ભાર્વોમિ/પ્રેમરસ પાને તું: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 295: | Line 295: | ||
ભણે નરસૈંયો એનું દર્શન કરતાં | ભણે નરસૈંયો એનું દર્શન કરતાં | ||
કુળ ઇકોતેર તાર્યા રે.</poem>'''}} | કુળ ઇકોતેર તાર્યા રે.</poem>'''}} | ||
<br> | <br> | ||
Latest revision as of 07:06, 25 July 2026
ગુજરાતી ભાષાના ‘આદિકવિ’ તરીકે ઓળખાતા નરસિંહ મહેતા આમ તો એક સીધા સાદા ભક્ત હતા, પણ તેમનાં પદોનો અભ્યાસ કરતાં ખ્યાલ આવે છે કે આ તો એક અસાધારણ પ્રતિભાવંત પુરુષ હતા. ઈશ્વરનો સાક્ષાત્કાર પામેલા ઘણા સંતોનાં નામ આપણે જાણીએ છીએ. તેવા નરસિંહ મહેતા પણ એક સાક્ષાત્કારી સંત હતા. અનિર્વચનીય એવા પરમાત્માનાં દર્શન તો ઘણાં એ કર્યાં છે, પણ એ પછી એનું કાવ્યબાનીમાં વર્ણન કરવું સૌ સંતો માટે સુકર હોતું નથી. એ તો જે ‘કવિ’ હોય તે જ કથી શકે. કવિની વ્યાખ્યા શું? कविनाम् क्रान्तद्रष्टा। કવિ ક્રાન્તદર્શી હોય છે. આપણાં સ્થૂળ ચક્ષુ વડે આપણને જે નથી દેખાતું એવું એ અગમ-અગોચર એને હાથમાંના આમળાની જેમ સ્પષ્ટ વર્તાય છે. એટલું જ નહીં એને એ રસાળ કાવ્યબાનીમાં ગાઈ પણ શકે છે. ક્રાન્તદર્શીનરસિંહ આવા આપણા ‘કવિ’ હતા. સંતત્વ એમનો સ્વભાવ હતો, તો કાવ્ય એમનો આત્મા હતો. સદાય એ એક અલૌકિક એવી પરમાનંદી મસ્તીમાં મસ્ત રહેતા. આવો, આપણે પણ એમની એ મસ્તીને માણીએ. નરસિંહે ભાતભાતનાં પદો લખ્યાં છે, તેમાંથી આપણે એમનાં પ્રભાતિયાં જોઈએ. પ્રભાતિયાં તો નરસિંહનાં. ગુજરાતનાં ગામડાંની ગોરી વહેલી સવારે ઘંટીએ દળતાં દળતાં કે ગોરસ વલોવતાં વલોવતાં નરસિંહનાં પ્રભાતિયાં ગાય. પ્હો ફાટતાં હળ બળદ લઈ ખેતરમાં જતો ખેડૂ પણ એ પ્રભાતિયાં ગાય. તો વૃદ્ધો કે મંદિરના પૂજારીઓ પણ પ્રભાતિયાં ગાય. સવારનો પહોર હોય, મંદમંદ શીતળ પવન વાતો હોય અને પંખીઓ કલરવ કરતાં હોય આવા વાતાવરણમાં સ્ત્રીઓના મધુર કંઠે કે ભજનિકોના પહાડી રાગે પ્રભાતિયાં ગવાય ત્યારે જે વાતાવરણ ખડું થાય તે આબાલ-વૃદ્ધો સૌના અંતરને પ્રેમાનંદથી તરબતર ભરી દે. મારા બાળપણમાં, મારા ઘરમાં અને મારી બ્રહ્મપુરીના ફળિયામાં મેં નરસિંહનાં જે પ્રભાતિયાં સાંભળ્યાં છે તેનો ગુંજારવ આ લખું છું ત્યારે પણ મારા કાનમાં બરાબર સંભળાઈ રહ્યો છે.
જાગો તમે જદુપતિ રાય.. અથવા તો
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનુમાં કોણ જાશે?
અમે છોકરાં પણ લલકારતાં
જળકમળ છાંડી જાને બાળા
સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે
અમને બાળ હત્યા લાગશે.
