ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/નરસિંહરાવની કાવ્યમીમાંસા-૨
નરસિંહરાવની કાવ્યમીમાંસા-૨
“અસત્ય ભાવારોપણ” અને “કવિતામાં
અસંભવદોષ”
“અસત્ય ભાવારોપણ”૧[1] (Pathetic Fallacy) :
પ્રાસ્તાવિક ચર્ચા
નરસિંહરાવે પોતાની કાવ્યચર્ચામાં “અસત્ય ભાવારોપણ” (Pathetic Fallacy) ના પ્રશ્ન વિશે સ્વતંત્ર રીતે કેટલીક ચર્ચા કરી છે. જો કે એ ચર્ચા તેમના સમકાલીનો રમણભાઈ નીલકંઠ અને આચાર્ય આનંદશંકરની પ્રસ્તુત મુદ્દા વિશેની ચર્ચાથી પ્રેરાયેલી છે. આપણે રમણભાઈ નીલકંઠની કાવ્યચર્ચાનું અવલોકન કરતાં નોંધ્યું છે કે મૂળ આ પ્રશ્નની ચર્ચા તો ભીમરાવના ‘પૃથુરાજરાસા’ના અવતરણમાં રમણભાઈએ ઉપાડેલી.૨[2] એના અનુંસંધાનમાં મણિલાલ નભુભાઈ અને આચાર્ય આનંદશંકરે કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત કરેલા. પછી એ વિદ્વાનોના મુદાઓના પ્રત્યુત્તરરૂપે રમણભાઈએ ‘વૃત્તિમય ભાવાભાસ’નામે વિસ્તૃત લેખ લખેલો. અહીં નરસિંહરાવે લેખના આરંભમાં જ રમણભાઈ અને આચાર્ય આનંદશંકરનાં લખાણોનો નિર્દેશ કર્યો છે. પરંતુ પ્રસ્તુત પ્રશ્નની વિચારણા તો એ બંને વિદ્વાનોના મુદ્દાઓથી વેગળા રહીને જ આરંભી છે. મૂળ ચર્ચાસ્પદ બનેલી ‘પૃથુરાજ રાસા’ની કડીઓનો ઉલ્લેખ કરી નરસિંહરાવે રસ્કિનના મૂળ લેખ “of Pathetic Fallacy”માંથી કેટલાંક મહત્ત્વનાં વિધાનો ઉતાર્યા છે.૩[3] (અને સાથે તેનો ગુજરાતી અનુવાદ પણ મૂક્યો છે. રસ્કિનની ચર્ચામાંથી તારવણી કાઢી તેઓ નોંધે છે : “આ ઉપરથી જણાશે કે મનુષ્ય ખાસ પોતાના (વ્યક્તિરૂ૫) ક્ષણિક, અશાશ્વત, હૃદયભાવનો આરોપ પ્રકૃતિ ઉપર કરે ત્યારે (pathetic Fallacy)ની ઉત્પત્તિ થાય છે : તેમ હું ધારું છું કે રસ્કિનનો પ્રધાન ઉદેશ આ પ્રકારના ભાવારોપ બહુધા આત્મલક્ષી૪[4] (subjective) કાવ્યને સંબંધે જ, નિયંત્રિત કરવાનો જણાય છે : આ મહત્ત્વની વાત રા. રમણભાઈ તેમ જ પ્રો. આનંદશંકર બંનેના સ્મરણમાંથી ક્ષણભર ખસી ગઈ જણાય છે અને તેથી ઉભય ચર્ચામાં કાંઈ કાંઈ ભ્રમને પ્રવેશ મળ્યો છે”૫[5] અને પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતાં તેઓ કહે છે : “મ્હારું કહેવું એમ નથી કે Pathetic Fallacy અન્ય સ્થળે અવકાશ જ નથી, પરંતુ નીચેની ચર્ચાથી જણાશે કે અન્ય પ્રકારની કવિતામાં પ્રવેશ પામતાં જેમ જેમ એ કવિતાનું આત્મલક્ષી સ્વરૂપ ઘટતું જાય છે તેમ તેમ આ ભાવારોપનું સ્વરૂપ બદલાતું જાય છે અને કેટલેક ક્રમે જતાં Fallacy નું સ્વરૂપ લુપ્તવત થાય છે.”૬[6] આમ, કવિતામાં આત્મલક્ષિતાના પ્રમાણમાં "અસત્ય ભાવારોપણ’નો દોષ સંભવે છે એમ નોંધી તેઓ એ વિશે વિગતે ચર્ચા આરંભે છે. આત્મલક્ષી કવિતામાં એ દોષ સૌથી વધુ સંભવે તેમજ પરલક્ષી કવિતામાં તે જુદા જુદા સંદર્ભમાં ક્રમશઃ લુપ્ત થાય, એ દૃષ્ટિએ તેઓ તેની ક્રમિક ભૂમિકાઓ સ્થાપે છે. “અસત્ય ભાવારોપણ”નો દોષ : તેની વિભિન્ન ભૂમિકાઓ૭[7] (અ) આત્મલક્ષી (subjective) કાવ્યમાં :૮[8] (સૌથી વધુ પ્રમાણમાં ભાવારોપણનો દોષ સંભવે) (ખ) પરલક્ષી (objective) કાવ્યમાં :૯[9] (ક્રમશઃ ભાવારોપણનો દોષ ઘટતો જાય છે) (૧) કવિએ ઉત્પન્ન કરેલાં પાત્રો પોતાની લાગણીઓની છાયા પ્રકૃતિ ઉપર પાડે છે ત્યારે.૧૦[10] (૨) કવિ પોતે ઉત્પન્ન કરેલાં પાત્રોની દશા સાથે પ્રકૃતિને સમભાવ ધારણ કરતી વર્ણવે ત્યારે.૧૧[11] (૩) વર્ણન કરેલા માનવવૃત્તાન્તોને માટે અનુકૂળ એવા પ્રકૃતિના બનાવો તે જ વખતે બનેલા હોય એ રીતે કવિ વર્ણવે, મુખ્ય વૃત્તાન્તના ચિત્રને યોગ્ય પ્રકૃતિને પશ્ચાદ્ ભૂમિ તરીકે ચીતરે અને તે જ ક્રિયામાં માનવવૃત્તાન્ત અને પ્રકૃતિના વૃત્તાન્ત વચ્ચે કાંઈક ગૂઢ અને સૂક્ષ્મ સંબંધની છાયા પડે છે ત્યારે.૧૨[12] આ વિધાનો જોતાં જણાય છે કે Pathetic Fallacyના પ્રશ્ન વિશે રમણભાઈ નીલકંઠ અને આચાર્ય આનંદશંકર કરતાં નરસિંહરાવ સહેજ જુદી રીતે આ ચર્ચાને વિકસાવવા ચાહે છે. રમણભાઈ નીલકંઠ અને આચાર્ય આનંદશંકરે આ પ્રશ્નને કવિપ્રતિભાના સ્વરૂપ અને તેની કલ્પનાશક્તિના વ્યાપારની આસપાસ કેન્દ્રિત કર્યો હતો.૧૩[13] જ્યારે નરસિંહરાવ, કવિતાના આત્મલક્ષી અને પરલક્ષી એવા ભેદો સ્વીકારી, તેમાં ‘અસત્ય ભાવારોપણ’ના દોષની જુદી જુદી કોટિઓ સ્વીકારે છે અને એ પ્રશ્નને ચર્ચવા કૈશિકી પૃથક્કરણ આરંભે છે. મૂળ રસ્કિનની Pathetic Fallacyની ચર્ચામાંથી તેમણે એવી તારવણી કાઢી કે “અસત્ય ભાવારોપણ”નો દોષ એ આત્મલક્ષી કવિતામાં જ સૌથી વધુ પ્રમાણમાં સંભવે છે.૧૪[14] અલબત્ત, પરલક્ષી કવિતાઓમાં એ પ્રકારનો દોષ ન જ સંભવેં એમ તો નહિ, પણ જુદા જુદા સંયોગોમાં તેનું પ્રમાણ વત્તુઓછું હોય છે. પરલક્ષી કવિતાઓમાં કેટલીક સામે છેડેની રચનાઓ હોવાની જ્યાં આ પ્રકારના દોષને અવકાશ જ નથી. એક દૃષ્ટિએ નરસિંહરાવે સ્વીકારેલી આ ભૂમિકામાં તથ્ય છે. રસ્કિનની Pathetic Fallacyની ચર્ચાની પાછળ તેમના સમકાલીન રોમેન્ટિક કવિઓની કાવ્યપ્રવૃત્તિ રહેલી છે. સામાન્ય કોટિના કવિઓની રચનાઓમાં પ્રકૃતિનિરૂપણ નિમિત્તે સજીવારોપણનો આશ્રય લેવાયો હોય અને એ કવિઓએ એમાં પોતાની ઊર્મિઓનું ‘આરોપણ’ કર્યું હોય એવી પ્રતીતિ થતી. એ રચનાઓમાં અનુભવની સચ્ચાઈનો રણકો નહોતો અનુભવાતો. આ સંજોગોને અનુલક્ષીને રસ્કિને Pathetic Fallacy ની ચર્ચા કરેલી છે. (આ મુદ્દા વિશે રમણભાઈ નીલકંઠની કાવ્યવિચારણાનાં બે પ્રકરણોમાં ચર્ચા થઈ છે.) એટલે, મૂળ રસ્કિનની ચર્ચા એ આત્મલક્ષી કવિતાના સંદર્ભમાં જ ઉદ્ભવી છે અને નરસિંહરાવે એ હકીકત બરાબર લક્ષમાં લીધી છે. પરંતુ વિચારવાનો પ્રશ્ન તો આ છે : તેમણે ઉપર જે વિધાનો રજૂ કર્યાં તે પરથી એમ ફલિત થાય છે કે કવિતાસાહિત્યમાં જેમ જેમ આત્મલક્ષિતાનું પ્રમાણ ઓછું થતું જાય તેમ તેમ “અસત્ય ભાવારોપણ”નો દોષ ઓછો સંભવે.૧૫[15] તો આ પ્રકારનો કોઈ ચોક્કસ સંબંધ બાંધવો યોગ્ય છે? અથવા આત્મલક્ષિતાનું તત્ત્વ સ્વયં આ દોષ માટે કારણભૂત ગણાય ખરું? ઉત્તર એ છે કે આત્મલક્ષિતા અને “અસત્ય ભાવારોપણ” વચ્ચે એવો કોઈ સીધેસીધો સંબંધ બાંધી શકાય નહિ, અને આત્મલક્ષિતા એ કોઈ દોષનું જનક કારણ નથી. મૂળ પ્રશ્ન કવિની પ્રતિભાના સામર્થ્યનો છે. સમર્થ પ્રતિભાસંપન્ન સર્જકની આત્મલક્ષી કૃતિઓમાં આવો “અસત્ય ભાવારોપણ”નો દોષ ન હોય એમ બને. તો પ્રતિભાહીન લેખકની સામાન્ય કોટિની પરલક્ષી કૃતિમાં એ સર્વવ્યાપી દોષ હોય એમ બને. કદાચ આ પ્રશ્નને ‘આત્મલક્ષી’ કે ‘પરલક્ષી’ કવિતાની કોટિમાં મૂકીને તપાસવામાં જ મુશ્કેલી છે. અહીં કવિની પ્રતિભાએ સર્જેલી સૃષ્ટિ જ મૂળભૂત વસ્તુ છે. કવિતાના સમગ્ર સંદર્ભમાં જ અમુક ભાવોર્મિ ‘સત્ય’ રૂપ કે ‘અસત્ય’ રૂપ પ્રતીત થતી હોય છે. એટલે આત્મલક્ષિતાનું તત્ત્વ આ દોષ જોડે સીધી રીતે સાંકળી લઈ શકાય નહિ. વાસ્તવમાં, ‘આત્મલક્ષી’ અને ‘પરલક્ષી’ એ બંને સંજ્ઞાઓ કવિતાના વાસ્તવસ્વરૂપને યથાર્થ સ્પર્શતી નથી. ઉત્તમ કોટિની ‘આત્મલક્ષી’ કૃતિઓમાં કવિનું ‘અંગત’ કેટલું એ નિશ્ચિત કરી શકાય નહિ. એવી ‘આત્મલક્ષી’ રચનાઓમાં યે ‘બાહ્ય’ જગતનાં અનેક સત્ત્વો આત્મસાત્ થઈ ગયાં હોય છે. બીજી બાજુ, ઉત્તમ કોટિની ‘પરલક્ષી’ કૃતિઓમાં તેમના સર્જકોનો ભાવોચ્છવાસ પ્રવર્ત્યો હોય છે. આમ સિદ્ધ થયેલી અખિલ કળાકૃતિમાં ‘આત્મલક્ષી’ કે ‘પરલક્ષી’ તત્ત્વ તારવવાનું શક્ય નથી. એટલું જ નહિ, એ સંજ્ઞાઓ દ્વારા અખિલ કળાકૃતિના વાસ્તવનું યથાર્થ આકલન કરી શકાય નહિ. એટલે આત્મલક્ષિતા એ કોઈ “અસત્ય ભાવારોપણ”નું કારણ નથી. અમુક કવિતામાં (કે અન્ય સાહિત્યરચનામાં) અમુક ભાવ એ માત્ર કવિઆરોપિત હોઈ અસત્ય છે કે નહિ, તેનું સાચું અંતિમ નિદાન તો એ કૃતિનો વાસ્તવ જ છે. સહૃદય ભાવકને તેના સત્યાસત્યની પ્રતીતિ થઈ જતી હોય છે. અહીં એક મહત્ત્વની વાત એ નોંધવી જોઈએ : નરસિંહરાવે ‘આત્મલક્ષી’ અને ‘પરલક્ષી’ કવિતામાં “અસત્ય ભાવારોપણ”નો દોષ કેવી રીતે સંભવે એ સ્પષ્ટ કરવા આપણા કાવ્યસાહિત્યમાંથી કેટલાંક ઉદાહરણો લઈ તેની વિગતે સમીક્ષા કરી છે. (અને એવા દોષ ક્યારે ન સંભવે તે દર્શાવવા માટે કેટલીક અંગ્રેજી કવિતાઓ પણ નોંધી છે.) આ ઉદાહરણોની સર્વ રચનાઓમાં, તેઓ માને છે તેમ, “અસત્ય ભાવારોપણ”નો દોષ સંભવ્યો છે કે નહિ (અથવા કેટલાક પ્રસંગે તો તેમાં કાવ્ય સિદ્ધ થયું છે કે નહિ) તે પ્રશ્ન પરત્વે મતમતાંતરને સ્થાન સંભવે છે. વળી, અમુક કાવ્યકડીઓમાં તેમને જ્યાં “અસત્ય ભાવારોપણ”નો દોષ જણાયો છે ત્યાં એ દોષદર્શન કરાવવા તેમણે જે રીતે અર્થઘટન કરી બતાવ્યું છે તે બાબતમાં બધા જ કાવ્યતત્ત્વવિદો એમાંના સર્વ પ્રસંગે સહમત થાય જ એવું નથી. હકીકતમાં, આ દોષ દર્શાવવા રજૂ થયેલા આ લેખનાં ઉદાહરણોની નરસિંહરાવે કરેલી સમીક્ષામાંથી જ અન્ય પ્રશ્નો ઊભા થવા સંભવ છે. આપણે તેમની સૈદ્ધાંતિક ભૂમિકાનો વિચાર તો કર્યો છે. એ સંજોગોમાં તેમણે આપેલાં ઉદાહરણોમાંથી કેટલાંક મહત્ત્વનાં હોય એવાંની જ વિચારણા કરીશું.
