નર્મદ-દર્શન/‘નર્મદવિરહ’
નર્મદના અવસાન પછી, તેને વિશે મૃત્યુનોંધો લખાઈ જ હશે અને તેનાં કાર્યો અને કાવ્યો વિશે તેને સુપેરે અંજલિઓ પણ અપાઈ હશે. વિશ્વનાથ ભટ્ટે આવી કેટલીક નોંધો અને રચનાઓનો ઉલ્લેખ કર્યો છે.૧[1] આ સમયે પ્રકાશિત થતાં ‘મુંબઈ સમાચાર’, ‘ગુજરાતમિત્ર’, ‘Times of India’ જેવાં વર્તમાનપત્રોમાં અને ‘બુદ્ધિપ્રકાશ’ જેવાં સામયિકોમાં તેની મૃત્યુનોંધો અને અંજલિઓ છપાઈ હશે જે હવે કાલગ્રસ્ત થઈ ગઈ છે. મણિલાલ નભુભાઈ સંપાદિત ‘પ્રિયંવદા’માં (૧૮૮૬, ઑક્ટોબર) ‘મળેલું’ સંજ્ઞાથી ‘કવીશ્વર નર્મદાશંકરનો સ્વર્ગવાસ’ શીર્ષકનું એક કાવ્ય પ્રગટ થયું છે. વિજયશંકર, સવિતાનારાયણ જેવા નર્મદ-શિષ્યોએ તેમ અન્ય કવિજનોએ તેને કાવ્યાંજલિ અર્પી ન હોય તો જ આશ્ચર્ય. દલપત-નર્મદ જેવા કવિવરોના પ્રખર તેજમાં આ કવિઓ લગભગ ઓઝલ થઈ ગયા હતા. તેમનાં સાહિત્યકાર્યની સંક્ષિપ્ત સમીક્ષાઓ સુન્દરમે ‘અર્વાચીન કવિતા’માં અવશ્ય કરી છે. આ કવિઓની રચનાઓ ગૂજરાત વિદ્યાપીઠ, ગુજરાત વિદ્યાસભા, ફાર્બસ ગુજરાતી સભા જેવી સંસ્થાઓના કબાટોમાં ભંડારેલી પડી હશે, ઊધઈ લાગી જતાં ફગાવાઈ પણ ગઈ હશે. તેમાં પણ નર્મદ વિશેનાં અંજલિકાવ્યો હશે. આમાંથી કાલગ્રસ્ત થતાં બચી ગયેલી નર્મદ-પ્રશસ્તિ-રચનાઓમાં પેટલાદના કવિજન અને નર્મદભક્ત કાશીશંકર મૂળશંકર દવે વિરચિત ‘નર્મદવિરહ’નું૨[2] મૂલ્ય લાક્ષણિક છે. ડેમી સાઈઝની ૫૫ + ૧૦ પૃષ્ઠોની આ પુસ્તિકામાં ટાઈટલ પેજ બે છે, તે સમયની રીત પ્રમાણે એક અંગ્રેજીમાં અને બીજું ગુજરાતીમાં. ‘મૂલ્ય છ આના’ની આ પુસ્તિકા ‘કવિરાજ નર્મદાશંકરના સ્મરણાર્થે રચીને’૩[3] પ્રસિદ્ધ કરનાર કાશીશંકર વિ. મૂળશંકર દવે છે અને તે અમદાવાદના, ૮ મામાની હવેલીમાં યુનાઇટેડ પ્રિન્ટિંગ પ્રેસ અને ‘જ. એ. કંપની લિમિટેડના પ્રેસમાં રણછોડલાલ ગંગારામે’ છાપી છે. તેનું પ્રકાશન વર્ષ ‘સન ૧૮૮૬, સં. ૧૯૪૨’ છે. ગુજરાતી ટાઈટલ પૃષ્ઠ પર નીચે પ્રમાણે ‘ગીતિ’ છે.
નર્મદ વિરહ લખ્યો આ,
કારણ નર્મદ અધિક ઉપકારી;
પ્યાર ધરીને વાંચો,
કવિ સ્મરણાર્થે શુશીલ નરનારી.
