અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઝવેરચંદ મેઘાણી/વિદાય

From Ekatra Wiki
Revision as of 11:20, 9 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
વિદાય

ઝવેરચંદ મેઘાણી

અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડુ હતાં, ને
પિતાની છાંય લીલી, ગોદ માતાની હતીયે;
ગભૂડી બ્હેનના આંસુભીના હૈયાહિંચોળે
અમારાં નેન ઊનાં ઝંપતાં આરામઝોલે.

બધી માયા-મહોબ્બત પીસતાં વર્ષો વીતેલાં,
કલેજાં ફૂલનાં, અંગાર સમ કરવાં પડેલાં:
ઉખેડ્યા જે ઘડી છાતી થકી નિઃશ્વાસ છેલ્લા,
અમારે રોમેરોમેથી વહ્યા'તા રક્તરેલા.

સમય નો'તો પ્રિયાને ગોદ લૈ આલિંગવાનો,
સમય નો'તો શિશુના ગાલ પણ પંપાળવાનો;
સમય નવ માવડીને એટલું કહેતાં જવાનો:
'ટપકતા આંસુને, ઓ મા! સમજજો બાળ નાનો.'

અહોહો! ક્યાં સુધી પાછળ અમારી આવતી'તી
વતનની પ્રીતડી! મીઠે સ્વરે સમજાવતી'તી;
ગળામાં હાથ નાખી ગાલ રાતા ચૂમતી'તી,
'વળો પાછા!' વદીને વ્યર્થ વલવલતી જતી'તી.

બિરાદર નૌજવાં! અમ રાહથી છો દૂર રે'જે;
અમોને પંથભૂલેલા ભલે તું માની લેજે;
કદી જો હમદિલી આવે, ભલે નાદાન કે'જે;
'બિચારા' ક્‌હૈશ ના – લાખો ભલે ધિક્કાર દેજે!

ઓ દોસ્તો! દરગુજર દેજો દીવાના બાંધવોને;
સબૂરી ક્યાંય દીઠી છે કલેજે આશકોને ?
ઇલે શું શું જલે – દેખાડીએ દિલઆહ કોને?
અમારી બેવકૂફીયે કદી સંભારશોને?

અગર બહેતર, ભૂલી જાજો અમારી યાદ ફાની!
બૂરી યાદે દૂભવજો ના સુખી તમ જિન્દગાની;
કદી સ્વાધીનતા આવે, વિનંતી, ભાઈ, છાની:
અમોનેય સ્મરી લેજો જરી, પળ એક નાની!

[૧૯૩૦]