અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પિનાકિન ઠાકોર /વિરહ અભિસાર
આપણે શું કદી એકબીજા કેરાં દેખવાનાં નહીં દ્વાર?
કોઈને આંગણ મારગ, મંદિરે, મળી જવાં કોઈ વાર.
ક્ષણિક મિલાપની એક ઘડી વહે લાખ વિરહના ભાર,
ઓ પ્રિય, કેવા અલૌકિક આપણે આદર્યા છે અભિસાર!
સ્વપ્નભરી એક અંતર અંજલિ ઝૂરતી ઝરવા પાય,
પાંપણ મોતી પરોવ્યાં સોહામણાં કંઠ ક્યારે એ સોહાય!
જુગ જુગ લગીયે આપણી શું કદી ના’વશે મિલનની વેળા,
જનમે જનમે ઝંખવા, ઝૂરવા, દૂર ને દૂરના મેળા.