માડી મને સાંભરે રે/સંપાદક-પરિચય

From Ekatra Foundation
Revision as of 12:35, 22 May 2026 by Shnehrashmi (talk | contribs)
Jump to navigation Jump to search
સંપાદક પરિચય : ચંદુ મહેરિયા
Chandu Maheria.jpg


ચંદુભાઈ રામજીભાઈ મહેરિયા ગુજરાતી દલિત સાહિત્ય, સામાજિક ચિંતન અને જાહેર જીવન સાથે લાંબા સમયથી સક્રિય રીતે સંકળાયેલા લેખક, વિચારક અને સંપાદક છે. ૧૯૫૯માં અમદાવાદમાં જન્મેલા ચંદુભાઈએ ગુજરાત યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં બી.એ. કર્યું છે. સરકારી સેવામાથી નિવૃત્ત થયા બાદ હાલમાં તેઓ લેખન અને વાચનમાં સક્રિય છે. વિદ્યાર્થીકાળથી જ તેઓ જાહેર પ્રવૃત્તિઓ, દલિત આંદોલનો અને ડૉ. આંબેડકરના વિચારપ્રસાર સાથે જોડાયેલા રહ્યા છે. “વલય” વિચાર વર્તુળ, ભીમરાવ વિદ્યાર્થી સંઘ અને “અધિકાર” સંસ્થા મારફતે તેમણે અનેક વિચારગોષ્ઠીઓ અને સામાજિક કાર્યક્રમોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે ‘દલિત અધિકાર’ પાક્ષિકના લેખન અને સંપાદનમાં સક્રિય ભૂમિકા ભજવી છે તેમજ ‘નયા માર્ગ’, ‘નિરીક્ષક’, ‘ભૂમિપુત્ર’, ‘જલસો’, ‘સમાજમિત્ર’, ‘આરપાર’,’દલિત શક્તિ’ સહિતના વિવિધ સામયિકોમાં સતત લેખન કર્યું છે. ‘દિવ્ય ભાસ્કર’ અને ‘સંદેશ’ દૈનિકોમાં પણ તેમની કટારલેખન પ્રવૃત્તિ નોંધપાત્ર રહી છે. તેમના પુસ્તકોમાં ‘સાંબરડાથી સ્વમાન નગર’, ‘પ્રાણ પ્રશ્ન પાણીનો’, ‘દુકાળિયા બપોરનો સંગાથ’ અને ‘ચોતરફ’ જેવા મહત્વપૂર્ણ ગ્રંથોનો સમાવેશ થાય છે. દલિત કવિતા, આત્મકથાત્મક લખાણો અને સામાજિક પ્રશ્નોને કેન્દ્રમાં રાખી તેમણે સંપાદન અને વિવેચનક્ષેત્રે પણ નોંધપાત્ર કાર્ય કર્યું છે. ગુજરાતી સાહિત્ય પરિષદ, અસ્મિતા પર્વ અને વિવિધ યુનિવર્સિટીઓમાં તેઓ વક્તા તરીકે આમંત્રિત થયા છે. સામાજિક ન્યાય, દલિત ચેતના અને જાહેર પ્રશ્નો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા તેમના સમગ્ર સર્જન અને કાર્યમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે.

પંક્તિ દેસાઈ