સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ગિરિતળાટી ને કુંડ દામોદર
નરસિંહ
ગિરિ તળાટી ને કુંડ દામોદર, ત્યાં મહેતાજી નહાવા જાય;
ઢેડ વરણમાં દૃઢ હરિભક્તિ, તે પ્રેમ ધરીને લાગ્યા પાય. ગિરિ૦
કર જોડીને પ્રાર્થના કીધી, વિનતિ તણાં બહુ વદ્યા રે વચન;
મહંત પુરુષ અમારી અરજ એટલી, અમારે આંગણે કરો રે કીરતન. ગિરિ૦
પ્રેમ પદારથ અમો પામીએ, વામીએ જન્મ મરણ જંજાળ;
કર જોડતામાં કરુણા ઊપજી, મહેતાજી વૈષ્ણવ પરમ દયાળ. ગિરિ૦
પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વર, સમદૃષ્ટિને સર્વ સમાન;
ગૌમૂત્ર તુલસી વૃક્ષ કરી લીંપજો, એવું વૈષ્ણવે આપ્યું વાક્દાન. ગિરિ૦
મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો ઓચ્છવ;
ભોર થયા લગી ભજન કીધું, સંતોષ પામ્યા સહુ વૈષ્ણવ. ગિરિ૦
ઘેર પધાર્યા હરિજશ ગાતા, વાતા તાળ ને શંખ મૃદંગ;
હસી હસી નાગર તાળીઓ લે છે, આ શા રે બ્રાહ્મણના ઢંગ! ગિરિ૦
મૌન ગ્રહીને મહેતાજી ચાલ્યા, અધવધરાને શો ઉત્તર દેઉં?
જાગ્યા લોક, નરનારી પૂછે : મહેતાજી તમે એવા શું? ગિરિ૦
નાત ન જાણો ને જાત ન જાણો, ન જાણો કંઈ વિવેક વિચાર;
કર જોડીને કહે નરસૈંયો, વૈષ્ણવ તણો મને છે આધાર. ગિરિ૦