માંડવીની પોળના મોર/વહાલું વતન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <center><big><big>'''વહાલું વતન'''</big></big><br></center> {{Poem2Open}} સુરેન્દ્રનગરથી માંડ પાંચેક કિલોમીટર દૂર વઢવાણ તાલુકાનું ખેરાળી એ મારું ગામ. મિશ્ર પ્રકારની વસતિ, પણ સહુ સંપીને રહે. ગામના બે ભાગ. નાનોભાગ અન...")
 
(No difference)

Latest revision as of 09:31, 12 May 2024

વહાલું વતન

સુરેન્દ્રનગરથી માંડ પાંચેક કિલોમીટર દૂર વઢવાણ તાલુકાનું ખેરાળી એ મારું ગામ. મિશ્ર પ્રકારની વસતિ, પણ સહુ સંપીને રહે. ગામના બે ભાગ. નાનોભાગ અને મોટોભાગ. વિચિત્રતા એવી કે નાનોભાગ વાસ્તવિક રીતે મોટો ને મોટોભાગ પ્રમાણમાં નાનો! ગરાસિયા ભાઈઓને મળેલા ભાગ મુજબ આવું બન્યું હશે. પણ હવે એવું રહ્યું નથી. ગામ હવે શેરીઓમાં વહેંચાઈ ગયું છે. છેલ્લાં ઘણાં વર્ષોમાં બંને ભાગનો સમાંતરે વિકાસ થતો રહ્યો છે. ગામમાં દરબારો ઉપરાંત નાડોદા, કણબી, બ્રાહ્મણ, સાધુ, સઈ-સુથાર, સથવારા, તળપદા-ચૂંવાળિયા કોળી, હરિજન-ભંગી, ખોજા-મુસલમાન એક-બે ઘર સીદી તથા બજાણિયાનાં. એ અર્થમાં પચરંગી વસતિનું ગામ. ગામમાં પ્રવેશવાનો મુખ્ય ઝાંપો પશ્ચિમ દિશામાં લીમલીને મારગે. આ લીમલી ક્યું? તો કહે, સહજાનંદ સ્વામી કહેતાં, સ્વામીનારાયણ સગરામ વાઘરીના કૂબામાં રહેલા તે. આ ગામની બીજી ઓળખ પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી! પંડિતજી લીમલીમાં જન્મ્યા, ધૂડી નિશાળે ભણ્યા, થોડો સમય પિતાજીની દુકાને ય બેઠા. અચાનક ભારે કહેવાય એવાં શીતળા નીકળ્યાં ને આંખોના દીવા કાયમને માટે ઓલવાઈ ગયા. પછીથી, કોઈની મદદ લઈને બનારસ ગયા ને સંસ્કૃત-પ્રાકૃતના પ્રકાંડ પંડિત થયા એ વાત જાણીતી છે. મને મારા ગામ વિશે લખવામાં થોડી અવઢવનું કારણ પણ આ લીમલી! કેમ કે મારું વતન-ગામ ભલે ખેરાળી, પણ મારા બાપુજી સળંગ પચીસ વર્ષ લીમલીની આદર્શ બુનિયાદી શાળામાં આચાર્યપદે રહેલા. એટલે બંને ઠેકાણે ઉછરવાનું બનેલું. મને બંને ગામનો પૂરો ને પાકો લગાવ. હું આજે પણ નક્કી નથી કરી શક્યો કે મારું ગામ ખેરાળી કે લીમલી? કૃષ્ણને કોઈ પૂછે કે – ‘તારું ગામ કયું, ગોકુળ કે મથુરા?’ તો કૃષ્ણ શો જવાબ આપે? મારી હાલત પણ કંઈક એવી જ છે. લીમલીની વાત લાંબી ને થોડો વિશેષ વિસ્તાર માગી લે એવી છે એટલે આજે તો ખેરાળીની જ વાત માંડું. આથમણી દિશામાંથી એટલે કે લીમલીને મારગેથી ગામ તરફ પગ માંડો એટલે પહેલો આવે ચબૂતરો. પહેલાં લાકડાનો કોતરણીવાળો હતો, હવે એ જ જગ્યાએ પાકો સિમેન્ટનો! આજુબાજુની રેતીવાળી મોટી-ખુલ્લી જગ્યા એટલે ઝોક. ઝોકમાં એટલી બધી રેત તે તમે સરખી રીતે ચાલી પણ ન શકો. સાઈકલ હોય તો ય નીચે ઊતરી જવું પડે. ગામનું ધણ આ ઝોકમાં ભેગું થાય. રમો રબારી બધાંનાં ઢોરને ચારવા લઈ જાય. અમારી ગાંડી ભેંસ ને રાતડી ગાય પણ એમાં. ઝોકની જમણી બાજુએ વિશાળ તળાવ. લગભગ આઠેક મહિના એમાં પાણી રહે. ચારે બાજુથી સુકાતું સુકાતું પાણી છેલ્લે વચમાં ખાબોચિયા જેવું બની રહે. હવે તો એમાં લગભગ બારેય મહિના પાણી રહે છે. દેશ-વિદેશનાં પંખીઓ પણ આવે છે. તળાવને કાંઠે મઢી. મઢીમાં મગનીરામ બાપુ રહે. એમનો પરિવાર મોટો, ભગવાનનો તો પાર જ નહીં! મહાદેવ, માતાજી, શ્રીકૃષ્ણ, રામ-સીતા-લક્ષ્મણ, હનુમાનજી, ગણપતિ, બળિયાદેવ અને બીજી કેટલીયે ખંડિત મૂર્તિઓનો ખૂણામાં ઢગલો. આજુબાજુમાં મગનીરામજીનાં પૂર્વજોની સમાધિ. તળાવની પાળે વૃક્ષોનો પાર નહીં. મોટે ભાગે વડ અને લીમડા. એક-બે પીંપર ને આંબલી પણ ખરી. તળાવની પાળે જ બધાં તીરથ. આ બાજુ શક્તિમાનો ઓરડો તો પેલી બાજુ બાળાપીર! તળાવને પેલે કાંઠે ખોલડિયાદને મારગે ચરમાળિયા ને શ્મશાન. આપણે ત્યાં તો શ્મશાનને પણ તીરથ ગણવામાં આવે છે ને? ઝોકની પડખે વાવ. આમ તો કાયમ પાણી રહે. આકરે ઉનાળે પાણી ઊંડાં, છેક કૂઈમાં ચાલ્યાં જાય. બીજા કૂવાઓ તો પછી થયા, પણ આ વાવે ગામને કદી તરસ્યું રાખ્યું નથી. વહેલી સવારે બચુ પટેલના બાપા ગોરધન પટેલ કોસ ઉપર કોસ ઠાલવે એટલે હવાડો ભરાઈ જાય. એકસાથે પચાસ-સો ઢોર પાણી પીતાં હોય. સૂર્યના આછા પ્રકાશમાં ડોલતાં શિંગડાંઓ જોવાની મજા પડતી. વાવથી જરા આગળ જઈએ કે તરત નવો કૂવો આવે. આખું ગામ ત્યાં નહાય અને કપડાં ધૂએ. એ પાણી થોડું ભાંભરું એટલે પીવામાં કામ ન આવે. તળાવની વચ્ચોવચ્ચ એક વડિયો કૂવો, એની પડખે એક આંકડિયો ને બીજો ઢેઢિયો. આજે આવું લખવું ગમે નહીં, પણ એ કૂવો એ જ નામે ઓળખાતો. બીજો એક ખાલી કૂવો તળાવની માટીથી આખેઆખો પુરાઈ ગયેલો. માત્ર ચોરસ આકારમાં ત્રણેક ચોરસ ફૂટનું ચણતર દેખાય. ભર્યા કૂવાને ઠેકી ગ્યાં ને ખાલી કૂવામાં ડૂબી ગ્યાં! ગામની અંદર જાવ એટલે ડાબી બાજુ નવી-જૂની નિશાળ. હવે જોકે બેમાંથી એકેય રહી નથી. આજના શિક્ષણ પ્રતિ અંગૂલિનિર્દેશ કરતાં એનાં ખંડિયેરો ઊભાં છે. મને જૂની નિશાળ વધુ ગમતી. કારણ એટલું જ કે મેં ત્યાં એકડો ઘૂંટેલો. નિશાળની વચ્ચોવચ્ચ એક આંબલી. બાથમાં પણ ન આવે એવું એનું થડ. માથોડું ઊંચી ઓશરીએ અમે ભણતાં. કોફિન જેવી લાંબી પેટી લાંબા સમય સુધી મારે માટે રહસ્ય રહેલી. પછી ખબર પડી કે એમાં તો આખી દુનિયા છે! દાંડી ઉપર ગોળ ગોળ વાળેલા નકશાઓ છે. નિશાળના મુખ્ય ઓરડાનો એક ખૂણો એટલે પોસ્ટઓફિસ. મારા દાદા હેડમાસ્તર ઉપરાંત પોસ્ટ-માસ્તરેય ખરા. ગૌરીશંકર ટપાલી રોજ ટપાલના કોથળા લાવે ને લઈ જાય. દાદા ઇન્કપેન કે બોલપેન ન વાપરે. લાલ અને કાળી શાહીના ખડિયા, લાંબા હોલ્ડરોનો તો પાર નહીં. ક્યાંક વધારે શાહી પડી ગઈ હોય તો કાગળને સૂકવવા મૂકે અથવા એના ઉપર થોડી રેત ભભરાવે. થોડી વાર પછી ઠણકીઓ મારીને રેત ખંખેરી નાંખે! કોઈ વાર પાટિયામાં લખવાનો ચોક પણ ગોળ ગોળ ફેરવે. ભીના અક્ષર કોરા થતા જાય ને ચોક ઉપર ડિઝાઈન ઊપસતી આવે! એમના અક્ષરો મોતીના દાણા જેવા. શિહોરના પીતાંબર આણંદજી મહેતાની તાજી ગુલાબછાપ છીંકણી સૂંઘતા જાય ને લખતા જાય. બ્રાહ્મણિયું કામકાજય કરે. દાદા વાર્તાઓ બહુ કહેતા. હસાવે પણ ખૂબ. શરત એટલી જ કે એ સૂતા હોય ત્યારે અમારે એમના પગ દબાવવાના. સાદું જીવન ને જે મળે એમાં સંતોષ. ગામની મધ્યમાં એક ચોરો. રામજી મંદિર ને ઠાકુરદ્વાર. બબ્બે પાંચપાંચ મિનિટના અંતરે સવારે અને સાંજે આરતીઓ થાય. નગારાં ને ઝાલરો ધણધણી ઊઠે. શંખનાદ થયા કરે. એ સમયે આજે છે એવો શિખરબંધનો, સોનાનો અને લાઉડસ્પીકરનો ધાર્મિક ધખારો નહોતો. એક ઘીનો દીવો જ અંધારાને ઘણુંબધું કહી દેતો. ચોરા પાસે જ પેમુભાનું હાટ. ઝીણી-મોટી ચીજવસ્તુઓ વેચે. પેમુભા પૈસા લઈને તો વસ્તુઓ આપે જ પણ તે ઉપરાંત બાજરી-ઘઉં-કપાસના બદલામાં પણ વસ્તુઓ દેતા. જેવી વસ્તુ ને જેવો ભાવ એ મુજબ ચીજ ભારોભાર કે અડધી કાઢીને દે! એમની દુકાનની પાછળ દરબારગઢ, સુરુભાબાપુનો એ ગઢ આજે તો પડીને પાધર થઈ ગયો છે. પણ, એક જમાનામાં જાહોજલાલી આંટા મારતી હશે એના ક્યાંક ક્યાંક પુરાવા પણ મળી રહે. એના પડખામાં દરબાર મંગળસિંહની ડેલી. મંગળસિંહ એ જમાનાની જૂની કાર ચલાવતા. રોજ સવારે લાંબી ચાવી મશીનમાં ભરાવે, ક્યાંય સુધી ગોળ ગોળ ઘુમાવે પછી મોટર ચાલુ થાય, બાપુ મોટર ચલાવે ને અમે પાછળ ઊડતી ધૂળમાં એની પાછળ દોડીએ. મોટાભાગમાં લલ્લુભાઈ મેરાઈ રહે. ઘરોઘર એમનો સંચો ફરે. આ લલ્લુભાઈનો વટ. ત્રણ-ત્રણ મહિના અગાઉનો વદાડ આપે. કોઈને ઘેર લગ્ન હોય કે આણું-પરિયાણું. અથવા અમસ્થાં જ બાર મહિનાનાં કપડાં સિવડાવવાનાં હોય. લલ્લુભાઈનો સંચો ઘેર રહે જ નહીં. લલ્લુભાઈની વિશેષતા એ કે કદી મેજરટેપથી માપ ન લે. બે હાથમાં કપડું પહોળું કરીને પૂછે : ‘આમાંથી કોનું બનાવવાનું છે?’ ઘરધણી કહે આ છોકરાનું, અથવા આનું કે તેનું! બસ વાત પૂરી. લલ્લુભાઈ નજરથી જ માણસનું માપ લઈ લે! એક હતા વાઘજી સુથાર. લાકડાની કોતરણીમાં એમનો જવાબ નહીં! પણ ખૂબ મનસ્વી. ધારે તો જ કામ કરે નહીંતર ચકારાણાની જેમ આંખે પાટા બાંધીને સૂઈ રહે. મને એમણે એક હાથી બનાવી આપેલો, પડાંવાળો. નહીં નીરણ નહીં હારો! દોરી બાંધીને ચલાવ્યા કરો. બીજો એક પરિવાર ઓડનો. પાડા ઉપર ચામડાની મશકમાં પાણી લાવે. વાવથી પાણી ભરીને ચણતર ચાલતું હોય એ ઘર સુધી એમનો પાડો આવ-જા કર્યા કરે, લથબથ! ગામની પ્રજા પચરંગી, પણ ખટરાગ નહીં. હરિજન હોય કે મુસલમાન-ફકીર, ક્યારેય કોઈની સાથે ઊંચાં મન ન થાય. સહુ સહુનું કામ કર્યાં કરે. મારી બા તો હરિજનવાસના વડીલોની લાજ કાઢતાં. છૂતાછૂતી હતી પણ વાગે એવી નહીં. છાંટ લઈ લેવાથી કામ ચાલતું. એકબીજાંની આમન્યા હતી. સારેમાઠે પ્રસંગે સહુ એક થઈ જતા. આમેય અમારું ગામ થોડું ઉત્સવઘેલું તો ખરું જ. કોઈ તહેવાર એવો નહીં જે એમ ને એમ ચાલ્યો જાય. દિવાળી-નૂતન વર્ષથી માંડીને મકરસંક્રાન્તિ સુધીના તહેવારો ઉજવાતા રહે. પ્રત્યેક તહેવારમાં જે કંઈ કર્મકાંડ કરવાનાં હોય એમાં કોઈ પાછું ન પડે. વારવરતુલાં ચાલ્યા જ કરે. મુખ્ય તહેવારો જેવા કે મહાશિવરાત્રી, હોળી-ધૂળેટી, આષાઢી બીજ, રક્ષાબંધન, નવરાત્રિ વગેરેમાં આનંદ-ઉલ્લાસ દેખાયા કરે. દેવું કરીને પણ લોકો ઘી પીએ. એકેય ઉત્સવ લૂખો નહીં. જેવી જેની શક્તિ એ પ્રમાણેની ભક્તિ! નવરાત્રિના ગરબા પતે પછી સાડા બાર એકે ચોકમાં ભવાઈવેશ થાય. નવેનવ દિવસ ભવાઈ ખેલાય. દશેરાએ મહાકાળીનો વેશ નીકળે. આ બધા ભવાઈવેશો, એમાંનાં પાત્રો, એમની વાસ્તવિક જિંદગી, ગીતો અને સંવાદોની રમઝટ વિશે લખવા બેસું તો એક જુદું પ્રકરણ થાય. એ સમયે પુરુષો જ સ્ત્રીવેશ ધારણ કરતા. બોથાભાઈ અને કરસન કુંભારના અભિનયનાં કામણ હજીયે આંખમાં અકબંધ છે. હનુમાનજીને સો વરસ થયાં ત્યારે પુનઃ પ્રાણપ્રતિષ્ઠા કરેલી. આખું ગામ ધુમાડાબંધ! જળઝીલણી એકાદશીએ મઢીમાંથી, ચોરામાંથી અને સ્વામીનારાયણ મંદિરમાંથી પાલખી નીકળે. ભગવાન ઘેરઘેર દર્શન આપવા જાય. ભાવિકો પોતાને ઘેર પધરામણી કરાવે.