અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખલાલ ઝવેરી/વિષણ્ણ વય વૃદ્ધ!

Revision as of 10:49, 20 October 2021 by KhyatiJoshi (talk | contribs)


વિષણ્ણ વય વૃદ્ધ!

મનસુખલાલ ઝવેરી

વિષણ્ણ વય વૃદ્ધ! આયુભરનાં બધાં સાથી ને
સમોવડ વિદાય થાય; સ્હી જાય તું એકલો!
ગ્રહી જ તવ કરાંગુલિ ડગુમગુ શીખ્યાં ચાલતાં
જનો, અવ બધાંય તે નવલ પોતપોતાતણી
રહ્યાં સ્વપનસૃષ્ટિની તરફ આંખ મીંચી ધસી.
તને વળગી જે હતાં જન રહેલ તેને હવે
જવું વળગવા રહ્યું અહહ તાહરે, ભાગ્ય એ.
જતો વળગવા તું; ને ખસી જવા ચહે દૂર એ!

નવાં — નહિ નવાં, જુદાં પણ ખરાંય એવાં — જનો,
(ન મેળ મનના મળે ક્યહીંય જેમની સંગ રે!)
તહીં વસવું માત્ર ના, રિઝવી એમને જીવવું!

શરીરતણી ક્ષીણતા ખટકતી નથી એટલી,
રહે ખટકી જેટલી ઉરની આ નિરાધારતા,
વિષણ્ણ વય વૃદ્ધ! દુઃસહ ચિરાયુકેરી સજા!

૧૦-૮-૧૯૫૮