદાચ તેની પછી જે બીજાં આણીએ તે કાલિદાસની નજીક પણ મૂકવા જેવાં ન નીકળે! કાલિદાસનાં બે મહાકાવ્યો – કુમાર અને રઘુમાં અલબત્ત, રઘુ જ ઉત્તમ છે – તેની પરિપક્વ પ્રતિભાનું ફળ છે. બંને આપણા કમભાગ્યે અધૂરી કૃતિઓ છે. રઘુ કદાચ તેના મૃત્યુને લીધે અધૂરો રહ્યો હશે અને કુમાર કદાચ તેણે પોતે અધૂરો મૂક્યો હશે[1]– કદાચ તેના આઠમા સર્ગના અનૌચિત્યને લીધે જ તેણે એ કૃતિ છોડી દીધી હોય! એ ગમે તેમ હોય, પણ કુમારમાં અનેક પ્રકારની કચાશ દેખાય છે, એ તો નિર્વિવાદ છે. આઠમા સર્ગનું અનૌચિત્ય તો એ કૃતિથી કાલિદાસને શાપ મળ્યો હતો એવી કિંવદંતીથી પ્રાચીન જમાનાએ પણ ઉચ્ચાર્યું છે, પણ ઉપમા વગેરે જે કાલિદાસનો ઉત્તમ કાવ્યગુણ ગણાય છે તેમાં પણ કુમારમાં કોઈ-કોઈ જગાએ કચાશ વિદ્વાનો જુએ છે. પણ એ સઘળું છતાં કુમાર એક અદ્વિતીય કૃતિ છે. તેમાં કાલિદાસની સર્વશક્તિઓ, ભલે કંઈક અપરિપક્વ દશામાં પણ દેખાય છે. તેનો એકેએક સર્ગ સૌંદર્યસમૃદ્ધિવાળો છે. પહેલો સર્ગ, હિમાલયના વર્ણનનો, ભવ્ય છે. તે સાથે હિમાલય જેમ હિંદનો એક લાક્ષણિક પર્વત છે તેમ તેનું કાલિદાસનું વર્ણન પણ લાક્ષણિક છે. એ જ સર્ગમાં આવતું પાર્વતીનું વર્ણન પણ શંકર જેવા યોગીને ચલિત કરે તેવું માદક છે, જોકે એ વર્ણન અને આઠમો સર્ગ, કાલિદાસ શિવપાર્વતીને જગતનાં માબાપ માનતાં છતાં, શી રીતે કરી શક્યો, એ અનૌચિત્ય ખૂંચ્યા વિના રહેતું નથી. પણ આપણે એ વિશે વધારે વિચાર કરીશું નહિ. બીજો સર્ગ આખો, જેમાં દેવો બ્રહ્મા પાસે જાય છે, બ્રહ્માની સ્તુતિ કરે છે, તારકાસુરના સંતાપની ફરિયાદ કરે છે અને બ્રહ્મા તેમને સાન્ત્વન આપી ઉપાય બતાવે છે, તે કાલિદાસની સ્વર્ગીય ભવ્યતાનો એક ઉત્તમ દાખલો છે. ત્રીજા સર્ગમાં ઇન્દ્ર અતિ મીઠાશથી કામદેવ પાસે જ પોતાનું ધાર્યું બોલાવે છે, તે રાજદરબારી રીતભાતનો જાણકાર કાલિદાસ જ કરી શકે તેવું છે. તે જ સર્ગમાં દેવોને પણ ઉન્માદક વસંત, ઉમાને જોતાં થયેલી હરની ધૈર્યચ્યુતિ અને તેમાંથી સાવધાન થતાં કરેલું કામનું દહન, સર્વ લોકોત્તર વૃત્તાંત છે અને કાલિદાસે વિષયને ઉચિત અનન્ય ગૌરવથી તે કરેલું છે. ચોથો સર્ગ રતિવિલાપનો છે, જે કાલિદાસની શૈલીનો લાક્ષણિક નમૂનો છે – જેમાં હૃદયને અત્યંત દ્રવીભૂત કરી નાંખે તેવી લાગણી બતાવતાં છતાં કવિ પોતે સ્વસ્થતાથી વર્ણન કરે છે. પાંચમો સર્ગ ઉમાના તપનો છે. આ સર્ગમાં ઉમાને તપમાંથી અને શંકરના છંદમાંથી નિવારવાને સ્વયં શંકર યુવાન જટિલરૂપે આવે છે તેની સાથેના ઉમાના સંવાદથી આ સર્ગ અતીવ કૌતુકમય અને ગૌરવશાળી બની રહે છે. કાલિદાસની લાંબા સંવાદો યોજવાની પ્રૌઢિ, જે આગળ રઘુવંશમાં પણ જણાય છે, તેનો અહીં એક અનુત્તમ દાખલો મળે છે. છઠ્ઠામાં ઉમાના તપથી ‘વેચાયેલા’ શંકર સપ્તર્ષિઓ મારફત હિમાલયને ઉમાનું માગું કરે છે, જ્યાં કાલિદાસનો રૂઢિના બાહ્ય સ્વરૂપનો આદર પ્રત્યક્ષ થાય છે. સર્વ કવિઓમાં મને કાલિદાસ જાણે રૂઢિની મર્યાદામાં રહેલા નિર્મળ શુદ્ધ તાજા જીવનનો આસ્વાદ કરાવતો જણાય છે. સાતમા સર્ગમાં ઉમાપરિણયનું વર્ણન છે જે મને એટલું સરસ લાગતું નથી; જોકે આમાં વરરાજાને જોવા ઉતાવળી થયેલી પુરસુંદરીઓનું વર્ણન ચમત્કારક છે અને એ આખુંય કાલિદાસે રઘુવંશમાં અજના લગ્નપ્રસંગે ફરી મૂક્યું છે.[2] આઠમા વિશે મેં પહેલાં થોડું લખ્યું છે તેથી વિશેષ લખતો નથી. રઘુવંશના છેલ્લા સર્ગમાં અગ્નિવર્ણ રાજાનું શૃંગારવર્ણન, માત્ર વર્ણનની દૃષ્ટિએ આની સાથે સરખાવી શકાય. બંનેમાં એક જ રથોદ્ધતા વૃત્ત છે એ પણ કંઈક ધ્યાન ખેંચે છે. પણ મુખ્ય બાબત એ છે કે રઘુવંશમાં એ શૃંગારવર્ણન કરતાં છતાં કાલિદાસ તેમાં દોષ જુએ છે, અને અગ્નિવર્ણને પણ આખરે દોષ જોતો બતાવે છે; પણ –કાલિદાસ કહે છે : “સ્વાદુ વિષયોથી હરાઈ ગયેલો ઇન્દ્રિયગણ પછી ભાગ્યે જ નિવારી શકાય છે?” બંને કાવ્યોમાં અમર્યાદ શૃંગારનું વર્ણન કરતાં છતાં, માણસજાતને માટે કાલિદાસ રઘુવંશના છેલ્લા સર્ગમાં આ રહસ્ય રજૂ કરે છે, એ મને બહુ મહત્ત્વનું લાગે છે. પણ કુમારને કાલિદાસે રદ કરી અધૂરો મૂક્યો, અને આઠમા સર્ગના શૃંગારવર્ણનના અનૌચિત્યને માટે જ તેને રદ કર્યો એ તર્ક ખરો હોય કે નહિ, પણ કુમારના જુદાજુદા સર્ગોમાં આપણે જોયાં તે સૌંદર્ય કરતાં પણ તેનું સમગ્ર વસ્તુ વધારે ઉદાત્ત ભાવવાળું અને મહત્ત્વવાળું છે. મહાદેવ ઉમાનું વાગ્દાન સ્વીકારે કે નહિ એ આશંકાથી હિમાલય જેવો ગિરીશ પણ વચન નથી નાંખી શકતો! મહાદેવ પોતાના ધ્યાનમાં મગ્ન છે, દેવો પોતાની આપત્તિમાંથી છૂટવા શંભુથી ઉત્પન્ન થયેલ કુમારને વાંછે છે, અને પાર્વતી તરફ શંભુને આકર્ષવા મદનને મોકલે છે. સર્વ ઇન્દ્રિયો ઉપર યુગયુગોના સંયમવાળા હર પણ એક વાર કામદેવના શરનું લક્ષ્ય બનતાં ચલિતવૃત્તિ થાય છે! પણ પાર્વતીને પોતે જ પરણશે, લગભગ એવી મતલબનો વર આપ્યા છતાં, આ રીતે નથી પરણવા ઇચ્છતા, અને કામને જ બાળે છે! પાર્વતીને પોતાનું રૂપ નિષ્ફળ ગયેલું લાગે છે, અને તે વરને મેળવવા ઉગ્ર તપ આદરે છે. કાલિદાસ કહે છે, સ્ત્રીમાં કોમલત્વ સાથે અદ્‌ભુત તપઃક્ષમત્વ પણ છે!