આ પુસ્તકની ૫૦૦ નકલ૪[4] છપાઈ હતી અને પુસ્તકને અંતે આગોતરા ગ્રાહક થનારાઓની સૂચિ આપવામાં આવી. તા. ૨૮-૬-૮૬ને રોજ ‘સૂચના’ શીર્ષકથી લખેલી પ્રસ્તાવનામાં લેખકે, ‘આર્ય ભૂમિના મહાન વીર કવિરાજ નર્મદાશંકરે આ માયાથી ઘેરાયેલી દુનિયાં છોડી પરલોકે ગમન કર્યું.’ તેથી, ‘આર્યભૂમિને ભારે હાણ થઈ છે’ એમ જણાવી, તેનું નામ અમર કરવા વાચકોને ‘અવશ્ય અતિ મથન’ કરવાનો અનુરોધ કર્યો છે. ‘વિરહવ્યથાની કથા લખી મથી દિવસ દશબાર’, તેથી તેમાં ઘણી ખોડ રહી ગઈ હશે એમ ક્ષમાપનાપૂર્વક કહેતાં, ‘વધારે અવકાશ વિદ્યાભ્યાસ’ને કારણે મળ્યો નથી એમ લેખક કહે છે ત્યારે, તે પોતે એક મુગ્ધ, ઉત્સાહી જુવાન હશે એમ જણાય છે. વિનમ્રતાથી તે પોતાની વાણીને ‘તોતલી’ અને લેખણને ‘નાની છતાં અમૂલ્ય’ કહે છે. છ છ મહાનુભાવોને આ કરુણપ્રશસ્તિ અર્પણ થઈ છે. તેમાં લેખકની એક દૃષ્ટિ છે. નર્મદ તો ‘વીર’ પુરુષ તરીકે પોંકાતો આવ્યો છે. આ રચનામાં પણ તેના શૌર્યગુણને મુખ્યત્વે અંજલિ અપાઈ છે. તેથી વિવિધ ક્ષેત્રોના ‘વીર’ પુરુષોને પસંદ કરી તેમને આ ‘વીર’ પુરુષ માટેની પ્રશસ્તિ અર્પણ કરવાનો ઉપક્રમ ગોઠવાયો છે. || વીરેભ્યો નમસ્કરોમિ || એ રીતે મથાળું બાંધી, તે પ્રત્યેકના તેમના ક્ષેત્રના વીરકર્મને અભિનંદતું એક એક કાવ્ય રચી ‘અર્પણ’ થયું છે. આ છ મહાનુભાવો અને તેમનાં વીરકર્મનાં ક્ષેત્રો આ પ્રમાણે છે : (૧) પંડિત ગટુલાલજી ઘનશ્યામજી શીઘ્રકવિ (સંસ્કૃતના ‘ભારે પંડિત’) (૨) સર મંગલદાસ નથુભાઈ, કે. સી. એસ. આઈ. (કન્યા કેળવણીમાં ‘ચિત્ત’ અને ‘વિત્ત’ આપનાર) (૩) દીવાન બહાદુર મણિભાઈ જસભાઈ (કવિના હમવતની અને કચ્છના દીવાન તરીકે ‘સુકીર્તિત’) (૪) કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ, સી. આઈ. ઈ. (કાવ્યકળામાં નિપુણ) (૫) રાવસાહેબ હરગોવિંદદાસ દ્વારકાદાસ (કેળવણીકાર અને ગ્રંથકાર) (૬) પ્રિયમિત્ર મોહનલાલ કહાંનદાસ (ઉપકારક મિત્ર). આ રચના આ મહાનુભાવોને અર્પણ કરવામાં પ્રકાશન માટે કે અન્યથા આર્થિક સહાય મેળવવાનો લેખકનો આશય નથી. પ્રકાશન માટે જો કોઈએ આર્થિક સહાય કરી હશે તો તે કાવ્યની ૨૧૬મી કડીથી ૨૨૦મી કડી સુધીની અંતર્લાપિકામાં જેમનું નામ ગૂંથ્યું છે તે ‘સંકટ સમયે જાન’ આપનાર, ‘ધૈર્યદાતાર મિત્ર મોતીલાલ ગોકલદાસ’ નામના ગૃહસ્થે. આ લેખકને અંગ્રેજીમાં પણ પદ્યરચના કરવાનો શોખ છે. મૂળ કાવ્યમાં છે તે યોજના પ્રમાણે દરેક કડીની ચોથી પંક્તિ, અહીં ‘Nations by themselves are made’ અથવા ‘By themselves nations are made’ દોહરાવાતી રહે એવું ૪૦ પંક્તિનું, ‘Awake’ શીર્ષકનું એક અંગ્રેજી કાવ્ય પણ તેમણે રચીને મૂક્યું છે. આ રચના તેણે Union તખલ્લુસથી લખી છે, જે ‘સંપ’ના અર્થમાં મૂળ કાવ્યના ભાવ સાથે સુસંગત છે. પરંતુ તખલ્લુસ સાથે કૌંસમાં The Beaver (સ્થળ-જળચર રૂંવાંવાળું ઉંદર જેવું પ્રાણી) શબ્દ મૂક્યો છે, જેનાં હેતુ અને સંદર્ભ સંદિગ્ધ છે. અંગ્રેજી રચનાનો વિષય પરદેશી સત્તાના શોષણ સામે રાજકીય રીતે જાગ્રત થવાનો છે. ‘વીર’ નર્મદ વિશેના કાવ્યના આરંભે આમ તે રચનાને ગોઠવવાની પ્રસ્તુતતા સચવાઈ છે. આ રચના આ જ લેખકની છે એ નિશ્ચય પર એ રીતે અવાય છે કે ગુજરાતી રચનામાં જેવી ભાષાકીય શિથિલતા છે તેવી આ રચનાની અંગ્રેજી ભાષામાં પણ છે. ‘હિન્દપુત્રો’ને ‘Sons of Ind.’ કહેનાર કેાઈ વિદગ્ધજન નથી, એક અર્ધદગ્ધ છતાં કશુંક કરી નાખવા મથતો ઉત્સાહી જુવાન છે. આ પુસ્તકના બે વિભાગો છે. પ્રથમ વિભાગમાં ‘કવિચરિત્ર’ અને બીજા વિભાગમાં ‘નર્મદવિરહ’ કાવ્ય છે. નવલરામે ‘કવિજીવન’ લખતાં, નર્મદે જેની માત્ર પાંચદશ નકલો જ છપાવી રાખી હતી તે ‘મારી હકીકત’નો ઉપયોગ કર્યો હતો. ‘કવિજીવન’ નર્મદ વિશેની પ્રથમ જીવનકથા નથી. ‘નર્મદ-વિરહ’માં સમાયેલું ‘કવિચરિત્ર’ પ્રથમ છે. આ ‘કવિચરિત્ર’ લખનારને ‘મારી હકીકત’નો લાભ મળ્યો નથી. તેથી કાશીશંકરે પોતાને જેવી હતી તેવી માહિતીનો ઉપયોગ કરી તે લખ્યું છે. જો ‘નર્મકવિતા’ (૧૮૮૮) સાથે ‘કવિજીવન’ પ્રકાશિત ન થયું હોત તો ‘નર્મદવિરહ’માંનું કવિચરિત્ર, ૧૯૩૩માં ‘મારી હકીકત’નું જાહેર પ્રકાશન થયું ત્યાં સુધી ઠીક ઠીક શ્રદ્ધેય ગણાયું હોત. અથવા નવલરામને ‘મારી હકીકત’ સુલભ ન થઈ હોત (અંગત જે બેચાર મિત્રોને કવિએ નકલો આપી રાખી હતી તેમાં નવલરામ ન હતા. તેમને ‘કવિજીવન’ લખવા માટે ‘ગુજરાતી પ્રેસ’ના માલિકોએ તે આપી હતી.) તો તેમણે પણ કાશીશંકરના આ ‘કવિચરિત્ર’ પર કેટલોક આધાર રાખ્યો હોત અને તો ‘કવિજીવન’ જેટલું છે તેટલું પણ શ્રદ્ધેય ન બન્યું હોત. નવલરામે આ પુસ્તક વાંચ્યું તો હતું જ, તેનું ઓછામાં ઓછું એક આંતરિક પ્રમાણ ‘કવિજીવન’માં છે. કાશીશંકરે ‘નર્મદવિરહ’માં એક સ્થળે નર્મદને ‘બિચારો’૫[5] કહ્યો છે. ‘કવિજીવન’ના ઉપાન્ત્ય ફકરામાં નવલરામ નર્મદને સંબોધન કરીને કહે છે – ‘આ નિરૂપણ તને સદા અણગમતો શબ્દ ‘બિચારો’ બોલીને શા માટે પૂરું કરવું જોઈએ?’ અહીં તેઓ ‘નર્મદવિરહ’ના કવિને જ ઉત્તર આપી રહ્યા છે. કાશીશંકરે ‘કવિચરિત્ર’ લખતાં કિંવદંતીઓ પર આધાર રાખ્યો છે. કવિના સમયમાં પણ તેને વિશે અનેક વાયકાઓ પ્રચલિત હશે, જેનો અહીં પણ સંચાર થઈ, પ્રમાણભૂત વિગત તરીકે સ્વીકાર થયો છે. તેથી તેનું મૂલ્યાંકન કરતાં, માત્ર ‘કવિજીવન’ને જ નહિ (‘કવિજીવન’માંની પણ કેટલીક વિગતો ફરી ચકાસણીને પાત્ર છે), ‘મારી હકીકત’, ‘ઉત્તર નર્મદ ચરિત્ર’ તેમ જ કવિના અંતેવાસી રાજારામ શાસ્ત્રીના ‘સમયવીર કવિ નર્મદનાં સંસ્મરણો’ને પ્રમાણભૂત માનીશું. નર્મદજીવન વિશે ‘કવિચરિત્ર’માં આપેલી અને સુધારવાપાત્ર વિગતો આ પ્રમાણે છે :
આ અંગે કવિએ પોતે જે નોંધ રાખી હતી તે તેમણે જ બાળી નાખી હતી. નવલરામ આ લગ્નની સાલ માટે ‘ન. વિ.’ પર આધાર રાખતા જણાય છે. ‘ન. વિ.’ છૂપા લગ્નનું સ્થળ ‘રૂઘનાથપરું’ આપે છે તે ચિંત્ય છે.
