અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સંપાદકીય - મધુસૂદન કાપડિયા

From Ekatra Wiki
Revision as of 11:41, 24 August 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search
પ્રસ્તાવના

મધુસૂદન કાપડિયા


સુધારકયુગ

મધ્યકાળનો સાહિત્યપ્રવાસ ખેડીને અર્વાચીનયુગમાં પ્રવેશીએ છીએ, ત્યારે સરિતાનો પટ તજીને ઘૂઘવતા મહાસાગરમાં એકાએક આવી પડ્યા હોઈએ એવો ભાસ થાય છે. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જેને અર્વાચીનયુગ તરીકે આપણે ઓળખીએ છીએ તેનો આરંભ ગુજરાત ઉપર અંગ્રેજ સત્તા પૂર્ણપણે સ્થપાઈ ત્યારથી એટલે કે ઈ.સ. 1818થી ગણવાની લગભગ સર્વસંમત પરંપરા છે. સાહિત્યના ઇતિહાસમાં દયારામને મધ્યયુગનો છેલ્લો કવિ કહેવામાં આવે છે તે એણે સરજેલા સાહિત્યનો ભાવસંદર્ભ ખ્યાલમાં રાખીને. ખરેખર તો ઈ.સ. 1852માં જ્યારે દયારામનું અવસાન થયું ત્યારે અંગ્રેજી શાસન ગુજરાતમાં સ્થપાયાને 34 વર્ષ થઈ ચૂક્યાં હતાં, અર્વાચીન સાહિત્યના બે પ્રણેતાઓ પૈકી દલપતરામનું વય 32 વર્ષનું અને નર્મદનું 18 વર્ષનું થઈ ચૂક્યું હતું અને અર્વાચીનતાનાં અનેક લક્ષણો — નવી ઢબની શાળાઓ, મુદ્રણયંત્ર, વર્તમાનપત્ર, રેલવે, ટેલિગ્રાફ આદિનો પગપેસારો ભારતીય જીવનમાં થઈ ચૂક્યો હતો. અર્વાચીનતાનું નિદર્શક એવું પહેલું કાવ્ય દલપતરામચરિત ‘બાપાની પીંપર’ને અવતર્યાને સાત વર્ષ પૂરાં થયાં હતાં અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને સ્થપાયાને ચાર વર્ષ થઈ ગયાં હતાં અને મુંબઈ યુનિવર્સિટીને સ્થપાવાને પણ પાંચ જ વર્ષની વાર હતી. યુગને મનોભાવોથી ઓળખવો કે કાલક્રમથી, તેની ભાંજગડ હંમેશાં રહેવાની પણ આથમવા આવેલા અને નવા અવતરેલા યુગની સહોપસ્થિતિ ઇતિહાસના પ્રત્યેક વળાંકે પરખાવાની. આની ચર્ચાચર્ચી અતુલભાઈ ને મારી વચ્ચે ખાસ્સી ચાલેલી પણ છેવટે અતુલભાઈનો આગ્રહ જ સાચો છે એમ સ્વીકારીને ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા’ને કાલાનુક્રમે જ ગોઠવી છે અને છતાં ‘કાવ્યસંપદા’ના પેટાશીર્ષક ‘નર્મદથી સિતાંશુ’માં કાલાનુક્રમ નહીં પણ બન્ને યુગપ્રવર્તકોને સ્થાન આપ્યું છે. જેને આપણે અર્વાચીનયુગ કહીએ છીએ તેનો પ્રારંભ અંગ્રેજોના ગુજરાત પરના વર્ચસ્વથી ગણવાનું કારણ એ છે કે ઇતિહાસનો એ પ્રચંડ વળાંક હતો – બે અત્યંત ભિન્ન સંસ્કૃતિઓનું એ એક મહત્ત્વનું સંગમબિન્દુ હતું, જેમાંથી અનેક પરિવર્તનોનાં દ્વાર ખૂલ્યાં હતાં અને પૂર્વ અને પશ્ચિમના પ્રવાહો એકબીજામાં ભળીને એક ત્રીજો જ પ્રવાહ વહેવા માંડ્યો હતો. ‘સરસ્વતીચંદ્ર’કારની વેધક ઇતિહાસદૃષ્ટિએ પ્રાચીન ભારતીય સંસ્કૃતિનો પ્રવાહ, પશ્ચિમી સંસ્કૃતિનો પ્રવાહ અને બન્નેના સંગમમાંથી વહેતો થયેલો અર્વાચીન ભારતીય સંસ્કૃતિનો પ્રવાહ બરાબર પારખી લીધો હતો. ઈ.સ. 1818માં પેશ્વા બાજીરાવ બીજો પદભ્રષ્ટ થવાની સાથે ગુજરાત ઉપર અંગ્રેજોની સત્તા સ્થપાઈ રહેતાં જે સાર્વત્રિક શાન્તિ પ્રસરી તે સાંસ્કૃતિક વિકાસની દૃષ્ટિએ ખૂબ ઉપકારક હતી. ઈ.સ. 1857માં અંગ્રેજ સત્તા સામે જે બળવો થયો તેમાં ગુજરાત એકંદરે તટસ્થ રહ્યું હતું. બળવો નિષ્ફળ ગયો અને અંગ્રેજોનું રાજ્ય ટકી રહ્યું, પણ સાથે કંપની સરકાર પણ ગઈ અને ભારત બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ બન્યું. મૅકોલેના આગ્રહથી અંગ્રેજી ભાષા દ્વારા માધ્યમિક અને ઉચ્ચ કેળવણી આપવી એમ નક્કી થયું. આમ, ભારતવાસીઓને કેળવણી વાટે અંગ્રેજી ભાષાનો અને એ ભાષા દ્વારા અંગ્રેજી અને પશ્ચિમી સાહિત્યનો અને તે સાહિત્ય દ્વારા પશ્ચિમી સાંસ્કૃતિક મૂલ્યો અને અભિગમોનો પરિચય થયો. આમ, 19મા શતકમાં ભારતીય જીવનમાં પરિવર્તન આણનારું મહાન પરિબળ તે અંગ્રેજી સાહિત્ય છે. ગુજરાતમાં અંગ્રેજોનું શાસન સ્થપાયા પછીનાં પહેલાં પચાસ વર્ષમાં પરિવર્તન આણનારી જે ઘટનાઓ બની તેમાંની કેટલીક લાક્ષણિક – મુખ્યત્વે સાહિત્યિક – ઘટનાઓ નોંધીએ. ઈ.સ. 1822માં ગુજરાતની સાહસિક પારસી કોમના એક નબીરાએ ‘મુમબઈ સમાચાર’ નામે અઠવાડિક કાઢવા માંડ્યું જે ઈ.સ. 1840માં દૈનિક બન્યું. મુદ્રણયંત્ર અને વર્તમાનપત્ર ઉભય પશ્ચિમી સંસ્કૃતિની દેણ હતાં. અમદાવાદમાં ઈ.સ. 1846માં ન્યાયાધીશ ઍલેક્ઝાન્ડર કિનલૉક ફૉર્બ્સની નિમણૂકનાં બે જ વર્ષમાં તેણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી. ઈ.સ. 1850માં અમદાવાદમાં ‘બુદ્ધિપ્રકાશ’ સામયિક પ્રગટ થયું. ફૉર્બ્સ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને ‘બુદ્ધિપ્રકાશ’ વિષે થોડીક વધુ માહિતી હવે પછી. ઈ.સ. 1857માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ. ઉચ્ચ વિદ્યાઓ સાથે ગુજરાતના જીવનનો યોગ કરાવવાનું તે પ્રબળ નિમિત્ત બની. આધુનિકીકરણની ઊર્જાનું એ મુખ્ય પ્રભવસ્થાન બની રહી. તેનો પ્રભાવ ગુજરાતી સાહિત્ય ઉપર કેવડો મોટો છે તે પંડિતયુગના પ્રાસ્તાવિકમાં આપણે જોઈશું. ઈ.સ. 1864માં ‘ગુજરાત શાળાપત્ર’ શરૂ થયું, જેણે જ્ઞાન માટેના પુરુષાર્થમાં વૈજ્ઞાનિક દૃષ્ટિ અને ઊંડાણ લાવવાનો ઉત્તમ પ્રયાસ કર્યો હતો. સમાજવ્યવહારોમાં, કેળવણીમાં અને સાહિત્યમાં પશ્ચિમી સંસ્કૃતિની જે અસરો પડી તેને સામટે સરવાળે ‘સંસારસુધારો’ એ નામે ઓળખવામાં આવે છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યનું એ મુખ્ય પરિબળ છે. અચાનક પશ્ચિમનું જે સાંસ્કૃતિક આક્રમણ થયું તેણે મુક્તિનાં દ્વાર ખોલી આપ્યાં. પ્રજા, નર્મદે નોંધ્યું છે તેમ, ‘બહાવરું બહાવરું જોવા લાગી’. પણ એક સૈકાની અવધમાં તો એણે પોતાની સાંસ્કૃતિક ભૂમિકાએથી આ નવતર સંસ્કૃતિનાં લક્ષણો હોંસભેર આત્મસાત્ કરવા માંડ્યાં. પરિવર્તનનું આર્થિક રૂપ મૂડીવાદ અને ઉદ્યોગવાદ હતું. દલપતરામે એને યોગ્ય રીતે ‘હુન્નરખાનની ચડાઈ’ નામ આપ્યું હતું. એનું સામાજિક રૂપ સંસારસુધારો હતો. બાળલગ્નનો વિરોધ, કન્યાકેળવણી, પરદેશગમન, ખોટી રૂઢિઓ સામે પ્રહારો, વહેમ, છૂમંતર, ટુચકા આદિને બુદ્ધિવાદનો પડકાર વગેરે એનાં બાહ્ય રૂપો હતાં. વ્યક્તિસ્વાતંત્ર્ય અને ભાવાભિવ્યક્તિની મોકળાશ એની આન્તરપ્રેરણા હતી. પરિવર્તનનું સાહિત્યિક રૂપ ખરેખરું ક્રાન્તિકારી હતું. પશ્ચિમી સાહિત્યનાં રૂપોને ગુજરાતીમાં સિદ્ધ કરવાનો પુરુષાર્થ શરૂ થયો. તેથી કાવ્યના વિષયો જ નહીં પણ સારોયે અભિગમ બદલાઈ ગયો. અભિવ્યક્તિમાં જ નવતા આવી. આપણે ત્યાં સાહિત્યનું આ પૂર્વે વિકસેલું અંગ કવિતામાં હતું તેથી સાહિત્યમાં અસર સૌથી પહેલી કવિતામાં પ્રગટ થઈ. નિબંધ, નવલકથા, ચરિત્ર, નાટક આદિ ગદ્યાશ્રિત સાહિત્યરૂપો તો નવાં જ ઉમેરાયાં. આ યુગને પોતાના વ્યક્તિત્વથી આવરી લેનાર બે કવિઓ દલપતરામ અને નર્મદ. સમયદૃષ્ટિએ અર્વાચીન કવિતામાં દલપતરામનું સ્થાન પહેલું છે. દલપતરામ પ્રાચીન અને અર્વાચીન વચ્ચેના સેતુ જેવા છે. તેમનો એક પગ પ્રાચીનકાળમાં અને બીજો અર્વાચીનકાળમાં છે. નર્મદની કવિતાના બંને પગ અર્વાચીનતામાં છે.