ખરે ઘડ્યું શું વપુ હેમપદ્મનું
મૃદુ સ્વભાવે વળી સત્ત્વશીલ એ!

યોગીઓનાં તપને પણ ઝાંખાં કરતું તપ પાર્વતી તપવા માંડે છે, ત્યારે કામને બાળનાર એ જ શંભુ પાર્વતીના વેચાણ થઈ રહે છે! જગતનાં મહાન પ્રયોજનો, મહાન પ્રેમબળો, મહાન સંયમબળોનો સમન્વય આ મહાકાવ્ય છે. અને તેના પ્રભાવ અને ઉદાત્તતા આગળ કાલિદાસનું શૃંગારવર્ણનનું અનૌચિત્ય જોતાં, તેનો જ શ્લોક બોલાઈ જવાય છે.

ડૂબે ગુણૌદ્યે નકી દોષ એક
કલંક ઇન્દુ-કિરણો મહીં શું!

આ મહાકાવ્યનું ભાષાંતર કરવાનું શ્રી નાગરદાસ પંડ્યાએ સ્વીકાર્યું, એ અભિનંદન યોગ્ય છે. અનુવાદનું કામ કેટલું કપરું છે તે તો જેણે જરા પણ એ પ્રયત્ન કરી જોયો હોય તે જ જાણે. હજી સુધી તો અનુવાદકો માટે સમશ્લોકી ભાષાંતર એ જ મૂળની પ્રૌઢિ સાચવવાનો રાજમાર્ગ જણાયો છે. સંસ્કૃતમાં સમાસથી ભાષાની ઘણી જ કરકસર થઈ શકે છે. વળી વિશેષણને પણ વિશેષ્યના પ્રત્યયો લાગતા હોવાથી વિશેષણો વિશેષ્યથી ગમે તેટલાં છેટાં પડી ગયાં હોય તોપણ અન્વયને વાંધો આવતો નથી. ગુજરાતીમાં તો શબ્દોનો ક્રમ બદલાતાં પણ વિપરીત અર્થ થઈ જાય. આ બધી મુશ્કેલીઓમાં મૂળના અર્થને એટલા જ માપના અક્ષરોમાં ગુજરાતીમાં ઉતારવો અતિ દુર્ઘટ છે. તેમાં પણ કાલિદાસ, જે દરેક પદ સાભિપ્રાય વાપરે છે, જેની ઉપમાનું ઔચિત્ય ઉપમા-ઉપમેયની નાનામાં નાની વિગત સુધી પહોંચતું હોય છે, જેનાં વિશેષણો સંસ્કૃત ભાષાની સગવડને લીધે એક જ જગાએ રહી ઉપમેય ઉપમાન બંનેને રંગતાં હોય છે, તેનું ભાષાંતર કરવું ઘણું કઠિન છે. આનો એક જ દાખલો આપું છું. કુમારનો પહેલો સર્ગ હિમાલયના વર્ણનથી શરૂ થાય છે. પહેલા શ્લોકમાં હિમાલયનો નામનિર્દેશ કરેલો છે અને તે પછીના સોળ શ્લોકમાં ‘જેના’, ‘જેમાં’, ‘જ્યાં’ વગેરે સંબંધક શબ્દોથી વર્ણન લંબાવ્યું છે. કુમારનો ચોથો શ્લોક નીચે પ્રમાણે છે :

यश्चाप्सरोविभ्रममंडनानां
सपंदायित्री शिखरैर्बिभर्ति ।
बलाहकच्छेदविभक्तरागा-
मकालसन्ध्यामिव धातुमत्ताम् ।।

