ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/નૃગ રાજાની કથા

From Ekatra Wiki
Revision as of 13:14, 27 January 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નૃગ રાજાની કથા

ભૂતકાળમાં જ્યારે દ્વારકા નગરી ઊભી થઈ રહી હતી ત્યારે તૃણ — લતાથી છવાયેલો એક મોટો કૂવો નજરે પડ્યો. તે કૂવાનું જળ પીવા માગતા લોકો બહુ શ્રમ કરીને ઘાસ વગેરે કાઢવા લાગ્યા. ત્યાર પછી તેમણે કૂવાની વચ્ચોવચ એક મહાકાય કાચીંડો જોયો,. તેને કાઢવા હજારો પ્રયત્ન કર્યા. દોરડા અને ચામડાના પટ્ટાઓથી બાંધીને પણ તે પર્વત સમાન કાચીંડાને બહાર કાઢી ન શક્યા, ત્યારે બધા લોકો જનાર્દન (કૃષ્ણ) પાસે આવ્યા. તેમણે કહ્યું, ‘એક બહુ મોટો કાચીંડો કૂવાની વચ્ચે છે અને એને બહાર કાઢી શકે એવું કોઈ નથી.’ વાસુદેવે નૃગ રાજા રૂપે કાચીડાને બહાર કાઢ્યો, તેને પૂછવાથી જાણવા મળ્યું. તે રાજાએ પોતાનું પ્રયોજન જણાવ્યું અને ભૂતકાળમાં કરેલા સહ યજ્ઞની વાત પણ કરી.

તે સાંભળીને શ્રીકૃષ્ણે કહ્યું, ‘તમે તો સદા શુભ કાર્યો કર્યાં છે, પાપ કર્યું જ નથી. તો પછી હે નરેન્દ્ર, તમે કેવી રીતે આ દુર્ગતિને પામ્યા, તમારું આ સ્વરૂપ કેવી રીતે થયું? હે રાજન્, અમે સાંભળ્્યું છે કે ભૂતકાળમાં તમે એક લાખ ગાયોનું દાન કર્યું હતું. પછી સો અને ત્યાર પછી બીજી સો ગાયોનું દાન કર્યું, એંસી લાખ ગાયોનું દાન કર્યું, હે રાજા, તમારા આ બધા દાનનું ફળ ક્યાં ગયું?’

નૃગ રાજાએ કૃષ્ણને કહ્યું, ‘વિદેશ ગયેલા એક અગ્નિહોત્રી બ્રાહ્મણની એક ગાય ભૂલથી અમારા ગોધણમાં આવી ચઢી. અમારા પશુપાલકોએ એ ગાયની ગણત્રી પણ મારી હજાર ગાયોમાં કરી લીધી. મેં પરલોકના ફળની આશાએ તે ગાય પણ આપી દીધી. પેલો અગ્નિહોત્રી બ્રાહ્મણ વિદેશથી પાછો આવ્યો અને પોતાની ગાય શોધવા લાગ્યો, બીજા બ્રાહ્મણને ત્યાં તે ગાય જોઈ, તેણે કહ્યું, ‘આ ગાય મારી છે.’ બંને આપસમાં ઝઘડતા ઝઘડતા મારી પાસે આવ્યા અને બોલ્યા, ‘તમે જ દાતા તથા તમે જ હર્તા છો.’

દાન લેનારા બ્રાહ્મણને તે ગાયના બદલામાં એક હજાર ગાય આપીશ એમ કહી નમ્રતાપૂર્વક મેં ગાય માગી ત્યારે તેણે મને કહ્યું, ‘આ ગાય દેશકાલને અનુકૂળ, દૂધાળુ, ક્ષમાશાલિની, વત્સલા, સ્વાદિષ્ટ દૂધ આપનારી છે, ધન્ય છે, તે મારા ઘરમાં જ રહે. દરરોજ મારે ત્યાં માતૃહીન મારા દૂબળા પુત્રને દૂધ આપે છે. એટલે હું તે નહીં આપું.’ એમ કહી તે ચાલ્યો ગયો ત્યારે મેં બીજા બ્રાહ્મણને તે ગાયના બદલામાં એક લાખ ગાય આપવા કહ્યું, ત્યારે તે બોલ્યો, ‘હું રાજાઓનો ઉપકાર નથી લેતો. મારી આજીવિકા મેળવવા હું સમર્થ છું, મને મારી જ ગાય લાવી આપો.’ મેં તેને ઘોડા, સોના, ચાંદી, રથ આપવાની વાત કરી પણ તે ન માન્યો. તે બ્રાહ્મણ જતો રહ્યો. એટલામાં જ કાળવશ હું મૃત્યુ પામ્યો. પિતૃલોકમાં ધર્મરાજ પાસે પહોંચ્યો. ધમરાજે મારું સમ્માન કરી કહ્યું, ‘હે મહારાજ, તમારાં પુણ્યકર્મ અસંખ્ય છે, તેની ગણત્રી કરી શકાતી નથી, પણ તમે ભૂલથી એક પાપ કર્યું છે, પહેલાં તે પાપનું ફળ ભોગવો, અથવા પાછળથી ભોગવો. તમારી જે ઇચ્છા હોય તેમ કરો. હું રક્ષક છું એવી તમારી પ્રતિજ્ઞા પેલા બ્રાહ્મણની ગાય ખોવાઈ જવાથી મિથ્યા થઈ, બ્રાહ્મણના ધનનું અપહરણ કરવાથી ત્રણ પ્રકારનાં પાપ તમને લાગ્યાં.’

મેં ધર્મરાજને કહ્યું, ‘હે પ્રભુ, હું પહેલાં પાપફળ ભોગવીશ, પછી પુણ્યફળ.’ એમ કહ્યું કે તરત જ હું પૃથ્વી પર પડ્યો. પડતાં પડતાં ધર્મરાજે મોટેથી કહેલી વાત સાંભળી. જનાર્દન વાસુદેવ તમારો ઉદ્ધાર કરશે. હજાર વર્ષ પૂરાં થયે, તમારું પાપ નાશ પામશે, તમે પોતાના પુણ્યકર્મ વડે શાશ્વત લોક પામશો. મેં નીચું માથું કરીને જોયું તો હું કૂવામાં પડ્યો હતો. તિર્યક યોનિ પામવા છતાં પૂર્વજન્મની સ્મૃતિ ટકી રહી હતી. હે કૃષ્ણ, તમે મારો ઉદ્ધાર કર્યો છે, તમારા તપોબળ સિવાય બીજું શું કારણ હોઈ શકે? હવે મને આજ્ઞા આપો, હું સ્વર્ગે જઈશ.’

કૃષ્ણે તેને આજ્ઞા આપી, રાજા તેમને પ્રણામ કરી દિવ્ય માર્ગે સ્વર્ગમાં ગયા.

(અનુશાસન, ૬૯)