જાણે મહેતોજી સ્વયં વહેલી સવારે પ્રભાતિયું ગાતાં ગાતાં, સ્નાન કરવા નીકળ્યા છે એવું દૃશ્ય આ કડી ગાતાં મનઃચક્ષુ આગળ તરવરતું. ‘ગિરિ તળેટીને કુંડ દામોદર ત્યાં મહેતાજી નહાવા જાય’ ત્યારે શું થાય? આપણે જેને અત્યંજ ગણી ગામ બહાર કાઢ્યાં છે તેવા ‘હરિજન’ નરસિંહને વીનવે છે કે અમારે આંગણે પધારો ને કીર્તન કરો. શું કરવા? તો કહે છે કે એથી કરીને ‘પ્રેમ પદારથ અમો પામીએ’. મનુષ્ય જીવનમાં જો સૌથી દુર્લભ પદાર્થ કોઈ હોય તો તે છે ‘પ્રેમ’. પ્રાણીમાત્ર એના માટે તલસે છે, દરેક જીવ જ્યાં ને ત્યાં એના માટે જાવાં મારે છે. પણ એ જેને તેને પ્રેમ કરીને ઠગાય છે. પરમ પ્રેમનિધાન તો એકમાત્ર પૂર્ણ પુરુષોત્તમ એવા પરમાત્મા જ છે. આવો અનર્ગળ પ્રેમરાશિ એના સ્મરણ માત્રથી જ પ્લાવિત કરી દે છે. આ વાત જે જીવને સમજાઈ જાય તે ‘પ્રેમપદારથ’ પામી બધી જ પીડાઓથી મુક્ત થઈ જાય. કારણ કે જન્મ મરણ કે સાંસારિક પીડાઓ પછી એને પીડારૂપ લાગતી જ નથી. દરેક પરિસ્થિતિને પોતાના પ્યારાની પ્રસાદીરૂપ સમજી પ્રેમથી સ્વીકારી લે છે. પછી એને ભલા દુઃખ તે શું દુઃખી કરી શકવાનું?
પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદષ્ટિ ને સર્વસમાન.
જ્યારે પ્રેમ પ્રગટે છે ત્યારે સ્વ પર ભેદ ટળી જાય છે અને સમદષ્ટિ આવે છે, જેના કારણે સર્વ સમાન લાગે છે. નરસિંહ મહેતા આવી દશાને પામેલા સંત હતા. એમને મન બ્રાહ્મણ ઊંચો અને અંત્યજ નીચો એવું નહોતું. જે હરિના ગુણ ગાય તે હરિસમ લાગતો. એટલે એ હરિજનવાસમાં પણ કીર્તન કરવા હોંશે હોંશે જતા. એથી એમને ઘણાં મહેણાં ટોણાં સાંભળવાં પડતાં પણ એની એમને તમા નહોતી. એ તો મસ્તીથી ગાતા કે:
અમે એવા રે અમે એવા રે, વળી તમે કહો છો તેવા રે
ભક્તિ કરતાં જો ભૂંડા કહેશો તો, કરશું દામોદરની સેવા રે..
આગળ કહે છે :
સઘળા સંસારમાં હું એક ભૂંડો રે
તમારે મન માને તે કહેજો, નેહડો લાગ્યો છે મને ઊંડો રે
આમ પોતાને ભૂંડો કહેનાર સાથે એ પ્રતિવાદ નથી કરતા. એ તો કબૂલી લે છે કે હા ભાઈ, હું ભૂંડો છું. પણ એક ખરી વાત કહેતાં એ સંકોચ પણ રાખતા નથી. શું કહે છે?
હરિજનથી જે અંતર ગણશે, તેના ફોગટ ફેરા ઠાલા રે..
કારણ હરિ સ્વયં હરિના જનમાં વસે છે, માટે જેણે હરિજનથી અંતર રાખ્યું તેણે હરિથી જ અંતર રાખ્યું સમજવું. હરિજનને મૂકીને તમે હરિને કેવી રીતે પામી શકવાના? કારણ હરિ વસે છે જ હરિના જનમાં. જ્ઞાનમાર્ગીઓની એક જ ઝંખના હોય છે. ભવભવના ફેરા ફરવામાંથી છૂટી ‘મોક્ષ’ પામવો, ત્યારે ભક્તોની વાત ન્યારી છે. આપણો દયારામ શું કહે છે?
