સાહિત્ય પલ્લવ – ભાગ ૩/એવા રે અમો એવા

૬. એવા રે અમો એવા

નરસિંહ

એવા રે અમો એવા રે એવા, તમે કહો છો વળી તેવા રે;

ભક્તિ કરતાં જે ભ્રષ્ટ કહેશો, તો કરશું દામોદરની સેવા રે.
એવા૦


જેનું મન જે સાથે બંધાણું, પહેલું હતું ઘર રાતું રે;

હવે થયું છે હરિરસ માતું, ઘેર ઘેર હીંડે છે ગાતું રે.
એવા૦


સઘળા સાથમાં હું એક ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે;

તમારે મન માને તે કહેજો, સ્નેહ લાગ્યો છે મને ઊંડો રે.
એવા૦


કર્મ ધર્મની વાત છે જેટલી તે મુજને નવ ભાવે રે;

સઘળા પદારથ જે થકી પામે મારા પ્રભુની તોલે નાવે રે.
એવા૦


હળવાં કર્મનો હું નરસૈંયો, મુજને તો વૈષ્ણવ વહાલા રે;

હરિજનથી જે અંતર ગણશે તેના ફોગટ ફેરા ઠાલા રે.
એવા૦