આમાં મુખ્ય વાક્ય એવું છે કે જે (હિમાલય) પોતાનાં શિખરો વડે અકાલસંધ્યાના જેવી ધાતુમત્તાને (લાલ માટીને) ધારણ કરે છે. તે સાથે આમાં બે વિશેષણાત્મક વાક્યખંડો આવે છે અને ટીકાકાર મલ્લિનાથ કહે છે કે આ બંને વિશેષણો ઉપમેય અને ઉપમાન બંનેને લાગુ પડે છે. अप्सरोविभ्रममंडनानां संपादयित्रीम् એ એક વિશેષણાત્મક વાક્યખંડ છે. વિભ્રમમંડન એટલે ઉતાવળથી અવળાં આભૂષણ પહેરવાં તે પર્વતની લાલ માટીને લીધે અપ્સરાઓને અકાલે સંધ્યા થઈ જવાનો ભ્રમ થાય અને તેથી તે ઉતાવળમાં આડાંઅવળાં આભૂષણો પહેરી લે એવી આ ધાતુમત્તા છે. એટલે આ વિશેષણ અકાલસંધ્યાને બરાબર લાગુ પડી શક્યું. પણ તે પાછું ધાતુમત્તાનું પણ વિશેષણ છે અને ત્યાં એ વાક્યખંડનો અર્થ એવો લેવાનો કે આ ધાતુમત્તા અપ્સરાઓને વિભ્રમમંડનો – વિલાસના અલંકારો પૂરાં પાડતી હતી, કેમ કે આ પર્વત ઉપર સિંદૂર વગેરે અલંકારમાં કામ આવે એવાં લાલ ખનિજ દ્રવ્યો હતાં. બીજું વિશેષણ बलाहकच्छेदविभक्तरागाम् એટલે વાદળાંના છેદ – ટુકડાથી જેની રતાશ વિભક્ત થઈ ગઈ છે એવી. આ વિશેષણ પણ બંનેને લાગુ પડે. હિમાલય એટલો ઊંચો છે કે વાદળાં તેની મેખલા-કેડ આસપાસ ફર્યા કરે છે. અને તે કરતાં વાદળાંથી પર્વતની ધાતુમત્તા વચમાં-વચમાં તૂટેલી લાગે. અને સંધ્યાની રતાશ પણ એ જ રીતે વાદળાંથી ખંડિત દેખાય. એટલે આ વિશેષણ ધાતુમત્તા અને અકાલસંધ્યા બંનેને લાગુ પડે. પણ જાણે મુશ્કેલી ઓછી ન હોય તેમ મલ્લિનાથ આ સમાસનો અર્થ જુદી રીતે કરે છે : વાદળાંના ટુકડામાં જે (સંધ્યા)નો રાગ (રસ્તાશ) સંક્રમિત થયો છે એવી. હવે વિભક્તિનો અર્થ સંક્રમિત શી રીતે થાય તે હું સમજતો નથી. આપ્ટે એવો અર્થ આપતો નથી. હું તો એ અર્થને અર્થવિસ્તાર જ ગણું છું. સંધ્યાનો રંગ મેઘખંડોમાં સંક્રમિત થાય છે એટલે મલ્લિનાથે એમ સમજાવ્યું. પણ મુશ્કેલી એ છે કે ધાતુમત્તાનો રંગ મેઘખંડમાં સંક્રમિત ન થઈ શકે, ત્યાં તો માત્ર શિખરોનો લાલ રંગ વાદળાંથી વચમાં-વચમાં તૂટેલો જ દેખાય, એટલે મલ્લિનાથ પ્રમાણે અર્થ કરવા જતાં એ વિશેષણ ધાતુમત્તાને ન લાગી શકે – જોકે મલ્લિનાથ પોતે બંને વિશેષણો ધાતુમત્તા અને અકાલસંધ્યા બંનેને લાગુ પડવાં જોઈએ એમ લખે છે. હવે આનો અનુવાદ જોઈએ.

શૃંગારનો સંભ્રમ અપ્સરાને
કરાવનારી શિખરે ધરે જે,
વિચિત્ર-રંગી થતી મેઘખંડે,
અકાલસંધ્યા સમી લાલ ધાતુ!