“અસત્ય ભાવારોપણ” દોષ દર્શાવતાં
દેષ્ટાન્તો : તેની સમીક્ષા અને પુનર્વિચારણા
(ક) વિભાગ (૧) આત્મલક્ષી કાવ્યમાં “અસત્ય ભાવારોપણ”નો દોષ દર્શાવવા નરસિંહરાવે નર્મદના કાવ્યાંથી ઉદાહરણ લીધું છે :૧૬[16]
“રે નર્મદ! અંધારી રાત્ય,”
“તેને મળતી ત્હારી જાત્ય,”
“ વિવિધ તાપથી તમર જેહ,”
“રાત તણાં તમમાં સમી રેહ,”
“પડતીને અંધારી ગમે,”
“રડતાં રડતાં બંને રમે.”૧૭[17]
(“અનુભવલહરી”)
નરસિંહરાવની ટીકા : “કવિ નર્મદાશંકરની આ ચોપાઈમાં કલ્પનાનું ગાંભીર્ય છે ખરું : છતાં અંધારી રાત્રીને વિશે રડતી હોવાનો અને પોતાના હૃદયની છાપ ધરવાનો આરોપ કરવામાં કવિ પોતાના ભાવની જ છાયા પ્રકૃતિ ઉપર પાડે છે : આ સ્વરૂપ શુદ્ધ આત્મલક્ષી અસત્ય ભાવારોપણનું છે. પોતાની લાગણીનો પ્રબળ વેગ બુદ્ધિનાં બંધનમાં ન રહી પ્રકૃતિના સ્વરૂપ ઉપર પણ એ પ્રવાહ વહી હેને આત્મરૂપ બનાવી પ્લાવિત કરે છે.”૧૮[18] પ્રસ્તુત અવલોકનમાં નરસિંહરાવની છેલ્લી પંક્તિ શિથિલ શબ્દપ્રયોગવાળી છે. લાગણીનો પ્રવાહ “હેને આત્મરૂપ બનાવી પ્લાવિત કરે છે” એમાં ‘આત્મરૂપ’ પ્રયોગ બરાબર નથી. કવિની લાગણીમાં જે કંઈ ‘આત્મરૂપ’ બને છે તે ‘અસત્ય’ રૂપ ન રહે એમ કહી શકાય. (૨) આત્મલક્ષી રચનામાં “અસત્ય ભાવારોપણ”નો દોષ ક્યાં ન સંભવે, એ વિશેનું ઉદાહરણ :૧૯[19] (નરસિંહરાવની પોતાની રચના “ગંભીર રજની” કાવ્યમાંથી)
“રજનિ-અન્ધકાર માંહિં જડ્યા”
“ઝીણા તારલા ચમકતા પડ્યા”
“ચમકતા તારલા કે’વા”
“ભૂતાવળ કારમી જેવા!”
“અહો તારલા! હમો જાણો”
"હૃદય આ વ્યથા તણી ખાણ્યો.”
“કહું કો’ને વ્યથા આ ઊંડી?”
“રજનિમાં ઊઠી રજનિમાં બૂડી.”૨૦[20]
(“હૃદયવીણા”)
નરસિંહરાવની નોંધ : “બ્લેક ટાઈપમાં મૂકેલી પંક્તિયોમાં તારાઓને કવિ પોતાના હૃદયની વ્યથાથી માહિતગાર જ કલ્પે છે, એ વ્યથા ઊભરાવી હેમને પણ વ્યથિત માની પોતાની વૃત્તિના રેલમાં તારાઓને ડૂબાવતો નથી. તારાઓ ચેતનાયુક્ત પદાર્થની પેઠે આમ મનુષ્યના હૃદયભાવનું જ્ઞાન મેળવે એ એ અક્ષરશઃ સત્ય નથી. પરંતુ તેટલા માટે અસત્ય ભાવારોપણ અહિં બનતો નથી. મુખ્ય તો એ જ કે ભાવનો આરોપ કરવાની પાયરીએ જતાં કલ્પનાને બુદ્ધિયે અટકાવી જ છે. અને કવિના હૃદયની ઊંડી વ્યથાનું ઊંડાણ, અજ્ઞાતપણું, વગેરે સ્વરૂપની સબળ છાપ પાડવા માટે જ આ જ્ઞાન તારાઓને વિશે કવિની કલ્પના મૂકે છે, એ હેતુથી જ આ સજીવારોપ રૂપક જેવી રચનાનો આદર થાય છે. એ હેતુ તરીકે કવિના મનમાં પ્રત્યક્ષ નહિ હોય તે જુદી વાત છે. ભાવનું બળ સ્વાભાવિક રીતે પ્રવૃત્તિ કરીને આમ પ્રકૃતિનું દર્શન કરે છે. તેથી જ આ હેતુ તરીકેની ઉદ્દેશહીનતા સંભવે છે.”૨૧[21] અહીં નરસિંહરાવે પોતાની કવિતા માટે જે નોંધ મૂકી છે તેમાં તેઓ સર્જકચિત્તના વ્યાપારની વાત પણ કરે છે. “ભાવનો આરોપ કરવાની પાયરીએ જતાં કલ્પનાને બુદ્ધિયે અટકાવી જ છે” એ પ્રકારનું પૃથક્કરણ કવિતાના વાસ્તવને ઓળખવામાં ભાગ્યે જ ઉપકારક થાય. વળી તેમણે એમ નોંધ્યું છે કે તારાઓ ચેતનપદાર્થની જેમ મનુષ્યહૃદયના ભાવનું જ્ઞાન મેળવે એ પણ અક્ષરશઃ સત્ય નથી. (નરસિંહરાવ અહીં એવો ખ્યાલ પ્રગટ કરે છે કે કવિતા એ બાહ્ય વિશ્વના સત્યને જ સામાન્યતઃ અનુસરે છે અને એ દૃષ્ટિએ અહીં તારાઓને સંબોધન જાણે કે તારાઓની સજીવતા સ્વીકારી લે છે.) પરંતુ આ પ્રકારનું ‘અસત્ય’ પણ અહીં “અસત્ય ભાવારોપણ”નો દોષ નથી, કેમકે કવિનો ભાવ સહજ રીતે જ “સબળ છાપ પાડવા” એવી કલ્પના મૂકે છે. આ રીતે કૃતિમાં ભાવ જ અંતિમ નિર્ણાયક છે એ વાતની અહીં સ્વીકૃતિ થઈ જાય છે. નર્મદની અને પોતાની રચનાઓનો તુલનાત્મક વિચાર કરતાં તેઓ કહે છે : “પ્રથમના કાવ્યમાં રાત્રિને કવિ આત્મરૂપ કરી નાખી પોતાના ભાવથી લિપ્ત કરી નાખે છે, બીજા કાવ્યમાં તેથી બીજે છેડે ન જતાં તારાઓને તદ્દન કવિ પોતાના ભાવથી અલિપ્ત, અસંબદ્ધ, ન રાખતાં, તેમને લિપ્ત પણ નથી કરતો અને અલિપ્ત પણ નથી રાખતો, પોતાના ભાવની સરહદમાં પ્રવેશ કરાવે છે, પણ તેમના ઉપર ભાવનું બળ વધવા દઈ પરાજય કરીને નહિ. રસ્કિને કહેલી વજન ખોયા વિનાની દ્રવીભૂત થવાની વાયુરૂપે ઊડી ન જાય હેવી શ્વેત દીપ્તિની સ્થિતિનું આ ઉદાહરણ ગણી શકાય. પ્રથમની પંક્તિઓમાં તારાઓને ભૂતાવળ જેવા કલ્પવામાં કાંઈક કવિના હૃદયની તાત્કાલિક સ્થિતિની છાયા છે એ ખરું, પણ એથી Pathetic Fallacy બની જતી નથી. પ્રકૃતિને પોતાના ભાવના રંગથી રંગવાની કૃતિ કાંઈક થાય છે અને કાંઈક નથી થતી હેવી અધવચલી સ્થિતિ આ કલ્પનામાં છે. તેથી Pathetic Fallacy થતે થતે આ સ્થળે બચી જવાયું છે, તો પણ જો કદી આટલો અંશ Pathetic Fallacyનો હોય તથાપિ પ્રકૃતિને મનુષ્યના હૃદયની સ્થિતિવાળી જ કલ્પવી, પોતે શોકગ્રસ્ત તો પ્રકૃતિ પણ શોકગ્રસ્ત વગેરે કલ્પના કરવીએ પ્રકારના ભાવારોપથી જુદા પ્રકારનું આ ઉદાહરણ છે.”૨ર[22] આ વિસ્તૃત અવતરણમાં નરસિંહરાવનું ચિંતન કાવ્યશાસ્ત્રના જટિલ કોયડાની આસપાસ ચકરાવો લે છે. પોતાની કૃતિમાંના પ્રકૃતિના ચિત્રણમાં કંઈક ‘ભાવારોપણ’ સ્વીકારવાનો તેમને પ્રસંગ આવ્યો છે અને છતાં તેઓ તેને આગલા (નર્મદના) ઉદાહરણથી જુદું તારવવાનો ય યત્ન કરે છે. આ સર્વ વિચારણામાં તેમનો તર્કવ્યાપાર કાવ્યના રહસ્યને સ્પર્શવા ચાહે છે. તેમની ઉપરની નોંધમાં તેમણે કહ્યું છે તેમ, કવિના ભાવની સચ્ચાઈ જ અમુક કલ્પનાના મૂળમાં હોય છે. પરંતુ કવિતાનો વાસ્તવ જ કવિની ઊર્મિને સત્ય કે અસત્ય ઠેરવે એ મુદ્દો અહીં ઢંકાઈ ગયો છે. એ કારણે જ પોતાની રચનામાં એક વાર Pathetic Fallacy નો ઇન્કાર કર્યો છતાંયે તેનો અંશતઃ સ્વીકાર કરવાનો પ્રસંગ આવ્યો છે. પ્રસ્તુત ચર્ચાને આગળ વિકસાવતાં તેઓ કહે છે : “આ દૃષ્ટિએ જોતાં Pathetic Fallacyના હાવા બે વિભાગ થઈ શકે : (૧) મનુષ્યના હૃદયમાંના ભાવ જેવા જ ભાવ તે જ રીતે ધારણ કરતી પ્રકૃતિ કલ્પનાર ભાવારોપ : અને (૨) મનુષ્યહૃદયના અમુક ભાવના પરિણામ તરીકે પ્રકૃતિના સ્વરૂપમાં તે ભાવની છાયાવાળાં પણ જુદી તરેહનાં ચિહ્ન જોનાર ભાવારોપ. જો ઉપરની તારાને ભુતાવળ કલ્પનાર કવિતામાં ભાવારોપ હોય તો આ બીજા પ્રકારનો છે.૨૩[23] આમ, નરસિંહરાવ પોતાની રચનામાં પણ દોષારોપણ ટાળી શક્યા નથી! (ખ) વિભાગ (૧) નરસિંહરાવ એમ માને છે કે અમુક ભાવનું આરોપણ કવિ દ્વારા નહિ પણ તેના રચેલા પાત્ર દ્વારા થાય તો આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે અને “ભાવારોપણનો દોષ ટળી જાય છે. એ મુદ્દાની છણાવટ કરતાં તેઓ કહે છે : “પ્રકૃતિના સ્વરૂપમાં આત્મસ્વરૂપ જોઈને નર્મદાશંકરે કરેલા ભાવારોપ માત્ર, પાત્રાન્તરમાં પડવાથી વિલક્ષણ ફેરફાર થઈ જાય છે. કવિયે ઉત્પન્ન કરેલાં પાત્રો પોતાનાં વચનોમાં પ્રકૃતિ ઉપર પોતાના ભાવની છાયા પાડતાં ચીતરાય છે ત્યારે આ રૂપાંતર થાય છે અને પાત્રનું પગથિયું આવ્યાથી નામનું જ રૂપાંતર થાય છે એમ નથી. કવિ પોતે કલ્પેલાં પાત્રની પછાડી રહી પોતાનું જ સ્વરૂપ, સ્વભાવ, ચીતરતો હોય તો તો એ પ્રકારાન્તરે, પરલક્ષી ડોળમાં પણ, વાસ્તવિક આત્મલક્ષી રચના જ કરે છે... પરંતુ જ્યાં કવિ માત્ર સૂત્રધારસ્વરૂપે જ પાત્રની પછાડી પોતાનું સ્વરૂ૫ ગુપ્ત રાખે છે, ત્હેવી વાસ્તવિક પરલક્ષી રચનાઓમાં જય્હારે પાત્રો પોતાના ભાવ પ્રકૃતિમાં પ્રતિબિંબ કરે છે ત્યારે ઉપર કહેલું રૂપાન્તર થાય છે. આત્મલક્ષી કાવ્યમાં જ એ ભાવારોપની અસત્યતા હતી તે આ પરલક્ષી રચનામાં ભૂંસાઈ જાય છે. આત્મલક્ષી કાવ્યમાં કવિ પોતે પ્રકૃતિનું સત્ય સ્વરૂપ જોવાનો ધર્મ તજવાથી અપરાધી થાય છે. પરલક્ષી કાવ્યમાં મનુષ્યસ્વભાવના બળને વશ થનારાં પાત્રો એ અપરાધ કરે છે તો જેમાં કવિનો દોષ નથી.”૨૪[24] આ મુદ્દાના સમર્થનમાં તેઓ પોતાની એક અન્ય રચના “ફૂલમણિ દાસીનો શાપ”માંથી ફૂલમણિ દાસીના પતિની પંક્તિઓ ઉતારે છે. તેઓ નોંધે છે કે આગળ નર્મદના કાવ્યમાં જે ‘ભાવારોપ’ છે તે અહીં પરલક્ષી કાવ્યમાં પ્રવેશ પામતાં રૂપાંતર પામે છે. પંક્તિઓ આ પ્રમાણે છે :
“ઊંડી રજનિ દેવી! શ્યામ!