વ્રજ વહાલું, વૈકુંઠ નથી જાવું,
ત્યાં મુજ નંદકુંવર ક્યાંથી લાવું?
નરસિંહને તો મુક્તિ જોઈતી જ નથી, એને તો જન્મોજન્મ આ ભૂતળ કે જે ભક્તિ પદારથ છે તેના પર અવતરવું છે. કહે છે :
હરિના જન તો મુક્તિ ન માગે
માગે જન્મોજન્મ અવતાર રે
શા માટે? તો કહે છે:
નિત્ય સેવા નિત્ય કીર્તન ઓચ્છવ,
નિરખવા નંદકુમાર રે..
પરંપરિત ધર્મ વિચાર કરતાં આ તદ્દન અભિનવ દર્શન છે, જે નરસિંહ પાસેથી આપણને મળ્યું છે. શિવજીની કૃપાથી નરસિંહને શ્રીકૃષ્ણની રાસલીલા જોવા મળે છે. આ લીલાનું દર્શન નરસિંહની ચેતનાનું રૂપાંતર કરી દે છે. એનામાં સૂતેલો કવિ જાગી જાય છે. લીલા જોતાં જોતાં એને પ્રેમની સમાધિ લાગી જાય છે અને પછી એના મુખથી જે પદો પ્રગટે છે તે કેવાં અલૌકિક બની જાય છે! વૃંદાવન, યમુના તટ, ગોપી, બંસી આ બધાં તો નિમિત્ત માત્ર છે. બાકી જે જીવ જાગી ગયો છે અને જેનું શિવ સાથે મિલન થયું છે તેને લઈ જે પ્રેમની પતિત પાવની ગંગા પ્રગટે છે તેનું નરસિંહનાં પદોમાં પદે પદે ગાન છે. જરાક અલપઝલપ જોઈએ.
પ્રીત કરે તેની પૂંઠ ન મેલે, એવો વ્હાલો રસિયો રે..
માટે એને પ્રેમ કરતાં પાંચ વાર વિચાર કરજો. પ્રેમ કર્યા પછી એ તમારી પૂંઠે થઈ જશે, તમારો કેડો નહીં મૂકે. ચાલ રમીએ સહી, મેલ મથવું મહીં, વસંત આવ્યો વનવેલ ફૂલી, રસિક મુખ ચૂંબીએ, વળગીએ, સૂંબીએ, લાજની આજ દુહાઈ છૂટી લાજ મૂકીને આવાં તો કેટલાંય પદ નરસિંહે પ્રેમમાં પાગલ થઈ ગાયાં છે.
કેસરભીનાં કહાનજી, કસૂંબે ભીની નાર
લોચન ભીના ભાવશું, ઊભાં કુંજન દ્વાર છે.
***
બેમાં સુંદર કોને કહીએ, વનિતા કે વ્રજનાથ?
***
પ્રેમને વશ થઈ વ્રજતણી ગોપિકા
***
હેતના જીવ તે હેતે તૂટે
***
પિયુને પગલે હું ખોળવાને ગઈ,
પિયુને ખોળતાં હું ખોવાઈ
***
અચરજ વાત એ કોઈ માને નહીં.
જેહને વીતી હોય તેહ જાણે
***
પ્રેમરસ પાને તું મોરના પીચ્છધર
તત્વનું ટૂંપણું તુચ્છ ભાસે
***
જે રસ વ્રજતણી નાર વિલસે સદા
સખી રૂપે તે નરસૈંયે પીધો
આ બધી પંક્તિઓ સ્પષ્ટપણે કહી રહી છે કે નરસિંહે સખી રૂપે પોતાના પ્રિયતમને એવો તો પ્રેમ કર્યો છે કે એ મોરના પીચ્છધરે તત્વનું ટૂંપણું વેગળું મૂકી એને પ્રેમ પીયાલા ભરી ભરીને સ્વહસ્તે પાયા છે. નરસિંહને પ્રભુને પામવાની ચાવી જડી ગઈ છે. શું છે એ ચાવી?
પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાશે.