જયશંકરના જન્મવર્ષ અંગે મતભેદ છે. એક જ સંપાદનમાં એકથી વધુ જન્મવર્ષ અપાયાં છે.
આ નોંધ અનુસાર તો નર્મદાગૌરી લગ્ન સમયે સગર્ભા હતી. અને તો જયશંકરનો જન્મ ૧૮૭૦માં થયો હોવાની નોંધને સમર્થન મળે છે. ન. વિ. ૧૮૮૬માં જયશંકરની વય પંદરની જણાવે છે, તે આ વાત સાથે મેળમાં છે. નવલરામની નોંધ અને કાશીશંકરની નોંધ ગર્ભિત છે અને તે સમયે પ્રચલિત વાયકાનો તેમાં પ્રભાવ જણાય છે.
કવિના કુટુંબ વિશે આમ ઉટપટાંગ વિગતો આપતા કાશીશંકરને તેમનો નિકટનો પરિચય ન હતો તેમ સ્પષ્ટ થાય છે. કવિની વાઙ્મય પ્રવૃત્તિ વિશે તેમણે જે કેટલીક માહિતી આપી છે તે રસપ્રદ છે.
૧. કવિએ ૧૮ વર્ષની વયથી ભાષણકર્તા, ગ્રંથકર્તા તરીકે બહાર પડવા માંડ્યું હતું.
૨. કવિ ૧૮૫૬માં બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ બન્યા. તે સભામાં તેમણે ૨૧ ભાષણો આપ્યાં.
૩. કવિ ‘ગુજરાતમિત્ર’ તથા ‘ગુજરાતી’માં વારંવાર લખતા.
૪. કવિએ કુલ ૧૧૨ નિબંધો–ભાષણો આપ્યાં.
૫. સં. ૧૯૩૧થી કવિએ વેદધર્મનું સંશોધન કરવા માંડ્યું.
સં. ૧૯૩૩માં તેએાએ દયાનંદ સરસ્વતીના સિદ્ધાંતો ગ્રહણ કર્યા. પણ સંવત ૧૯૩૫માં તેમના વિચાર દયાનંદ સરસ્વતીથી વિરુદ્ધ થયા. ઉપરના મુદ્દા ૧ અને ૫ સાચા છે. કવિએ આપેલાં ભાષણો અને નિબંધોની ગણતરીમાં બેચારનો આમ કે તેમ તફાવત હોઈ શકે, ‘ગુજરાતી પ્રેસ’ પણ સાચો આંકડો આપી શકતું નથી. આ નર્મદભક્તે કવિનાં લખાણો અને ભાષણોનું પગેરું રાખ્યું હોવા વિશે શંકા નથી. એથી મુદ્દા ૨ અને ૪નું તથ્ય સ્વીકારીશું. કવિ ‘ગુજરાતી’ અને તેના માલિક-તંત્રી સાથે નિકટના સંબંધે સંકળાયેલા હતા. ઇચ્છારામ તો તેમના શિષ્યવત્ હતા. તેથી કવિ ‘ગુજરાતી’માં લખતા હશે. ‘ગુજરાતી’માં તેમનાં કયાં લખાણો છપાયાં હતાં તે ‘ગુજરાતી’ના અત્યારના માલિકો જ તારવી આપી શકે. ‘ગુજરાતી પત્રકારિત્વનો ઇતિહાસ’માં (ડૉ. રતન માર્શલ) ‘ગુજરાતમિત્ર’ સાથે અમુક સમય સુધી સીધા સંકળાયેલા અને તેમાં નિયમિત લખતા રહેતા નવલરામનોય ઉલ્લેખ નથી, તો નર્મદ વિશે તો ક્યાંથી હોય? નથી જ. ‘ગુજરાતમિત્ર’માં કવિનાં લખાણો છપાયાં વિશે ‘મારી હકીકત’, ‘ઉત્તર નર્મદ ચરિત્ર’, કવિના કોઈ પ્રકાશન કે ‘કવિજીવન’માં ઉલ્લેખ નથી. પરંતુ ‘વિજ્ઞાન વિલાસ’ના એપ્રિલ ૧૮૮૬ના અંકમાં તંત્રી હરગોવિંદદાસ કાંટાવાળાની, નર્મદના મૃત્યુ વિશેની નોંધમાં ઉલ્લેખ છે તે પ્રમાણે, તેણે ‘મલારરાવના કેસ વખતે ગુજરાતમિત્રમાં સરકારની તે વખતની રાજનીતિ વિરુદ્ધ’ લખ્યું હતું. આ નોંધ ખૂબ મહત્ત્વની છે. કાશીશંકર નર્મદના સાહિત્ય વિશે વિલક્ષણ અભિપ્રાયો આપે છે. તેમાં સાહિત્યદૃષ્ટિના અભાવ ઉપરાંત અભ્યાસની પણ ઊણપ વરતાય છે. નવ અંકના ‘કૃષ્ણકુમારી’ નાટકને તેઓ ત્રણ અંકી ગ્રંથ’ કહીને તે વાંચવાથી ‘વાચનશક્તિ વધી હુશિયારી