માગું તુજ હૃદય હું વિરામ :”
“થાઉં તુજ શું એકાકાર,”
“માનું એ જ હું ઉધ્ધાર,”
“રેલાઈ હૃદય મુજ શ્યામ”
“ઉભરાયું તિમિર સહુ ઠામ,”
“તે આ પસરિયું આકાશ”
“જળમાં કીધ ઊંડો વાસ”
“મ્હારા હૃદયમાં અંધાર.”
“મહિ અનુતાપના અંગાર”
“હેની આ શી ઊંડી છાય”
“તારાજડિત રજની માંહ્ય”૨પ[25]
(‘હૃદયવીણા’)
પ્રસ્તુત રચના વિશે નરસિંહરાવ નોંધે છે : “ફૂલમણિ દાસીના પતિનાં આ વચન હેના હૃદયના ઊંડા ક્ષોભનું દર્શન કરાવે છે તે વખતે હેણે કરેલા ભાવારોપની ‘અસત્યતા’ આપણે ક્ષણવાર ભૂલી જઈએ છિયે કે ગમેતેમ હો, પણ આત્મલક્ષી Pathetic Fallacyનું સ્વરૂપ હેવાં સ્થળોમાં પ્રવેશ પામતું નથી૨૬[26] અહીં નરસિંહરાવની વિચારણામાં એક મહત્ત્વનો વિચાર બીજરૂપમાં સ્થાન પામ્યો છે. દાસીના પતિનાં વચનોમાંનો “અસત્ય ભાવારોપ” ક્ષણવાર ભૂલી જવાય છે એમ તેઓ કહે છે. આ હકીકત જ આપણે માટે મહત્ત્વની છે. કવિએ એ પાત્રના “હૃદયના ઊંડા ક્ષોભ”નું સફળતાથી નિરૂપણ કર્યું છે એ ભાવસ્થિતિ પ્રતીતિકર બની છે એ કારણે જ એમાં દોષ નથી. એટલા માટે નહિ કે એ પરલક્ષી કૃતિ છે. બીજા શબ્દોમાં કહીએ તો ભાવક માટે તો સિદ્ધ થયેલી કવિતાનો સમગ્ર સંદર્ભ-કવિતાનો વાસ્તવ માત્ર—જ પ્રતીતિમાં આવવો જોઈએ. અહીં બીજો એક મુદ્દોય નોંધવો ઘટે. તેઓ અહીં એમ કહે છે કે આગળ નિર્દિષ્ટ નર્મદના કાવ્યમાં (“રે નર્મદ અંધારી રાત્ય”માં) જે ભાવારોપ હતો તે આત્મલક્ષી હતો. અહીં તે પરલક્ષી કૃતિમાં આવ્યો અને તેનું રૂપાતર થયું એટલે દોષ મટી ગયો. આ ખ્યાલ બરાબર નથી. દરેક કાવ્યકૃતિનું ભાવવિશ્વ આગવું સ્વાયત સત્તાવાળું હોય છે એટલે એક કવિતાના સંદર્ભમાંનો “ભાવારોપ” એ ને એ રૂપમાં બીજા કાવ્યમાં પ્રવેશે કે રૂપાન્તર પામે એ ખ્યાલ મૂળમાંથી જ ખોટો છે. (૨) પ્રેમાનંદના ‘રણયજ્ઞ’માંની બે કાવ્યકડીઓ નરસિંહરાવના ‘અસત્ય ભાવારોપણ’ના ખ્યાલને કસોટીએ ચઢાવે છે. રાવણને યુદ્ધમાં જતાં રોકતી મન્દોદરી કહે છે :
“આજનો દહાડો લાગે ધૂંધળો,”
દીસે ઝાંખો દિનકર દેવ, હો રાણાજી.”૨૭[27]
પ્રસ્તુત પ્રસંગે પ્રેમાનંદ સુંદર રીતે મંદોદરીના ભાવનું નિરૂપણ કરે છે. સહૃદય ભાવકને એની પ્રતીતિ છે. એ કડીઓના આસ્વાદમાં વિઘ્ન નથી. એમાં “ભાવારોપણ”નો કોઈ વિચાર રસાસ્વાદમાં વિઘ્ન નથી. એમાં ‘ભાવારોપણ’નો કોઈ વિચાર રસાસ્વાદમાં અંતરાયરૂપ બનતો નથી. નરસિંહરાવે એ પંક્તિઓની સમીક્ષા કરતાં કહ્યું છે : “તે દિવસે વાસ્તવિક સૃષ્ટિનો દેખાવ એવો થયો હતો કે નહિં તે આપણને કવિ કાંઈ કહેતો નથી. માત્ર મન્દોદરીની ખેદભારભરી દૃષ્ટિએ આમ જણાય છે એટલું જ આપણે જોઈ સકિયે છિયે. હામાં Pathetic Fallacyનો કાંઈક અંશ જણાય છે, પરંતુ પાત્રના મુખમાં એ વચન હોવાથી—માત્ર તેથી જ નહિં પણ મનુષ્યસ્વભાવનું સ્વરૂપ હેવું છે તેથી—એ વર્ણનમાં સત્યવિરોધનો દોષ નથી આવતોઃ ને એટલે દરજ્જે એ કલ્પના કેવળ દોષમયતામાંથી સારી રીતે બચે છે.”૨૮[28] પ્રેમાનંદની કવિતામાં જે પ્રતીતિગ્રાહ્ય હતું—અને જે શુદ્ધ કોટિનું કાવ્ય હતું—તેને માત્ર બૌદ્ધિક વિશ્લેષણની ભૂમિકા પર આણતાં “અસત્ય ભાવારોપણ”નો થોડોક દોષ પ્રાપ્ત થયો! અહીં આ નીવડેલી કવિતામાં દોષારોપણ કરતાં નરસિંહરાવની વિમાસણ છતી થઈ જાય છે. પ્રથમ તો તેઓ એ પાત્રની ઉક્તિ છે, (અને એ રીતે એ પરલક્ષી કૃતિ છે) એવો વિચાર અર્ધપ્રગટ કરે છે અને તરત જ તેને મઠારી લેવાનો પ્રયત્ન કરે છે કે આ પ્રકારનું દર્શન એ “મનુષ્યસ્વભાવનું સ્વરૂપ” એવું હોવાથી જ સંભવે છે. આમ કૃતિની માત્ર પરલક્ષિતા એ પ્રશ્નના નિરાકરણમાં ઉપયોગી નીવડી નથી. (૩) શેક્સપિયરના ‘ટેમ્પેસ્ટ’ નાટકની એક કાવ્યાત્મક ક્ષણનું વર્ણન પણ તેમના “અસત્ય ભાવારોપણ”ના ખ્યાલને કસે છે :
“Me thought the billows spoke and told me of it :”
“The winds did sing it to me, and the thunder,”
“That deep and dreadful organ-pipe pronounced”
“The name of Prospero it did bass my trespass,”
“Therefore my son i’ the ooze is bedded, and”
“l’ii seek him deeper than e’er plumnet sounded”
“And with him there lie mudded.”૨૮અ[29]
નરસિંહરાવ આ પંક્તિઓના સંદર્ભમાં નોંધે છે : “આ દૃષ્ટાંત વિલક્ષણ ભાવચ્છાયાની ગૂંથણી ખડી કરે છે. એલોન્ઝો પોતાના હૃદયમાં થતા ભાવનું પ્રતિબિંબ પ્રકૃતિ ઉપર નથી પાડતો, પરંતુ પ્રકૃતિમાં પોતાના ભાવનું વ્હેણ હેવું પેઠું જુવે છે કે એ ભાવનો પ્રતિધ્વનિ—સમભાવરૂપે નહિં પણ ઉપાલમ્ભરૂપે પ્રતિધ્વનિ—હેને અનુભવગોચર થાય છે.”૨૯[30] પ્રસ્તુત ચર્ચામાં તેઓ Pathetic Fallacy નું તત્ત્વ શોધવાનો પ્રયત્ન કરતા નથી. ઊલટું, દેખીતી નજરે જે ‘ભાવારોપ’ લાગે તેનું રહસ્ય ઉકેલવાનો તેમનો પ્રયત્ન છે. અહીં પ્રસ્તુત કાવ્યકડીઓમાં તો રુદ્ર રૂપ ધારણ કરતો સાગર પણ શબ્દો ઉચ્ચારે છે, ઝંઝાવાત ગીત ગાય છે, વાદળગર્જના ધ્વનિ કરે છે. આ સર્વ ઘટના એ પાત્રને ‘અનુભવગોચર’ તો છે જ, પણ એ પાત્રની ‘અનુભવગોચરતા’ સમેત આખું દૃશ્ય ભાવકને ય અનુભવગોચર થાય છે. એક દૃષ્ટિએ નરસિંહરાવે આરંભથી જ ‘અસત્ય ભાવારોપણ’ના દોષની ચર્ચા કરતાં સહ્યદય ભાવકને વેગળો રાખ્યો જણાય છે. ‘આત્મલક્ષી’ કે ‘પરલક્ષી’ કવિતામાં “અસત્ય ભાવારોપણ”નો દોષ કયા કયા પ્રસંગે સંભવે, કે ન સંભવે, તેની સર્વ ચર્ચાવિચારણા કરતી વેળા તેઓએ સહૃદયની પ્રતીતિના ખ્યાલને અવગણ્યો જણાય છે. શેક્સપિયર, મિલ્ટન, કાલિદાસ કે ટાગોરની સાહિત્યકૃતિમાં અનેક સ્થાને પ્રકૃતિના નિરૂપણમાં વિશિષ્ટ રીતે સજીવારોપણનો વ્યાપાર પ્રવર્તતો દેખાય છે. પરંતુ એનો માત્ર બૌદ્ધિક કોટિએ વિચાર કરવાનો નથી. સિદ્ધ થયેલી સાહિત્યકૃતિનો આગવો વાસ્તવ સિદ્ધ થયો હોય, તેનું આગવું ઋત શ્વસિત થયું હોય અને એની સહૃદયને પ્રતીતિ હોય તો તેમાં ભાવારોપણનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. ટૂંકમાં, કોઈ કૃતિના કવિ કે તેના રચેલા પાત્રના (અસત્ય) ભાવારોપનો વિચાર કૃતિથી—કૃતિના વાસ્તવથી —નિરપેક્ષ રીતે ન થાય. (૪) કવિએ પોતે ઉત્પન્ન કરેલાં પાત્રોની દશા સાથે પ્રકૃતિને સમભાવ ધારણ કરતી વર્ણવે છે ત્યારે આ દોષ સંભવે છે. એ કોટિમાં ‘પૃથુરાજરાસા’ની ચર્ચાસ્પદ બનેલી કડીઓ આવે છે.
