ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/દળણાંના દાણા — ઉમાશંકર જોશી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 47: Line 47:
કરજો વેચીને ઘર કાયટું રે લોલ  
કરજો વેચીને ઘર કાયટું રે લોલ  


-ઉમાશંકર જોશી</poem>'''}}
{{right|-ઉમાશંકર જોશી}}</poem>'''}}


{{center|'''ઘર વેચીને કાયટું કરજો'''}}
{{center|'''ઘર વેચીને કાયટું કરજો'''}}

Latest revision as of 01:25, 5 October 2024

દળણાંના દાણા

ઉમાશંકર જોશી

ખરા બપોર ચઢ્યે દાણા રે કાઢવા
ઊંડી કોઠીમાં ડોશી પેઠાં રે લોલ
કોઠીમાં પેઠાં ને બૂંધે જઈ બેઠાં
ભૂંસી લૂછીને દાણા કાઢ્યા રે લોલ

સાઠ સાઠ વર્ષ લગી કોઠી રે ઠાલવી
પેટની કોઠી ના ભરાણી રે લોલ
સૂંડલી ભરીને ડોશી આવ્યાં આંગણિયે
દળણાંના દાણા સૂકવ્યાં રે લોલ

સૂકવીને ડોશી ચૂલામાં પેઠાં
થપાશે માંડ એક ઢેબરું રે લોલ
આંગણે ઊગેલો ગલકીનો વેલો
મહીંથી ખલુડીબાઈ નીકળ્યાં રે લોલ

કરાને ટોડલે રમતાં કબૂતરાં
ચણવા તે ચૂપચાપ આવિયાં રે લોલ
ખાસી ખોબોક ચણ ખવાણી ત્યાં તો
મેંડી હરાઈ ગાય આવી રે લોલ

ડોશીનો દીકરો પોઢ્યો પલેગમાં
હરાઈ ગાય કોણ હાંકે રે લોલ
હાથમાંનો રોટલો કરતો ટપાકા
દાણા ખવાતા ન જાણ્યા રે લોલ

રામા રાવળનો ટીપૂડો કૂતરો
ડોશીનો દેવ જાણે આવ્યો રે લોલ
ઊભી પૂછડીએ બાઉવાઉ બોલિયો
ડોશી ત્યાં દોડતી આવી રે લોલ

આગળિયો લઈ હાંફળી ને ફાંફળી
મેંડીને મારવા લાગી રે લોલ
ચૂલા કને તાકી રહી'તી મીનીબાઈ
રોટલો લઈને ચપ ચાલી રે લોલ

નજરે પડી ને ઝપ ટીપૂડો કૂદિયો
ડોશીની નોકરી ફળી રે લોલ
છેલ્લુંય ઢેબરું તાણી ગ્યો કૂતરો
દયણું પાશેર માંડ બાકી રે લોલ

‘એ રે પાશેર કણ પંખીડાં કાજે
મારી પછાડે નખાવજો રે લોલ
કોઠી ભાંગીને એના ચૂલા તે માંડજો
કરજો વેચીને ઘર કાયટું રે લોલ

-ઉમાશંકર જોશી

ઘર વેચીને કાયટું કરજો

ગાંધીયુગમાં ગરીબોની કઠણાઈનાં કાવ્યો રચનારા અગ્રણી કવિ તે ઉમાશંકર જોશી.

કાવ્યના પહેલા બે શબ્દો છે,'ખરા બપોર.' આકરો તાપ છે,ડોશી માટે આપદાના દિવસો ચાલે છે. ટોપિયાંમાં કે બરણીમાં કશું બચ્યું નથી,ડોશીએ દાણા કાઢવા કોઠીમાં ઊંડે ઊતરવું પડે છે. (મદદ કરનાર કોઈ નથી.) 'બૂંધ' એટલે વાસણનું તળિયું.કોઠીમાંથી માંડ સૂંડલીભર (ટોપલીભર) દાણા નીકળે છે.'સાઠ સાઠ વર્ષ'- આજે સાઠ વર્ષની સ્ત્રીને કોઈ ડોશી ન કહે, પણ આ કાવ્ય ૧૯૩૨માં રચાયું હતું.ડોશીના ઘરની કોઠી ઊંડી છે, પણ પેટની કોઠી એથીયે વધુ ઊંડી છે- સાઠ વર્ષ સુધી અનાજ ઠાલવ્યા છતાં ભરાતી નથી!આંગણે દાણા સૂકવીને ડોશી રોટલો ઘડવા બેસે છે.('ચૂલે પેઠા' જેવા તળપદા પ્રયોગોથી ગામડાગામનું વાતાવરણ અદલોઅદલ રચાય છે.) એક જ ઢેબરું ઊતરી શકે એટલો લોટ બચ્યો છે. ડોશીના ભાગ્યમાં કંઈ બીજું જ લખાયું છે. ખલુડીબાઈ (ખિસકોલી) દાણચોરી કરવા આવી લાગે છે.'કરો' એટલે છાપરા તળેની ઢાળ-ઉતાર ચણતરવાળી દીવાલ. 'ટોડલો' એટલે કમાનને ટેકો આપતું પડખાનું ચણતર.કબૂતરાં ચણવાને આવે ત્યારે ગુટર્ગુ કરતા નહિ પણ ચૂપચાપ આવે. કબૂતરાંએ ખાસી ખોબોક ચણ ખાવાનો લાભ ઉઠાવ્યો,જ્યારે કવિએ 'ખ'કારની વર્ણસગાઈનો લાભ ઉઠાવ્યો.એવામાં હરાઈ ગાય ખાવાને આવી. તેને હાંકનાર દીકરો પલેગમાં મરી ગયો છે એટલું કવિએ સંયમપૂર્વક કહી દીધું છે.ટીપૂડા કૂતરાનું ભસવું સાંભળી ડોશી ગાયને મારવા ઊઠી,તેવામાં બિલાડી રોટલો તાણી ગઈ,જેની પાસેથી પડાવી લીધો કૂતરાએ.(કાવ્ય સવૈયા છંદમાં રચાયું છે,જે બાળકાવ્યો માટે પણ ઉપયુક્ત છે. વળી પ્રસંગો પણ બાળવાર્તાની શૈલીમાં વર્ણવાયા છે.આની પડછે કરુણ રસ વહી રહ્યો છે.) હવે ડોશીની મરણમૂડી તરીકે બચ્યું માત્ર પાશેર દયણું.ડોશી જીવવાની આશા છોડી દઈને કહે છે- આ દાણા મારી પાછળ પંખીડાંને વેરી દેજો,મારી ખમખાલી કોઠી ભાંગીને ચૂલા માંડજો,અને ઘર વેચીને કાયટું (શ્રાદ્ધવિધિ) કરજો.આટલું જ છે ડોશીનું વસિયતનામું. ડોશી દાણા ઉઘરાવવા ગામ પાસે હાથ લંબાવતાં નથી,કવિ પણ સહાનુભૂતિ ઉઘરાવવા વાચકોની આગળ કવિતા લંબાવતા નથી. દળણાંના દાણા જોઈ કબીરદાસે દુહો કહ્યો છે: ચલતી ચકિયા દેખ કે દિયા કબીરા રોય દો પાટોં કે બીચ મેં સાબુત બચા ન કોય

***