જપ, તપ, યોગ, યજ્ઞ એવા કશાં વિધિવિધાનથી જેન મળે તે પ્રેમ કરો એટલે પ્રગટ થાય જ થાય. આમ નરસિંહનાં પદો પછી તે પ્રભાતિયાં હોય, ભક્તિપદો હોય, રાસલીલા હોય કે તત્વચર્ચા હોય બધાંનો મધ્યવર્તી ભાવ તો એક જ છે કે પ્રભુને પામવાનો સર્વ સુલભ એવો સુકર માર્ગ કોઈ હોય તો છે ‘પ્રેમમાર્ગ’. નરસિંહના પુરુષદેહમાં એક ગોપી હૃદય સદાય પોતાના પ્રિયતમની સંગે પ્રણય કેલી કરતું જોવા મળે છે. મીરાંની જેમ નરસિંહ વિરહાગ્નિમાં બહુ બળ્યા હોય એમ લાગતું નથી. એ તો જાણે આઠે પહોર પોતાના પિયુજીની સંગે રાસ રમતા, નાચતા, કૂદતા પરમાનંદમાં જ મહાલતા જોવા મળે છે. પ્રેમ પ્રગટ થાય તો એનું રૂપ કેવું હોય તો આપણે જરૂર કહી શકીએ કે એ નરસિંહ જેવું હોય. આવા પ્રેમાવતાર નરસિંહ મહેતાને કોટિ કોટિ પ્રણામ.
નરસિંહ મહેતા કેવળ ભક્ત કવિ હતા એમ કહેવું બરાબર નથી. એ જ્ઞાની કવિ પણ હતા. વેદ, ઉપનિષદ અને ગીતાનું જ્ઞાન એમણે બરાબર આત્મસાત કર્યું હતું, તેની પ્રતીતિ એમનાં તત્વદર્શન કરાવતાં પદોમાંથી આપણને ખૂબ સારી રીતે થાય છે. તે ‘નવધાથી ન્યારો રે’ પ્રેમરસથી ભર્યાં ભક્તિ ગીતોમાં એમની ઊંચાઈ જોવા મળે છે. તો જ્ઞાન રસથી રસાયેલાં એમનાં તત્વદર્શનયુક્ત પદોમાંથી તેમની ઊંડાઈનો આપણને તાગ મળે છે. આવો આપણે એ ઊંડા ગવરમાં થોડાંક ગોથાં લગાવીએ. જે દ૨ે નથી દેખાતો, જે વાણીથી નથી કથી શકાતો એવો એ નવધાભક્તિથી પણ ન મળે, કારણ એ તો એથી પણ ન્યારો છે, નવધાથી પણ ન્યારો રે. કહે છે:
આવે ન જાય, જાય ન આવે, નહીં ભર્યો નહીં ઠાલો રે,
જ્યાં લગી જેમ છે, ત્યમનો તેમ છે, વધેઘટે નહીં વ્હાલો રે.
એટલે તો એને કથવા આવી આ અવળ વાણી વદવી પડે છે. આવા આ અગમનિગમની પેલે પારના ને કેમ કરી નિરખવો? તો કહે છે : ‘હું તું મટશે, દુગ્ધા ટળશે’ ત્યારે તમે તેને નીરખી નિર્ભય થશો. જ્યાં સુધી હું-તું, મારું-તારું ન મટે, ભેદ બુદ્ધિ ન જાય ત્યાં સુધી એ ન પરખાય, અભેદભાવ આવતાં જ એ દેખાય, ત્યારે એ શું કરશે? એ પ્રેમીજનોને ‘અચવ્યોરસ’ અચિંત્ય રસ પાશે. પણ આવી અગમની જ્ઞાનવાણી બોલનાર કવિની મૂળ ધાતુ તો પાછી ભક્તિની જ છે, એટલે એ પોતે તો ગોપી ભાવમાં જ એને નીરખે છે. તેથી કહે છે કે : “સાંભળ સહિયર સુરત ધરીને, આજે અનુપમ દીઠો રે’”, અને કહે છે “જે દીઠો તે જોવા સરીખો છે.’’ એટલું જ નહીં ‘અમૃત પે અતિ મીઠો રે’. અમૃતથી પણ અધિક મીઠો છે. આવા એ रसो वै सःનું રસભર્યું વર્ણન, અગમની વાણીમાં નરસિંહ આપણને કરાવે છે. કવિઓ એમની કોમલકાન્ત પદાવલિઓમાં એને ગમે તેટલું કાલવી કાલવીને ગાય પણ નરસિંહ કહે છે :
જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં,
ત્યાં લગી સાધના સર્વ જૂઠી
સ્વની –આત્માની ઓળખ ન થાય ત્યાં સુધી કરેલી બધી સાધનાઓ જૂઠી છે. કરવા જેવી તો એક જ સાધના છે અને તે પોતે પોતાની ઓળખ કરવી. બધું જાણીએ બ્રહ્માંડ આખાનું સઘળું જ્ઞાન-વિજ્ઞાન જાણી લીધું પણ હું કોણ? એ જો ન જાણ્યું તો પછી શું જાણ્યું? એના વિનાનું બધું જાણ્યું જૂઠું. આદિ શંકરાચાર્ય કહે છે તેમ તમે ધન, પદ, કીર્તિ બધું મેળવ્યું પણ જો આત્માનો સાક્ષાત્કાર ન કર્યો તો શું કર્યું?