“ધ્વનિ તે પ્રસર્યો સ્થળે સ્થળે,”
“સુણી રોયાં વન વૃક્ષ વેલિયોઃ”
“મૃગ પંખી રહ્યાં જ સ્તબ્ધ તે”
“પછી રોયાં ચિત્ત શોક તો થયો.”૩૦[31]
આ વિશે નરસિંહરાવનું સ્પષ્ટીકરણ એ છે કે અહીં ભાવારોપણ પાત્રના મુખમાં નથી, પણ કવિ પોતે જ પાત્રો જોડે પ્રકૃતિને અસંભવિત સમભાવ ધારણ કરતી દર્શાવે છે. વળી તેઓ એમ પણ માને છે કે પ્રસ્તુત શ્લોકમાં અસંભવનું તત્ત્વ વિશેષ છે. આચાર્ય આનંદશંકરે રમણભાઈની ‘પૃથુરાજરાસા’ના ‘અવતરણ’માંની પ્રસ્તુત શ્લોકની ચર્ચાના સંદર્ભમાં નોંધેલું : “આ શ્લોક સંયુક્તાની વાણીમાં મૂક્યો નથી એ ખરી વાત છે, પણ કવિની વાણીમાં આવવાથી એની ‘ચિત્તક્ષોભ’ની દશા મટતી નથી. સમસ્ત કાવ્યમાં એક નિરંતર પ્રવાહરૂપે વહેતો કવિનો નાયક પ્રતિભાવ — નાયકવિષયિકા રતિ”—એ જ અત્રે ચિત્તક્ષોભરૂપ છે, અને તે કવિને માત્ર સમાધાનાર્થે એક "fiction” તરીકે આરોપવામાં આવે છે એમ નથી, પણ વસ્તુતઃ છે, અને તેનો પુરાવો એ કે ભીમરાવનું પૂર્વોક્ત વર્ણન પ્રતિનાયક શાહબુદ્દિન ઘોરીના મરણ સંબંધે લેતાં અનુચિત લાગે છે. અને આ ઔચિત્યનિયામક કારણ કવિની નાયકવિષયક રતિ વિના અન્ય નથી.”૩૧[32] આચાર્ય આનંદશંકરની પ્રસ્તુત ચર્ચાને અવલોકતાં નરસિંહરાવ નોંધે છે “.....આ કલ્પનાને આધારે પાત્રની લાગણીને કવિની જ એમ માનીશું તો તે કવિનાં વચન Subjective આત્મલક્ષી જ થઈ ગયાં. તો તો ઊલટો અસત્ય ભાવારોપણનો દોષ સબળતર થશે. કેમકે....આત્મલક્ષી કાવ્યમાં જે અસત્ય ભાવારોપણ ઉત્કટ રૂપે રહે છે તે પરલક્ષી કાવ્યમાં સંક્રમણ કરતાં લુપ્તવત્ થાય છે, પાત્રના મુખમાં તો તેમ જ થાય છે. બીજું કવિની “નાયકવિષયા રતિ” ગમે તેટલી પ્રબળ હોય પરંતુ પરલક્ષી કાવ્યમાં આત્મલક્ષી કાવ્ય જેટલો ઉત્કટ ચિત્તક્ષોભ ઉત્પન્ન કરનારી ના જ બને.”૩૨[33] આ પ્રસંગે નરસિંહરાવે આચાર્ય આનંદશંકરની મૂળ વિચારણાને જુદો વળ આપ્યો જણાય છે. આચાર્ય આનંદશંકરનું તાત્પર્ય એ જણાય છે કે પ્રસ્તુત શ્લોક તેના સર્જકની વાણીમાં આવ્યો તેથી તે સર્જકની ‘ચિત્તક્ષોભ’ની સ્થિતિ દૂર થતી નથી. આમ, આચાર્ય આનંદશંકર તો પાત્રની ચિત્તદશાને સર્જકની ચિત્તદશા જોડે સાંકળી લેવા ચાહે છે. નરસિંહરાવને એ સ્થિતિ ઇષ્ટ નથી. તેમનો ખ્યાલ એ રહ્યો છે કે જો એ સર્જકનો ચિત્તક્ષોભ હોય તો તો એમાં “ભાવારોપણનો વધુ દોષ આવે. (જો કે એ પરલક્ષી રચના છે, છતાં એમાં સર્જકનો “ચિત્તક્ષોભ” જ પ્રવર્ત્યો છે એટલા માત્રથી તે Subjective હોય એમ નરસિંહરાવ માનતા જણાય છે). આ વિવાદને કારણે નરસિંહરાવે ફરી એક વાર ‘આત્મલક્ષી’ અને ‘પરલક્ષી’ એ સંજ્ઞાઓની વ્યાખ્યા રજૂ કરી છે : “આત્મલક્ષી ચિત્તક્ષોભ કવિના પોતાના અનુભવને જ ઘૂંટે છે અને પરલક્ષી રચનામાં તે પ્રકારનો ચિત્તક્ષોભ કોરાણે જ રાખી પાત્રજનના ચિત્તક્ષોભાદિકનું આલેખન કરવામાં તદ્રૂપ થવા માટે જેટલો સમભાવ જોઈએ તેટલો જ ક્ષોભ કવિ ક્ષણભર પોતે અનુભવે એમ થવાની જરૂર રહે છે, પરંતુ તે સાથે જ પોતાની સ્વતંત્ર વ્યક્તિરૂપ લાગણીથી એ ભિન્ન હોય છે.”૩૩[34] અને આ જ વિવાદની ગૂંચથી નરસિંહરાવ રસ્કિનની મૂળ ભૂમિકા પર પણ આક્રમણ કરવા પ્રેરાયા છે : “પરલક્ષી કવિ તે ગૂઢરૂપે આત્મલક્ષી કવિ જ છે એ અર્ધસત્યનો વિપરીત અર્થ કરવાનું પરિણામ આમ આવે છે. રસ્કિને Subjective (આત્મલક્ષી) અને objective (પરલક્ષી) એ ભેદવાચક નામ તથા અર્થનો પ્રથમ ઉચ્છેદ, હેની પરુષ રીત્ય પ્રમાણે, કરીને જ આ Pathetic Fallacyની ચર્ચા ઉપાડી છે એ ખરું છે. પરંતુ એક દૃષ્ટિએ એ ભૂલ જણાય છે. ખરો Pathetic Fallacyનો દોષ તો ત્યારે જ આવે છે કે જ્યારે આત્મલક્ષી રચનામાં હૃદયભાવની છાપ પ્રકૃતિ ઉપર અસ્વાભાવિક રીત્યની પડે છે.”૩૪[35] પ્રસ્તુત ચર્ચા ‘ભાવારોપણ’ના દોષના કેન્દ્રથી થોડી ખસીને ફરી ‘આત્મલક્ષી’ ‘પરલક્ષી’ના વર્તુળમાં આવી, તે એક દૃષ્ટિએ સમજી શકાય તેવું છે. નરસિંહરાવે કંઈક દૃઢ વલણ ધારણ કર્યું છે કે Pathetic Fallacy નો દોષ તો આત્મલક્ષી કવિતામાં જ વધુ સંભવે. (૫) છેલ્લી કોટિની પરલક્ષી કવિતાના અનુસંધાનમાં (‘ભાવારોપણ’ના દોષની ચર્ચા માટે) નરસિંહરાવે તેમની ‘ફશી પડેલી બાળવિધવા’ એ કૃતિમાંથી ઉદાહરણ આપ્યું છે :
“ગમ્ભીર ઘર્ઘર રવે સરિતા કૂદે છે,”
“અંધાર સાથ કંઈ વાત ઊંડી વદે છે,”
“તારાગણો ઉછળતા સરિતાતરંગે,-”
“ને કોણ આ તટ ઊભી નહિં કોઈ સંગે?”
“વાંકો ચૂંકો ઘન તરુવનમાં ફરે છે,”
“ને ફૂંફવાટ કંઈ નાગસમો કરે છે.”
“ઊંડાં સમીરણ ભણે કંઈ ઘોર ગાન,”
“ને કોણ આ સુણી રહી બની એકતાન?”
“તીણે સ્વરે તમતમે તમરાં અસંખ્ય,”
“ઊંડાં વને ઘુઘવતાં ઘુવડો અશંક”
“ને દર્દુરો વિરલ કર્કશનાદ ગાય,”
“ને કોણ આ ધડકતી નિજ છાતી સ્હાય?”
“અંધાર આ નયન કજ્જલ કાળું આંજે,”
“ને કાળું ઘોર સરિતાજલ ઊંડું ગાજે,”
“તે અંધકાર મહિં ઊંડું ઊંડું નિહાળે,”
“ઊંડે જળે નિરખતી રહી શું તું બાલે?”૩૫[36]
નરસિંહરાવ આ કૃતિમાંના પ્રકૃતિનિરૂપણને અનુલક્ષીને કહે છે : “આ ઘેરી વર્ણચ્છાયાનું ચિત્ર જેટલું પશ્ચાદ્ભૂમિરૂપ છે તેથી વિશેષ આ મલિન નિર્મલ મૂર્તિ વિધવાની હૃદયની અવસ્થામાં, હેના વૃત્તાન્તમાં, ઓતપ્રોત છે, એટલું જ નહિં પણ આત્મઘાત થવાનો છે તે ઘોર ભાવિના પૂર્ણ ભણકારા પણ એ વર્ણનમાં સંભળાવાનો ઊંડો ધ્વનિ છે. આ રીતે વૃત્તાન્તને અનુકૂળ વર્ણનમાં પ્રકૃતિનો વિલક્ષણ સમભાવ છપાયો છે. હાવે પ્રસંગે આત્મલક્ષી ભાવારોપણની અસત્યતા તો સંભવે જ નહિ, પણ પરલક્ષી ભાવારોપણ પણ હાવાં સ્થળોમાં નહિ મનાયઃ અસત્યરૂપ, દોષરૂપ, તો નહિ જ મનાય. કેમકે હેમાં, બુદ્ધિવ્યાપારના ઉપર અયોગ્ય જોર ચલાવીને ભાવારોપે પોતાનું બળ ફેલાવ્યું નથી. ઊલટું, વૃતાન્તના રહસ્યનું ઉદ્ઘાટન કરવાનું સાધન જ આ પ્રકારની કલ્પનાથી મળે છે.”૩૬[37] પ્રસ્તુત કવિતામાં પ્રકૃતિનો ‘સમભાવ’ રજૂ થયો છે, છતાં અહીં ‘ભાવારોપ’નો કોઈ પ્રશ્ન જ નથી એમ નરસિંહરાવનું મંતવ્ય છે. જોકે ઉત્તમ કોટિની કવિતામાં આ પ્રકારે પ્રકૃતિનું નિરૂપણ વારંવાર જોવા મળે છે. (કદાચ પ્રશ્ન હોય તો આ જ કે જે રચનામાં “અસત્ય ભાવારોપણ"નો દોષ જ ના હોય તેને ચર્ચામાં આણવાની જરૂરત જ શી?) (૬) પ્રકૃતિના ‘સમભાવ’નું નિરૂપણ હોય છતાં ‘અસત્ય ભાવારોપણ’નો દોષ ન હોય, એવું બીજું ઉદાહરણ તેઓ ‘મેકબેથ’માંથી આપે છે :
“Lennox : The night has been unruly :
Where we lay,
Our chimneys were blown down,
and, as they say,
Lamentings heard in the air, strange
screams of death;
And other prodigies.
Macbeth : T’was a rough night.