દલપતરામ

આપણે શરૂ કરીએ તે પહેલાં એક સ્પષ્ટતા જરૂરી છે. અહીં તેમજ પછીના યુગોના અનેક કવિઓનાં કાવ્યોનાં મૂલ્યાંકન ઉદ્દિષ્ટ નથી; માત્ર તે જ કવિઓનો અને કાવ્યોનો પ્રાસ્તાવિકોમાં ઉલ્લેખ કર્યો છે જેનું કંઈક ઐતિહાસિક દૃષ્ટિએ વિશિષ્ટ અર્પણ હોય. દલપત–ફૉર્બ્સનો યોગ કેવળ દલપતરામના વ્યક્તિજીવનમાં જ નહીં પણ ગુજરાતી સમાજ અને ગુજરાતી સાહિત્ય માટે પણ પૂર્વ-પશ્ચિમના સમન્વયનું મહાન પરિબળ બની રહ્યો. દલપતરામને નર્મદની જેમ અંગ્રેજી શિક્ષણ મળ્યું નહોતું પણ દલપત–ફૉર્બ્સ મૈત્રીએ દલપતરામને માટે અંગ્રેજીની નહીં તો પશ્ચિમી મૂલ્યોની સમજની ખોટ ખપજોગી પૂરી પાડી. અમદાવાદ આવ્યા પછી બે વર્ષમાં, ઈ.સ. 1948માં, ફૉર્બ્સને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, હાલની ગુજરાત વિદ્યાસભાની સ્થાપના કરવાનું સૂઝ્યું. સાબરમતીને કાંઠે ચાંદાસૂરજના મહેલમાં ભોળાનાથ સારાભાઈ દલપતરામને લઈ આવ્યા તે દિવસથી ગુજરાતની અર્વાચીનતાનાં પગરણ મંડાયાં. ફૉર્બ્સના અવસાન પર્યંત બંનેની મૈત્રી ટકી રહી હતી તેની સાક્ષી ‘ફાર્બસવિલાસ’ અને ‘ફાર્બસવિરહ’ એ બંને રચનાઓ પૂરે છે. ‘કવીશ્વર દલપતરામ’માં કવિ ન્હાનાલાલે એક વિલક્ષણ વાત નોંધી છે કે દલપતરામને વ્રજ ભાષાની અભિવ્યક્તિ તાલીમથી અને મહાવરાથી એટલી બધી સહજ હતી કે કવિતા કરવા માટે તે વ્રજ ભાષાનો આશ્રય લેતા હતા. ફાર્બસે તેમને સ્વભાષાનો મહિમા સમજાવ્યો અને ગુજરાતીમાં લખવા પ્રેર્યા. ગુજરાતી ભાષાના ઉત્કર્ષમાં ફૉર્બ્સનો આ કેટલો મૂલ્યવાન ફાળો છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની પ્રવૃત્તિઓ પણ યુવાન દલપતરામે હોંસે હોંસે ઉપાડી લીધી. લાગલાગટ પચીસ વર્ષ સુધી તેમણે સોસાયટીનું સુકાન સંભાળ્યું. ઈ.સ. 1855માં સોસાયટીનું સુકાન દલપતરામે સંભાળ્યું તે પછીનાં પાંચેક વર્ષોમાં તો સોસાયટી એક સમર્થ સંસ્કારકેન્દ્ર બની શકી હતી. દલપતરામે ‘બુદ્ધિપ્રકાશ’ સંભાળી લીધું તે પછી ‘બુદ્ધિપ્રકાશ’ સોસાયટીની સંસ્કારપ્રવૃત્તિઓનું આદરણીય મુખપત્ર બની રહ્યું. સોસાયટીની ઉન્નતિમાં ‘બુદ્ધિપ્રકાશ’ દ્વારા દલપતરામે આપેલો ફાળો અનન્ય છે. ‘હોપ વાચનમાળા’ પણ દલપતરામનું મૂલ્યવાન અર્પણ છે. તેમાંનાં ઘણાં બધાં કાવ્યો દલપતરામે રચી આપેલાં. કેટલાયે પાઠોના નિર્ણયો, જોડણી અંગેના નિર્ણયો અને જીવનમૂલ્યો અંગેના નિર્ણયોનો રસિક વૃત્તાન્ત ‘કવીશ્વર દલપતરામ’માં ચરિત્રકાર ન્હાનાલાલે આપ્યો છે. કેટલો બધો પરિશ્રમ પ્રારંભની વાચનમાળા માટે ઉઠાવાયેલો તેનો પણ આમાંથી ખ્યાલ મળી રહે છે. પૂરા ચાર દાયકા સુધી ગુજરાતની નિશાળોમાં આ વાચનમાળા અભ્યાસક્રમમાં રહી તેથી તેણે પ્રજાની ભાષાનું ધાત્રીકર્મ કર્યું હતું. ‘માખીનું બચ્ચું’, ‘અટકચાળો છોકરો’, વગેરે કવિતાઓ હૃદયસ્પર્શી બની છે. દલપતરામનાં ત્રણ નવાં પ્રસ્થાનો સુન્દરમ્ કહે છે તે પ્રમાણે દલપતરામને હાથે ત્રણ નવાં પ્રસ્થાનો થાય છે: છંદ, કાવ્યના વિષયો અને કાવ્યનો આકાર. છંદ આપણે ત્યાં દલપતરામથી પિંગળનો વધુ શાસ્ત્રીય રીતે અભ્યાસ શરૂ થાય છે. એટલું જ નહિ, રામનારાયણ પાઠક કહે છે તેમ, દલપતરામે પ્રથમ વાર સ્વતંત્ર પિંગળની રચના કરી ત્યારથી ગુજરાતી કવિતાની જાણે સ્વતંત્ર પ્રાણપ્રતિષ્ઠા થઈ. ‘દલપતપિંગળ’ની ત્રીસથી વધુ આવૃત્તિઓ થઈ છે અને એક લાખથી વધુ નકલો ખપી છે. પોતાનાં કાવ્યોમાં દલપતરામે છંદોના પોતાના વિપુલ જ્ઞાનનો પુષ્કળ ઉપયોગ કર્યો છે. તેમણે લગભગ બધા જ મેળના છંદોમાં રચના કરી છે. વ્રજભાષામાં પણ ઓછા વપરાતા એવા સંસ્કૃત રૂપમેળ છંદો પણ ગુજરાતી ભાષા માટે અત્યંત અનુકૂળ છે તે તેમણે સપ્રયોગ સિદ્ધ કરી આપ્યું. વ્રજભાષાની કવિતામાં પ્રચલિત તથા શામળે જેનો વિશેષ પ્રયોગ કર્યો છે તે અક્ષરમેળ અને માત્રામેળ વૃત્તો તથા આપણા લયમેળ, ઢાળો, ગરબીઓ, વગેરેનો પણ દલપતરામે ખૂબ ઉપયોગ કર્યો છે. પણ છંદસર્વસ્વના આ પ્રદર્શનમાંથી અમુક જ છંદો તેમને વિશેષ અનુકૂળ નીવડેલા જણાય છે. રૂપમેળ જાતિમાંથી ઉપજાતિ, વર્ણમેળ જાતિમાંથી મનહર અને માત્રામેળમાંથી ઇંદ્રવિજયની હથોટી તેમને વિશેષ છે. તેમના જેટલી સહજ અને સમર્થ રીતે આટલા બધા લોકગીતોના ઢાળ તેમના પુત્ર ન્હાનાલાલ સિવાય ભાગ્યે જ કોઈ ગુજરાતી કવિએ પ્રયોજ્યા હશે. ધીરુભાઈ ઠાકરના શબ્દોમાં “‘રચ્યા છે રૂડા છંદ દલપત્તરામે’ એ પોતાને વિશે તેમણે ઉચ્ચારેલી ઉક્તિ આ દૃષ્ટિએ અક્ષરશઃ સાર્થ છે.” (ધીરુભાઈ ઠાકર, અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા, સુધારક યુગ, પૃ. 41) કાવ્યના વિષયો દલપતરામનું બીજું પ્રસ્થાન કાવ્યના વિષયને લગતું છે. દલપતકાવ્યના વિષયોની યાદી કરીએ તો તે વખતના સામાજિક જીવનની તમામ પ્રવૃત્તિઓનું તે સંપૂર્ણ કૅટલોગ બની રહે. આ વિષયબાહુલ્યનું કારણ દલપતરામનું જીવન તેમની ઉત્સાહભરી પ્રવૃત્તિના ગાળામાં ધર્માભિમુખ કરતાં લોકાભિમુખ વિશેષ રહ્યું છે તે છે. સમસ્ત લૌકિક જીવનનો જાગૃતિ માગતો પ્રત્યેક અંશ, તથા વિચારજગતના તથા ભાવનાજગતના એકેએક આગળ પડતા તત્ત્વને તેમણે કાવ્યમાં ઉદ્‌બોધ્યું છે.

શેરસટ્ટાની ગરબીઓ તે વખતની એ મહાન આફતના ઇતિહાસનું તાદૃશ આલેખનવાળું રસિક પાનું બનવા ઉપરાંત કવિના કલ્પનાવિહાર તથા ઉક્તિચાતુર્યને પણ ખૂબ સરસ અવકાશ આપે છે. ‘ગયા શિકારે શેરને શિકારના કરનાર, ત્યાં સામો શેરે કર્યો શિકારીનો શિકાર.’ નર્મદની જોડે પોતાનું સ્થાન ટકાવવા દલપતરામે છ ઋતુનાં વર્ણનો લખ્યાં છે. પ્રકૃતિવર્ણન એ આપણે માટે કંઈક નવો વિષય તેથી આ કાવ્યો કાવ્યરૂપ પામી શક્યાં નથી. વસંતવર્ણનમાં અલંકારો કંઈક વિશેષ ઔચિત્યવાળા છે તથા તેમનું અતીવ રમણીયતાવાળું જાણીતું મુક્તક એમાં છે:

અરે ન કીધાં ફુલ કેમ આંબે, કર્યા વળી કંટક શા ગુલાબે;
સુલોચનાને શિર અંધ સ્વામી, અરે વિધાતા તુજ કૃત્ય ખામી.

