રચનાવલી/૮: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 3: Line 3:
{{Heading|૮. મોરધ્વજાખ્યાન (પોઠો) |}}
{{Heading|૮. મોરધ્વજાખ્યાન (પોઠો) |}}


<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/a/a0/Rachanavali_8.mp3
}}
<br>
૮. મોરધ્વજાખ્યાન (પોઠો) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ
<br>
&#9724;
</center>
<hr>


{{Poem2Open}}
{{Poem2Open}}

Latest revision as of 13:02, 9 May 2024


૮. મોરધ્વજાખ્યાન (પોઠો)



૮. મોરધ્વજાખ્યાન (પોઠો) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ


પ્રાણી પોતાના સિવાય વિચારતું નથી. એનું ઉદરપોષણ થયું કે એનું પોતાનું સંરક્ષણ થયું એ સાથે એના જીવનનો અર્થ પૂરો થાય છે મનુષ્ય પણ પ્રાણી છે, પણ મનુષ્યને પ્રાણી મટી જવાની હંમેશા એક પ્રબળ ઇચ્છા રહેલી છે. એ ઇચ્છાના મૂળમાં પોતાનામાંથી છૂટવાની વાત પડેલી છે. મુક્તિ કહી, મોક્ષ કહો કે નિર્વાણ કહો, એ પોતાનામાંથી બહાર આવવાની વાત છે. કદાચ સૌથી અઘરી વાત છે તેથી જ મોક્ષ દુર્લભ ગણાયો છે. બાઈબલે જ્યારે કહ્યું કે, ‘તારા પડોશીને પ્રેમ કર’ ત્યારે એ સૂચન પાછળ પણ છૂટવાની જ વાત છે. તમારામાંથી તમે છૂટો તો બાજુને કે આજુબાજુને ચાહી શકો ને! ભારતીય તત્ત્વવિચારમાં પણ ‘તે તું જ છે’ કે ‘એ હું જ છું’ કે ‘વસુધા એક જ કુટુંબ છે’ એવું એવું કહેવાયું છે ત્યારે એની પાછળ પણ આ જ વાત પડઘાતી હોય છે. આપણા ભક્તિસાહિત્યમાં સમર્પણભાવને સૌથી ઊંચો મૂક્યો છે એનું કારણ પણ એ જ છે. સમર્પણ દ્વારા તમે તમારામાંથી છૂટો છો. બીજાને માટે વિચારતા થાઓ છો. મધ્યકાળમાં તો એવી ઘણી કથાઓ છે. ચેલૈયાની કથા કે મોરધ્વજની કથા એનાં ખાસ ઉદાહરણો છે. બહુ જાણીતો નથી, પણ છતાં જાણવો પડે એવો મધ્યકાળનો ગુજરાતી કવિ પોઠો કે પોડો એની બેએક રચનાઓને કારણે ધ્યાન ખેંચે છે. ‘મોરધ્વજાખ્યાન’ અને ‘સુધન્વાખ્યાન’ નામનાં બે આખ્યાનો પોઠાએ જૈમિનિના અશ્વમેઘને આધારે રચ્યા હોવાનું જણાય છે. વળી, કે. કા. શાસ્ત્રીએ નોંધ્યું છે તે પ્રમાણે મહાભારતના પર્વોની કથા ગુજરાતમાં વ્યવસ્થિત ઉતારવાની શરૂઆત નાકરથી છે. નાકરે ‘વિરાટ પર્વ' ઈ.