અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુન્દરમ્/કંઈ વાત કહો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 65: Line 65:
{{Poem2Close}}
{{Poem2Close}}
</div></div>
</div></div>
{{HeaderNav2
|previous = કિસ સે પ્યાર —
|next = પ્રભુ, દેજો
}}

Latest revision as of 11:21, 20 October 2021


કંઈ વાત કહો

સુન્દરમ્

         તમારા કિયા દેશ દરવેશ?
હો અવધૂત, દિયો દિયો કો અણસુણ્યો આદેશ
આ દુનિયાના નવે ખંડથી
         દશમ ખંડશું ન્યારો?
આ જગ કેરા ખટરસથી શું
         સપ્તમ રસ કો પ્યારો?
         તમોએ પીધ પરમ રસ ખરો?
         અરે કંઈ વાત કહો, દરવેશ!

અહીં અમારા અમલકમલથી
         અધિક કમલ શું કોક?
રત્નજડિત અમ નગરચોકથી
         ચડિયાતો કો ચોક?
         તમોએ સગી નજરથી દીઠ?
         અરે, કંઈ વાત કહો, દરવેશ!

અહીં અમારાં હિમશૃંગોથી
ઉન્નત શું કદી શૃંગ?
આ અમ રંગભવનથી મધુરો
         બાજે ક્યહીં મૃદંગ?
         તમોએ સુણ્યો શું કાનોકાન?
         અરે, કંઈ વાત કહો, દરવેશ!

અમ ધખ ધખ આ અંતરથી શું
         અધિક રહી કો આગ?
આ મૃત્યુની ભોમ અરથ કો
         અમરતિયો સોહાગ?
મળ્યો કો દાતા હાથોહાથ?
         અરે, કંઈ વાત કહો, દરવેશ!



આસ્વાદ: અણસૂણ્યા આદેશની પ્રતીક્ષા – હરીન્દ્ર દવે

આ ગીતમાં જેને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, એ દરવેશ તે કોણ? સાક્ષાત્કારની ઝલક જેની આંખમાં અંજાઈ છે, પ્રતીતિની ચમક જેના હોઠ પર સ્મિત થઈને વિલસી છે, એવા કોઈક દરવેશ સાથે થયેલો આ સંવાદ છે.

દરવેશે કોઈક અલગારી મુલકની વાત કરી છે—વાત પણ નહીં, સહેજ અણસાર મળે એટલા સંકેતો આપ્યા છેઃ અને કવિ વિસ્મયની એક અનોખી ભૂમિકા પર મુકાઈ ગયા છે.

આપણે જે જગતને નરી આંખે જોઈએ છીએ એના કરતાં કોઈક જુદું જ જગત પ્રભુ સાથેના પરમ સાંનિધ્યની ક્ષણે જોવા મળે છેઃ નવ ખંડ અને ખટ રસના જગતને આપણે જાણીએ છીએ પણ આ દરવેશ તો નવખંડથી ન્યારા દશમ ખંડની વાત કરે છે. છએ રસોથી વધારે પ્યારા સાતમા રસની વાત કરે છે — કવિ સહજપણે પૂછી ઊઠે છેઃ ‘તમે આ પરમ રસ પીધો છે ખરો?’

આ પ્રશ્ન શંકાનો નથી. આવા રસના અસ્તિત્વ વિશે કોઈ અવઢવ પૂછનારાને નથી, તો પછી આ પ્રશ્ન શા માટે? આ વિસ્મયમાંથી જાગતો સવાલ છે! ‘ઓહ, ત્યારે ત્યાં તો આવું છે, એમ!’ એવા શબ્દોમાં પ્રગટ થાય છે એવું જ વિસ્મય અહીં આપણને અનુભવવા મળે છે.

કવિ પૃથ્વી પરના અલકમલકથી અદકેરા કોઈક કમલની વાત કરે છે. સ્વર્ગના નંદનકાનના કોઈ મનોહર સરવરમાં જ વિલસે એવા આ કમલની વાત આવતાં સુન્દરમે અન્યત્ર ગાયેલા શરણ-કમલની છબી અને છાયા મનમાં આવી વાસ કરે…

કવિ ફરી એકવાર દરવેશને પૂછે છેઃ ‘તમે સગી આંખે આ જોયું છે?’

શ્રદ્ધાની ભૂમિકા પરથી આવતા આ શબ્દો સાક્ષાત્કારનું સંજીવન વહેણ વહાવી શકે છે.

કવિતા આગળ વધે છેઃ અને પૃથ્વી પરનાં ઉન્નત ગિરિશૃંગોથી વધારે ઊંચા શૃંગોની વાત આવે છેઃ અને જાણે દૂર દૂરથી મંદ્ર-મધુર ધ્વનિ પ્રગટતો હોય એવો નાદ આપણે સાંભળી શકીએ છીએ, સમૃદ્ધ એવો મૃદંગ કાનોકાન સાંભળ્યો છે?’ દરવેશ ઉત્તર આપે એ પહેલાં આપણે ઉત્તર આપી બેસીએ એવા મધુર સંગીતમય વહણમાં આપણને કવિ મૂકી દે છે.

છેલ્લે કવિ અંતરમાં ધખતી પ્રભુમિલનની આગ કરતાં અધિક આગની અને મૃત્યુની ભોમને અમરતિયો સોહાગ આપતા પરમ દાતારની વાત કરે છે.

આમ જોઈએ, તો કવિએ પ્રશ્નો જ પૂછ્યા છે, પણ એ પ્રશ્નોમાં જ શ્રદ્ધા સાથેના ઉત્તર સમાઈ ગયા છે…

આ કવિતા વાંચીએ ત્યારે આપણે પણ અણસૂણ્યા આદેશની પ્રતીક્ષામાં મુકાઈ જઈએ છીએ. (કવિ અને કવિતા)