Lennox : My young remembrance cannot
apralled a follow to it”
* * *
“by the clock, tis day”
“And yet dark night strangles the
travelling lamp.” ૩૭[38]
મેકબેથે ડંકનનું ખૂન કર્યું તે રાત્રિનું અને તે પછીના દિવસનાં ચિત્રો અહીં રજૂ થયાં છે. આ માટે નરસિંહરાવનું રસદર્શન નોંધપાત્ર છે. તેઓ કહે છે : “આ અત્યન્ત સ્વાભાવિક સૃષ્ટિવર્ણનનું ચિત્ર અને ઘોર મનુષ્યવધનો ભયાનક વૃત્તાન્ત બંને કેવાં અન્યોન્યનાં પોષક થાય છે! મનુષ્યવૃત્તાન્તનું ચિત્ર અનુકૂળ પાશ્ચાત્યભૂમિ પામે છે : અને પ્રકૃતિ ઉપર એ વૃત્તાન્તની ગૂઢ છાયા વગર પ્રયાસે પડે છે. આ પ્રકારના પ્રકૃતિસ્વરૂપના દર્શનમાં અસંભવ નથી આવતો, કલેશ નથી આવતો, અને જ્યાં સ્વાભાવિકત્વ જ છે ત્યાં અસત્ય ભાવારોપણ તો ક્યાંથી જ આવે?”૩૮[39] પ્રસ્તુત નાટ્યપ્રસંગમાં નરસિંહરાવને માત્ર ‘સ્વાભાવિકત્વ’ જણાયું છે અને તેમની દલીલ—અને યોગ્ય દલીલ એ છે કે આ પ્રકારનું ‘સ્વાભાવિકત્વ’ હોય ત્યાં “અસત્ય ભાવારોપણ”ને સ્થાન જ ન હોય, તો, આ પ્રકારનું ‘સ્વાભાવિકત્વ’ સિદ્ધ કરવું એ જ તો કવિનું કાર્ય છે, કવિકર્મ છે અને કળાકૃતિમાં એ જ તો મહત્ત્વનું છે. આ કવિકર્મને કારણે જ પ્રસ્તુત નાટ્યપ્રસંગમાંની અસામાન્ય લાગતી ઘટનાઓ પ્રતીતિકર બની રહે છે. રાત્રિ બેફામ વીંઝાતી હોય, હવામાં ચિત્કાર સંભળાય કે ધોળા દિવસે રાત્રિનો અંધારપ્રલય દીપકોને ગૂંગળાવી રહે, એ સર્વ કવિસૃષ્ટિમાં સંભવે. કવિની સૃષ્ટિ ખરેખર નિયતિકૃતનિયમરહિતા છે. પણ એ સર્જવાને પ્રતિભાશક્તિ જોઈએ. એનો સર્જક જે કંઈ અસાધારણ લાગતી ઘટનાઓ નિરૂપવા ચાહે તે સમગ્ર કૃતિના પરિવેશમાં એકરૂપ થઈ રહે, કૃતિના આગવા ઋતનો અંશ થઈ રહે એ જ પ્રધાન વસ્તુ છે. આમ, કૃતિ પરલક્ષી છે એટલા માટે જ નહિ, પણ એ કૃતિના સર્જકે પોતાના પ્રતિભાસામર્થ્યથી આગવું કાવ્યવિશ્વ સિદ્ધ કર્યું અને એ કારણે એમાં ‘ભાવારોપણ’નો દોષ સંભવતો નથી. આ ચર્ચાના અનુંસધાનમાં જ આગળ ઉલ્લેખેલી નર્મદની કવિતાનો ઉલ્લેખ કરીશું.૩૯[40] નર્મદે પોતાની જાત જોડે રાત્રિને ય રડતી કલ્પી છે. એમાંયે રાત્રિના રુદનની ઘટના સ્થાન પામી છે. પરંતુ એ સ્થાને જો ભાવારોપણનો દોષ હોય તો તે એટલા જ માટે કે તેનો કવિ તેને ઉચિત કળાત્મક રૂપ અર્પી શક્યો નથી. આ મેકબેથના દૃશ્યમાં રાત્રિ માત્ર રુદ્ર ભયાનક રૂપ ધારણ કરતી દર્શાવાઈ છે. રાત્રિ જેવું અગોચર તત્ત્વ આવું રૂપ ધારણ કરી શકે કે નહિ એ પ્રશ્ન અહીં પ્રસ્તુત નથી. કવિએ રચેલી સૃષ્ટિમાં જ એ ‘સ્વાભાવિક’ લાગે છે. અર્થાત્ કોઈ કૃતિ આત્મલક્ષી કે પરલક્ષી માત્ર છે, એ હકીકત સર્વથા ગૌણ છે, મુખ્ય મુદ્દો એ છે કે તેનો સર્જક કવિતાનો આગવો વાસ્તવ રચી શક્યો છે કે નહિ. જો એવો વાસ્તવ રચી શકાયો હોય તો એમાં કોઈ જ ઘટના ‘અસત્ય’રૂપ ન લાગે. (૭) આ પછી નરસિંહરાવે વર્ઝવર્થની કાવ્યકડીઓની વિગતે ચર્ચા કરી છે.૪૦ એની પ્રેરણા આચાર્ય આનંદશંકર અને રમણભાઈના વિવાદમાં રજૂ થયેલી પંક્તિઓ જ છે.૪૧ એ ચર્ચાનો ટૂંકમાં ક્રમશઃ વિચાર કરીએ. રમણભાઈએ “વૃત્તિમય ભાવાભાસ” વિશે ‘પૃથુરાજરાસા’ના ‘અવતરણ’ની પ્રથમ ચર્ચામાં એમ કહેલું કે પ્રકૃતિ જડ છે એટલે એવી પ્રકૃતિને મનુષ્યજીવનમાં બનતા બનાવોનું જ્ઞાન કે તે માનવો જોડે સમભાવ થવો અશક્ય છે વળી એ જ કારણે પ્રકૃતિમાં યે જડ પદાર્થો એકબીજા જોડે ચેતન વ્યવહાર રાખે એ શક્ય નથી. આ ખ્યાલની સામે વાંધો લેતાં આચાર્ય આનંદશંકરે પોતાના “વૃત્તિમય ભાવાભાસ” વિશેના લેખની ચર્ચામાં વર્ડ્ઝવર્થની પ્રસ્તુત પંક્તિઓ ટાંકેલી. એ પંક્તિઓ આ પ્રમાણે છે :
“The moon doth with delight”
“Look round her when the heavens are bare.” ૪૨
આચાર્ય આનંદશંકરે આ કાવ્યકડીની કાવ્યસિદ્ધિને અનુલક્ષીને દલીલ કરેલી :૪૩ “આ ઉપર કદાચ એમ ઉત્તર અપાશે કે આ સર્વ સ્થળે અમુક ભાવ કે ક્રિયાની અન્ય ભાવ કે ક્રિયારૂપે કલ્પના છે : અને એ રીતે એમાં અલંકાર હોઈ એ ત્રીજા અપવાદમાં આવે છે. (રમણભાઈએ ‘પૃથુરાજરાસા’ના ‘અવતરણ’માં “વૃત્તિમય ભાવાભાસ”ની ચર્ચા કરી,૪૪ તેમાં કેટલાક અપવાદો નોંધેલા. ત્રીજો અપવાદ આ પ્રમાણે છે : “મનુષ્યની લાગણીઓના કંઈ પણ સંબંધ લીધા વિના પ્રકૃતિના બનાવોને જુદે જુદે વખતે જુદી જુદી ઉપમાઓ, રૂપકો, ઉત્પ્રેક્ષાઓ વગેરે અલંકારથી જુદા જુદા પ્રકારનું કલ્પિત સામ્ય આપવું એમાં દોષ નથી”૪૫) પરંતુ અમે પૂછીએ કે વાસ્તવિકતાનો સિદ્ધાંત રાખી એનો યાદૃચ્છિક સઃકારણ અપવાદ કલ્પવો એ ઠીક છે કે આ અપવાદની દૃષ્ટિએ વાસ્તવિકતાનો નિયમ ખોટો ઠરતાં એ ઉપર આગ્રહ છોડી અમુક સ્થળે કાવ્યત્વ છે કે નહિ એ વાસ્તવિકતાના નિયમથી સ્વતંત્ર રીતે નિર્ધારવા પ્રયત્ન કરવો એ ઠીક? આ બીજો પક્ષ જ વધારે યોગ્ય અને શાસ્ત્રીય દેખાય છે. યોગ્ય એટલા માટે કે વાસ્તવિકતાની જડ શૃંખલામાંથી કવિકલ્પના મુક્ત થાય છે, અને શાસ્ત્રીય એટલા માટે કે અમુક નિયમ અને એનો અપવાદ એવી વિષયસ્થિતિને બદલે અપવાદરહિત સામાન્ય નિયમ જે કવિતાનું લક્ષણ છે તે પ્રાપ્ત થાય છે.”૪૬ અહીં આચાર્ય આનંદશંકરે કવિતાનો આગવો વાસ્તવ સ્વીકારવાને સમર્થ દલીલો રજૂ કરી છે. “જડ વાસ્તવિકતા” માટે આગ્રહ રાખી કવિતામાં અપવાદરૂપ ચારુ કલ્પનાઓને સ્થાન આપવું એ અશાસ્ત્રીય અને અનુચિત છે. એના કરતાં તો તે (વ્યાપક) અપવાદને કાવ્યભાવના (કાવ્યસિદ્ધાંત)માં સમાવી લેવો અને એ રીતે “જડ વાસ્વતવ”થી સ્વતંત્ર કાવ્યવાસ્તવની પ્રતિષ્ઠા કરવી એ જ યોગ્ય માર્ગ છે. આચાર્ય આનંદશંકરની પ્રસ્તુત ચર્ચાને અનુલક્ષીને રમણભાઈ નીલકંઠે (પ્રસ્તુત કાવ્યકડીઓના સંદર્ભમાં) એવી દલીલ કરેલી :૪૭ “મનુષ્યોમાં બનતા બનાવ અને મનુષ્યચિત્તમાં થતા વિચાર પ્રકૃતિ જાણી શકતી નથી અને મનુષ્યોના ભાવનો રંગ પ્રકૃતિ ગ્રહણ કરતી નથી. એ અર્થમાં જ પ્રકૃતિને અમે ‘જડ’ તથા ‘અચેતન’ કહી છે અને પ્રકૃતિમાં પોતાનું જીવન હોય અને પોતાના આનંદ તથા બીજા ભાવ હોય તેને અને આ સિદ્ધાંતને વિરોધ નથી....૪૮ અહીં રમણભાઈની દલીલની નિર્બળતા સ્વયંસ્પષ્ટ છે. પ્રકૃતિને ‘જડ’ લેખવ્યા પછી તેમાં વળી “પોતાનું જીવન” અને “પોતાના આનંદ તથા બીજા ભાવ”નો સ્વીકાર તેમણે કરવો જ પડ્યો છે.) આપણે રમણભાઈની કાવ્યચર્ચામાં-“વૃત્તિમય ભાવાભાસ” વિશેના પ્રકરણમાં સ્પષ્ટ કર્યું છે તેમ, રમણભાઈ આખી ચર્ચાની માંડણી કરતી વેળા “પ્રકૃતિ જડ છે” એમ ગૃહિત કરી લઈને જ એ દિશામાં આગળ વધ્યા છે.૪૯ કવિતાના વાસ્તવને સમજવા કરતાં તેમણે પોતાની આ ભૂમિકાને જ વળગવાનો સતત પ્રયત્ન કર્યો જણાય છે.) નરસિંહરાવે પોતાની “અસત્ય ભાવારોપણ”ની ચર્ચામાં વર્ડ્ઝવર્થની એ ચર્ચાસ્પદ કડીઓને અનુલક્ષીને પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. તેઓ કહે છે : અહિં કોઈ પણ મનુષ્યના ભાવની-કવિના હૃદયના ભાવની કે પાત્રના ભાવની-છાયા ચંદ્રની આનંદવૃત્તિ કલ્પવામાં પ્રકૃતિ ઉપર પડાઈ છે જ નહિ, એટલે એ પ્રકારનું ભાવારોપણ તો દૂરાપાસ્ત જ છે. રહ્યું માત્ર ચંદ્રને ચેતનરૂપ કલ્પી ચેતનપદાર્થ જેવા ભાવની કલ્પનાનું તત્ત્વ. એ વિશે પરીક્ષા કરતા પહેલાં કહેવાની જરૂર છે કે કવિની અથવા પાત્રની લાગણીની-ક્ષણિક, તાત્કાલિક અને અસ્થાયી લાગણીની-છાયા પ્રકૃતિનાં સ્વરૂપો ઉપર પાડવી તે એક મુદ્દો જુદો વિષય છે. અને પ્રકૃતિમાં ચેતન તત્ત્વનો ધ્વનિ જોઈ હેનાં સ્વરૂપોમાં ચેતનવત ભાવની રેખાઓ આંકવી તે એક જુદો વિષય છે : આ વિષય વિભાગની સ્પષ્ટ મર્યાદાનું ઉલ્લંઘન રા. આનંદશંકરની ચર્ચામાં થયેલું નજરે પડે છે.”૫૦ અહીં નરસિંહરાવે પણ લગભગ રમણભાઈની જ દલીલનો પડઘો પાડયો છે અને એ રીતે આચાર્ય આનંદશંકરની સૈદ્ધાંતિક ભૂમિકાનો અસ્વીકાર કર્યો છે. આના સંદર્ભમાં તેઓ ફરીથી ચોખવટ કરતાં નોંધે છે : “ઉપરની વર્ડ્ઝવર્થની ચંદ્રની સ્વરૂપરેખાનું રહસ્ય શું છે? વાદળાંથી ભરાયલા આકાશમાંના ચંદ્રની સ્થિતિના પડછામાં વાદળાંથી મુક્ત સ્વચ્છ આકાશમાંના ચંદ્રની સ્થિતિનું ભાન થવા માટે સ્વાભાવિક કલ્પના જ ચંદ્રના આનંદમય સ્વરૂપની થઈ આવે છે. એટલું જ નહિ પણ આનંદથી પોતાની આસપાસ સર્વત્ર જુવે છે. એ કલ્પનાથી એ દેખાવનું ઊંડું અન્તર્ગત સ્વરૂ૫ એકબે રેખા લેખનમાં કે’વું પ્રત્યક્ષ થઈ જાય છે? આમ પ્રકૃતિનાં સ્વરૂપનું ઊંડુ અંતઃસ્વરૂપ પ્રગટ કરવાનું બળ અને ફળ જ આ પ્રકારની સજીવારોપણની કલ્પનાનું છે. વસ્તુતઃ ચંદ્રને ચેતનવત્ હર્ષશોકના ભાવોનો અનુભવ નથી : પરંતુ મનુષ્ય પોતાના ક્ષણિક અને અસ્થાયી હૃદયભાવથી કલુષિત દૃષ્ટિ વિના જો પ્રકૃતિ તરફ જુવે તો પ્રકૃતિનું સ્વરૂપ હાવે સ્વરૂપ જ ભાસે અને તે જ સત્યદર્શન : આ તત્ત્વની દૃષ્ટિથી આ સુંદર સાદા ચિત્રમાં ચેતનવત્ કલ્પનાને સ્થાન મળે છે. આ પ્રકારના વર્ણનમાં કોઈ પણ રીત્યે અસત્યભાવારોપણ આવી શકતું જ નથી : હેનું લક્ષ કવિના હૃદયની વૃત્તિ તરફ નથી, પણ પ્રકૃતિના સ્વરૂપના અન્તસ્તત્ત્વ તરફ જ છે.”૫૧ નરસિંહરાવને, આમ, વર્ડ્ઝવર્થની કાવ્યકડીનું મનોહર સૌંદર્ય તો સ્વીકાર્ય છે. પરંતુ એ કાવ્યની સ્વપ્રકાશિત ચારુતાને નહિ સ્વીકારતાં તેઓ તેમાં બિનજરૂરી અર્થઘટન કરી દાખવે છે. ચંદ્રને વસ્તુતઃ હર્ષશોકનો ભાવ થતો નથી એમ પણ તેઓ નોંધે છે અને એ સાથે ‘દેખાવનું’ “ઊંડું અંતઃસ્વરૂપ” પ્રગટ થાય એવી સજીવારોપણની કલ્પનાનો મહિમા ય કરે છે. આચાર્ય આનંદશંકરે કવિપ્રતિભાનું રહસ્ય છતું કરી નોંધ્યું હતું તેમ આવી કલ્પનાશક્તિને અપવાદરૂપ ગણવા કરતાં તેને કાવ્યવાસ્તવનું અંગભૂત તત્ત્વ ગણવું વધુ યથાર્થ છે. પરંતુ નરસિંહરાવ ફરી ફરીને “જડ વાસ્તવ”ના સ્થૂળ સત્ય જોડે કાવ્યસૃષ્ટિની તુલના કરવા પ્રેરાયા છે. તેમણે કવિતાના વાસ્તવની પ્રતીતિમાં જ શ્રદ્ધા રાખી હોત તો આ વિવાદને અવકાશ ન રહેત. (૮) નરસિંહરાવની “અસત્ય ભાવારોપણ”ની સમગ્ર ચર્ચાની ભૂમિકાને પડકારતું તેમની પોતાની કૃતિનું અવલોકન જોઈશું. ‘કુસુમમાળા’માં ‘કરેણા’ કાવ્ય છે તેમાંથી નીચેની પંક્તિઓ ટાંકી છે :૫૨
“તૃણશૂન્ય સૂકી ગિરિભૂમિ વિશે”
“સહસા મીઠી આ રચના શી દીસે!”
“લઘુસ્રોતપટે મળી એક રસે”
“શું અનંત કરેણ કુસુમ હસે?”
“મૃદુ રંગ ગુલાબી મુખે વિલસે”
“શી પ્રભાતરવિધુતિ ત્યાંહિં વસે?”
