ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/કેળવણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 01:08, 29 June 2024

કેળવણી

આ દશકે કેળવણીવિષયક કૃતિઓ પણ ઠીકઠીક સંખ્યામાં પ્રગટ થઈ છે. બાળકેળવણી, શિક્ષણના વર્તમાન પ્રશ્નો, પશ્ચિમની કેળવણીની વિવિધ પદ્ધતિઓ, પાયાની કેળવણી-આશ્રમી કેળવણી-એમ શિક્ષણના વિવિધ સ્તરો તેમ જ વિવિધ વિચારદૃષ્ટિઓને એ ચર્ચે છે. ગાંધીજીના શિક્ષણવિષયક વિચારોને સુલભ કરી આપતી ‘ખરી કેળવણી'ની સુધારાવધારાવાળી નવી આવૃત્તિ આ દાયકે પ્રગટ થઈ છે, તો શ્રી શિવાભાઈ ગોકળભાઈ પટેલે ‘પાયાની કેળવણીનો પ્રયોગ’માં ગાંધીજીની પ્રેરણા હેઠળ પાયાની કેળવણી વિશેના પ્રયોગોની જે ચર્ચા થઈ છે તેનું સંદોહન રજૂ કર્યું છે. સર્વશ્રી નાનાભાઈ ભટ્ટ, જુગતરામ દવે અને મનુભાઈ પંચોળીએ ‘ગ્રામ વિદ્યાપીઠની ભૂમિકા'માં ગ્રામ વિદ્યાપીઠના સાચા અર્થની સમજ સ્પષ્ટ કરી આપી છે. શ્રી જુગતરામ દવેએ ‘આશ્રમી કેળવણી 'પર તેમજ ‘અધ્યાપનકળા' પર પણ પોતાના વિચારો તે તે પુસ્તકોમાં સરળતાથી વ્યક્ત કર્યા છે. શ્રી વિનોબા ભાવેના શિક્ષણવિષયક વિચારો શ્રી નારાયણ દેસાઈએ ‘શિક્ષણવિચાર'માં સુલભ કરી આપ્યા છે. શ્રી ધનવંત દેસાઈ અને શ્રી અરવિંદ ત્રિવેદીએ ‘મુંબઈ રાજ્યમાં શિક્ષણસંચાલનના પ્રવાહો'નું દિગ્દર્શન કર્યું છે અને ‘નૂતન શિક્ષણ અને આધુનિક મનોવિજ્ઞાન'માં એ બંનેના પરસ્પર સંબંધની આલોચના પણ કરી છે. આ ઉપરાંત શ્રી ધનવંત દેસાઈ તેમ જ શ્રી ખુશમનભાઈ વકીલે ‘ભારતીય શિક્ષણના વર્તમાન પ્રશ્નો' તેમ જ ‘ભૂગોળ શિક્ષણનાં આધુનિક વહેણો' વિશે પણ સારી ચર્ચા કરી છે. આ પ્રકારનાં કેટલાંક પુસ્તકો પાઠ્યપુસ્તકો કે સંદર્ભગ્રંથોની ગરજ સારે છે. અધ્યાપકોના અનુભવ તેમ જ વાચનનો લાભ, આ રીતે, પુસ્તકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય છે. પરંતુ શિક્ષણના મૂળભૂત પ્રશ્નોની તાત્ત્વિક આલેચના કરતાં કે એ દિશામાં કશુંક નવું પ્રદાન કરતાં મૌલિક પુસ્તકોની ઊણપ વરતાયા કરે છે. અલબત્ત, આ પ્રકારની કેટલીક કૃતિઓથી, આપણા શિક્ષણવિચારને અમુક અંશે વેગ જરૂર મળે છે; તેમ છતાં, એમાંના પરાવલંબી વિચારોનું ભયસ્થાન પણ ઓછું નથી. શ્રી મધુકર કર્ણિક અને શ્રી મધુભાઈ ચોકસીની અનુક્રમે ‘પશ્ચિમની શિક્ષણપદ્ધતિઓ' અને ‘આધુનિક શિક્ષણશાસ્ત્ર' પણ, આ રીતે, આ વર્ગની જ કૃતિઓ છે. શ્રી પાનવાલાએ ‘કેળવણીમીમાંસા'માં ઋષિમુનિઓના કાળથી આજ દિન સુધીની ભારતની તેમ જ યુરોપની કેળવણીની સવિસ્તર ચર્ચા કરી છે, તો શ્રી રામલાલ નવનીતલાલે ‘અર્વાચીન ગુજરાતી શિક્ષણનાં સવાસો વર્ષ’માં ઐતિહાસિક ઢબે સારું સંગ્રાહનકાર્ય કર્યું છે. ‘અમેરિકામાં શિક્ષણ'(અનુ. ઈશ્વરભાઈ પટેલ)માં અમેરિકાની શિક્ષણપદ્ધતિની વિચારણા છે, તો ‘કેળવણી'માં શ્રી માતાજીએ, કેળવણીની સફળતા આધ્યાત્મિક ઉન્નતિમાં નિહાળી છે, અને એ શબ્દનો વ્યાપક પ્રયોગ સમજાવી પ્રાણ, મન, અંતરાત્મા અને આધ્યાત્મિક એ પ્રકારે કેળવણીનો સંબંધ જોડ્યો છે. શ્રી રમણલાલ ત્રિવેદીએ ‘ભાષાનું અધ્યાપન' અને ‘માતૃભાષાનું અધ્યાપન'માં તે તે વિષયની ઉપકારક ચર્ચા કરી છે. એમ. એડ્.ની પદવી અંગે લખાયેલ ‘ડિસર્ટેશન' પણ આપણા શિક્ષણ કે અધ્યાપનના પ્રશ્નોની આલોચના કરે છે. શ્રી જગદીશચંદ્ર દવેકૃત ‘ગુજરાતી કાવ્યો પ્રત્યેના વલણની વિવેચના, ‘શ્રી નટવરલાલ પ્રા. જોશીકૃત ‘ભાષાવિષયક પાઠ્યપુસ્તકોની સમાલોચના' (પદ્ય) તેમ જ શ્રી ઉષા જોશીકૃત ‘ગદ્યવિષયક પાઠ્યપુસ્તકોની સમાલોચના’ આ દિશાના આવકારદાયક પ્રયત્નો છે. પહેલામાં અમદાવાદના માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના ગુજરાતી કાવ્ય પ્રત્યેના વલણનું વિવેચન છે, તો બીજાં બેમાં ભાધ્યમિક કક્ષાનાં ભાષાવિષયક પાઠ્યપુસ્તકોની વિવિધ દૃષ્ટિકાણેથી અભ્યાસી શિક્ષકને અનુરૂપ ચર્ચા છે. ‘બાળ કેળવણી અને મોન્ટેસરી પદ્ધતિ'માં શ્રી સોમાભાઈ પટેલે બાલ શિક્ષણપદ્ધતિ વિશે વિચારણા કરી છે, તો ‘ચિત્રોનું રમકડું’નું સંપાદન (શ્રી જયંતિલાલ મહેતા) બાળકને અક્ષરાદિના શિક્ષણપ્રવેશ માટે ઉપયોગી છે.