આવે છે’ એમ કહે છે ત્યારે તમણે તેનું પૂઠું પણ જોયું હશે કે કેમ તે પ્રશ્ન થાય છે. ‘સારશાકુન્તલ’ વાંચવાથી ‘ભાષાજ્ઞાન સારૂં વધે છે અને અક્કલવાનને શીક્ષણીય છે’ એમ તેઓ કહે છે ત્યારે કાલિદાસ અને નર્મદ બંને મૂછમાં હસતા હશે, અથવા આવો અરસિક મુગ્ધ અમારા ભાગ્યમાં ક્યાં લખાયો એ વિચારે કપાળ કૂટતા હશે! ‘નર્મકવિતા’ વિશે, ‘જગતની ચિત્રવિચિત્ર રચનાઓનાં ચિત્ર ખરી ખૂબી સાથે માલમ પડે છે. ભિન્ન ભિન્ન વિષયોનાં અન્ય વિષય રૂપે લાગણી કરી સંસારી વાતનું ભાન કરાવે છે...’ એેવો અભિપ્રાય આપનાર નર્મદ વિશે કશું કહેતા નથી, આ સમયના બધા કવિઓને લાગુ પડે એવું એક વ્યાપક વિધાન જ કરે છે. ‘નર્મ કોશ, આંક ૧’૧૮૬૧માં અને ‘નર્મ કોશ (મોટો)’ ૧૮૭૩માં પ્રકાશિત થયો હતો. આ લેખક જ્યારે એમ કહે છે કે ‘૧૮૫૯થી ૧૮૭૦ સુધીમાં મોટો નર્મકોષ-બહાર પડ્યો’ ત્યારે તેઓ વિગતની ચકાસણી કરવાની ચિંતા કરતા નથી એની ખાતરી થઈ જાય છે. નર્મદે પોતાના સમયના, લગભગ બધાં જ ક્ષેત્રોના પ્રશ્નો પોતાની વિચારણામાં આવરી લીધા હતા. કાશીશંકર ‘નર્મગદ્ય’ વિશે કહે છે કે તેનો, ‘સાદ્યંત અભ્યાસ કરનાર વિદ્યાર્થી પણ ઘણા અનુભવી વિદ્વાન જોડે વાદવિવાદ કરતાં હઠે નહીં’ – ત્યારે તે યુક્તિસંગત મતનો પ્રતિવાદ ન કરીએ. ‘ધર્મવિચાર’માં કવિએ ‘મહત્ શક્તિ’ બતાવી છે એ અભિપ્રાય પણ, કવિએ દૃષ્ટિપરિવર્તન વિશે જે સત્યનિષ્ઠા, સ્વમતાગ્રહ અને નિર્ભીકતા દર્શાવ્યાં છે તે સંદર્ભમાં વસ્તુલક્ષી છે. એકંદરે કવિના સર્જનાત્મક સાહિત્યની અપેક્ષાએ શાસ્ત્રીય નિરૂપણ વિશેના તેમના અભિપ્રાયો અભ્યાસપૂત છે. કવિના આંતરિક વ્યક્તિત્વનો પરિચય આપતાં કાશીશંકર તેમનામાં ‘નીડરતા, ધૈર્યતા, ચંચળતા, ઉદ્યોગીપણું, વિનયતા, મધુરતા, ગંભીરતા, ઉત્સાહપણું, રસિકપણું. જ્ઞાતાપણું, દાતાપણું, વક્તાપણું જેવા સ્તુત્ય ગુણો અને કાવ્યશક્તિ, તર્કશક્તિ, વિવેચનશક્તિ, વાચશક્તિ અને ‘સ્મર્ણશક્તિ’ એટલી શક્તિઓ ગણાવી જાય છે. પોતાની આદર્શ આરાધ્યમૂર્તિને સર્વ ગુણશક્તિસંપન્ન અપેક્ષતાં, સાથે સાથે ન બેસે તેવા ગુણો પણ પોતે ગણાવી રહ્યા છે તેની તેમને સરત ન રહી! નર્મદની કવિતાને સુરતની અને તાપીની રમણીયતાએ પ્રેરી અને પોષી એવા તેમના વિધાનને વિનાવિવાદ સ્વીકારીએ પરંતુ તેના સમર્થનમાં જ્યારે લેખક એમ કહે કે કાલિદાસની પ્રતિભા પાવાગઢની રમણીયતાથી ખીલી હતી ત્યારે તેઓ ‘What grammar and geography to the black!’ એવા તે સમયના ગોરા હાકેમોનાં મહેણાંની પાત્રતા સિદ્ધ કરી આપે છે. આ અર્ધદગ્ધ, મુગ્ધ, ઉત્સાહી નર્મદભક્ત નર્મદને ‘.... ચતુર પૃથ્વીમાં બીજો મળવો મુશ્કેલ’ એવા ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ કવિ તરીકે, ‘આર્યભૂમિનો બીજો કોહીનૂર’ તરીકે અંજલિ આપે છે.