“સહુ ટોળું મળી અહિં રંગ રસે”
“રમતાં રમતાં શું હસે જ હસે”૫૩
તેઓ પોતાની આ રચનાનું રસદર્શન કરાવતાં લખે છે : ‘તૃણ શૂન્યભૂમિના સૂકાપણાનો પડછો આવતાં અસંખ્ય કરેણાનાં ફૂલ, સ્હવારના સૂર્યપ્રકાશમાં વિશેષ ગુલાબી તેજમાં પ્રકાશતાં, આમ આનંદના ભાવના પ્રતિબિંબ રૂપે જણાય તો હેમાં એ દેખાવનું વસ્તુગત સ્વરૂપ જ ઊઘડે છે, કવિના હૃદયની છાયા તો નથી જ પડતી, અને અસંભવિત કે અસત્ય આરોપ પણ નથી આવતો.”૫૪ નરસિંહરાવની પ્રસ્તુત રચના ‘આત્મલક્ષી’ છે. એમાં કુસુમોને આનંદમાં હાસ્ય કરતાં કલ્પ્યાં છે. (સહૃદય ભાવક તો એમાં કાવ્યની ચારુતાની પ્રતીતિ થતાં “ભાવારોપ”નો અપવાદ ન લે.) પરંતુ નરસિંહરાવે પોતાની સૈદ્ધાંતિક ભૂમિકાનો બચાવ કરવા કંઈક વિચિત્ર લાગે એવું એ પંક્તિઓનું અર્થઘટન કરી બતાવ્યું છે : આ કુસુમો “આનંદના ભાવના પ્રતિબિંબરૂપે જણાય તો એમાં એ દેખાવનું વસ્તુગત સ્વરૂપ જ ઊઘડે છે” અને તેઓ વિશેષ એમ ઉમેરે છે કે એમાં “કવિના હૃદયની છાયા તો નથી જ પડતી.” અહીં તેઓ તર્કછલમાં સરી પડ્યા જણાય છે. પ્રસ્તુત પ્રસંગે જે “આનંદના ભાવના પ્રતિબિંબ” રૂપ છે તે તો કવિહૃદયની અનુભવગોચર વસ્તુ છે. હકીકતમાં, એમાં કવિના અનુભવની સચ્ચાઈનો રણકો છે, એ કવિતાનો ભાવ સહૃદયની પ્રતીતિમાં આવે છે એ જ મહત્ત્વની વસ્તુ છે. એમણે નર્મદની કવિતા “રે નર્મદા અંધારી રાત્ય”માં જે અપવાદ લીધો હતો તે માત્ર તે રચનાની આત્મલક્ષિતાને અવલંબીને. અહીં નરસિંહરાવની પોતાની રચના પણ “આત્મલક્ષી” જ છે. ભેદ માત્ર એ છે કે આ કવિતામાં કવિના ભાવમાં સચ્ચાઈનો રણકો ઊઠે છે! નરસિંહરાવે અન્ય કેટલીક કાવ્યરચનાઓને અનુલક્ષીને “અસત્ય ભાવારોપણ” વિશેની પોતાની ભૂમિકા ફરી ફરીને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન જારી રાખ્યો છે, પરંતુ એમાં કોઈ નવો મુદ્દો કે વિશેષ વિચાર જેવું નથી. (એ ખરું કે કાવ્યોના અર્થઘટનમાંયે જે દલીલો થઈ છે, તેમાંથી તર્કસંગતિના સંદર્ભમાં કદાચ સ્વતંત્ર મુદ્દાઓ સંભવી શકે, પણ તેથી તેમની મૂળ સૈદ્ધાંતિક ભૂમિકામાં કંઈ જ ફેર પડતો જણાતો નથી.) આપણે નરસિંહરાવની “અસત્ય ભાવારોપણ”ની સૈદ્ધાંતિક વિચારણાઓ અને તેનું સમર્થન કરવા રજૂ કરેલાં કવિતાનાં ઉદાહરણો જોયાં. એ સર્વ ચર્ચાવિચારણા પરથી એક વાત એ ફલિત થાય છે કે રસ્કિને દર્શાવેલી આત્મલક્ષી કવિતાની “અસત્ય ભાવારોપણ”ની સંભાવના તેમને વિશેષ અભિમત છે. એટલે જ તેમણે, કવિતાની આત્મલક્ષી અને પરલક્ષી એવી કોટિઓ સ્વીકારી, આત્મલક્ષી કૃતિઓમાં જ એ દોષ વધુ સંભવે છે એ ખ્યાલ પ્રતિષ્ઠિત કર્યો. પરંતુ તેમણે (કૃતિના) કાવ્યવાસ્તવને સ્થાને તેની આત્મલક્ષિતા કે પરલક્ષિતાના મુદ્દા પર જ વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. રસ્કિનની કાવ્યભાવનામાં એવો આદર્શ સ્વીકાર પામ્યો હતો કે કવિનો ધર્મ વિશ્વનાં ભૌતિક સત્યોની ઉપલબ્ધિ કરવાનો છે. આ ખ્યાલને અનુસરી રમણભાઈ, મણિલાલ અને આચાર્ય આનંદશંકરે એ ત્રણ વિદ્વાનોએ જ તો એ વિશ્વનાં સત્યો ઉપલબ્ધ કરી આપનારી શક્તિ લેખે કવિકલ્પનાના સ્વરૂપનો મુખ્યત્વે વિચાર કર્યો. એ રીતે એ વિદ્વાનોની ચર્ચામાં કવિપ્રતિભાના સ્વરૂપનો મુદ્દો જ વધુ કેન્દ્રમાં આવ્યો છે. વળી, રમણભાઈએ તો “પ્રકૃતિ જડ છે” એવી દાર્શનિક દૃષ્ટિ ગૃહિત કરી લઈને આખી ચર્ચા વિક્સાવવાનો પ્રયત્ન કર્યો છે : જ્યારે વેદાંતદૃષ્ટિને વરેલા મણિલાલ અને આચાર્ય આનંદશંકર પ્રકૃતિની જડતાનો સ્વીકાર કરી લેતા નથી. તેઓ કવિપ્રતિભાના વિલાસનું મહત્ત્વ કરે છે. આ સર્વ ચિંતકોથી નરસિંહરાવની ચર્ચા જુદો જ અભિગમ સ્વીકારે છે. તેમણે કવિતાના ‘આત્મલક્ષી’ અને ‘પરલક્ષી’ એવા ભેદો પાડયા, એટલું જ નહિ, ‘પરલક્ષી’ કાવ્યમાં યે વિભિન્ન કોટિઓ સ્વીકારી. “અસત્ય ભાવારોપણ”નો દોષ ‘આત્મલક્ષી’ રચનાઓમાં જ વધુ સંભવે છે એ સિદ્ધાંતનો અતિરેક કરી તેઓ એવી આત્યંતિક ભૂમિકા સ્વીકારે છે કે જેમ કૃતિમાં આત્મલક્ષિતા ઓછી તેમ તેમાં અસંભવ દોષ ઓછો. આ રીતે સિદ્ધ થયેલી કવિતાના આગવા વાસ્તવનો ખ્યાલ અવગણાયો. કવિની કવિતાનો એ વાસ્તવ જ અમુક ભાવોર્મિ (કે ઘટના)ની પ્રતીતિકરતા કે અપ્રતીતિકરતાના મૂળમાં રહ્યો છે અને અંતે તો, સહૃદય ભાવકનો અવબોધ આસ્વાદ એ જ નિર્ણાયક તત્ત્વ છે. કાવ્યના આગવા પરિવેશમાં જે ભાવ, કલ્પના કે ઘટના પ્રતીતિમાં આવી તે ‘સત્ય’ રૂપ જ ઠરે, તેનો બાહ્ય વાસ્તવના સંદર્ભમાં તાળો મેળવવાનો હોય જ નહિ. કદાચ, આ વિષયની ચર્ચામાં નરસિંહરાવે જે ભૂમિકા સ્વીકારી છે તેની કટોકટી આ સ્થાને છે : કવિની કાવ્યરચનાનું સત્યાસત્ય બાહ્ય વિશ્વના વૈજ્ઞાનિક સત્યની તુલનામાં વિચારી શકાય કે નહિ. જોકે નરસિંહરાવે જે ચર્ચા કરી તેમાં આટલી ભૂમિકા સ્પષ્ટ નથી તો પણ તેમની વિચારણામાંથી અનેક પ્રસંગે એમ ફલિત થાય છે કે કવિ ભલે ચારુ મનોરંજક કલ્પના કરે પણ બાહ્ય વિશ્વના સત્યનો અનાદર તો ન જ થવો જોઈએ. આ આગ્રહને કારણે જ તેઓ આત્મલક્ષી કવિતામાંના પ્રકૃતિનિરૂપણમાં અનેક સ્થાને બાહ્ય પ્રકૃતિના સત્યાસત્યના ખ્યાલને સાંકળી લેવા મથતા જણાય છે. ઉ.ત. વર્ડ્ઝવર્થની ચર્ચાસ્પદ બનેલી કવિતા માટે રમણભાઈ અને આચાર્ય આનંદશંકર જોડે તેઓ પણ સંમત થાય છે કે પ્રસ્તુત કડીઓમાં કાવ્યની ચારુતા છે. પણ તેનું રસદર્શન કરાવતાં તેઓ બાહ્ય વાસ્તવના સત્યનો ખ્યાલ સાંકળ્યા વિના રહી શક્યા નથી. એક વિધાનમાં તેઓ કહે છે : “વસ્તુતઃ ચંદ્રને ચેતનવત હર્ષશોકના ભાવોનો અનુભવ નથી.”૫૫ પરંતુ એ પ્રસિદ્ધ રચનાનું કાવ્ય તેઓ અવગણી શક્યા નથી એટલે વળી ચોખવટ કરતાં એમ કહેવા પ્રેરાયા છેઃ “પરંતુ, મનુષ્ય પોતાના ક્ષણિક અને અસ્થાયી હૃદયભાવથી કલુષિત દૃષ્ટિ વિના જો પ્રકૃતિ તરફ જુવે તો પ્રકૃતિનું સ્વરૂપ હાવે રૂપે જ ભાસે અને તે જ સત્યદર્શન.”૫૬ આમ, એક પક્ષે બાહ્ય વાસ્તવના સત્યની કસોટીએ એ કાવ્યમાં અસત્ય જણાયું પણ સિદ્ધ થયેલા કાવ્યના સંદર્ભમાં એ ‘અસત્ય’ જ ‘સત્ય’ રૂપે જણાયું. આમ, બાહ્ય વાસ્તવના સત્યાસત્યનો ખ્યાલ અહીં પ્રવેશ પામ્યો છે અને “અસત્ય ભાવરોપણ”ની સમગ્ર ચર્ચામાં એ જ ખ્યાલ સસ્ફુટ-અસ્ફુટ રૂપમાં સ્થાન પામ્યો છે. આપણી કાવ્યવિવેચનામાં, આમ, Pathetic Fallacyની ચર્ચા વિસ્તરી છે. અંગ્રેજી કાવ્યચર્ચામાં એક ગૌણ એવી ચર્ચા આપણે ત્યાં અનેક નવા મુદ્દાઓને સ્પર્શે છે. અને એથી આપણી વિવેચના સમૃદ્ધ જ બની છે.