સ. ૧૫૪૫માં રચ્યું હોવાથી પોઠોનો સમયગાળો ૧૭મી સદીથી વહેલો હોવાની શક્યતા ઓછી છે. પોઠોનાં આ બંને આખ્યાનો આઠ કડવાંનાં છે. બંને આખ્યાનો અંતે આવતા ઉલ્લેખો પરથી લાગે છે કે પોઠો બારોટ હોવો જોઈએ. એના આખ્યાનોમાં વચ્ચે સંસ્કૃત શ્લોકો આવતા હોવાથી એ સંસ્કૃતનો જાણકાર હશે એવું કહી શકાય. આ સંસ્કૃત શ્લોકોને કારણે અને માત્ર આઠ જ કડવાંના નાના ફલક પર સંક્ષેપમાં છતાં રસિકતાથી કથાની માંડણી કરવાને કારણે એનાં આખ્યાનો જુદાં પડી આવે છે. ‘મોરધ્વજાખ્યાન'માં આઠ કડવાં હોવા છતાં એમાં બે ખંડ જોવાય છે. ત્રણ કડવાંનો પહેલો ખંડ કૃષ્ણ-અર્જુનની સામે બળવાન તામ્રધ્વજના વીરશૌર્યનો છે, તો પછીનાં ચાર કડવાંનો બીજો ખંડ તામ્રધ્વજના કૃષ્ણભક્ત પિતા મોરધ્વજના ભક્તિ-સમર્પણનો છે. પહેલો ખંડ યુધિષ્ઠિરે કરેલો અશ્વમેઘ યજ્ઞનો અશ્વ મણિપુરથી આગળ વધે છે એના વર્ણનથી ઉઘડે છે : ‘મણિપુરથી ત્યાં ચાલ્યો અશ્વજી, પદખુરીએ ઊડે ભસ્મજી / પાછળ સેનાનો નહીં પારજી, અર્જુન રક્ષણી છે નિરધારજી | નરનારાયણ સાથે જોડજી, તે સાથે છે છપ્પન ક્રોડજી' આવા છપ્પન કરોડ સૈન્ય સાથેના કૃષ્ણ અને અર્જુન સામે મોરધ્વજનો પુત્ર તામ્રકેતુ આવે છે અને એ અશ્વને બાંધે છે. પ્રધાન વારે છે પણ તામ્રધ્વજ કહે છે કે ‘ચિંતામણી આગળ સૌ દ્રવ્ય, તેમ હું એક ને એ છે સર્વ’ યુદ્ધ શરૂ થાય છે. ગરૂડવ્યૂહ રચાય છે ત્યારે તામ્રધ્વજ કૃષ્ણને વિનંતી કરે છે કે ‘ત્રિભુવનરાય, સદા તમે અર્જુનને સહાય કરી છે. હવે એક ક્ષણ રહો તો હું મારો હાથ દેખાડું’ અને પછી અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, બભ્રુવાહન એમ એક પછી એક યોદ્ધાને પરાસ્ત કરી તામ્રધ્વજ અર્જુનને કહે છે કે, ‘સાથે કૃષ્ણ માટે જશ સોય, તમ પ્રાક્રમથી જશ નવ હોય’ એટલે કે જો સાથે કૃષ્ણ ન હોય તો અર્જુન કયારેય જશન પામે. આ સાંભળતા અર્જુન કોપ્યો. કવિ અર્જુનનો ધનુષ્યટંકાર શબ્દોમાં સંભળાવે છે: ‘ટંકાર ધનુષ તણો કર્યો. તેણે કડકડયુ બ્રહ્માંડ / મહીમંડળ ધ્રૂજી રહ્યું, ગ્રહ તણા ભાંગે ભાંડ’ પણ તામ્રધ્વજે અર્જુનને બાંધી લીધો. કૃષ્ણે એને પડતાં ઝીલી લીધો. ક્રોધમાં આવી કૃષ્ણ તામ્રધ્વજ તરફ સુદર્શન છોડે છે પણ તામ્રધ્વજ સુદર્શનને પાછા વળવા વિનંતી કરે છે. છેવટે