સોરઠી બહારવટિયા ભાગ-2/આભપરો છોડ્યો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આભપરો છોડ્યો|}} {{Poem2Open}} માગશર વદ નોમની પાછલી રાતે શિયાળાનો ચંદ્રમા અનોધાં તેજ પાથરતો હતો. આભપરાની ટૂકો એ તેજમાં તરબોળ બની હતી. ઘૂમલીનાં દેવતાઈ ખંડેરોની — એ તળાવો, વાવો, કૂવાઓ, દ...")
 
(No difference)

Latest revision as of 10:40, 20 October 2022

આભપરો છોડ્યો

માગશર વદ નોમની પાછલી રાતે શિયાળાનો ચંદ્રમા અનોધાં તેજ પાથરતો હતો. આભપરાની ટૂકો એ તેજમાં તરબોળ બની હતી. ઘૂમલીનાં દેવતાઈ ખંડેરોની — એ તળાવો, વાવો, કૂવાઓ, દેરાં ને ભોંયરાની — એક વાર અલોપ થઈ ગયેલી દુનિયા જાણે ફરી વાર સજીવન થઈ ગઈ હતી. કડકડતી ટાઢમાં પહેરવા પૂરાં લૂગડાં ન હોવાથી વાઘેરોનાં બચ્ચાં તાપણાંની આસપાસ પોઢતાં હતાં. ચોકીદારો બોકાનાં વાળીને પોતાનાં અધઉઘાડાં અંગ ભડકા કરી કરીને તપાવતા હતા. તે વખતે મોડપરના ગઢ ઉપરની તોપના એક, બે ને ત્રણ બાર થયા. તોપ પડતાં જ ગાળે ગાળેથી ફોજો ઊપડી. ઘૂમલીની દિશાએથી કંસારીની કેડીએ નગરમાં છસો માણસોની હાર બંધાઈ : દાડમાની કેડીએ ને નલઝરની કેડીએ બસો-બસો સરકારી પલટનિયાએ પગલાં માંડ્યાં. કિલ્લેસરથી ત્રણસો અને દંતાળો ડુંગર હાથ કરવા માટે સાડા પાંચસો ચડ્યા. એમ આશરે બે હજાર ને ત્રણસો પૂરેપૂરા હથિયારધારીઓએ વાઘેરોને વીંટી લીધા. જાણ થતાં જ બહારવટિયાએ સામનો કરી લેવા હાકલ કરી કે “હલ્યા અચો મુંજો પે! હલ્યા અચો!’ [હાલ્યા આવો, મારા બાપ! હાલ્યા આવો!] વાઘેર બચ્ચાના મોમાંથી ભર લડાઈમાં, પોતાના કટ્ટા અને અધમ શત્રુની સામે પણ ‘હલ્યા અચો મુંજા પે!’ સિવાય બીજો સખૂન કદી નીકળ્યો નહોતો. મહેમાનોને આદરમાન આપતા હોય અને મિત્રોને શૂરાતન ચડાવતા હોય એવા પોરસના પડકારા દઈ પચાસ-પચાસ બહારવટિયાના જણે જેવે તેવે હથિયારે આ કેળવાયેલી ને સાધનવાળી પલટનોનો સામનો કર્યો, મરદની રીતે ટપોટપ ગોળીએ વીંધાતા ગયા. કંસારીનાં દેરાંનો મોરચો, આશાપરાના ધડાની ચોકી, વીણુંનો ધડો, એમ એક પછી એક ચોકીઓ પડતી ચાલી. બીજી બાજુ સરકારે પાસ્તર ગામના રબારી માંડા હોણને ભોમિયો બનાવી, એના સો રબારીઓને ખભે રબરની અને કાગળની તોપો ઉપડાવી આભપરે ચડાવી. દિવસ ઊગ્યો અને તોપો છૂટી. કાળુભા અને સાકુંદા તળાવમાં ગોળા પડ્યા. પાણી છોળે ચડ્યાં. સૂરજને પગે લાગતો જોધો બોલ્યો કે “થઈ ચૂક્યું. આપણા પીવાના પાણીમાં ઝેરના ગોળા પડ્યા. હવે આભપરો છોડીને ભાગી છૂટીએ.” પોતાના સાતસો જુવાનોને આભપરે સુવાડીને બહારવટિયાએ દંતાળાને ડુંગરે એક દિવસનો ઓથ લીધો. જોધા માણેકે આ પ્રમાણે ટુકડીઓ વહેંચી : “મેરુભા! તું એકસો માણસે માધવપુરની કોર, પોરબંદર માથે ભીંસ કર. “દેવાભા! તું એકસો માણસે હાલારમાં ઊતરી ગોંડળ-જામનગરને હંફાવ. “હું પોતે ગીરમાં ગાયકવાડને ધબેડું છું. “વેરસી! તું ઓખાને ઊંઘવા મ દેજે! “ધના ને રાણાજી! તમે બારાડીને તોબા પોકરાવો!” “ભલાં!” કહીને સહુએ જોધાની આજ્ઞા શિર પર ચડાવી. રાત પડતાં અંધારે નોખી નોખી ટુકડીઓ, ઓરતો ને બચ્ચાં સહિત પોતપોતાને માર્ગે ભૂખીતરસી ચાલી નીકળી.