કાવ્યનો આકાર દલપતરામનું ત્રીજું પ્રસ્થાન કાવ્યના આકાર પરત્વેનું છે. તેમને હાથે આપણી કવિતાએ અજાણ્યે પણ કાવ્યના નવા આકારો તરફ ડગ ભર્યાં છે. પ્રાચીન કવિતાના આકારમાં મુક્તકો, ટૂંકાં પદો અને લાંબાં આખ્યાનો તથા લાંબી વાર્તાઓ આવે છે. દલપતરામે આ ચારમાંથી પહેલાં બેનો ખૂબ ઉપયોગ કર્યો છે. ત્રીજાના પ્રયોગરૂપે ‘વેનચરિત્ર’ છે. પણ આ સિવાય દલપતરામને હાથે ઘણા નવા ઘાટ અજાણ્યે પણ ઘડાઈ ગયા છે. તેમનું પહેલું ઉપલભ્ય કાવ્ય ‘બાપાની પીંપર’ લઈએ. તે નથી મુક્તક, નથી પદ, નથી આખ્યાન, નથી વાર્તા. ‘હુન્નરખાનની ચડાઈ’, ‘રાજવિદ્યાભ્યાસ’, વગેરે કવિતાનાં ભાષણો, ‘ફારબસવિરહ’, ‘ઋતુવર્ણન’, રણમલસર સ્થળોનાં વર્ણન, વગેરે એવા નવા વિષયો તેમણે લીધા છે જેને માટે તેમને એકે જૂનો આકાર કામ આવે તેમ નથી. દલપતરામની કવિતાની ખરી પ્રયોગદશા અહીં છે. નવા વિષયો તથા નવા ભાવો માટે જૂનાં રૂપો કે જૂની શૈલી પૂરતાં ન લાગતાં દલપતરામની પ્રેરણા આપોઆપ નવાં રૂપો અને નવી શૈલી તરફ વળી છે. આમાં સૌથી ઉત્તમ સ્વરૂપ દલપતરામે સિદ્ધ કર્યું હોય તો તે છે દૃષ્ટાંતકથાનું. બોધાત્મકતા તેની ગંભીર મર્યાદા છે છતાં તેમાંથી કથાનાં ઘણાં રસપ્રદ તત્ત્વો મળી આવે છે. તેમની દૃષ્ટાન્તકથાઓનો બહોળો પાત્રસમુદાય દલપતરામનું મનુષ્યસ્વભાવનું ઊંડું અવલોકન અને નિરૂપણ કરવાનું સામર્થ્ય દર્શાવે છે. ઊંટ, સિંહ, શ્વાન, શિયાળ, હંસ, કોયલ, વગેરે પ્રાણીઓ આ પાત્રસૃષ્ટિમાં વૈવિધ્ય પૂરે છે. ધીરુભાઈ તેમને અર્વાચીન ‘પંચતંત્ર’કારનું બિરુદ આપે છે. દલપતરામમાં ‘પંચતંત્ર’ના કર્તાના જેવી મનુષ્યસ્વભાવની સૂક્ષ્મ પરખ અને તીક્ષ્ણ વ્યવહારબુદ્ધિ હતી તેની પ્રતીતિ એમનાં જીવરામ ભટ્ટ, અંધેરી નગરીનો ગંડુ રાજા, લાલો બારોટ, રાજદરબારમાં ગયેલો કણબી, બેગરજુ કેશવો, શરણાઈવાળો, ભોળો ભાભો, વગેરે માનવપાત્રો તેમજ સિંહને શિકારીથી ચેતવાનું કહેવા ગયેલી બકરી, પોતાના ગર્જતા પ્રતિબિંબને જોઈ કૂવામાં પડનાર સિંહ, તેને આપઘાત કરવા પ્રેરનાર શિયાળ, ભસીને ગૌરવ લેતો કૂતરો, વાંકદેખું ઊંટ, પરસ્પર વિવાદ કરતા કાક-હંસ, માની શિખામણને અવગણીને હેરાન થનાર માખીનું બચ્ચું, વગેરે પશુપંખીનાં દૃષ્ટાન્તો કરાવે છે. એ જ રીતે તેમણે વ્યવહારજીવનમાંથી વાસ્તવિક પ્રસંગો કે દૃશ્યોનો પણ દૃષ્ટાંત લેખે વિપુલ પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. ‘ફાર્બસવિલાસ’માં પાને પાને આવી દૃષ્ટાન્તકથાઓ પડેલી છે. આ દૃષ્ટાન્તો જેમ કવિતામાં કથારસ પૂરે છે તેમ હાસ્યની છોળો ઉડાડે છે. હાસ્યકવિ તરીકે દલપતરામનું સ્થાન અર્વાચીન સાહિત્યમાં અજોડ છે. સમગ્ર ગુજરાતી સાહિત્યમાં પ્રેમાનંદ સિવાય બીજો કોઈ કવિ આ બાબતમાં તેમની બરોબરી કરી શકે તેમ નથી. ફાર્બસવિરહ

દલપતરામની આ સાચી આત્મલક્ષી કૃતિ છે. એમાં મિત્રવિરહની ઊંડી અંતર્વ્યથાને બળે કેટલાંક ચિરંતન સૌંદર્યભર્યાં મુક્તકો અને ઉદ્‌ગારો સર્જાઈ ગયાં છે. એલિજીમાં વેધક નીવડતી ઊર્મિની ઉત્કટતા ને ચિન્તનની ગહરાઈ દલપતરામે કેટલાક સોરઠામાં સુંદર રીતે ઝીલી છે.

વા’લા તારાં વેણ, સ્વપ્નામાં પણ સાંભરે;
નેહ ભરેલાં નેણ, ફરી ન દીઠા ફાર્બસ.
દિલ ન થશો દિલગીર, વે’લેરા મળશું વળી;
વદીને એવું વીર, ફરીને મળ્યો ન ફાર્બસ.

ગુજરાતી કવિતાની આ પહેલી કરુણપ્રશસ્તિ છે. લોકસાહિત્યને બાદ કરતાં, દલપતરામે જ અર્વાચીનયુગમાં અભિવ્યક્તિના સમર્થ વાહન તરીકે સોરઠાનો સૌ પ્રથમ ઉપયોગ કર્યો હતો એ પણ નોંધવું ઘટે.

નર્મદ

ગુજરાતી કવિતામાં અર્વાચીનતાનો શુદ્ધ આવિષ્કાર નર્મદથી શરૂ થાય છે. મુનશીએ યોગ્ય રીતે જ કહ્યું છે કે નર્મદ “અર્વાચીનોમાં આદ્ય” છે. નર્મદના વ્યક્તિત્વનું પહેલું અને મોટું લક્ષણ છે આત્મલક્ષિતા. નર્મદનાં પરલક્ષી કાવ્યોનું મૂળ પણ કોઈક ને કોઈક સ્વાનુભવમાં હોય છે. એટલે આખી નર્મકવિતા નર્મદના ભાવાવેગોનો, નિરાશા, આશા, ઉત્સાહ, મંદતા, વિષાદ, વગેરેનો ગુજરાતી કવિતામાં અપૂર્વ એવો એક આલેખ આપે છે. “કવિતા કહેવાનો, કવિતામાં જીવવાનો, કવિતાથી જગતને જીતવાનો, તથા કવિતાને પોતાનું જીવનસર્વસ્વ બનાવવાનો, પોતાના એકએક સંવેદનની, વિષાદ અને ઉત્સાહ, પ્રણય અને વિરાગની તેને નિકટતમ સહચરી બનાવવાનો પ્રયત્ન નર્મદ જેટલો ભાગ્યે જ અન્ય કોઈએ કર્યો હતો.” (સુન્દરમ્, અર્વાચીન કવિતા, પૃ. 30)

નર્મદે પ્રાચીન પ્રણાલિનાં કાવ્યોથી જ શરૂઆત કરી હતી અને દલપતરામની તેમજ પ્રાચીન કવિઓની સ્પર્ધામાં અનેક કાવ્યો લખ્યાં, પણ નથી એનામાં દલપતરામની સુરેખતા કે શ્લિષ્ટતા. એણે જ્ઞાન-વૈરાગ્યનાં પદો પણ લખ્યાં છે. આ વિષયમાં તેની સૌથી સારી કૃતિ ‘અનુભવલહરી’ છે. આમાં કવિએ અખાના છપ્પાની શૈલી લીધી, અને એમાં કેટલીક વાર અખા જેવી ચોટ પણ સાધી છે:

રે નર્મદ અંધારી રાત, તેને મળતી તારી જાત!
ટૂંકી લાંબી રાત જ હોય, તો પણ વ્હાણૂં વાયૂં જોય.

‘નર્મટેકરી અને તે પર કરેલા વિચારમાંના કેટલાક’ એ કાવ્યગુચ્છ તો બ.ક.ઠા.ની યે પહેલાં વિચારપ્રધાન કાવ્યનો આરંભ ગણાય. ‘સુખ’ નામના કાવ્યમાં કવિએ પોતાની સુખભાવનાને જે ચિતાર આપ્યો છે તે કવિના મનોજગતનો એક અચ્છો આલેખ છે:

કોઈ હોયે હાલે મસ્ત, કોઈ હોયે માલે મસ્ત,
કોઈ હોયે ઇશ્કે મસ્ત, સુખિયો નર્મદ ખ્યાલે મસ્ત.

સંસારસુધારાનાં કાવ્યોમાં નર્મદ દલપતરામને જીતી શકે તેમ નથી. છતાં કેટલેક સ્થળે દલપતરામ કરતાં પણ નર્મદ વધારે ચોટ સાધી જાય છે. દા.ત., શેરની મહાઆફતનાં કાવ્યો. નર્મદનાં આ કાવ્યો તે અંગત રીતે અલિપ્ત હતો તે તટસ્થતાને લીધે કે તેના સિદ્ધ રોળાવૃત્તને લીધે વિશેષ બળવાન લાગે છે. તેનાં વર્ણનોમાં ઘણી તાદૃશતા પણ આવી છે.

સહુ સપડાયાં તહાં જાય કો કોની વ્હારે?

(આ લીટી તો જાણે હરિ હર્ષદ ધ્રુવે પોતાની ‘વિકરાળ કેસરી’માં પૂરેપૂરી અપનાવી લીધેલી લાગે છે). ‘શેર’ શબ્દ પર નર્મદે કરેલો શ્લેષ પણ બળવાન છે:

બકરા જેવા છેક થયા સટ્ટાના શેરો.