✽
અઢાર પૃષ્ઠોનાં ‘કવિચરિત્ર’ અને ‘કવિપ્રશસ્તિ’ પછી કાશીશંકર ‘ફાર્બસવિરહ’ના કાચા અનુકરણ જેવી દલપતશૈલીની ૨૨૮ કડીની કરુણ પ્રશસ્તિ ‘નર્મદવિરહ’ આપે છે. એમને છંદો ઉપર જેટલો કાબૂ છે તેટલો ભાષા ઉપર નથી. દોહરો, ગીતિ, મનહર, કુંડલિયા, હરિગીત, મહીદીપ, લલિત, તોટક, નારાચ, ભુજંગી, માલિની, ઇન્દ્રવિજય, ઉપેન્દ્રવજ્રા, શિખરિણી, વસંતતિલકા, મંદાક્રાન્તા, શાર્દૂલવિક્રીડિત, સ્રગ્વિણી ઉપરાંત ‘રાગ દેશી’, ‘રાગ પદ’, ‘રાગ રામગ્રી’, ‘છપ્પય છંદ’ – માત્રામેળ, અક્ષરમેળ, દેશીઓ એમ અનેક પ્રકારની પદ્યરચનાના વ્યાયામ માટે તેઓ આ કૃતિમાં મોકળું મેદાન મેળવી લે છે. કાશીશંકરને નર્મદના અવસાનથી ભારે શોક, ચિત્તક્ષોભ થયો હોવા વિશે શંકા ન કરીએ. પરંતુ છ છ અર્પણપત્રિકાઓ સાથે આ ‘મહાવીર’ માટે કરુણપ્રશસ્તિ લખી તેઓ પ્રસિદ્ધિની સીડી ચડવા તાકે છે તે પણ એટલું જ સ્પષ્ટ છે. કવિ વીર પુરુષ હતા, મણિ હતા, મહા મણિ હતા; આર્ય ભાવનાને, દેશને અને માનવજાતને કવિના જવાથી ભારે હાણ થઈ છે; મૃત્યુ કેટલું ક્રૂર છે, અવશ્યંભાવિ છે, આવા વીર પુરુષને પણ ન છોડયા એવા એકવિધ ઊર્મિઉછાળાઓ આ રચનામાં આવ્યા કરે છે. કાવ્યના એકછંદાનુસારી ખંડમાં જે કહ્યું હેાય તેનાથી જુદું, બીજા છંદના ખંડમાં તેમને ભાગ્યે જ કશું કહેવાનું છે. સમગ્ર રચનામાં કલ્પનાદારિદ્ર્ય છે. ઔચિત્યગુણે પણ તે ઊણું છે. જેને વીર, સુવીર, મહાવીર કહી બિરદાવ્યો હોય તે, સમસ્ત દેશ અને આર્યજનોના આદર્શને ‘બિચારો’ વિશેષણે અને ‘નાઠો’ ક્રિયાપદે નવાજવામાં કયો ભાવોદ્રેક હશે? –જતો રહ્યો પંડ કવી બિચારો. (૮૭) –ગયો નર્મ નાઠો મુકી નિજ લાશ. (૪૯) રુગ્ણ મન, ધૂંધળું માનસ અને કૃત્રિમ સંવેદનનું આ પરિણામ છે. નર્મદ ‘નાઠો’ ‘નાસી ગયો’ના અર્થની તો ઓછામાં ઓછી એક ડઝન પંક્તિઓ મળશે. કવિએ એવું કયું પાપ કર્યું, ગુનો કર્યો જેની તેણે મૃત્યુની માફી માંગવાની હોય? આ પંક્તિ જુઓ;
કાળ શું નર્મદ છોડી દિધો નહીં,
માફી ન એટલી તેં ક્યમ આપી ? (૧૯૯)
અલંકારોમાં કલ્પનાદારિદ્ર્ય પણ ભારોભાર છે.