“કવિતામાં અસંભવદોષ”૫૭
થોડી વિશેષ ચર્ચા
નરસિંહરાવે ઈ.સ. ૧૯૧૪માં “કવિતામાં અસંભવદોષ” નામે એક નાનો લેખ પ્રગટ કર્યો. કવિની સૃષ્ટિ નિયતિકૃત-નિયમરહિત હોવા છતાં તેમાં સ્થૂળ લૌકિક વિગતો પ્રામાણિકતાથી રજૂ થાય એ માટે તેમણે એમાં વાદ કર્યો. એમાં તેમણે કેટલાંક ઉદાહરણો લઈને અછડતી ચર્ચા કરી છે. એમાંનાં એકબે ઉદાહરણો જ નોંધીશું : (૧) મહાકવિ કાલિદાસના “રઘુવંશમાં ઇન્દુમતિસ્વયંવરના પ્રસંગે સુનંદાના વચનમાં પંક્તિ છે : ‘તામ્બુલવલ્લીપરિળદ્યપૂગાસ્વેલાલતા લિઙિ્ગતિચન્દનાસુ |’ (સર્ગ ૬ : શ્લોક ૬૪). અહીં ચંદનના ઝાડને વીંટાયેલી એલચીની લતાઓનું વર્ણન છે. નરસિંહરાવે એ વિશે એમ ટીકા કરી છે કે એલચીના તો છોડ હોય, વેલા નહિ. એ કારણે અહીં અસંભવદોષ થયો છે.૫૮ (૨) ગોવર્ધનરામની ‘સ્નેહમુદ્રા’માં નીચે પ્રમાણે કડીઓ છે :૫૯
“વનમાં જ્યમ કોકિલમાળ”
“ઘડી જોતામાં વહી જાય”
“પડી ન પડી નજર ચાલી જાય”
“ઝીણું ઝરતી કૂજિત ગાન”
“અનુસરતી માળ પુઠ માળ”
(“સ્નેહમુદ્રા” : પૃ. ૮૩ : આવૃત્તિ ૨જી)
આ વિશે નરસિંહરાવ એમ નોંધે છે કે કોયલ એ વૃંદમાં વિચરતું પંખી જ નથી એટલે ‘કોકિલમાળ’ની કલ્પના દોષિત છે. (૩) ન્હાનાલાલના “વસન્તોત્સવ”માંથી કડીઓ છે :૬૦
“કોઈ વર્ષાના સન્ધ્યા સમયે”
“નિસ્તેજ બાલચંદ્ર ઉપર”
“મેઘધનુષના રંગ”
“આવી આવી ઊડી જાય તેમ”
“વિલસુના મન્દ મુખ ઉપર”
“લજ્જારેખાઓ બેશી બેશી જતી રહી”
નરસિંહરાવ નોંધે છે : “સન્ધ્યાકાળે બાલચન્દ્ર પશ્ચિમમાં હોયઃ અને સૂર્ય પશ્ચિમમાં હોય એટલે મેઘધનુષ પૂર્વમાં હોય : એટલે બાલચંદ્ર ઉપર મેઘધનુષના રંગ આવે એ પ્રકૃતિથી અસિદ્ધિ હોઈ અસંભવદોષ અહીં પણ આવે છે.”૬૧ તેઓ પાછળથી એમ પણ સ્પષ્ટ કરે છે કે કાવ્યશાસ્ત્રીઓ જેને અતિશયોક્તિ અલંકાર કહે છે, તે આનાથી ભિન્ન વસ્તુ છે; “અતિશયોક્તિમાં કાં તો રૂપકના તત્ત્વનો પ્રવેશ થઈ ઉપમેયની ઉપમાનમાં વિલીનતા થાય છે એટલે ઉપમેય લુપ્ત જ હોય છે અને અસંભિવત સંબન્ધ જાણી જોઈને કલ્પાય છે, અથવા તો માત્ર અસંભવિત સંબંધની જ કલ્પના થાય છે.”૬૨ અહીં તેઓ પ્રકૃતિની-ખગોળશાસ્ત્રની-ઘટનાની સચ્ચાઈ માટે આગ્રહ રાખે છે. આ લેખનું સમાપન કરતાં તેઓ એક મહત્ત્વની સૈદ્ધાંતિક ભૂમિકા રજૂ કરે છે : “નિયતિકૃતનિયમરહિત સૃષ્ટિ રચવાનો કવિનો અલૌકિક અધિકાર છે એ ખરું. પરંતુ નિયતિની સૃષ્ટિમાંથી જ વર્ણન લેવાના પ્રસંગે તો હેની સૃષ્ટિના નિયમનો અનાદર થાય તો અસંભદોષ જ પ્રગટ થવાનો. એક વિધિની સૃષ્ટિમાં અને બીજો એ સૃષ્ટિની બહાર એમ રાખીને નટખેલ કરવાનો અધિકાર કવિનો નથી; કવિનો અધિકાર (પ્રસંગ પરત્વે) એ સૃષ્ટિને બહિષ્કાર આપી પોતાની જ – પરંતુ સનિયમ—સૃષ્ટિ ઉપજાવવાનો છે. તે સૃષ્ટિના નિયમનો અનાદર કરવાની આરમ્ભથી પ્રતિજ્ઞા જેવું હોવાને લીધે દૂષણ હેમાં પેસતું નથી.”૬૩ આ ચર્ચામાં તેઓ કવિની સૃષ્ટિનું સ્વરૂપ વધુ યથાર્થ રૂપમાં મૂકી શક્યા છે. કવિની કાવ્યસૃષ્ટિને આગવું ઋત હોય છે, તેનું આગવું સ્વાયત્ત સ્વ-તંત્ર હોય છે અને તે સૃષ્ટિ આગવો પરિવેશ રચી લેતી હોય છે. એટલે એ સૃષ્ટિમાં ઘટતી ઘટનાઓના સંભવાસંભવનાં આગવાં ધોરણો હોય છે. “અસત્ય ભાવારોપણ”ની ચર્ચા વેળા આ પ્રકારની ભૂમિકા સ્પષ્ટ બની નહોતી, અહીં તે ઘણી વિશદ સ્વરૂપમાં રજૂ થઈ છે. નરસિંહરાવની કાવ્યવિવેચનામાં આ એક પ્રશસ્ય વિકસિત અંશ છે. પાદટીપ : [41] [42] [43] [44] [45] [46] [47] [48] [49] [50] [51] [52] [53] [54] [55] [56] [57] [58] [59] [60] [61] [62] [63] [64] [65] [66] [67] [68] [69] [70] [71] [72] [73] [74] [75] [76] [77] [78] [79] [80] [81] [82] [83] [84] [85] [86] [87] [88] [89] [90] [91] [92] [93] [94] [95] [96] [97] [98] [99] [100] [101] [102] [103] [104]
- ↑ ૧. નરસિંહરાવે રસ્કિનના Pathetic Fallacy માટે “અસત્ય ભાવારોપણ” એ શબ્દપ્રયોગ કર્યો છે. એ માટે રમણભાઈનો “વૃત્તિમય ભાવાભાસ” શબ્દપ્રયોગ તેમને ઉચિત લાગ્યો નથી. તેમણે પોતાના પ્રસ્તુત લેખની પાદટીપમાં એ વિશે જે ચર્ચા કરી છે તેના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે : કાવ્યશાસ્ત્રમાં ‘ભાવાભાસ’ એક વિશિષ્ટ સંજ્ઞા છે અને એ દ્વારા “અનુચિત વિષય”માં પ્રવર્તતા ‘ભાવ’નું સૂચન થાય છે, જ્યારે પ્રસ્તુત પ્રસંગે એવા કોઈ અનૌચિત્યનો પ્રશ્ન જ નથી, વળી ‘વૃત્તિ’ શબ્દનો અર્થ ‘attitude’ થાય છે અને એ રીતે એ શબ્દ દ્વારા ‘મનની’ અથવા ‘હૃદયની’ બીજા બાહ્ય પદાર્થ તરફ સ્થિતિ” એવો ખ્યાલ જ પ્રથમ સૂચવાય છે અને Feeling કે “હૃદયના ભાવનું સંચલન” એવો ખ્યાલ એકદમ સૂચવાતો નથી. પંડિત જગન્નાથે રસને કે તેના સ્થાયી ભાવને ‘ચિત્તવૃત્તિ’ રૂપ ગણ્યો છે ખરો પણ ત્યાં ‘વૃત્તિ’ શબ્દનો એ અપ્રધાન અર્થ જ ગણાય. વળી “વૃત્તિમય ભાવાભાસ’માં ‘વૃત્તિ’ અને ‘ભાવ’એ બે શબ્દો દ્વારા પુનરુક્તિનો દોષ આવે છે અને Fallacy નો અર્થ ‘આભાસ’ કરતાં ‘અસત્ય’ એ શબ્દ દ્વારા વધુ સારી રીતે સમજાય. આમ, નરસિંહરાવે પોતાના “અસત્ય ભાવારોપણ” એ શબ્દપ્રયોગ માટેની ભૂમિકા સ્પષ્ટ કરી છે (મનોમુકુર : ગ્રંથ ૧) “ગુજરાતી” પ્રિન્ટિંગ : મુંબઈ આવૃત્તિ પહેલી, ઈ.સ. ૧૯૨૪, પૃ. ૨૦૨
- ↑ ૨. જુઓ પ્રકરણ-૩ ની ચર્ચા : “રમણભાઈ નીલકંઠની કાવ્યતત્ત્વ વિચારણા : વૃત્તિમય ભાવાભાસ.”
- ↑ ૩. “The temperament which as subject to the Pathetic Fallacy is that of a mind and body overcome by feeling, and too weak (for the time) to deal fully and truthfully with what is before them or upon them.
“This state is more or less noble according to the force and elevation of the emotion which has caused it; but at its best, if the poet is so overpowered as to color his description by it, then it is morbid and a sign of weakness. For the emotions have vanquished the intellect.
“It is a higher order of mind, in which the intellect rises and assets itself along with the utmost tension of the passion, and when the whole man can stand in an iron glow white hot, perhaps, but still strong, and in no wise evaporating; even if he melts, losing none of its weight."
નોંધ :- નરસિંહરાવે નોંધેલાં આ વિધાનો મૂળ લેખમાંની ચર્ચામાંથી શબ્દશઃ ઉતારેલાં નથી. સરખાવોઃ English Critical Essays : XIX Cent. Ed. E.D. Jones ૧૯૧૬ (of the Pathetic Fallacy) pp. ૩૮૫. - ↑ ૪. નરસિંહરાવે અંગ્રેજી કાવ્યવિવેચનામાંના Subjective અને Objective એ શબ્દો માટે અનુક્રમે ‘આત્મલક્ષી’ એને ‘પરલક્ષી’ એ શબ્દપ્રયોગો કર્યા છે. રમણભાઈ નીલકંઠે એ બે માટે અનુક્રમે ‘સ્વાનુભવરસિક’ અને ‘સર્વાનુભવરસિક’ એવા પ્રયોગો કરેલા, (અને એ મૂળ નવલરામે સૂચવેલા) તે નરસિંહરાવને સ્વીકાર્ય નથી. તેમણે પોતાના લેખમાં પાદટીપમાં એ વિશે જે ચર્ચા કરી છે તેના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છેઃ (મનોમુકુર ભા. ૧લો : “ગૂજરાતી” પ્રિન્ટિંગ પ્રેસ મુંબઈ : ૧૯૨૪ : પૃ. ૨૦૪-૨૦૭)
(અ) Subject નો તત્ત્વજ્ઞાનમાં અર્થ Ego અહમ્, આત્મા છે : અને Subjective નું દશ્યબિંદુ ego, અને objective નું દશ્યબિંદુ Ego ની બહારની objective world બાહ્ય સૃષ્ટિ છે તેથી આત્મ અને પર એ તરફ લક્ષણ કરવાથી આત્મલક્ષી અને પરલક્ષી એ નામ સુઘટિત લાગે છે.
(બ) રમણભાઈને આ શબ્દપ્રયોગો પૂરેપૂરા સમાધાનકારી નીવડ્યા નથી. એક પ્રસંગે તેઓ Subjective માટે ‘સ્વવૃત્તિમય’ અને ‘objective’ માટે ‘પરસ્વરૂપજન્ય’ એવો પ્રયોગ કરે છે. આ ઉપરાંત રમણભાઈએ પોતે આ બે સંજ્ઞાઓના સંકેત સ્પષ્ટ કરવા તર્ક કર્યા છે. તેમણે ‘આત્મલક્ષી’ ને ‘પરલક્ષી’ સંજ્ઞાઓ સામે ટીકા કરેલી તેનો નરસિંહરાવે અહીં ઉત્તર વાળ્યો છે.
નવલરામે ઈ.સ. ૧૮૭૮માં Subjective માટે ‘આત્મદર્શી’ અને objective માટે ‘જીવદર્શી’ શબ્દો યોજ્યા હતા. એ પ્રયોગો તેમણે પોતે જ નકારી કાઢ્યા છે, પણ નરસિંહરાવ એમ માને છે કે પોતાને અભિમત સંપ્રત્યયોની એ વધુ નજીક આવી જાય છે.
‘સ્વ’ કરતાં ‘આત્મ’ વધારે ઉચિત છે.... Subjective અને objective એ બંને પ્રયોગો મૂળ તત્ત્વચિંતનના અંગના હોઈ, કવિતાને સંબંધે લાગુ પાડતાં પણ યથાર્થ ઠરે છે. તત્ત્વચિંતનની એ પરિભાષા “રસપ્રમાણ ચિંતન”માંયે યોજાય એ આવશ્યક છે.
નોંધ :- પ્રસ્તુત દીર્ઘ પાદટીપની ચર્ચામાં નરસિંહરાવે વિશેષતઃ રમણભાઈની ‘આત્મલક્ષી’ ‘પરલક્ષી’ શબ્દોની ટીકા ઉત્તરરૂપે જ લખાણ કર્યું છે. જુઓઃ મનોમુકુર ગ્રંથ. ૧લોઃ આગળ નિર્દિષ્ટ આવૃત્તિઃ પૃ. ૨૦૭ - ↑ ૫. મનોમુકુર : ભા. ૧લોઃ (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) પૃ. ૨૦૪–૨૦૬
- ↑ ૬. એજન : પૃ. ૨૦૬–૨૦૮
- ↑ ૭. એજન : પૃ. ૨૦૮ પરની ચર્ચા
- ↑ ૮. એજન : પૃ. ૨૦૮
- ↑ ૯. એજન : પૃ. ૨૦૮
- ↑ ૧૦. એજન : પૃ. ૨૦૮
- ↑ ૧૧. મનોમુકુર ભા. ૧ લો : પૃ. ૨૦૮
- ↑ ૧૨. એજન પૃ. ૨૦૮
- ↑ ૧૩. જુઓ પ્રકરણ ૯ની ચર્ચા.
- ↑ ૧૪. મનોમુકુર ભા. ૧લો. પૃ. ૨૦૮
- ↑ ૧૫. જુઓ નરસિંહરાવની ચર્ચા પૃ. ૫૭૧ ૫ર.