આ આફતમાં સપડાયેલા પોતાના મિત્ર પર કવિએ આશ્વાસનરૂપે લખી મોકલેલું–

ધીર ધર ધીર ધર ધીર ધર સિંહ મુજ,
ધીર ધરવા થકી હીર રહેશે.

સુંદર કાવ્ય બન્યું છે.

પ્રકૃતિ, પ્રેમ અને સ્વતંત્રતાનાં કાવ્યો આ નર્મદનું સૌથી મહત્ત્વનું ઐતિહાસિક પ્રસ્થાન છે. આ ત્રણમાંથી છેલ્લા પ્રકારનાં કાવ્ય ગુજરાતીમાં પહેલી વાર નર્મદથી લખાવાં શરૂ થયાં. પરાપૂર્વથી લખાતાં આવેલાં પ્રેમ અને કુદરતનાં કાવ્યોમાંથી પ્રેમનાં કાવ્યોમાં નર્મદને હાથે આત્મલક્ષીપણું પ્રારંભાયું અને દિવસે દિવસે તે વિકસતું ગયું. પ્રકૃતિવર્ણનનાં કાવ્યોમાં નર્મદને હાથે એ પ્રગતિ થઈ કે તે પ્રબંધના સંદર્ભોમાંથી મુક્ત બનીને તથા મુખ્ય રસને પોષક આનુષંગિક ગૌણ વિષય મટી સ્વતંત્ર કાવ્યવિષય બન્યાં. પ્રકૃતિનાં કાવ્યો પ્રકૃતિનાં કાવ્યોમાં નર્મદમાં જેટલી કાંઈ કાવ્યશક્તિ હતી તે બધીનો આમાં શક્ય તેટલો નિયોગ જોવામાં આવે છે. આ કાવ્યો માટે તેને ‘ઋતુસંહાર’ અને ટોમ્સનની ‘સીઝન્સ’માંથી વિચાર સૂઝ્યા છે. ‘ઋતુવર્ણન’ના દીર્ઘ કાવ્યમાં જ્યાં તે કામશાસ્ત્રના રંગ વર્ણવવા છોડી, અલંકાર વગેરેનો મોહ દૂર કરી, નરી પ્રકૃતિના રંગો વર્ણવે છે ત્યારે તેની રચના, રા.વિ. પાઠક કહે છે તેમ, નર્યા પ્રસાદને બળે કાવ્યરૂપ લે છે. ‘…ચારુ ખીલી ચાંદની ચાર ખૂણે’ આ અર્ધી પંક્તિમાં કાવ્યત્વ ખીલી ઊઠ્યું છે. ‘વનવર્ણન’ કાવ્યમાં ચોમાસાનું વર્ણન લાક્ષણિક છે; આપણી ઋતુઓમાં વર્ષાઋતુને સૌથી સરસ કહેનાર તે જ પહેલો વિવેચક છે.

‘કબીરવડ’ને લગભગ સર્વાંગસુંદરતા ધારણ કરતું કાવ્ય કહી શકાય. વિષયની ભવ્યતાએ કવિની અતંત્ર કલ્પનાને પણ અહીં કાવ્યમાં સૌથી ગંભીર રીતે પ્રવૃત્ત કરી લાગે છે. ગુજરાતી સાહિત્યમાં અપૂર્વ કહેવાય તેવી કેટલીક ઉત્પ્રેક્ષા આમાં છે:

જટાની શોભાથી અતિશ શરમાઈ શિવ ઊઠ્યા,
જટાને સંકેલી વડ તજી ગિરીએ જઈ રહ્યા.

પ્રેમનાં કાવ્યો

નર્મદનો જીવનમંત્ર પ્રેમ-શૌર્ય હતો. એ જ બે ભાવોને તેણે કાવ્યમાં ખૂબ ગાયા છે. તેનું પ્રેમનું નિરૂપણ ઘણું સ્થૂળ છે, પણ આ પંકમાંથી ક્યાંક પંકજ જેવી પંક્તિઓ પ્રફુલ્લી ઊઠે છે–

સજન નેહ નીભાવવો ઘણો દોહ્યલો યાર,
તરવો સાગર હોડકે, સુવું શસ્ત્ર પર ધાર,
સજન નેહ ત્હાં ભેદ શો, ભેદ ત્હાં શો નેહ,
સજન નેહ શીતળ ઝરો, પણ કાચાને એહ.

એનાં આત્મલક્ષી શૃંગારનાં કાવ્યોમાં મિલનનાં કાવ્યો કરતાં વિરહનાં કાવ્યો સારાં છે.

નર્મદ આખરે જૂદાઈ જ, કહાં તે અને તૂં અરે?
…સલામ રે દિલદાર, યારની કબૂલ કરજે.

જેવી પંક્તિઓ કવિના જીવનના કેટલાક દર્દભર્યા પ્રસંગોની સાક્ષી હોવા ઉપરાંત પોતે પણ દર્દભરી બની શકી છે. તેમાં આરંભના પ્રયત્નોમાં જોવા મળતી કચાશ અને ખરબચડાપણું દેખાશે, પરંતુ એ કવિતામાં લાગણીનો લાવારસ ઊકળતો રહેતો. ગુજરાતી ભાષાને ‘લાગણી’ શબ્દની નવાજેશ કરનાર નર્મદ હતો. નર્મદનાં છૂટક પદોમાં દયારામના તળપદા મોહક લાલિત્યનું સ્મરણ કરાવે તેવી કેટલીક પંક્તિઓ ખરેખર સાનંદાશ્ચર્ય પ્રગટાવે છે, જેમ કે,

સખી, રૂઠ્યો છે આજ રસિક સામળો જો,
હશે પાતળાના પેટમાં શો આમળો જો.
સખી ખાવા ધાયે છે ચંદન ખાટલો જો,
નથી કો દિ રિસાયો તે સુંદર આટલો જો.

સ્વતંત્રતાનાં કાવ્યો

નર્મદની કવિતાનો ઉત્તમાંશ છે તેનાં સ્વતંત્રતાનાં કાવ્યો. આ વિષયનાં કાવ્યો લખતાં નર્મદમાં બે ભાવો એકીસાથે કામ કરે છે: કવિ તરીકેનો અને સેનાની તરીકેનો. તેનો કવિભાવ તેને મહાકાવ્યોના પ્રયત્ન તરફ ઘસડી જાય છે, સેનાનીભાવ તેને કેટલાંક જોરદાર પદો–ગીતો તરફ. વીરરસનું ‘એપિક’ મહાકાવ્ય રચવાના કોડ સેવનાર તરીકે નર્મદનું સ્થાન અર્વાચીન કવિતામાં પ્રથમ રહેશે. એ માટેના તેના ઉછાળા પણ ઓછા નથી. પણ આ નર્મદની શક્તિની બહારનો વિષય છે. ‘હિંદુઓની પડતી’ નર્મદનું સૌથી મોટું, લગભગ 1500 જેટલી પંક્તિનું એક સળંગ રોળાવૃત્તમાં લખાયેલું કાવ્ય છે. તેના મહાકાવ્યના કોડ આમાં થોડાઘણા છતાં પ્રશસ્યરૂપે મૂર્ત થઈ શક્યા છે. નર્મદનાં આ વિષયનાં છૂટક કાવ્યો પણ ઘણાં મહત્ત્વનાં છે. કેટલાંક કવિની પ્રકૃતિમાં રહેલા શૌર્યના ઉન્નત આવેગના સાક્ષીરૂપે મહત્ત્વનાં છે, તો કેટલાંક આ વિષયનાં ઉત્તમ ઊર્મિકાવ્યો તરીકે મહત્ત્વનાં છે. કેટલાકના ઉપાડમાં બળ છે. ‘ઘાયલ જંગી હો’, ‘રંગડ ઊંચા હો’. ધિઃક ધિઃક દાસપણૂં દાસપણૂં, બળ્યું તમારું શાણપણૂં … ઝટ ડોળિ નાખો રે મનજળ થંભ થયેલું. આ છેલ્લી પંક્તિ તો નર્મદે નહિ પણ બળવંતરાય ઠાકોરે લખી હોય તેવી અર્વાચીનતાની ટોચ છે. આ બધી ગેય રચનાઓમાં ‘શંખનાદ સંભળાયે ભૈયા’ અને ‘ફરી જોબનિયું આપે’ આજે પણ તાજી અને આસ્વાદ્ય લાગે છે. આપણે ખાસ નોંધવું જોઈએ કે ‘દેશાભિમાન’ શબ્દ નર્મદે આપ્યો છે.

દેશમાં થયેલા જાગૃતિનાં પગરણને કવિ પોતાની અસ્મિતાને સાંકળી લઈ કહે છે:

વહેમ-જવનની સાથ સુધારાદિત્ય લડે છે ભરતખંડમાં જુદ્ધ,
કહું ચોમેર મચે છે.
વહેમી બહુ ગુજરાત, તહાં સુધારાપક્ષી સેનાનીમાં એક
કવિ નર્મદ છે લક્ષી.

આ સુધારાલક્ષી કડખેદ ફરી એક વાર નજીક નજર કરીને યથાર્થ રીતે જ કહેવા લાગે છે:

નથી સેન તૈયાર એક પણ વાતે હમણાં, નથી પ્રેમ ને નેમ,
શૌર્યનાં તો છે સમણાં.

‘શૌર્યનાં તો છે સમણાં’ નર્મદમાં આવી સુરેખ પંક્તિઓ કેટલી! પણ જે છે તેમાં આ સારવી લેવા જેવી છે. આ દેશાભિમાનનાં ગીતોમાં નર્મદનો સૌથી ઉત્તમ કાવ્યગુચ્છ ગુજરાતને લગતાં કાવ્યોનો છે. ‘જય જય ગરવી ગુજરાત’ તો જાણીતું છે પણ ‘કોની કોની છે ગુજરાત’ તથા ‘આપણે ગુજરાતી’ એ કાવ્યો હજી વધારે જાણીતાં થવાને યોગ્ય છે. ગુજરાતની અસ્મિતાનો પહેલો કાવ્યમય ઉદ્‌ગાર અહીં થયેલો છે. “આ ગુચ્છમાં તેમજ નર્મદના તમામ કૃતિસમૂહમાં કાવ્યબળે પ્રથમ આવી જાય તેવું કાવ્ય ‘સૂરત’ છે. આખું કાવ્ય, કેટલાક અપવાદ જેવા શબ્દો કે ઉક્તિઓ બાદ કરતાં, ભાવની તથા કળાની એકસરખી ઊંચાઈ પર ટકી રહે છે. આ ઘાયલ ભૂમિનું સ્તવન કરતું કાવ્ય ગુજરાતી કવિતામાં એક ઉત્તમ ઊર્મિક છે.” (સુન્દરમ્, અર્વાચીન કવિતા, પૃ. 48) તેમાંની આ પંક્તિઓ ગુજરાતી કવિતાનો એક અપૂર્વ ભાવનામય ઉદ્‌ગાર છે:

તાપી દક્ષિણ તટ, સુરત મુજ ઘાયલ ભૂમી,
મને ઘણું અભિમાન, ભોંય તારી મેં ચૂમી.