ये न स्वआत्मा नैव साक्षात् कृतो ।
तत्ः किम्-तत्ः किम्।
પણ આવી સ્વની – આત્માની ઓળખ કેમ કરીને થાય? સર્વમાં સ્વ ભળાય ત્યારે થાય. સર્વેશ્વર સર્વમાં સમાનરૂપે રહેલો છે. બધે એ જ દેખાય, એનું પ્રેમ સ્વરૂપ પ્રગટેલું વર્તાય, હું ભાવ ગળી જાય, તું ભાવ ‘તું હી તું હી’ જ થઈ રહે ત્યારે થાય. આ બધા પણ આખરે વૈખરીના ખેલ છે. જ્ઞાનદશામાં જે બધે शिवोडहम्-शिवोडहम् જુએ તે પ્રેમદશામાં ભક્તિમાં બધે ‘તું હી તું હી’ રૂપે નીરખે.
આ તો બધી ગ્રંથ ગરબડ કરી, વાત ન કરી ખરી
જેહને જે ગમે તેહને તે જ પૂજે,
બાકી ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવાં
અંતે તો હેમનું હોમ હોય.
આવું હિરણ્યગર્ભ દર્શન-જ્ઞાનનું, તત્વનું પૂર્ણ દર્શન પામેલો નરસિંહ અગમની વાત ગમ પડે એવી સરળ બાળબોધ બાનીમાં, કાવ્યમાં કાલવીને એ સૌંદર્યરાશીને પ્રેમરૂપે આપણને પાય છે. આવી જ્ઞાનની ગરવાઈ અને પ્રેમની નરમાઈ બન્ને જેણે સિદ્ધ કર્યાં હોય એવો છે આ આપણો નરસિંહ. તત્વદર્શનનું મૂલ્ય નરસિંહને મન નથી એવું નથી. એ તો કહે છે :
ભણે નરસૈયો તત્વદર્શન વિના, રત્નચિંતામણી જન્મ ખોયો.
એ પોતે ભક્ત છે પણ જ્ઞાનની ગરિમા એને વણપ્રીછી નથી. કહે છેઃ
આદ્ય તું, મધ્ય તું, અંત્ય તું
શ્રી હરિ,
એક તું, એક તું, એક પોતે
કોટિ બ્રહ્માંડ એક રોમ જેનું
બ્રહ્મની બૃહતાનું આથી ભવ્ય વર્ણન શું હોઈ શકે? નરસિંહની વિશેષતા એ છે કે આવું બ્રહ્મજ્ઞાન એણે જપ, તપ કરીને, વેદપુરાણ પઢીને નથી મેળવ્યું. સખી રૂપે તે નરસૈયે પીધો. નરસિંહને પ્રાપ્ત જ્ઞાનનું મૂળ પણ એની પ્રેમલક્ષણા ભક્તિ જ છે. જ્ઞાનમાં ભક્તિની ભીનાશ ન હોય તો એવું શુષ્ક જ્ઞાન કેમ કરીને તારે? નરસિંહમાં ભક્તિની વેવલાઈ નથી પણ જ્ઞાનની ગરવાઈ છે, એટલે એ ભગવાનને પણ ખોંખારીને કેવું કહે છે?
હું ખરે, તું ખરો, હું વિના તું નહીં,
હું રે હઈશ ત્યાં હાં લગી તું રે હઈશ,
હું જ તે તું થયો, અનિર્વાચી રહ્યો,
હું વિના ‘તું’ તું ને કોણ કહેશે?
