કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૫. ઉદધિને

Revision as of 02:18, 13 June 2023 by Meghdhanu (talk | contribs) ({{SetTitle}})
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૫. ઉદધિને


(પૃથ્વી)

મને ઉદધિ! માન છે – પૃથિવી આખી વીંટી વળી
અગાધ, ગરજ્યા કરે તું અવિરામ કો ઘોષણા!
ઉરે પ્રગટિયા પ્રચંડ અનલો કંઈ ઢાંકીને
સદા ઉપર તો અનંત લહરી સ્મિતોની ધરે!
વસ્યાં તુજ નિવાસથી કંઈ ઊંચે શું એ ગર્વથી
કદી તું પર આક્રમે જગતનાં બીજાં ભૂત તો,
બધી ખળભળાવી નાંખી દુનિયા મહાગર્જને
ગિરિગિરિ સમા તરંગ ઉપરે તરંગો તણાં
ભયંકર ઉછાળી લશ્કર, ટકી નિજ સ્થાન રહે!
મને સુબહુ માન એનું! પણ સ્નિગ્ધ આશ્ચર્ય કે
– સદા વિહસતો મહાન શશી સૂર્ય ને તારલા –
અતિ હલકી નાનીશી ફરતી નાવડીનીય તું
ધરે વિરલ સૌકુમાર્ય થકી સ્પર્શરેખા ઉરે! ૧૩

(શેષનાં કાવ્યો, પૃ. ૧૦)