=== નવલરામ ===

નવલરામની સાહિત્યપ્રવૃત્તિમાં કવિતાનું સ્થાન ગૌણ છે. તેમણે બહુ થોડાં કાવ્યો લખ્યાં છે. તેમાં પણ થોડાંક સુંદર કાવ્યો જરૂર છે. તત્કાલીન કવિઓની જેમ કજોડાનાં કાવ્યોમાં કરુણ કરતાં હાસ્યનો વિભાવ જ વિશેષ બન્યો છે. પ્રકૃતિનાં કોમળ તેમજ પ્રાસાદિક કાવ્યો પણ એમની પાસેથી મળ્યાં છે. છતાં કાવ્યક્ષેત્રે જેને નવપ્રસ્થાન કહીએ કે ઐતિહાસિક અર્પણ કહીએ તેવું નવલરામની કવિતામાં જોવા નથી મળતું. છતાં નવલરામનો અહીં સમાવેશ શા માટે કર્યો છે? નવલરામે પોતાની કવિતાથી નહિ તેટલો કાવ્યવિવેચનાથી ગુજરાતી કવિતાના ઘડતર અને વિકાસમાં ફાળો આપ્યો છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઊગમકાળે જેમ નર્મદ–દલપત જેવા સર્જકો મળ્યા તેમ નવલરામ જેવા વિચારક અને વિવેચક મળ્યા એ એનું સદ્‌ભાગ્ય ગણાય. આત્મનિરીક્ષણ કરવાની એમની ટેવે જાણે એમને એમનું જીવનકાર્ય નક્કી કરી આપ્યું છે. એટલે જ તેઓ ગુજરાતી કવિતાસાહિત્યની નવી ‘સ્કૂલ’ના સર્જનના પ્રથમ વિવેચક થવાની અભિલાષા ને મહત્ત્વાકાંક્ષા નર્મદ ઉપરના એક પત્રમાં પ્રકટ કરે છે. તેઓ લખે છે : “I am very ambitious to have the merit of being the critic who first perceived its existence and beauties.” (સ્વ. સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવનવૃત્તાંત અને કવિજીવન, સં. ડૉ. રમણલાલ જોશી, પૃ. 10) ઈ.સ. 1870ની સાલમાં નવલરામની નિમણૂક અમદાવાદની ટ્રેનિંગ કૉલેજના વાઇસ પ્રિન્સિપાલ તરીકે થાય છે. કૉલેજના પ્રિન્સિપાલ અને ‘ગુજરાત શાળાપત્ર’નું તંત્રીપદ સંભાળનાર મહીપતરામ એમને શાળાપત્ર તંત્રીપદ સોંપે છે. પત્ર માટે શિક્ષણ અને સાહિત્ય વિશે વધુ અને નિયમિત લખવાનું હવે પ્રાપ્ત થતાં એમની અભ્યાસ અને લેખનની પ્રવૃત્તિ વેગીલી બને છે. નવલરામ સુધારાના એ યુગના અગ્રણી વિચારક, પ્રજાહિતચિંતક, સમાજ, રાજ્ય, ધર્મ આદિ વિષયોના ઊંડા અભ્યાસી ને ગુજરાતી ભાષાસાહિત્યના વિકાસ માટે સર્વાંગી પ્રયાસ કરનાર પ્રબળ સંસ્કારનેતા હતા. ગુજરાતના તો એ કાળે શિક્ષણના, સાહિત્યના ને વિદ્વત્તાના ક્ષેત્રમાં સમર્થ જ્યોતિર્ધર હતા, નર્મદે ગરવી ગુજરાત માટે ભાખેલા અરુણ પ્રભાતના તેઓ વૈતાલિક હતા. નવલરામ પહેલાં નર્મદે કાવ્યવિવેચનનો આરંભ કરેલો પણ આપણા પ્રથમ વિવેચક તો નવલરામ જ ગણાય. વિવેચનમાં જે તટસ્થતા, ખંત, અભ્યાસ ને તલાવગાહી પર્યેષક ને પારદર્શક દૃષ્ટિ જોઈએ તે નવલરામમાં છે. અમુક મર્યાદાઓ છતાં નવલરામથી ગુજરાતીમાં સમકાલીન સાહિત્યનું વિવેચન શરૂ થયું જે કવિતાના વિકાસ માટે એક મોટું પરિબળ બની રહ્યું.

બહેરામજી મેરવાનજી મલબારી

પારસીઓનું ગુજરાતી સાહિત્યને મૂલ્યવાન અર્પણ છે. મલબારીએ ખબરદારની વર્ષો પૂર્વે શુદ્ધ ગુજરાતીમાં ઉમદા કાવ્યો આપ્યાં છે. તેમની ભાષામાં શુદ્ધ ગુજરાતીની અસાધારણ પ્રૌઢી છે. મલબારીની સારામાં સારી તથા જાણીતી બનેલી કૃતિઓ તેમના કાવ્યસંગ્રહ ‘સંસારિકા’માં છે. દેશપ્રીતિનાં સુંદર કાવ્યો નર્મદ પછી પહેલી વાર અહીં મળે છે. મલબારીનું પ્રસ્થાન ઘણી રીતે મહત્ત્વનું છે. ઐતિહાસિક દૃષ્ટિના સામાજિક અને આર્થિક અન્યાયો સામે પહેલી વાર અહીં કવિતામાં આવેશ સાથે કહેવામાં આવે છે. ‘સગાં દીઠાં મેં શાહઆલમનાં ભીખ માગતાં શેરીએ’ની શ્લોકાન્તવાળી ‘ઇતિહાસની આરસી’ તેમનું ખૂબ જાણીતું અને કલાત્મક કાવ્ય છે.

મલબારીએ માત્ર એક જ કાવ્ય લખ્યું હોત તો પણ તે ગુજરાતી કાવ્યસાહિત્યમાં અમરત્વના અધિકારી બન્યા હોત. તે કાવ્ય છે ‘સુણ ગરવી ગુજરાત’. ગુજરાત વિશે અનેક કાવ્યો લખાયાં છે. નર્મદનું ‘જય જય ગરવી ગુજરાત’, ન્હાનાલાલનું ‘ધન્ય હે ધન્ય જ પુણ્યપ્રદેશ, અમારો ગુણિયલ ગુર્જર દેશ’, ખબરદારનું ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’, ઉમાશંકરનું ‘મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે’ – ઉમાશંકરે તો ‘ગુજરાત-સ્તવન’નાં બીજાં કાવ્યો પણ લખ્યાં છે – આ સૌ ગુજરાતવિષયક કાવ્યોમાં મલબારી વિશિષ્ટ છે તે ‘સુણ ગરવી ગુજરાત’ની સહૃદયતાના ધબકારથી. કૃતજ્ઞતાથી છલોછલ હૃદયે કવિ કહે છે કે મા, તારું લહેણું જ એવડું મોટું છે કે એક નહિ પણ સો જન્મારા એના પર કુરબાન છે :

અર્પિ દઉં સો જન્મ એવડું, મા, તુજ લ્હેણું.

***

પંડિતયુગ

પંડિતયુગની કવિતાને ઘડનારાં બળોમાં મુખ્ય બળ યુનિવર્સિટીની કેળવણી છે. એ કેળવણીમાંથી પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે જે અભ્યાસશીલ વૃત્તિ આપણા નવયુવાનોમાં જન્મી અને તેને પરિણામે તેઓ સંસ્કૃત, અંગ્રેજી તથા ફારસી સાહિત્યની કવિતા તથા પહેલી બે ભાષાની કવિતા ઉપરાંત તેમાંનાં વિવેચન તથા બીજાં વિચારતત્ત્વોનો જે પરિચય પામ્યા, તેમાંથી ગુજરાતી કવિતામાં છંદ, ભાષા, કાવ્યરૂપો, કળાદૃષ્ટિ, વગેરેમાં અનેક રીતે નવા ઉન્મેષો પ્રગટ્યા. જોકે આ ત્રણ ઇતર સાહિત્યનો, તેમની કવિતાનો, તથા કવિતાદૃષ્ટિનો સંપર્ક તો ગુજરાતના કવિઓને સુધારકયુગમાં જ થવા લાગ્યો હતો. નર્મદ, પીતીત, નવલરામ, વગેરે લેખકોએ સંસ્કૃત, અંગ્રેજી અને ફારસીના સંપર્કમાં આવી તેની અસર હેઠળ નવી રીતે લખવા માંડ્યું હતું. પરંતુ પંડિતયુગમાં આ ઇતર સાહિત્યોની અસર ઝીલી તેનો વિશેષ કળામય આવિર્ભાવ પ્રકટ કરનારાં પ્રતિભાસંપન્ન કવિહૃદયો વધારે પ્રમાણમાં પ્રગટ્યા. આમ એક બાજુ અન્ય સાહિત્યોનો વધારે ઊંડી સમજણવાળો સંપર્ક અને બીજી બાજુ પ્રતિભાશાળી કવિઓનો ઉદ્‌ભવ એ બેના સુયોગથી પંડિતયુગની કવિતા સુધારકયુગની કવિતા કરતાં પહેલા જ પદક્રમણમાં ઘણી ઊંચી ભૂમિકાએ પહોંચી ગઈ. અર્વાચીન કવિતા ઉપર આ રીતે સંસ્કૃત, અંગ્રેજી તથા ફારસી સાહિત્યે વધુઓછા ચિરંજીવ તત્ત્વવાળી અનેક અસરો ગુજરાતી કવિતા ઉપર મૂકી છે.

