રમણલાલ વ. દેસાઈ : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સર્જક-પરિચય

દીપક મહેતા (જન્મઃ ૨૬ નવે. ૧૯૩૯) ૧૯૬૩ના જૂનથી ૧૯૭૭ના જૂન સુધી મુંબઈની કે. જે. સોમૈયા કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક હતા. ત્યાર બાદ તેમણે બે વર્ષ પરિચય ટ્રસ્ટમાં સહાયક સંપાદક તરીકે સેવાએ આપી. હાલ તેઓ દિલ્હીમાં અમેરિકન દૂતાવાસ અંતર્ગત યુ. એસ. લાયબ્રેરી ઑફ કૉન્ગ્રેસમાં ગુજરાતી ભાષા અને સાહિત્યના વિશેષજ્ઞ તરીકે કામ કરી રહ્યા છે. ‘નવલકથા : કસબ અને કલા’ અને ‘કથાવલોકન’ એ તેમના નવલકથા વિષેના લેખો-અવલોકનોના સંગ્રહો છે. ‘કનૈયાલાલ મુનશી’, ‘શામળની કવિતા’ અને ‘જગતની શ્રેષ્ઠ નવલકથાઓ’ એ ત્રણ પરિચય પુસ્તિકાઓ તેમણે લખી છે. આ ઉપરાંત મરાઠી, હિંદી અને અંગ્રેજીમાંથી તેમણે અનેક અનુવાદો પણ કર્યા છે. ‘પરીકથામાળા’ અને ‘સબરસકથામાળા’ બાળવાર્તાઓનાં તેમનાં પુસ્તકો છે. નવોદિત અભ્યાસી વિવેચકોમાં શ્રી દીપક મહેતાની ગણના થાય છે. તેમના અભ્યાસલેખો અને અવલોકનો સામયિકોમાં પ્રગટ થાય છે. નવલકથા એ તેમના વિશેષ અભ્યાસનો વિષય છે. શ્રી દીપક મહેતાએ આ પુસ્તિકામાં યુગમૂર્તિ વાર્તાકાર સ્વ. ૨. વ. દેસાઈનું જે મૂલ્યાંકન આપ્યું છે તે જેટલું અભ્યાસમંડિત તેટલું જ રસપ્રદ છે.