આરતી પ્રસાદ ને આખું ગામ ગુલાલ ગુલાલ! ડુંગરદાદા કેડ્ય ઉપર દોકડ બાંધીને નાચતા જાય ને ગવરાવતા જાય. અવાજ બહુ સારો નહીં, પણ દોકડ અને એમના લયનો મેળ ઘણો. બાકીના બધા કાંસીજોડાં, મંજીરાં અને કરતાલો વગાડ્યા કરે. જાગરણ, વ્રતના દિવસો અને રાતોની પવિત્રતા જ જુદી. ભગવાન શ્રીકૃષ્ણનાં ગીતો અસલ લય-ઢાળમાં આખી રાત ગવાય. સવિતાભાભી, રાજુભાભી અને ખીમાદાદાનાં વહુના અવાજમાં જે હલક હતી એ આજે ટેલીવિઝન પર ડાયરામાં ગાતી બહેનોના અવાજમાં શોધવાના પ્રયત્નો, પ્રયત્નો જ રહે છે. ‘વા વાયા ને વાદળ ઊમટ્યાં, ગોકુળમાં ટહુક્યા મોર મળવા આવો સુંદર વર શામળિયા’થી લઈને ‘હાં હાં રે ઘડૂલિયો ચડાવ્ય રે ગિરધારી!’ કે ‘ગોકુળ આવજો રે મા’રાજ!’ જેવાં ગીતો લગભગ બધી શેરીમાં સંભળાય. આખું ગામ ખેતી ઉપર નભે. તે વખતે વેપાર-ધંધા ખાસ નહીં. ગામના એક-બે જણ મિલમાં જતા. બાકીનાં છૂટક મજૂરી કરે. સુરેન્દ્રનગર જવું હોય તો ઘોડાગાડીમાં જવું પડતું. સાઈકલ તો ભાગ્યે જ કોઈના ઘરમાં હોય. મોટેભાગે તો લોકો પગપાળા જ નીકળી પડે. નાનાં છોકરાંવાળી સ્ત્રીઓ પીઠ પાછળ ખોઈમાં બાળકને સુવડાવીને ઉતાવળે પગલે જતી હોય, તો પુરુષો એમનાથી વીસ-પચીસ ડગલાં આગળ ખબડખબડ જતા હોય એવાં દૃશ્યો સામાન્ય ગણાય. છોકરાંઓની રમતો પણ કેવી? મોટેભાગે પકડદાવ, આંબલી-પીપળી, લંગડી ને એવું બધું. જેમાં શારીરિક કસરત ખૂબ થતી. રમવાનાં સાધનોમાં ઠીંકરાં ને પથ્થર! પછી ધીમે ધીમે ભમરડા, ગૂંથેલા દડા, કોડી, લખોટીઓ, ગંજીપત્તાં ને પ્લાસ્ટિકનાં રમકડાં આવતાં થયેલાં. બેઠાં બેઠાંની રમતોમાં ઈષ્ટીચુમ્માલ, ભરત, નવકૂકરી વગેરે રમતાં. ચોપાટ તો ગોકળઆઠમની રાતે અથવા જાગરણની રાતે! રંગીન સોગઠાંઓને સ્પર્શવાનો ગજબ રોમાંચ હતો. ઈશ્વરદાદાના આઢમાં અમે કાલાં ફોલવા જતાં. કાલાંમાંથી કંટાળીએ એટલે કપાસ ખૂંદવા જવાનું. આ આઢ પણ અદ્ભુત જગ્યા! કશું જ છાનું નહીં, બધું છતરાયું! આઢની થોડીક ક્ષણો મેં વાર્તામાં પકડી છે. મારા ગામ ખેરાળીનું આ ચિત્ર મેં મારી તેર-ચૌદ વર્ષની આંખે આળેખ્યું છે. એ પછી તો બંને પક્ષે ઘણું ઘણું બદલાયું હોય એ સ્વાભાવિક છે. ખેરાળી અને લીમલી બંનેને મેં મારી અંદર ઊછરતાં જોયાં છે એમ એણે પણ મને ઊછરતો જોયો છે. અત્યારે હું ત્યાં જાઉં તોય કશું એક અર્થમાં નવું નથી લાગતું ને બીજા અર્થમાં એમાંનું કશુંયે દેખાતું નથી! મને ગામની ઈંટેઈટ ને કાંકરેકાંકરો યાદ છે. આટલે વર્ષે પણ એ સમયના એક પણ ચહેરા હું ભૂલ્યો નથી. નામમાં ગરબડ થાય પણ બદલાયેલા ચહેરાની ય મૂળ રેખા ઓળખવામાં થાપ ન ખાઉં! જોકે આમાં કંઈ નવાઈ નથી. આ બધું મારી રગેરગમાં એવી રીતે ઊતરી ગયું છે કે આટલી જગ્યામાં તો માત્ર વિગતો જ આપી શકાય. બંને ગામના માહોલનો સર્જનાત્મક ઉપયોગ આવનારાં વર્ષોમાં કદાચ થાય તો થાય!