ફારસીની અસર

ફારસી સાહિત્યની અસરને લીધે ગુજરાતી કવિતામાં ‘ગઝલ’ નામે ખોટી રીતે ઓળખાતા વિશિષ્ટ માત્રામેળ છંદો, ફારસી પદાવલિ તથા સૂફીવાદનાં તત્ત્વો આવ્યાં. પીતીત તેમજ બીજા પારસી લેખકોને ફારસી સાહિત્ય સાથે હિંદુ લેખકો કરતાં વધારે જીવંત સંબંધ રહેલો છે. તેમની છંદોરચના તથા શૈલી ફારસીની વધારે નિકટ રહેલી છે. માત્ર તેની પારસીશાહી ગુજરાતી ભાષાને લીધે તે કાવ્યો પૂરતું ધ્યાન ખેંચી શક્યાં નથી. ફારસીની આ અસર બીજી અસરોને મુકાબલે બહુ અલ્પજીવી રહેલી છે. એનું મુખ્ય કારણ એ છે કે આપણા શક્તિશાળી લેખકો ફારસી સાહિત્યના સંપર્કમાં બહુ રહી શક્યા નહિ. મોટા ભાગના લેખકો અંગ્રેજી સાથે સંસ્કૃતના અભ્યાસ તરફ જ વળ્યા. જ્યારે એ સંપર્ક પાછો સ્થપાય છે ત્યારે, ઠેઠ ૧૯૩૦ પછી ‘પતીલ’નાં કાવ્યોમાં એ ફારસી છટા દેખા દે છે. ફારસી સાહિત્યની અસર ન ટકવાનું બીજું કારણ એ કે ફારસીપ્રિય લેખકોએ જે જે છંદો કે પદાવલિ કે શૈલી અપનાવ્યાં, તે બધું જ ગુજરાતીમાં એકરસ થઈ જાય તેવું ન હતું. ગુજરાતી ભાષાએ વિકસતાં વિકસતાં જે ફારસી શબ્દાવલિ પોતાની કરી છે, તથા જે છંદો વધારે પ્રચલિત બની ટકી રહ્યા છે, તેટલા જ ફારસી અંશો ગુજરાતી કવિતામાં ચાલુ રહ્યા અને ફારસી રંગમાં તરબોળ એવાં કાવ્યો અમુક અપવાદ સિવાય અપ્રચલિત જ રહી ગયાં.

સંસ્કૃતની અસર

સંસ્કૃત અને અંગ્રેજીની અસર ફારસી કરતાં વિશેષ વ્યાપક, ઊંડી અને આમૂલ પરિવર્તનો નિપજાવનારી બની છે. એ બંને ભાષાની કવિતાએ, કવિતાની દૃષ્ટિએ તથા એ બંને ભાષાભાષીઓની સંસ્કૃતિએ આપણી કવિતાને અનેક રીતે મૂળથી માંડી શાખા લગી પોષી છે. આમાં અંગ્રેજી કરતાં સંસ્કૃતની અસર વધારે નિકટની રહેલી છે. સંસ્કૃત ગુજરાતી ભાષાના માતૃકુલની ભાષા છે, તેમજ તેના સાહિત્યમાં આપણી સંસ્કૃતિનાં ઉત્તમ રહસ્યો આવેલાં હોઈ એમાંથી ગુજરાતી કવિતા ઠેઠ પ્રાચીનકાળથી પ્રેરણા લેતી રહી છે. આ તબક્કામાં સંસ્કૃતની અસરમાં વિશેષતા એ આવી કે આપણી સંસ્કૃતિનાં પ્રાચીન અંગો, ખાસ કરીને તત્ત્વજ્ઞાન સાથે આપણો સંપર્ક વિશેષ ગાઢ અને વ્યાપક બન્યો. સાહિત્યનાં બહિરંગોમાં આપણા કવિઓએ સંસ્કૃત કવિતાનાં વિષયો અને પદાવલિ ઉપરાંત છંદો, કાવ્યરૂપો તથા શૈલી પણ ઉતારવા માંડ્યાં. સંસ્કૃત ભાષામાંથી જ ગુજરાતી ઊતરી આવી છે અને તેનાં ઘણાં સમાન લક્ષણો ગુજરાતીમાં હોવાથી એ કવિતાના વિષયો સાથે તેનાં છંદો, ભાષા, શૈલી પણ આપણી કવિતામાં સરળતાથી ઊતરી શકતાં અને જોતજોતાંમાં ગુજરાતી કવિતાની મુખાકૃતિ કંઈ નવી જ બનવા લાગી. આ સમયગાળામાં પાશ્ચાત્ય વિદ્વાનોએ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતી, વગેરે ભારતીય ભાષાઓ અને સાહિત્યનાં અધ્યયન–સંશોધનમાં ઊંડો રસ દાખવીને મહત્ત્વનું પ્રદાન કરેલું. તેમાં ઋગ્વેદના અંગ્રેજી અનુવાદ ઉપરાંત સંસ્કૃત ભાષા અને સાહિત્ય વિશે આઠેક પુસ્તકો આપનાર પ્રો. એચ.એચ. વિલ્સન, ‘સેક્રેડ બુક્સ ઑફ ધી ઈસ્ટ’ની ગ્રંથશ્રેણી આપીને વેદના ખજાના પ્રત્યે વિશ્વના વિદ્વાનોનું ધ્યાન દોરનાર પંડિત મૅક્સ મૂલર, ‘લિંગ્વિસ્ટિક સરવે ઑફ ઇન્ડિયા’ના સંયોજક સર જ્યૉર્જ ગ્રિયર્સન, જૂની ગુજરાતી અને અર્વાચીન રાજસ્થાનીનો અભ્યાસ કરનાર ડૉ. એલ.પી. તેસ્સિતોરી, ડિક્શનેરી ઑફ ઇન્ડોઆર્યન લૅંગ્વેજિઝ, નેપાળી શબ્દકોશ, વગેરેના કર્તા ડૉ. આર.એલ. ટર્નર અને સંસ્કૃત-અંગ્રેજી અને અંગ્રેજી-સંસ્કૃત શબ્દકોશ રચનાર સર મોનિયેર વિલિયમ્સ તથા પ્રાકૃત-અપભ્રંશના ઊંડા અભ્યાસી ડૉ. જેકોબી તેમજ બીજા અનેક વિદ્વાનોના અર્પણનો ઉલ્લેખ કરવો જોઈએ. પંડિતયુગના વિદ્વાનોને પોરસ ચડાવે તેવું આ પણ એક મહત્ત્વનું પરિબળ હતું.

અંગ્રેજીની અસર

અંગ્રેજી ભાષાનું સ્વરૂપ ગુજરાતી ભાષાથી તત્ત્વતઃ ભિન્ન હોવાને લીધે તેની કવિતાની અસર પ્રથમ કાવ્યના વિષયોમાં અને પછી કાવ્યની શૈલીમાં મુખ્યત્વે રહી. અંગ્રેજી છંદોની અસરનું તત્ત્વ બહુ મોડે કાળે આપણે ત્યાં આવ્યું, પણ એ આવ્યું ત્યારે તેણે આપણી છંદોરચનાને આમૂલ પરિવર્તન આપી દીધું. અંગ્રેજી છંદોની પ્રવાહિતાનાં તથા અછાંદસતાનાં તત્ત્વો પ્રવેશ પામ્યાં. બળવંતરાય ઠાકોરના ઐતિહાસિક અર્પણની ચર્ચા આપણે આગળ ઉપર કરીશું ત્યારે આનો વિગતે તત્ત્વવિચાર કરીશું. અર્વાચીન કવિતા ઉપર અંગ્રેજી કવિતા કરતાં યે વધારે પ્રબળ અસર તેના યુરોપીય, ખાસ કરીને ગ્રીક સાહિત્યની કળામીમાંસાથી સમૃદ્ધ બનેલા વિવેચને નિપજાવી. અંગ્રેજી સાહિત્યનું સઘન અધ્યયન આ પેઢીના લેખકોએ કર્યું. તેને પરિણામે પાશ્ચાત્યપદ્ધતિનાં ઊર્મિકાવ્ય અને સૉનેટ ઉપરાંત ખંડકાવ્ય જેવાં કલાત્મક પદ્યરૂપો તથા નિબંધ, ચરિત્ર, નાટક, નવલકથા અને નવલિકા જેવાં ગદ્યરૂપોનો વિશેષ વિકાસ થવા પામ્યો. સ્વાધ્યાય, સમીક્ષા અને સંશોધન માટે વાતાવરણ બંધાયું. તત્ત્વવિચાર અને વિદ્વત્ચર્ચાને વેગ મળ્યો. ગોવર્ધનરામ, મણિલાલ, રમણભાઈ, આનંદશંકર, વગેરે આ યુગના સાક્ષરો પત્રકાર હતા. કાન્ત, નરસિંહરાવ, ન્હાનાલાલ અને બળવંતરાય વિવિધ સામયિકોમાં ઘણુંખરું નિયમિત લખતા. તેમાં સર્જનની સાથે ભાષા, સાહિત્ય અને ધર્મ–તત્ત્વને લગતી ગંભીર પર્યેષણાત્મક ચર્ચા ચાલતી, જેની સામાન્ય શિક્ષિત સમુદાય પર પ્રત્યક્ષ કે પરોક્ષ અસર થતી. લેખકોમાં સમન્વયદૃષ્ટિ કેળવાઈ. તેમનાં લખાણોમાં ઊંડાણ, વ્યાપકતા અને ચોકસાઈ આવ્યાં. એ રીતે સર્જન, ચિંતન અને સંશોધનના વિશિષ્ટ ઉન્મેષો તત્કાલીન સાહિત્યમાં ઝિલાયેલા દેખાય છે. મણિલાલ, ગોવર્ધનરામ અને આનંદશંકરનું સંસ્કૃતિચિંતન, નરસિંહરાવનાં ભાષાશાસ્ત્રવિષયક વ્યાખ્યાનો, કાન્તે કરેલો સંસ્કૃત વૃત્તોનો વિશિષ્ટ વિનિયોગ, બળવંતરાયનો પ્રવાહી પૃથ્વીનો અને ન્હાનાલાલનો અપદ્યાગદ્યનો પ્રયોગ, ભીમરાવ અને દોલતરામે કરેલા મહાકાવ્યના પ્રયોગો, બાળાશંકર, મણિલાલ અને કલાપીની ગઝલો, કેશવ હર્ષદ ધ્રુવનાં સંસ્કૃત અને પ્રાચીન ગુજરાતી ગ્રંથોનાં ભાષાંતર–સંપાદન, કૃષ્ણલાલ ઝવેરીના અરબી-ફારસીસંબંધી સંશોધનલેખો ઉપરાંત નર્મદાશંકર દેવશંકર મહેતાના ‘ઉપનિષદ વિચારણા’ અને ‘હિન્દ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ’ એ ગ્રંથો તેનાં ઝળકતાં દૃષ્ટાંતો છે. સમગ્ર પંડિતયુગમાં થયેલું વૈવિધ્યપૂર્ણ ગદ્યખેડાણ, ઉત્તરોત્તર ખીલતી જતી સાહિત્યસમજ અને જીવનદૃષ્ટિની સાથે અંગ્રેજી ઉપરાંત સંસ્કૃત અને ફારસી સાહિત્યની ગુજરાતી સાહિત્યે ઝીલેલી અનેકવિધ અસર બતાવી આપે છે.

