ગુજરાતી બાળવાર્તા સંપદા/કૃતિ-પરિચય

Revision as of 19:51, 14 July 2026 by Shnehrashmi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કૃતિ-પરિચય

ગુજરાતી બાળવાર્તા સંપદા

ગુજરાતી બાળકેળવણી અને બાળસાહિત્યની દશા અને દિશા બદલનાર, ‘મૂછાળી મા’ તરીકે પ્રતિષ્ઠિત ગિજુભાઈ બધેકાએ લોકપ્રચલિત કથાઓનું બાલભોગ્ય ભાષામાં રૂપાંતર કર્યું. તેમનાથી શરૂ થયેલા શુદ્ધ બાળસાહિત્યથી આજ સુધી થયેલા બાળવાર્તાકારોની વાર્તાઓમાંથી પસંદ કરેલી વાર્તાઓ પ્રસ્તુત સંપાદનમાં મૂકી છે. વિષયવૈવિધ્ય અને રસવૈવિધ્ય ધરાવતી આ બાળવાર્તાઓ ગુજરાતી બાળવાર્તાસાહિત્યનું એક મનોહર, રમણીય ચિત્ર રજૂ કરે છે. અહીં કથાનકની બાલભોગ્યતા, ભાષા અને મૂલ્યશિક્ષણ વગેરેને ધ્યાનમાં રાખી વાર્તાઓ પસંદ કરી છે. આ સંગ્રહ ગુજરાતી બાળવાર્તાના ઇતિહાસનો આછોપાતળો ખ્યાલ આપે છે. વડીલો પોતાની માતૃભાષાની આ મૂડીને આગળની પેઢી સુધી પહોંચાડી શકશે. આ વાર્તાઓ વાંચતાં તેઓ પોતાની બાલ્યાવસ્થામાં વિહરશે અને એ વાર્તાઓ સંભળાવી ત્રીજી પેઢીના બાળકોને પણ પ્રસન્ન કરશે. એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત આ ‘ગુજરાતી બાળવાર્તા સંપદા’ની વાર્તાઓ આપને, આપના કુટુંબીજનોને અને ખાસ કરીને ઊગતી પેઢીને આનંદ આપશે અને જીવનનું મૂલ્ય સમજાવશે એ અપેક્ષા અસ્થાને નથી.

તા. ૨૨-૧૦-૨૦૨૫
– શ્રદ્ધા ત્રિવેદી