સાહિત્ય પલ્લવ – ભાગ ૩/એવા રે અમો એવા

૬. એવા રે અમો એવા

નરસિંહ

એવા રે અમો એવા રે એવા, તમે કહો છો વળી તેવા રે;
ભક્તિ કરતાં જે ભ્રષ્ટ કહેશો, તો કરશું દામોદરની સેવા રે. એવા૦
જેનું મન જે સાથે બંધાણું, પહેલું હતું ઘર રાતું રે;
હવે થયું છે હરિરસ માતું, ઘેર ઘેર હીંડે છે ગાતું રે. એવા૦
સઘળા સાથમાં હું એક ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે;
તમારે મન માને તે કહેજો, સ્નેહ લાગ્યો છે મને ઊંડો રે. એવા૦
કર્મ ધર્મની વાત છે જેટલી તે મુજને નવ ભાવે રે;
સઘળા પદારથ જે થકી પામે મારા પ્રભુની તોલે નાવે રે. એવા૦
હળવાં કર્મનો હું નરસૈંયો, મુજને તો વૈષ્ણવ વહાલા રે;
હરિજનથી જે અંતર ગણશે તેના ફોગટ ફેરા ઠાલા રે. એવા૦