ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/૩ ખારાઘોડા

Revision as of 02:46, 16 November 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ખારાઘોડા – ૩
નિખિલ ખારોડ

કહે છે સહુ જન
કે અગરિયાની વાતમાં
કંઈ નથી.
અગરિયાની વાત તો
જરીક અમથી.
ઊઘડી આંખ તો
મીઠાકણી પર અફળાઈને
ભટકાયો તપતપતો સૂરજ
ને આંખનાં પાણી
સ્ફટિક થઈને પાંપણે બાઝ્યાં.
પા પા પગલી માંડી
તો મળી મીઠે લદાયેલી
રણભૂમિ.
ને ચોંટી ચામડી પર
મીઠાની પોપડી.
પગલે પગલે
દબાતી રણભૂમિ પર
કેડીઓ થઈ.
ને કેડીઓના ગૂંચવાડામાં
અટવાયા અગરિયા.
ઝઝૂમે ખૂબ ગોતવા છેડા.
પણ ક્ષારની પોપડીઓ સાથે
સજ્જડ ચોંટેલાં શરીર
જ્યારે
રણભૂમિની કેડીઓ પર
ભુલભુલામણીમાં
ભમવાં લાગ્યાં
ત્યારે
બનવાં લાગ્યાં હાડ સઘળાં
ક્ષારના નળા.
ને તહીંથી શરૂ થઈ
વાત જરીક અમથી
અગરિયાની
આમ તો કંઈ નથી.