બોલો, ભગવાનને પણ કહી દે છે કે તું ખરો, એ તો હું છું તો તું છે. જો હું ન હોઉં તો તને ‘તું’ છે એવું કોણ કહેશે? ભલા, ભગવાનને તો આવું નરસિંહ જ કહી શકે. કહેવાય છે કે એક વાર ભગવાન રામે હનુમાનજીની પરીક્ષા કરતાં પૂછ્યું હનુમાન, તું કોણ છે? ત્યારે હનુમાને આપેલો જવાબ અદ્ભુત છે. હનુમાનજી કહે છે “પ્રભુ જીવભાવે તો હું આપનો દાસાનુદાસ છું. પણ આત્મભાવે તો તમે અને હું એક જ છીએ.” આવો જવાબ પૂર્ણ જ્ઞાની વિના બીજું કોણ આપી શકે? જે પૂર્ણ ભક્ત હોય છે એ જ પૂર્ણ જ્ઞાની હોય છે. જ્ઞાનના અદ્વૈત શીખર ગૌરીશંકર ઉપર ચડ્યા પછી પણ જ્ઞાનદેવ જેવા જ્ઞાની મધુરા ભક્તિનો પ્રેમરસ પીવાનો જતો કરતા નથી. જ્ઞાનદેવ કહે છે :
આંગણાનું થાય છે વૃંદાવન અને માણસનો થાય છે કૃષ્ણ,
સઘળી ધરતી વૃંદાવન અને માનવમાત્ર કૃષ્ણ.
આપણો નરસિંહ પણ આવો જ્ઞાનદેવની કોટિનો જ્ઞાની ભક્ત છે, કહે છે:
ચિત ચૈતન્ય, વિલાસ તરૂપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે!
‘લટકાં કરતું બ્રહ્મ’. આવું લટકું તો નરસિંહ જ કરી શકે. ગુજરાતી ભાષામાં આવી પંક્તિ બીજી શોધી જડતી નથી. આ એક જ પંક્તિ આખું કાવ્ય નહીં, એક કડી પણ નહીં માત્ર એક પંક્તિ, ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.’ આનું ભાષ્ય કરનારા, વિવેચન કરનારા, આસ્વાદ કરાવનારા બધા જ હારીને નેતિ નેતિ કરતા પાછા પડવાના. બસ મમળાવો ને માણો. એમ કરતાં એ ઘડી આવશે કે પેલું બ્રહ્મ તમને તમારી સાથેય લટકાં કરતું દેખાશે. આવી આ અર્થગર્ભ, જ્ઞાનગમ્ય, પ્રેમરસથી નિતરતી પંક્તિ ગુજરાતી ભાષાનું ગૌરવવંતુ ઘરેણું છે. આવું મધુર કાવ્યાત્મક રસદર્શનવાળું તત્વદર્શન કરાવનાર જ્ઞાની કવિ નરસિંહ મહેતાને શતશઃ પ્રણામ.
નરસિંહ મુક્તક
નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો?
‘તે જ હું’ ‘તે જ હું’ શબ્દ બોલે.
***
જડ અને ચેતન રસ કરી જાણવો,
પકડી પ્રેમે સર્જીવન-મૂળી.
***
સચ્ચિદાનંદ આનંદ ક્રિડા કરે.
બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી,
અચળ ઝળકે સદા વિમળ દીવો.
***
નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો,
વણ જિહ્વાયે રસ, સરસ પીવો.
***
અકળ અવિનાશી એ નવ જાયે કળ્યો,
અરધ ઉરધની મધ્યે મ્હાલે.
***
પ્રેમના તંતમાં સંત ઝાલે. ચિત્ત-ચૈતન્ય વિલાસ તદ્રુપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે!
***
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.
***
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જૂજવે રૂપે અનંત ભાસે,
દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.
***
પવન તું પાણી તું, ભૂમિ તું ભૂધરા
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે
વિવિધ રચના કરી અનેક રસ લેવાને
શિવ થકી જીવ થયો એ જ આશે.
