સોરઠી બહારવટિયા ભાગ-2/ઘેરાનો નિર્ણય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઘેરાનો નિર્ણય

સરકારનો હુકમ છૂટ્યો કે નગરનું રાજ્ય જાણીબૂઝીને જ આભપરામાં બહારવટિયાને આશરો આપે છે. જો નગરની ફોજ એને આભપરો નહિ છોડાવે તો નગરનું રાજ તો ડૂલ થઈ જશે. જામના કારભારી ને વજીર લમણે હાથ દઈને વિચાર કરવા લાગ્યા. ઘણી ઘણી વિષ્ટિ ઘૂમલીના ડુંગર ઉપર જામરાજાએ મોકલી, પણ વિષ્ટિવાળા લાચાર મોંયે પાછા વળ્યા. જામે કચેરીમાં પૂછ્યું, “લાવો વષ્ટિવાળાઓને, બાલિયા રેવાદાસ! તમને શું કહ્યું?” “બાપુ! જામને ચરણે હથિયાર છોડવા વાઘેરો તૈયાર છે, પણ અંગ્રેજોને પગે નહિ.” “હાં, બીજું કોણ ગયું’તું” “બાપુ, અમે : પબજી કરંગિયો ને મેરામણ.” “શા ખબર?” “એ જ : કહે છે કે આ જગ્યા નહિ છોડીએ. અમારી રોજીની વાત ગળામાં લઈને જામ જો ચારણભાટની જામીનગીરી આપે, તો જામના કૂતરા થઈને ચાલ્યા આવવા તૈયાર છીએ, પણ સરકારનો તો અમને ભરોસો નથી.” “કેમ!” “એક વાર હથિયાર છોડાવીને વિશ્વાસઘાત કર્યો માટે!” “કેટલા જણ છે?” “પંદરસેં હથિયારબંધ : અરધ બંધૂકદાર, ને અરધા આડ હથિયારે.” “શું કરે છે?” “જૂનો કોટ સમારે છે.” ફોસલાવવાની આશા છોડી દઈને દરેક મોટા મોટા રાજ્યે પોતપોતાની ફોજો ભેળી કરી. છ-છ બાજુએથી ઘેરો ઘાલ્યો.