લોકબાનીની અસર

આ ત્રણ અસરો ઉપરાંત આ યુગની કવિતાને ઘડનારું બીજું તત્ત્વ છે આપણી એતદ્દેશીય તળપદી લોકકવિતાની અને લોકબાનીની કળાત્મકતાની અસર. આ લોકબાની કવિતાને ઘડનાર એક બાહ્ય બળ બનવા ઉપરાંત વિશેષ તો કાવ્યનો એક નવો રસાત્મક આવિર્ભાવ નિપજાવવામાં કારણરૂપ બની છે. સુધારકયુગમાં કવિતાની બાની તળપદી અને એતદ્દેશીય રહી છે, પણ તે તેના પ્રાકૃત કળાવિહીન રૂપમાં જ. એ બાનીનો કળામય આવિર્ભાવ કેવી રીતે આપણી લોકકવિતામાં થયેલો છે તથા તેને નવીન રૂપે કઈ રીતે રજૂ કરી શકાય તેનો ખ્યાલ આપણા સુધારકયુગના કવિઓને બહુ થોડો રહેલો છે. પંડિતયુગમાં આપણી બાનીનું તેમજ પ્રાચીન લોકકવિતાનું કળાસામર્થ્ય આપણી નજરમાં આવ્યું અને તેનાં કવિતામાં સમાવેશ તથા પુનઃસર્જન યથાશક્તિ થવા લાગ્યાં.

જૂની-નવી પેઢીનો પરસ્પર પ્રભાવ

આમ ભિન્નભિન્ન ચાર સરવાણીઓથી પુષ્ટ થયેલી પંડિતયુગની કવિતાનું ઉત્તમમાં ઉત્તમ રૂપ સુધારકયુગની કવિતાથી તદ્દન ભિન્ન પ્રતિષ્ઠાવાળું છે, છતાં સુધારકયુગની કવિતા સાથે તેનો સર્વથા વિચ્છેદ પણ નથી થયો. સુધારકયુગની સાથે પંડિતયુગની કવિતાએ પોતાનું અનુસંધાન જાળવી રાખ્યું, તથાપિ આ કવિઓની પ્રતિભાઓ પોતપોતાની રીતે નવાં રૂપોમાં વિકસી ઊઠી. આ પંડિતયુગના ઘણા કવિઓની આવી દ્વિજન્મવાળી કવિતા એ પણ આ યુગનું એક આકર્ષક તત્ત્વ છે. જૂની પેઢીના દલપતરામ ઓગણીસમી સદીના લગભગ અંત (૧૮૯૮) સુધી જીવ્યા હતા. રણછોડભાઈ, મનઃસુખરામ, અંબાલાલ સાકરલાલ દેસાઈ, હરગોવિંદદાસ કાંટાવાળા, વગેરે આગલી પેઢીના અનેક લેખકોનું કાર્ય પંડિતયુગના લેખકોની પ્રવૃત્તિની સમાંતર ચાલતું હતું. તેમાંનાં કેટલાકે નવી પેઢીના લેખકો પર પ્રભાવ પાડ્યો હતો; તો તેમનાં લખાણો પર પાછળથી નવી પેઢીનાં પરિબળોની અસર પણ થઈ હતી. આમ, પરસ્પર અસર કરવાનું આ બે પેઢીઓનું વલણ ઓગણીસમી સદીના અંત સુધી ચાલ્યું હતું. નવી પેઢીની કૃતિઓ ‘સરસ્વતીચંદ્ર’ (ભાગ-૧) તથા ‘કુસુમમાળા’ને નવલરામે વિદાય થતાં પહેલાં સત્કારી હતી.

પંડિતયુગની કાવ્યપ્રવૃત્તિ

આ યુગની ગુજરાતી કવિતાએ સુધારકયુગ કરતાં અનેક ગણી પ્રગતિ કરેલી છે. કવિતાલેખકોની સંખ્યામાં, વધારે પ્રતિભાશાળી કવિઓના પ્રાકટ્યમાં, કવિતાના રસિકો અને ઉપાસકોના વર્ગમાં, કવિતાની સમજમાં, કળાના રસાસ્વાદમાં અને કાવ્યના વિવેચનમાં ઘણી પ્રગતિ થયેલી છે. અલબત્ત, આ ગાળાના સાચા કવિઓએ જે કળાસિદ્ધિ કરેલી છે તેની તો સુધારકયુગની કળા સાથે લેશમાત્ર તુલના થઈ શકે તેમ નથી. સુધારકયુગમાં દલપતશૈલીનું જે એક ચકવે રાજ્ય ચાલે છે, તેને જે થોકબંધ અનુયાયીઓ મળે છે, તેવું આ ગાળામાં કોઈ એક કવિની શૈલી વિશે બનતું નથી. એનો અર્થ એ નથી કે દલપતશૈલીમાં કળાનું અતિશય વર્ચસ હતું, માત્ર તેને અનુસરનારાઓમાં જ મૌલિકતાની અતિશય મંદતા હતી. આ મંદતા આ ગાળામાં ઘણી ઓછી થઈ ગઈ છે; સાવ અલોપ થઈ છે એમ તો ન જ કહી શકાય. ન્હાનાલાલના રાસશિષ્યો – તેમનો એક મઠ બને તેટલા પ્રમાણમાં મળે છે, તેમજ એથી થોડા પ્રમાણમાં સસ્તા ગઝલકારો પણ મળી આવે છે. તો ય બીજાની શૈલીનું આવું નિઃસત્ત્વ અનુકરણ કરતાં કરતાં તેમાંથી નીકળી જઈ પોતાની સ્વાયત્ત પ્રતિષ્ઠા જમાવનાર, અથવા તો પોતાની હળવી રીતે આછીપાતળી છતાં જેને સર્વથા પોતાની જ કહેવાય એવી શૈલીમાં લખનાર, કંઈ નહિ તો થોડી પણ મૌલિક સૌન્દર્યવાળી રચનાઓ મૂકી જનાર, અને કોઈ સુભગ ક્ષણમાં કળાના વરદ હસ્તનો સ્પર્શ પામનાર કવિઓ આ યુગમાં ગયા યુગ કરતાં ઘણા વધારે પ્રમાણમાં મળે છે.