૧. દુઃખની દાળ વિશે ઉભરાણ થયું,
જન આ અવધી અવધી રે. (૬૦)
૨. જ્યમ ચંદ્ર ચકોરતણી પ્રિતડી, જ્યમ તાંદુલ દાલતણી ખિચડી;
જ્યમ કાવ્યકળા થકી ખુશ થતો, ત્યમ નર્મદ ગુર્જર મિત્ર હતો.
લેખક સ્વયંપાકી હશે? અન્યથા આવાં રૂપકો અને દૃષ્ટાંતો તેમને કલમવગાં બન્યાં હશે? આ બ્રાહ્મણ લેખક પેટલાદની ગંદી ગલીઓમાં જમવા બેસતી બ્રાહ્મણોની ન્યાતના આભડછેટના આચારને પણ નર્મદના મરણને કારણે શોકનિમિત્તક જણાવી ભદ્દો તુક્કો લડાવે છે.
ન્યાત જમવાને બેઠી જુઓ આ બ્રાહ્મણ તણી,
ઉદાસી જુઓ ન્યાતમાં ભરેલ છે.
નરમદ ગયે જો કે ચાર માસ વીતી ગયા,
તો એ અભડાશો એવો શબ્દ ઉચરેલ છે;
શોક હજી છોડે નહીં, ઉદાસી અધિક રાખી,
આસન કર્યાં જો પાસે ગંદકીની રેલ છે;
આવી શોકવાળી ન્યાત ખરે મેં તો આજ દીઠી. (૨૦૫)
વૃત્તિમય ભાવાભાસ આ સમયની કરુણ-પ્રશસ્તિઓનું એક નોંધપાત્ર લક્ષણ છે. કાશીશંકરે તરંગ બુટ્ટાઓ લડાવીને આ યુક્તિની અનેક ગદ્યાળુ પંક્તિઓ રચી છે. લેખકને કસરતનો પણ શોખ હશે, અન્યથા આ તંરગ ન સૂઝે—
કસરત કલમ તણી કરી, પીલ્યા કાગળ દંડ;
રજનિ દિવસ મંડ્યો રહ્યો, ચઢાવીયો જય ઝંડ. (૨૨૬)
કરુણપ્રશસ્તિમાં અશ્રુ સાથે તત્ત્વજ્ઞાનનો સ્પર્શ હોય. શામળ શૈલીના આ છપ્પામાં લેખક મરણની અનિવાર્યતા વર્ણવી આભાસી તત્ત્વબોધથી આંસુ લૂછવાનું કરે છે :
મરણ નહીં મૂકનાર, સાત પાતાળે પેસો;
મરણ નહીં મૂકનાર, દેવ ડેરામાં બેસો;
મરણ નહીં મૂકનાર, દાદ કરવાથી ઝાઝી;
મરણ નહીં મૂકનાર, કાળ છે જીવનો પાજી;
જન મરણ કદી નવ મૂકશે, આર્યજનો મર જાણજો;
કવિ નર્મદ એમ ગયો હશે, દીલાસો મન આણજો. (૧૮૭)
કેટલીક પંક્તિઓમાં ઉપમાનો ચમકારો મળે છે :
જ્યમ કર્ણ અર્જુન રામ રાવણ યુદ્ધમાં શુરવીર તે;
ત્યમ નર્મ કોથી ડર્યો નહી, જગમાં હતો ભડ ધીર તે. (૧૪૦)
લક્ષ ધર્યું શુભ કાજમાં, આર્યવીર શુરવીર;
શંખ ચક્રનો ધારતો, કૃષ્ણ સમો ભડવીર. (૨૨૫)
નર્મદનાં નામને અને કામને ઉજાળવા અને તેનું ધ્યેય સિદ્ધ કરવા લેખક સ્થળે સ્થળે ઉદ્બોધન કરે છે. સર્વત્ર ધ્વનિ તો એક જ સરખો છે :
નર્મદ નામ ઘરો હવે, આર્યજનો નિજ યાદ;
દેશ કાજ ઉઠો હવે, હક માગો દઈ દાદ. (૧૪૮)
દાદ સરળ સુણશે ખરે, શાણી આ સરકાર;
સ્વતંત્રતા ઝટ પામશો ભરતવાસી નરનાર. (૧૪૯)
૦૦૦
હુનર કળા શુર લાવીને, કરવો ઉદ્યમ જંગ;
આર્ય ભૂમિનો ઝટ થશે, ઝળક ઝળક નિજરંગ. (૧૫૪)
આર્ય કાર્ય કરવાં સહુ, શૂર ઉદ્યમની સાથ;
જય કરનો છે જગતમાં, જય જય કવિનો હાથ. (૧૫૫)
