સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ઓળખો છો આમને?

From Ekatra Wiki
Revision as of 09:27, 3 October 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


આજીવન બ્રહ્મચર્યનું વ્રત ધારણ કરનાર અનંત વાસુદેવ સહસ્રબુદ્ધેએ ૧૯૨૦થી માંડીને સ્વરાજ માટેની દરેક લડતમાં ભાગ લીધેલો. તિલક રાષ્ટ્રીય વિદ્યાપીઠ (પુણે)થી એમના સાર્વજનિક જીવનનો આરંભ થયેલો. તેમાં હરિજનોને પ્રવેશ આપવાના મુદ્દા પર સંસ્થાને મળતી સહાય બંધ થઈ ગઈ ત્યારે વિદ્યાર્થીઓ સાથે ડાંગરનાં ખેતરોમાં મજૂરી કરીને તેમણે સંસ્થાનું ખર્ચ કાઢેલું. દલિતવાસમાં જઈને એમણે રાત્રીશાળાઓ ચલાવેલી. અબ્રાહ્મણોને જનોઈ આપવાનો મોટો સમારંભ રચીને તેમણે બ્રાહ્મણોનો રોષ વહોરી લીધો હતો. ૧૯૧૯માં એમણે પ્રથમ વાર ગાંધીજીનાં દર્શન કર્યાં. મૂળ તો ગાંધીજીની સભામાં ધાંધલ મચાવવા મિત્રો સાથે ગયા હતા, પણ ગાંધીજીના ભક્ત બની ગયા. પછી સાબરમતી આશ્રમમાં આવીને ખાદી-ઉદ્યોગની સંપૂર્ણ તાલીમ લીધી. આંધ્રપ્રદેશના મેટપલ્લી ખાદી કેન્દ્રને તેમણે જોતજોતામાં લાખોનું ઉત્પાદન કરતું કરી દીધું. ૧૯૩૪માં બિહાર ધરતીકંપના સેવાદલમાં જોડાયા. પછીને વરસે મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિના મંત્રી બન્યા. ૧૯૪૨ની ‘હિંદ છોડો’ લડત વખતે બોંબની હેરવણીફેરવણી કરતા. સ્વરાજ મળ્યા પછી ૧૯૫૧માં ગ્રામોદ્યોગની જાણકારી મેળવવા જાપાન ગયા. ત્યાંથી આવીને અખિલ ભારત ચરખા સંઘના મંત્રી બન્યા. ભૂદાન આંદોલનમાં જોડાયા. કોરાપુટ (ઓરિસા)માં જિલ્લાદાન થતાં ત્યાં નવ-નિર્માણનું કામ ચાર વરસ સુધી કર્યું.