ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/આવકાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "એકત્ર ફાઉન્ડેશને સમગ્ર અર્વાચીન ગુજરાતી કવિતાનું સંપાદન કરવાની...")
(No difference)

Revision as of 17:26, 18 May 2021

એકત્ર ફાઉન્ડેશને સમગ્ર અર્વાચીન ગુજરાતી કવિતાનું સંપાદન કરવાની ગંભીર જવાબદારી મને સોંપી છે. એનું રૂપાળું નામ રાખ્યું છે — અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા. એના પેટાશીર્ષકથી જ એના વ્યાપનો ખ્યાલ આવશે — નર્મદથી સિતાંશુ. અલબત્ત, આ ડિજિટલ આવૃત્તિ છે, પુસ્તકાકારે પ્રકટ થતી છાપેલી આવૃત્તિ નથી.

આ સંપાદન એની બે વિશેષતાઓથી અ-પૂર્વ અને અ-દ્વિતીય છે:

૧. સંપાદનમાં કાવ્યાસ્વાદોનો પણ સમાવેશ કર્યો છે.

૨. ગીત/ગઝલોના ઑડિયો પણ મૂક્યા છે.

વળી, કવિનાં કેટલાંક કાવ્યોનું સ્વમુખે કરેલું કાવ્યપઠન પણ છે.

સંપૂર્ણ કાવ્યસંપદા પ્રકટ કરતાં પહેલાં તેના એક નમૂના તરીકે, સાચો શબ્દ વાપરું તો ટ્રેલર તરીકે એક જ કવિની કૃતિઓ પ્રકટ કરવાનો વિચાર આવ્યો. એ માટે ઉમાશંકર જોશીની પસંદગી કરી છે. ઉમાશંકર કરતાં વધારે સમર્થ અને વિકાસોન્મુખી કવિ કોણ છે? સામાન્યતઃ મોટા ભાગની સાહિત્ય-ચેતનાઓ કાલગ્રસ્ત થતી હોય છે. ઉમાશંકર એમાં વિરલ અપવાદ છે. ઉમાશંકર ગાંધીયુગની સરજત ગણાય છે, પણ ગાંધીયુગ, અનુગાંધીયુગ, આધુનિકયુગ અને અનુઆધુનિકયુગ એમ ચારે યુગોની કવિતાનું ઉમાશંકર પ્રતિનિધિત્વ ધરાવે છે.

આ ઉમાશંકરવિશેષમાં કવિની કુલ ૫૨ કવિતા છે, ૫૮ આસ્વાદ છે, અને ૧૬ ગીતના ઑડિયો છે.

આ પ્રકટ કરવાના બીજા પણ એક-બે ઉદ્દેશ છે. આ નમૂનો પ્રકટ થયે તેના દ્વારા સમગ્ર કાવ્યસંપદાનો પ્રસારપ્રચાર થશે અને જ્યારે એ પ્રકટ થશે ત્યારે વધુ વાચકોનું એના ઉપર ધ્યાન જશે.

બીજું, આ નમૂનામાં જે કોઈ ક્ષતિઓ રહી ગઈ હોય તેના ઉપર અમારું ધ્યાન દોરશો તો આ ડિજિટલ આવૃત્તિ હોવાથી તરત એ સુધારી લઈશું. પણ એથી વધારે મહત્ત્વનું કે તમારાં સૂચનોથી સમગ્ર કાવ્યસંપદામાં પણ યોગ્ય સુધારાવધારા કરી શકીશું.

સમગ્ર કાવ્યસંપદા પ્રકટ થશે ત્યારે સૌનો મોકળે મને — વિગતે ખૂબ ખૂબ આભાર માનીશ. અત્યારે સૌનો માત્ર નામોલ્લેખ કરીને આભાર માનું છુંઃ અતુલ રાવલ, અમર ભટ્ટ, તોરલ પટેલ, કમલ થોભાણી, ઋષભ કાપડિયા અને અજિત મકવાણા.

ઉમાશંકરવિશેષનો અને ભવિષ્યમાં પ્રકટ થનારી સમગ્ર કાવ્યસંપદાનો તમને ભાવભર્યો આવકાર.

— મધુસૂદન કાપડિયા