નર્મદની જ વાણીનો પડઘો આ પંક્તિઓમાં પડ્યો છે. કાશીશંકરની પદ્યરચનાની કુશળતા એટલે અંશે ધ્યાનાર્હ છે. કવિના અવસાન પછી તરત રચાયેલી અને પ્રગટ થયેલી કરુણપ્રશસ્તિ લેખે આ રચના નોંધપાત્ર છે. નર્મદની હયાતીમાં તેને વિશે ‘મિથ’ ઊભી થવા માંડી હતી તેનું પ્રતિબિંબ ‘કવિચરિત્ર’માં છે. વીર અને પ્રેમીની કૌતુકરાગિતા આવી ‘મિથ’ ઊભી કરે છે. નર્મદ આજે પણ કૌતુકરંગી કુતૂહલનો વિષય રહ્યો છે તે સંદર્ભમાં અને નર્મદ વિશે તેના જમાનામાં પણ કેવો મુગ્ધ પ્રેમ પ્રવર્તતો હતો તેના સંબંધે પણ આ રચનાનું મહત્ત્વ છે. કરુણપ્રશસ્તિઓનાં સંશેાધનમાં, ‘ફાર્બસવિરહ’ની સાથે ‘નર્મદવિરહ’ (કાશીશંકર દવેની રચના તેમ કાનજી ધર્મસિંહ ખંભાળિયાકરની રચના), ‘નવલ વિરહ’ (ભગવાનલાલ ડુંગરશી પાઠક), ‘મહાબત વિરહ’ (રૂપશંકર ઓઝા) જેવી નબળી રચનાઓ પણ ઉલ્લેખપાત્ર તો છે જ.
રાજકોટ : ૫-૭-’૮૩
ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન વાર્ષિક
અંક ૨૮, ૧૮૮૪-૮૫, માર્ચ ૧૯૮૫
પાદટીપ
- ↑ ૧. ‘નર્મદનું મંદિર’ (ગદ્ય વિભાગ) ગ્રંથસૂચિ :
(૧) ગુજરાત શાળાપત્ર, માર્ચ ૧૮૮૬ : ‘કવિ નર્મદાશંકરનું ખેદકારક મૃત્યુ’ નવલરામ.
(૨) ગુજ. શાળાપત્ર, પુ. ૨૫, પૃ. ૮૨–૪ : ‘નર્મદવિરહ’ : કાનજી ધર્મસિંહ.
(૩) ‘વિજ્ઞાન વિલાસ’ : પુ. ૧૦, પૃ. ૭૪–૯, ‘કવિ નર્મદાશંકરનું મરણ’.
(૪) નર્મદવિરહ : કાશીશંકર મૂળશંકર દવે (૧૮૮૬). - ↑ ૨. તા. ૨૪-૨-૮૩ ના ‘ગુજરાતમિત્ર’માં ચર્ચાપત્ર લખી શ્રી ચન્દ્રવદન મહેતાએ આ ‘કરુણપ્રશસ્તિ’ પ્રત્યે લોકોનું ધ્યાન દોરી નર્મદની સાર્ધ જન્મ-શતાબ્દીએ તેનું પુનર્મુદ્રણ કરવા અનુરોધ કર્યો હતો.
- ↑ ૩. આ કાશીશંકર તે ‘જે જે અંબા શક્તિ તું સાચી...’ એ પદની પાદટીપમાં નોંધાયેલો કવિનો ‘પટલાદી નાતીલો’ તો નહિ હોય? કવિ નોંધે છે : ‘એક મારો પટલાદી નાતીલો કોઈએ મુઠ મારી છ એવા વ્હેમથી માંદો પડ્યો હતો. તે માતાનો ભક્ત હતો તેથી એ શ્લોકો લખી આપીને કહ્યું કે એનો પાઠ કર્યા કરજે–એ કવચથી તું સારો થઇશ. પછી તેણે તેમ કીધું હતું ને તે સારો થયો હતો.’ (નર્મકવિતા : આ. ૧૮૮૮, પૃ. ૬૦૫)
- ↑ ૪. પુસ્તકમાં મુદ્રિત પ્રત સંખ્યા ‘૧/૨ M’ લખી છે. જેનો અર્થ શ્રી ચન્દ્રવદન મહેતાએ ‘અરધો લાખ’ કર્યો હતો. તેમનું ચર્ચાપત્ર વાંચી નવસારીના એક પારસી સજ્જને તેનો અર્થ ‘પાંચસો’ એવી સ્પષ્ટતા કરી હતી. ‘M’ એ હજાર માટેનો રોમન લિપિ સંકેત છે.
- ↑ ૫. ‘જતો રહ્યો પંડ બિચારો.’ કડી ૭.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.