વાંચનાર જોઈ શકશે કે ઉપર ચર્ચા કરી તે સર્વ અર્થ ચાર લીટીમાં સમાવવાનો અનુવાદકે કેવો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ કહે છે કે મૂળનો બધો જ અર્થ આમાં આવતો નથી તો એટલું જ કહેવાનું કે અર્થ સમાઈ જ ન શકે ત્યાં કયો અર્થ કેટલો છોડી દેવાથી ઓછામાં ઓછી અભિપ્રાયને હાનિ થાય છે એ જ જોવાનું રહે છે અને તેમાં અનુવાદકે સારો વિવેક બતાવ્યો છે. આ સર્વ મુશ્કેલીઓ જોતાં કહેવું જોઈએ કે શ્રી નાગરદાસને આ અનુવાદમાં જશ મળ્યો છે. તેઓ પોતે સંસ્કૃતના સારા અભ્યાસી છે –સંસ્કૃતમાં તો કાવ્યો પણ કરી શકે છે એટલું એમનું ભાષાપ્રભુત્વ છે. તેઓ ગુજરાતીના પણ સારા અભ્યાસી છે. અને આ ભાષાંતર તેમણે કેટલી ખંતથી, ધીરજથી અને ઉદ્યમથી કર્યું છે તેનો હું સાક્ષી છું. આપણી ભાષા હજી વધારે કેળવાશે, તેનામાં શબ્દની કરકસરની શક્યતા વધતી જશે, તેમ-તેમજ આવાં ભાષાંતરો વધારે સફળ થવાનાં. અને એ ભાષાશક્તિઓ આવા પ્રયત્નોથી જ હાથ આવે છે – ખીલે છે – ઊગે છે. એટલે આ અનુવાદપ્રયત્નને હું સાર્થ ગણું છું. અને એટલું ઉમેરીશ કે આમાં આદર્શ ભાષાંતરની દૃષ્ટિએ ગમે તેટલી ઊણપો જડી આવે તોપણ, એટલું તો સર્વને જણાશે કે આ ભાષાંતરે, મૂળના બધા રંગો નહિ તો તેની છાયાકૃતિ તો જરૂર પકડી છે. ફોટોગ્રાફ વિવિધ રંગોને માત્ર તેજછાયામાં ઉતારીને પણ અસલ રૂપનો ખ્યાલ આપે છે તેમ આ ભાષાંતર પણ સર્વ વર્ણોને નહિ ઉતારતાં છતાં મૂળની સુંદર આકૃતિનું સુરેખ પ્રતિબિંબ છે, અને રસજ્ઞો એનો આસ્વાદ કરી કદર કરશે અને એ રીતે શ્રી પંડ્યાએ રઘુવંશનો અનુવાદ શરૂ કર્યો છે તેને ઉત્તેજન આપશે એમ આશા રાખું છું.

તા. ૮.૪.૩૬ [‘આલોચના’] પાદટીપ

  1. કુમારના આઠ સર્ગો જ કાલિદાસના છે એમ વિદ્વાનોનો મત છે. અને તેથી આ પુસ્તકમાં કુમારસંભવના પહેલા આઠ સર્ગોનો જ અનુવાદ છે.
  2. કાલિદાસે એક કાવ્યના શ્લોકો જરા પણ ફેરફાર વિના બીજા કાવ્યમાં મૂક્યા છે તેથી મને એક તર્ક – માત્ર તર્ક – થાય છે તે વિદ્વાનોના વિચાર માટે રજૂ કરું છું. એમ તો નહિ હોય કે કુમારથી નારાજ થઈ કવિએ કુમારને રદ જ કર્યો હોય અને કવિની ઇચ્છા વિના કુમાર ટકી ગયો હોય! એમ ન હોય તો એકનું એક વર્ણન કાલિદાસ જેવો કવિ બીજા કાવ્યમાં મૂકે? રથવેગનું વર્ણન વિક્રમોર્વશીય અને શાકુન્તલ બંનેમાં આવે છે. ત્યાં કાલિદાસ એકના એક શ્લોકો બંને નાટકમાં મૂકતો નથી. બધા મહાન કવિઓમાં હોય છે તેમ કાલિદાસ ઘણી વાર એક ને એક પ્રકારનું વર્ણન કે અલંકાર અનેક જગ્યાએ મૂકે છે પણ ક્યાંઈ એકનો એક મજકૂર બીજે મૂકી દેતો નથી. માત્ર કુમારનો આટલો ભાગ રઘુમાં મૂકેલો છે!

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.