***
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોય
કનક કુંડળ વિષે ભેદ ન્હોયે
***
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું
જોઉં પટંતરો એ જ પાસે
***
જે રસ વ્રજ તણી નાર વિલસે સદા
સખીરૂપે તે નરસૈયે પીધો
***
કોટી બ્રહ્માંડ એક સેમ જેનું
એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા
***
ભણે નરસૈંયો તત્વદર્શન વિના
રત્ન ચિંતામણી જન્મ ખોયો
***
જ્યાં લગી આતમા તત્વ ચીન્યો નહીં
ત્યાં લગી સાધના સર્વ જૂઠી
***
અકળ આનંદ તે કહ્યો ન જાયે
***
અમૃત પે અતિ મીઠો રે,
તે નવધાથી ન્યારો રે
અચવ્યો રસ છે એની પાસે,
તે પ્રેમીજનને પાયો રે
***
તું અલ્યા! કોણ ને કોને વળગી રહ્યો?
વગર સમજ્યે કહે ‘મારું મારું
***
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને
તે તણો ખરેખરો ફોક કરવો
***
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે
ઊગરે એક ઉદ્વેગ ધરવો
***
હું કરું, હું કરું એ જ અજ્ઞાન તો
શકટનો ભાર જેમ શ્વાન તાણે
***
નીપજે નરથી તો કોઈ નવ રહે દુઃખી
શત્રુ મારીને સૌ મિત્ર રાખે
***
ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે
***
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું તેહને તે સમે તે જ પહોંચે
***
કુળ ઇકોતેર તાર્યાં રે ભક્તિ વિના બીજું બધું ધૂળધાણી
***
પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર તત્વનું ટૂંપણું તુચ્છ લાગે
***
પ્રેમને વશ થઈ વ્રજ તણી ગોપિકા
***
પ્રીતની રીતને માર્ગ વલ્લભ સદા
***
હેતના જીવ તે હેતે તૂટે.
પ્રભુજી પાસે રે, હરિ નથી વેગળા રે
આડો પડ્યો છે એં કાર
***
ભૂતળ ભક્તિ પદારથ મોટું
બ્રહ્મલોકમાં નાહી રે,
પુણ્ય કરી અમરાપુર પામ્યાં
અંતે ચોરાસી માંહી રે
***
નરસૈંયો એમ કહે
જન્મ પ્રતિજન્મ હરિને જ જાચું
હરિના જન તો મુક્તિ ન જાચે
જાચે જનમોજનમ અવતાર રે
***
નિત્ય સેવા, નિત્ય કીર્તન ઓચ્છવ
નિરખવા નંદકુમાર રે
***
અષ્ટ મહાસિદ્ધિ આંગણિયે રે ઊભી
મુક્તિ થઈ રહી દાસી રે
***
એ રસનો સ્વાદ શંકર જાણે
કે જાણે શુક જોગી રે
કાંઈ એક જાણે વ્રજની વનિતા
ભણે નરસૈંયો ભોગી રે
***
સખી! આજની ઘડી તે રળિયામણી રે
મારા વહાલોજી આવ્યાની વધામણી જી રે
***
કેસર ભીના કહાનજી, કસુંબે ભીની નાર
લોચન ભીનાં ભાવ શું, ઊભાં કુંજન દ્વાર
***
બેમાં સુંદર કોને કહીએ, વનિતા કેવ્રજનાથ?
***
હીંડોળે હીંચે શ્યામળિયો, સંગે શ્યામા સોહતી રે
***
ચાલ રમીએ સખી,
મેલ મથવું મહીં,
રસિક મુખ ચુંબીએ,
વળગીયે ઝુંબીએ
લાજની આજ દુહાઈ છૂટી
***
પ્રીત કરે તેની પૂંઠ ન મેલે
એવો વ્હાલો રસિયો રે
***
મધુર ગાન કરતી ગોપી,
ગોવિંદજીને સંગે રે
ભુજ પર ભુજ ધરી
પરસ્પર નૃત્ય કરે,
અતિ રંગે રે,
નરસૈંયાયે સ્વામી સંગ,
રમતાં દેહદશા વિસરી રે.
***
વૈષ્ણવજન તો તેને કહીએ,
જે પીડ પરાઈ જાણે રે
પર દુઃખે ઉપકાર કરે તોયે,
મન અભિમાન ન આણે રે
રામનામ શું તાળી રે લાગી,
સકળ તીરથ એના તનમાં રે,
ભણે નરસૈંયો એનું દર્શન કરતાં
કુળ ઇકોતેર તાર્યા રે.