- ↑ ૧૬. મનોમુકુર ભા. ૧ લો. : પૃ. ૨૦૮ની ચર્ચા
- ↑ ૧૭. એજન : પૃ. ૨૦૮
- ↑ ૧૮. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૦૯
- ↑ ૧૯. એજન : પૃ. ૨૦૯
- ↑ ૨૦. એજન : પૃ. ૨૦૯</ref
- ↑ ૨૧. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૦૯
- ↑ ૨૨. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૧૦
- ↑ ૨૩. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૧૦–૨૧૧
- ↑ ૨૪. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૧૧–૨૧૨
- ↑ ૨૫. એજન : પૃ. ૨૧૨
- ↑ ૨૬. એજન : પૃ. ૨૧૩
- ↑ ૨૭. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૧૩
- ↑ ૨૮. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૧૩
- ↑ ૨૮અ. એજન પૃ. ૨૧૪
- ↑ ૨૯. એજન પૃ. ૨૧૪
- ↑ ૩૦ મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૧૯-૨૨૦
- ↑ ૩૧. કાવ્યતત્ત્વવિચાર : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયઃ અમદાવાદ સં : રામનારાયણ પાઠક અને ઉમાશંકર જોશી આવૃત્તિ ઈ.સ. ૧૯૪૭ પૃષ્ઠ. ૧૩૯
- ↑ ૩૨. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૨૭
- ↑ ૩૩. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૨૭
- ↑ ૩૪. એજન : પૃ. ૨૨૮
- ↑ ૩૫. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૨૯–૨૩૦
- ↑ ૩૬. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૩૦
- ↑ ૩૭. એજન : પૃ. ૨૩૨
- ↑ ૩૮. મનોમુકુર : ભા. ૧ : પૃ. ૨૧૨–૨૩૩
- ↑ ૩૯. જુઓ આ પ્રકરણની ચર્ચા. પૃ. ૩૨૯
- ↑ ૧. નરસિંહરાવે રસ્કિનના Pathetic Fallacy માટે “અસત્ય ભાવારોપણ” એ શબ્દપ્રયોગ કર્યો છે. એ માટે રમણભાઈનો “વૃત્તિમય ભાવાભાસ” શબ્દપ્રયોગ તેમને ઉચિત લાગ્યો નથી. તેમણે પોતાના પ્રસ્તુત લેખની પાદટીપમાં એ વિશે જે ચર્ચા કરી છે તેના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે : કાવ્યશાસ્ત્રમાં ‘ભાવાભાસ’ એક વિશિષ્ટ સંજ્ઞા છે અને એ દ્વારા “અનુચિત વિષય”માં પ્રવર્તતા ‘ભાવ’નું સૂચન થાય છે, જ્યારે પ્રસ્તુત પ્રસંગે એવા કોઈ અનૌચિત્યનો પ્રશ્ન જ નથી, વળી ‘વૃત્તિ’ શબ્દનો અર્થ ‘attitude’ થાય છે અને એ રીતે એ શબ્દ દ્વારા ‘મનની’ અથવા ‘હૃદયની’ બીજા બાહ્ય પદાર્થ તરફ સ્થિતિ” એવો ખ્યાલ જ પ્રથમ સૂચવાય છે અને Feeling કે “હૃદયના ભાવનું સંચલન” એવો ખ્યાલ એકદમ સૂચવાતો નથી. પંડિત જગન્નાથે રસને કે તેના સ્થાયી ભાવને ‘ચિત્તવૃત્તિ’ રૂપ ગણ્યો છે ખરો પણ ત્યાં ‘વૃત્તિ’ શબ્દનો એ અપ્રધાન અર્થ જ ગણાય. વળી “વૃત્તિમય ભાવાભાસ’માં ‘વૃત્તિ’ અને ‘ભાવ’એ બે શબ્દો દ્વારા પુનરુક્તિનો દોષ આવે છે અને Fallacy નો અર્થ ‘આભાસ’ કરતાં ‘અસત્ય’ એ શબ્દ દ્વારા વધુ સારી રીતે સમજાય. આમ, નરસિંહરાવે પોતાના “અસત્ય ભાવારોપણ” એ શબ્દપ્રયોગ માટેની ભૂમિકા સ્પષ્ટ કરી છે (મનોમુકુર : ગ્રંથ ૧) “ગુજરાતી” પ્રિન્ટિંગ : મુંબઈ આવૃત્તિ પહેલી, ઈ.સ. ૧૯૨૪, પૃ. ૨૦૨
- ↑ ૨. જુઓ પ્રકરણ-૩ ની ચર્ચા : “રમણભાઈ નીલકંઠની કાવ્યતત્ત્વ વિચારણા : વૃત્તિમય ભાવાભાસ.”
- ↑ ૩. “The temperament which as subject to the Pathetic Fallacy is that of a mind and body overcome by feeling, and too weak (for the time) to deal fully and truthfully with what is before them or upon them. “This state is more or less noble according to the force and elevation of the emotion which has caused it; but at its best, if the poet is so overpowered as to color his description by it, then it is morbid and a sign of weakness. For the emotions have vanquished the intellect. “It is a higher order of mind, in which the intellect rises and assets itself along with the utmost tension of the passion, and when the whole man can stand in an iron glow white hot, perhaps, but still strong, and in no wise evaporating; even if he melts, losing none of its weight." નોંધ :- નરસિંહરાવે નોંધેલાં આ વિધાનો મૂળ લેખમાંની ચર્ચામાંથી શબ્દશઃ ઉતારેલાં નથી. સરખાવોઃ English Critical Essays : XIX Cent. Ed. E.D. Jones ૧૯૧૬ (of the Pathetic Fallacy) pp. ૩૮૫.
- ↑ ૪. નરસિંહરાવે અંગ્રેજી કાવ્યવિવેચનામાંના Subjective અને Objective એ શબ્દો માટે અનુક્રમે ‘આત્મલક્ષી’ એને ‘પરલક્ષી’ એ શબ્દપ્રયોગો કર્યા છે. રમણભાઈ નીલકંઠે એ બે માટે અનુક્રમે ‘સ્વાનુભવરસિક’ અને ‘સર્વાનુભવરસિક’ એવા પ્રયોગો કરેલા, (અને એ મૂળ નવલરામે સૂચવેલા) તે નરસિંહરાવને સ્વીકાર્ય નથી. તેમણે પોતાના લેખમાં પાદટીપમાં એ વિશે જે ચર્ચા કરી છે તેના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છેઃ (મનોમુકુર ભા. ૧લો : “ગૂજરાતી” પ્રિન્ટિંગ પ્રેસ મુંબઈ : ૧૯૨૪ : પૃ. ૨૦૪-૨૦૭) (અ) Subject નો તત્ત્વજ્ઞાનમાં અર્થ Ego અહમ્, આત્મા છે : અને Subjective નું દશ્યબિંદુ ego, અને objective નું દશ્યબિંદુ Ego ની બહારની objective world બાહ્ય સૃષ્ટિ છે તેથી આત્મ અને પર એ તરફ લક્ષણ કરવાથી આત્મલક્ષી અને પરલક્ષી એ નામ સુઘટિત લાગે છે. (બ) રમણભાઈને આ શબ્દપ્રયોગો પૂરેપૂરા સમાધાનકારી નીવડ્યા નથી. એક પ્રસંગે તેઓ Subjective માટે ‘સ્વવૃત્તિમય’ અને ‘objective’ માટે ‘પરસ્વરૂપજન્ય’ એવો પ્રયોગ કરે છે. આ ઉપરાંત રમણભાઈએ પોતે આ બે સંજ્ઞાઓના સંકેત સ્પષ્ટ કરવા તર્ક કર્યા છે. તેમણે ‘આત્મલક્ષી’ ને ‘પરલક્ષી’ સંજ્ઞાઓ સામે ટીકા કરેલી તેનો નરસિંહરાવે અહીં ઉત્તર વાળ્યો છે. નવલરામે ઈ.સ. ૧૮૭૮માં Subjective માટે ‘આત્મદર્શી’ અને objective માટે ‘જીવદર્શી’ શબ્દો યોજ્યા હતા. એ પ્રયોગો તેમણે પોતે જ નકારી કાઢ્યા છે, પણ નરસિંહરાવ એમ માને છે કે પોતાને અભિમત સંપ્રત્યયોની એ વધુ નજીક આવી જાય છે. ‘સ્વ’ કરતાં ‘આત્મ’ વધારે ઉચિત છે.... Subjective અને objective એ બંને પ્રયોગો મૂળ તત્ત્વચિંતનના અંગના હોઈ, કવિતાને સંબંધે લાગુ પાડતાં પણ યથાર્થ ઠરે છે. તત્ત્વચિંતનની એ પરિભાષા “રસપ્રમાણ ચિંતન”માંયે યોજાય એ આવશ્યક છે. નોંધ :- પ્રસ્તુત દીર્ઘ પાદટીપની ચર્ચામાં નરસિંહરાવે વિશેષતઃ રમણભાઈની ‘આત્મલક્ષી’ ‘પરલક્ષી’ શબ્દોની ટીકા ઉત્તરરૂપે જ લખાણ કર્યું છે. જુઓઃ મનોમુકુર ગ્રંથ. ૧લોઃ આગળ નિર્દિષ્ટ આવૃત્તિઃ પૃ. ૨૦૭
- ↑ ૫. મનોમુકુર : ભા. ૧લોઃ (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) પૃ. ૨૦૪–૨૦૬
- ↑ ૬. એજન : પૃ. ૨૦૬–૨૦૮
- ↑ ૭. એજન : પૃ. ૨૦૮ પરની ચર્ચા
- ↑ ૮. એજન : પૃ. ૨૦૮
- ↑ ૯. એજન : પૃ. ૨૦૮
- ↑ ૧૦. એજન : પૃ. ૨૦૮
- ↑ ૧૧. મનોમુકુર ભા. ૧ લો : પૃ. ૨૦૮
- ↑ ૧૨. એજન પૃ. ૨૦૮
- ↑ ૧૩. જુઓ પ્રકરણ ૯ની ચર્ચા.
- ↑ ૧૪. મનોમુકુર ભા. ૧લો. પૃ. ૨૦૮
- ↑ ૧૫. જુઓ નરસિંહરાવની ચર્ચા પૃ. ૫૭૧ ૫ર.
- ↑ ૧૬. મનોમુકુર ભા. ૧ લો. : પૃ. ૨૦૮ની ચર્ચા
- ↑ ૧૭. એજન : પૃ. ૨૦૮
- ↑ ૧૮. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૦૯
- ↑ ૧૯. એજન : પૃ. ૨૦૯
- ↑ ૨૦. એજન : પૃ. ૨૦૯</ref
- ↑ ૨૧. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૦૯
- ↑ ૨૨. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૧૦
- ↑ ૨૩. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૧૦–૨૧૧
- ↑ ૨૪. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૧૧–૨૧૨
- ↑ ૨૫. એજન : પૃ. ૨૧૨
- ↑ ૨૬. એજન : પૃ. ૨૧૩
- ↑ ૨૭. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૧૩
- ↑ ૨૮. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૧૩
- ↑ ૨૮અ. એજન પૃ. ૨૧૪
- ↑ ૨૯. એજન પૃ. ૨૧૪
- ↑ ૩૦ મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૧૯-૨૨૦
- ↑ ૩૧. કાવ્યતત્ત્વવિચાર : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયઃ અમદાવાદ સં : રામનારાયણ પાઠક અને ઉમાશંકર જોશી આવૃત્તિ ઈ.સ. ૧૯૪૭ પૃષ્ઠ. ૧૩૯
- ↑ ૩૨. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૨૭
- ↑ ૩૩. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૨૭
- ↑ ૩૪. એજન : પૃ. ૨૨૮
- ↑ ૩૫. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૨૯–૨૩૦
- ↑ ૩૬. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૩૦
- ↑ ૩૭. એજન : પૃ. ૨૩૨
- ↑ ૩૮. મનોમુકુર : ભા. ૧ : પૃ. ૨૧૨–૨૩૩
- ↑ ૩૯. જુઓ આ પ્રકરણની ચર્ચા. પૃ. ૩૨૯
- ↑ ૪૦. વર્ડ્ઝવર્થની કડી આ પ્રમાણે છે : “The moon doth with delight” “Look round her when the heavens are bare.”
- ↑ ૪૧. આચાર્ય આનંદશંકરના “કાવ્યતત્ત્વવિચાર’ ગ્રંથમાં “ ‘પૃથુરાજરાસા’ના એક અવલોકનમાંથી એક ચર્ચા” લેખમાં પૃ. ૧૩૭ પર આ કડીઓનું વિવરણ છે.
- ↑ ૪૨. મનોમુકુર : ભા. ૧ : પૃ. ૨૩૩
- ↑ ૪૩. કાવ્યતત્ત્વવિચાર : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) પૃ. ૧૩૭–૧૩૮
- ↑ ૪૪. કવિતા અને સાહિત્ય : વૉ. ૨ : પૃ. ૧૭૯–૧૮૧
- ↑ ૪૫. આચાર્ય આનંદશંકરે પાદટીપમાં નોંધ કરી છે : “રા. રમણભાઈ આને અપવાદ માનતા નથી, પણ વસ્તુતઃ આ અપવાદ જ થાય છે. શું કવિનું કવિત્વ પદ્ય અને મુખ વચ્ચે વાસ્તવિક સામ્ય શોધી કાઢી લૌકિક સ્થિતિ નિરૂપવામાં રહેલું છે ? એમ હોય તો કવિતા લૌકિક વસ્તુસ્થિતિનું અનુકરણ જ થાય.” (‘કાવ્યતત્ત્વવિચાર’ : આગળ નિર્દિષ્ટ આવૃત્તિ પૃ. ૧૩૭)
- ↑ ૪૬. કાવ્યતત્ત્વવિચાર : પૃ. ૧૩૭–૧૩૮
- ↑ ૪૭. કવિતા અને સાહિત્ય : વૉ. ૧લું પૃ. ૧૩૯
- ↑ ૪૮. એજન પૃ. ૨૩૯
- ↑ ૪૯. જુઓ પ્રકરણ ૪ની ચર્ચા પૃ. ૩૭૧–૩૮૦
- ↑ ૫૦. મનોમુકુર ભા. ૧ પૃ. ૨૩૩–૨૩૪
- ↑ ૫૧. મનોમુકુર : ભા. ૧ : પૃ. ૨૩૫–૨૩૯
- ↑ ૫૨. મનોમુકુર : ભા. ૧ : પૃ. ૨૩૫–૨૩૬
- ↑ ૫૩. એજન : પૃ. ૨૩૭–૨૩૮
- ↑ ૫૪. મનોમુકુર : ભા. ૧ : પૃ. ૨૩૮
- ↑ ૫૫. મનોમુકુર : ભા. ૧ : પૃ. ૨૩૬
- ↑ ૫૬. એજન : ૨૩૬
- ↑ ૫૭. મનોમુકુર ભા. ૧ : પૃ. ૧૭૫–૧૮૩
- ↑ ૫૮. મનોમુકુર ભા. ૧ : પૃ. ૧૭૫
- ↑ ૫૯. એજન – પૃ. ૧૭૬
- ↑ ૬૦. એજન – પૃ. ૧૭૬–૧૭૭
- ↑ ૬૧. એજન પૃ. ૧૭૫. ૧૭૬–૧૭૭
- ↑ ૬૨. મનોમુકુર : ભા. ૧ : ૧૭૮
- ↑ ૬૩. એજન : પૃ. ૭૩