મણિલાલ હ. પટેલનાં કાવ્યો/શું હોય છે પિતાજી...?: Difference between revisions
(Created page with "{{SetTitle}} <center><big><big>'''શું હોય છે પિતાજી...?'''</big></big></center> <poem> તે દિવસે ક્યારીમાં પાણી વાળતા વિધુર પિતાજીની આંખોમાં ઉચાણે નહિ પલળેલી માટી જેવી ગોરાડું રેતાળ લાગણીઓ જોઈને ભૂલી ગયો હતો કાળી ભૂખ... ઓતરા...") |
m (Meghdhanu moved page મણિલાલ હ. પટેલ/શું હોય છે પિતાજી...? to મણિલાલ હ. પટેલનાં કાવ્યો/શું હોય છે પિતાજી...? without leaving a redirect) |
(No difference)
|
Latest revision as of 15:51, 17 February 2024
તે દિવસે ક્યારીમાં પાણી વાળતા
વિધુર પિતાજીની આંખોમાં
ઉચાણે નહિ પલળેલી માટી જેવી
ગોરાડું રેતાળ લાગણીઓ જોઈને
ભૂલી ગયો હતો કાળી ભૂખ...
ઓતરાચીતરાના નિષ્ઠુર તડકાની
વાઘ જેવી વેળામાં સોનાવરણી ડાંગરનું–
ગાડું ભરતા પિતાજીની એકલતા જોઈને
જલદી જલદી મોટા થવાનું મન થયું હતું...
ખેતર ખેડીને ઘેર આવતા
થાકેલા દિવસના પડછાયાની આંખોમાં
રસોડામાં નહિ સળગેલા ચૂલાનો ખાલીપો
અને તમ્બાકુ પીવાની તલબઃ
જોવાતાં – જીરવાનાં ન્હોતાં
મને ખીચડી રાંધતાં ને
‘હુક્કો ભરી આપતાં’ અમસ્થું નથી આવડ્યું!
જે જાણે છે તે જ જાણે છે -
અભાવોના કાફલાઓને આવતા રોકવા
અહોરાત જટાયુની જેમ ઝૂઝતા પિતાને -
વ્હાલ કરવા જેટલો વખત જ નથી હોતો...
ભાવથી ભરપૂર -
પ્રમાણી શકાતા નથી પિતાને
એ તો હોય છે રાખ વળેલો અંગારો
અંદરથી બળબળતો
ખોળો ઝંખતો ટળવળતો તીખારો...
થંભ પીગળે તો ઘર ટકે કેવી રીતે?
- એ લાગણીઓને સમજાતાં વાર લાગે છે!
ભીના વિસ્તારમાં ઝાડને પાણી લાગે છે -
એવા ઝાડની જેમ –
ધીમે ધીમે સુક્કાતા જતા પિતાને મેં જોયા છે...
પડસાળમાં બેઠેલા પિતાજીની આંખોમાં
ઝળઝળિયાં થઈને વહી ગયેલાં વર્ષો જોયાં
હતાં...
મા શું હોય છે?
એ તો એની હયાતીમાં જ સમજાઈ જાય છે..
પરંતુ
પિતાજી શું હોય છે? –
એ તો એમના ગયા પછી જ
સમજાય તો સમજાય કોઈકને...!!