નરસિંહરાવ

ઈ.સ. ૧૮૮૭માં નર્મદના અવસાન પછીના વર્ષે નરસિંહરાવનો પ્રથમ કાવ્યગ્રંથ ‘કુસુમમાળા’ પ્રગટ થાય છે, ને ગુજરાતી કવિતામાં અંગ્રેજી ઊર્મિકાવ્યની રીતિનાં કલાત્મક કાવ્યો આપણને સૌ પ્રથમ મળે છે. નરસિંહરાવે કવિતા દ્વારા એ સમયની કાવ્યરુચિને કેળવવાનો પ્રયાસ કર્યો. એમની કવિતા નવા સંસ્કારોથી ઘડાતી પેઢી આગળ એક પરિબળ બનીને આવે છે. એ કવિતાનાં જે આંતરલક્ષણો છે તેનો પ્રભાવ ગુજરાતી કવિતા ઉપર ઠીક ઠીક પડ્યો છે ને અર્વાચીન કવિતાના વિકાસમાં સહાયરૂપ બન્યો છે. નરસિંહરાવનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘કુસુમમાળા’, ‘સરસ્વતીચંદ્ર’ ભાગ-૧ની સાથે જ લગભગ પ્રસિદ્ધ થયેલો. ‘સરસ્વતીચંદ્ર’ની સર્જકતા સાથે ‘કુસુમમાળા’ની તુલના ના થઈ શકે, પરંતુ ‘સરસ્વતીચંદ્ર’એ ગદ્યમાં તો ‘કુસુમમાળા’એ પદ્યમાં એક નવપ્રસ્થાનરૂપે સાહિત્યરસિક વિદ્વદ્વર્ગનું ધ્યાન ખેંચેલું એ વાત ચોક્કસ. ‘કુસુમમાળા’ની કવિતા અંગ્રેજી ઊર્મિકવિતાના નમૂના ઉપર લખાયેલી છે. પ્રસ્તાવનામાં કવિએ એમનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો છે: “કવિતાનું ખરું રહસ્ય શું, આપણા દેશની કવિતાની પદ્ધતિથી કંઈક જુદી પદ્ધતિની પાશ્ચાત્ય દેશની કવિતા કેવી લખાય છે, તેનો પરિચય શુષ્ક વિવેચનની ચર્ચાથી નહિ પણ ઉદાહરણથી જ ગુર્જર પ્રજાના સુજ્ઞ વાચકવર્ગને કરાવવો, તથા ત્હેવી કવિતા તરફ ત્હેમની રુચિનો પ્રવાહ ચલાવવો, એ ઉચ્ચગ્રાહી ઉદ્દેશથી આ ન્હાનાં સંગીતકાવ્યનો સમુદાય પ્રગટ કર્યો છે.“ (‘કુસુમમાળા’, પ્રસ્તાવના, પૃ. ૧૦) પાલગ્રેવની ‘ગોલ્ડન ટ્રેઝરી ઑફ ઇંગ્લિશ વર્સ’ના ચોથા ભાગમાં મૂકેલી વર્ડ્‌ઝવર્થ અને શેલી જેવા અંગ્રેજ કવિઓની પ્રકૃતિ અને પ્રણયને લગતી રચનાઓ નરસિંહરાવને પ્રભાવિત કરે છે. વર્ડ્ઝવર્થની માફક તેઓ પણ માનવહૃદયના વિવિધ ભાવોને પ્રકૃતિની સાથે સંયોજે છે. સૂર્ય, ચંદ્ર, તારા, મેઘ, સાગર, પુષ્પો, વગેરે વિશે સ્વતંત્ર ઊર્મિકાવ્યના સ્વરૂપની સંખ્યાબંધ રચનાઓ ‘કુસુમમાળા’માં પ્રથમ વાર જોવા મળે છે. તેની શિષ્ટ, સંસ્કારી ને મધુરસુષ્ઠુ ભાષા રસિક વાચકવર્ગને આકર્ષી રહે છે. તેમાંની રોચક રંગદર્શી કલ્પનાની છાંટે પાશ્ચાત્ય કવિતાના ભોગી વર્ગને રોમાંચિત કર્યો હતો. ખરું જોતાં છેક નર્મદના સમયથી પાશ્ચાત્ય પદ્ધતિનાં ઊર્મિકાવ્યોની રચના થતી આવતી હતી, પરંતુ તેની ભાષા બરછટ હતી, છંદમાં સફાઈ નહોતી અને એની શૈલી ક્લિષ્ટ હતી. આરંભકાળની અપક્વતામાંથી એ બહાર નીકળી શકી નહોતી. યુનિવર્સિટીનું શિક્ષણ પામેલા પછીના સર્જકોએ તેમાં સંસ્કૃત, ફારસી અને તળપદી છટાઓ ઉમેરી. આ દૃષ્ટિએ નરસિંહરાવના પહેલાં બાળાશંકર, હરિ હર્ષદ ધ્રુવ અને ભીમરાવ ભોળાનાથ જેવા કવિઓની કવિતામાં અંગ્રેજી ઊર્મિકવિતાની છાપ વ્યક્ત થયેલી હોવાથી ગુજરાતી કવિતાના વિકાસ પરત્વે નરસિંહરાવને નહિ પણ બાળાશંકરને પ્રસ્થાનકારનું પદ આપવાનો પ્રયત્ન સુન્દરમે ‘અર્વાચીન કવિતા’માં કર્યો છે. પરંતુ અનુગામી વિદ્વાનોએ સુન્દરમ્‌નો આ મત સ્વીકાર્યો નથી. બાળાશંકરની કવિતા પર ફારસી અને સંસ્કૃત કવિતાના પ્રમાણમાં અંગ્રેજી કવિતાના સંસ્કાર નહિ જેવા જ પડેલા. નરસિંહરાવની વિશેષતા એ છે કે તેમણે સંસ્કૃત કે ફારસી પદ્ધતિથી અમિશ્ર એવાં કેવળ પાશ્ચાત્ય શૈલીનાં કાવ્યોનો સમુચ્ચય આપ્યો. અને એ અંગ્રેજી પદ્ધતિનાં કાવ્યોના અનુસરણમાં તેમણે પુરોગામીઓ કરતાં ખસૂસ અધિક સફળતા સિદ્ધ કરી બતાવી. સુંદર ઊર્મિકાવ્યને માટે લાગણીના સંક્ષોભ ઉપરાંત રોચક કલ્પના, ઉચ્ચ વિચારસામગ્રી તથા ભાષા અને છંદનું સુઘડ આયોજન આવશ્યક છે તેની ખરેખરી પ્રતીતિ તો ‘કુસુમમાળા’એ જ કરાવી. તેમાંનાં ‘સરિત્સંગમ’, ‘એક અદ્‌ભુત દેખાવ’, ‘બહુ રૂપ અનુપમ પ્રેમ ધરે’, ‘મધ્યરાત્રિયે કોયલ’, ‘મેઘ’, ‘ચંદા’, વગેરે કાવ્યોએ ઊગતા કવિજનોને તેમ વિદ્વાન કાવ્યરસિકોને મુગ્ધ કર્યા હતા. રમણભાઈએ તેને ‘ગુજરાતી કવિતાસાહિત્યના રણમાં એક જ મીઠી વીરડી’ તરીકે ઓળખાવીને ‘કુસુમમાળા’નો ઉમળકાભેર સત્કાર કર્યો હતો. ગોવર્ધનરામે તેના કવિને ‘poet of sun, moon and stars’ એવું બિરુદ આપેલું. ‘કુસુમમાળા’એ ઊગતા કવિઓ અને કવિતાપ્રેમીઓને અંગ્રેજી ઊર્મિકાવ્ય તરફ આકર્ષ્યા. તેમનો ભાવ અને ભાષાની શિષ્ટતા, મધુરતા, ગંભીરતા અને ગહનતાના પ્રદેશમાં પ્રવેશ કરાવ્યો. તેની અસર નીચે કલાપીએ ‘કમલિની’ જેવાં પ્રકૃતિકાવ્યો લખ્યાં. ગોવર્ધનરામે ‘ચંદા’ કાવ્યને ‘સરસ્વતીચંદ્ર’ ભાગ-૧માં સ્થાન આપીને તેનું ગૌરવ કરેલું અને છેક ન્હાનાલાલ સુધી તેના પડઘા સંભળાય છે. ‘કુસુમમાળા’ની કવિતાની બીજી મહત્ત્વની અસર એ છે કે તેણે કાવ્યવિવેચનના ક્ષેત્રમાં ઊર્મિકાવ્યના કલાસ્વરૂપ પરત્વે સ્પષ્ટ વિભાવના ઊભી કરીને વિવેચનને એ દિશામાં વળવા પ્રેર્યું. ધીરુભાઈ ઠાકરના શબ્દોમાં “ટૂંકમાં સાચી કવિતાની શોધમાં એ સાચી દિશામાં થયેલું પ્રયાણ હતું.” (ગુજરાતી સાહિત્યની વિકાસરેખા-૩, પૃ. ૫૭). આ બધું જોતાં ‘કુસુમમાળા’ને મળેલું ઐતિહાસિક મહત્ત્વ સર્વથા યથાર્થ હતું. બાળાશંકરના ‘ક્લાન્ત કવિ’ના સંપાદક ઉમાશંકર જોશીના શબ્દોમાં જ વિરમીએ: “ ‘અર્વાચીન’ કવિતાનાં પાશ્ચાત્ય ઊર્મિકવિતાનાં સુપેરે પગરણ નર્મદમાં મંડાયાં તે પછી ઊર્મિકાવ્યના રોપને ગુજરાતી વાઙ્‌મય ધરતીમાં દૃઢમૂળ કરવાનું માન નરી કાવ્યસિદ્ધિની દૃષ્ટિએ બાલ જેવા રસસિદ્ધ નહીં એવા નરસિંહરાવ કવિને ફાળે જાય છે.” (ક્લાન્ત કવિ, પ્રસ્તાવના, પૃ. ૭૬)

સ્મરણસંહિતા

નરસિંહરાવની કવિતાનું કીર્તિશિખર ‘સ્મરણસંહિતા’ છે. ખંડ હરિગીત છંદ ‘સ્મરણસંહિતા’માં સૌથી વધારે સામર્થ્ય બતાવે છે. નરસિંહરાવે હરિગીત છંદમાં થોડાક જ ફેરફારથી આ વૃત્ત ઉપજાવેલું છે, છતાં તેનું સ્વતંત્ર માધુર્ય છે. આ પણ નરસિંહરાવનું મૂલ્યવાન અર્પણ છે. વાલ્મીકિનો શોક જેમ શ્લોકત્વ પામ્યો તેવું જ અહીં પણ બન્યું છે અને પુત્રશોકથી આર્દ્ર બનેલા નરસિંહરાવના અંતઃકરણે ગુજરાતી ભાષાને એક સુમધુર કૃતિ આપી છે. પ્રકૃતિનું સૌથી સુભગ તથા તેની ગૂઢતાને કંઈક ગમ્ય કરતું ચિત્ર આમાં આવી શક્યું છે. માનવજીવન વિશેના તેમના ચિંતનનો નિચોડ આમાં આવી જાય છે, અને છેવટે, તેમનો સાચો હૃદયભાવ અહીં ઉત્તમ કળાઉદ્‌ગાર પામે છે. નરસિંહરાવે પોતાના શોકને જે અન્તર્ગૂઢ–ઘનવ્યથ રૂપ આપ્યું છે તે આ કાવ્યની રસસિદ્ધિ છે. ભાવને અનુરૂપ સુંદર પ્રકૃતિવર્ણન, મધુર ભાષા, તેમજ કાવ્યમાં વહેતી શાંત, કરુણ અને ભક્તિરસની ત્રિવેણી અને ‘મંગલ મંદિર ખોલો’ જેવાં ગીતો ‘સ્મરણસંહિતા’ને નરસિંહરાવની જ નહીં, પણ પંડિતયુગની ઉત્તમ કૃતિઓમાં સ્થાન અપાવે છે. નરસિંહરાવ પોતાને વિશે ગાતા ગયા કે, આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે. નરસિંહરાવના આ ‘કરુણ ગાન’ના સ્વરો એ ગુજરાતી કવિતાની બૃહદ્‌વીણા પર પ્રગટેલી એક મધુર અને કોમલ રાગરચના છે.

વિવેચન

કવિતાની માફક વિવેચનના ક્ષેત્રમાં પણ નરસિંહરાવની સેવા અવિસ્મરણીય છે. વિવેચક એ કવિનો જોડિયો ભાઈ છે એમ કહીને તેમણે વિવેચકમાં, બેન જોન્સનની માફક, કવિના જેવી કલ્પના અને પ્રતિભાની આવશ્યકતા સ્વીકારી છે. વિષયનું સૂક્ષ્મ અને માર્મિક અન્વેષણ, પ્રમાણસર મતદર્શન અને સમભાવયુક્ત ગુણદર્શન એ વિવેચક નરસિંહરાવના મુખ્ય ગુણો છે. પોતાની કૃતિ કરતાં અન્યની વધારે સુંદર લાગે તો તેનો તેઓ ઉદાર દિલથી સ્વીકાર કરે છે. દા.ત., ‘બેસીને કોણ જાણે પરભૃતિકા ક્યહીં ગાન સ્વર્ગીય ગાય’ એ કાન્તની પંક્તિ સાથે ‘કોયલડી રહી છૂપી ઝાડના ઝૂંડમાં રે’ એ પોતાની પંક્તિ સરખાવીને કાન્તની લીટીની અજ્ઞાત મધુરતા પર તેઓ પ્રશંસાનાં પુષ્પો વેરે છે. કવિ ન્હાનાલાલના અપદ્યાગદ્યની તેમણે સખત ટીકા કરી છે. પરંતુ તેમની ‘ફુલડાં કટોરી’ અને ‘મણિમય સેંથી’ જેવી કાવ્યકૃતિઓની મોકળે મને કદર કરી છે. ગોવર્ધનરામે ‘સમાલોચક’ ત્રૈમાસિકના પ્રથમ અંકમાં ‘કવિતા કાવ્ય અને કવિ: એ વિષયે મિતાક્ષરી લેખ’ લખેલો અને કવિતાના આત્મારૂપે રસને સ્થાને દર્શનને સ્થાપવા પ્રયત્ન કરેલો તેનો નરસિંહરાવે ઉગ્ર વિરોધ કરેલો. તેમને હાથે ગુજરાતી અર્વાચીન કવિતાના બધા ઉન્મેષો પુરસ્કાર, સત્કાર, અંજલિ અને કડક નિરીક્ષણ પામ્યા છે. ગુજરાતી સાહિત્યમાં સત્ય, શુદ્ધિ, શિસ્ત અને વ્યવસ્થિતતા લાવવાનો આગ્રહ તેમનાં વિવેચનોએ રાખ્યો. તેને અંગે તંદુરસ્ત પ્રણાલિકા ઊભી કરવામાં તેમનો અગ્ર હિસ્સો છે. પ્રેમાનંદનાં નાટકોના કર્તૃત્વ વિશેની શંકા તેમણે સૌ પ્રથમ ઊભી કરેલી. ગીતિ, સંગીતકાવ્ય અને અપદ્યાગદ્ય વિશે તેમણે ઊભી કરેલી ચર્ચાનો સાહિત્યક્ષેત્રે ચિરસ્થાયી પ્રભાવ પડેલો છે.