કૃષ્ણને યુદ્ધમાં મૂર્છિત કરી, અશ્વ લઈને તામ્રધ્વજ અશ્વ લઈને પિતા મોરધ્વજ પાસે આવે છે. ત્યાં પહેલો ખંડ જાણે કે પૂરો થાય છે. બીજા ખંડમાં પુત્ર તામ્રધ્વજને મોઢે કૃષ્ણ મૂર્છિત છે તેવું સાંભળતા પિતા મોરધ્વજ પણ મૂર્છિત થાય છે. અશ્વ જીતી લાવનાર પુત્રને છેવટે કૃષ્ણભક્ત મોરધ્વજ પિતા કહે છે : ‘હરિ તજી ય લાવ્યો શું ભણી, ક્યાં કોડી ક્યાં કૌસ્તુભમણિ? કયાં તુલસી કાં વિજયાવન (ભાંગ), ક્યાં નરકંટક કર્યાં સજ્જન?’ આ બાજુ કૃષ્ણ અર્જુનને બટુક બનાવી વૃદ્ધ બ્રાહ્મણને વેશે ભક્ત મોરધ્વજ પાસે આવે છે. કૃષ્ણ અને અર્જુનના નવા વેશનું વર્ણન જુઓ : ‘ઉજ્જવલ કેશ ઉજ્વલ ઉપવિત, વેદાધ્યાયન વાડવ સૌ જીત / આંગળીએ વળગાડ્યો બાળ, નીલવટ ચન્દ્રવત શોભે ભાલ' મોરધ્વજ વૃદ્ધ બ્રાહ્મણની પૂજા કરી માગવાનું કહે છે ત્યારે બ્રાહ્મણ કહે છે કે એક પ્રજાપતિનો પુત્ર શિલા નામની કન્યા સાથે વિવાહ કરવા આવતો હતો ત્યાં રસ્તામાં એને સિંહે ઝાલ્યો છે. સિંહ કહે છે કે મને રાજાનું જમણું અંગ ભાવે છે, એ આપે તો છોડું’ મોરધ્વજને થાય છે કે ‘મને પવિત્ર જાણી પિંડ માંગ્યો, ભલે પધાર્યા મહારાજ પુત્ર અને પત્નીનું અંગ પણ બ્રાહ્મણ માગે છે અને સાથે શરત છે કે અંગ આપતી વેળાએ ત્રણેમાંથી કોઈ ‘માયા, મમતા, શોક ન કરે’ મોરધ્વજ કહી ઊઠે છે : ‘અનિત્ય દેહ, મૃગજળ સંસાર' અને કરવત સામે ઊભો રહી જાય છે. કરવત વહેરે છે પણ ડાબી આંખમાંથી આંસુનું ટીપું પડે છે. બ્રાહ્મણ કહે છે : ‘આંસુ પડયું હવે બધું ભ્રષ્ટ થયું. હું અંગ નહિ લઉં’ ત્યારે ‘વચન સુણી રાજા તણે, હિર જમણું અંગ વિખ્યાત / વામાંગ ઉપયોગ ન આવ્યું તે કરે આંસુપાત' મોરધ્વજની આ સમર્પિત વૃત્તિ જોઈને છેવટે વૃદ્ધ બ્રાહ્મણ કૃષ્ણ સ્વરૂપે પ્રત્યક્ષ થાય છે : ‘પ્રત્યક્ષ હવા મધુરાય— ધન્ય ધન્ય સત્ય તું માન કો નવ આવે નિશ્ચે તું સમાન’ આ ભક્તિકથા મારફતે બીજાને કામ આવવાની વૃત્તિને અહીં આગળ ધરવામાં આવી છે. જે મહત્ત્વની છે. કૃષ્ણ અને ભક્તની ચમત્કાર કથા પાછળ માનવીય સમભાવનો સમાદર એ જ આ પ્રકારના ભક્તિસાહિત્યનું લક્ષ્ય હોય છે. આ પ્રકારનું ભક્તિસાહિત્ય છેવટે કંઈ નહીં તો પોતાનામાંથી છૂટી બીજા માટે વિચારતા થવાનો ઘડીક અવસર આપે છે.