અભિમન્યુ આખ્યાન/કડવું ૧૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૧૬
[શ્રીકૃષ્ણ અને બલરામ સુભદ્રાના સીમંત પ્રસંગે મોસાળું લઈ ગયા. પ્રેમાનંદે તત્કાલીન સીમંતવિધિ અને રિવાજોનો ઉપયોગ આ પ્રસંગમાં કર્યો છે. આ પ્રકારનું સમકાલીન સમાજદર્શન એનાં આખ્યાનોને ગુજરાતીપણાના સ્પર્શવાળાં બનાવી મૂકે છે.]


રાગ રામગ્રી

સંજય કહે : રાય સાંભળો, એ અટપટી વાત;
મર્મ જ કો પ્રીછે નહિ, જાણે છે જુગ-તાત.          સંજય૦ ૧

તે સમે અર્જુન ત્યાં હતા, સાસરડે મહાલે;
પંચ માસ ત્યાં રાખિયા વિઠ્ઠલજી વહાલે.          સંજય૦ ૨

સુભદ્રાને સીમંત આવિયું, ભાવિયું સર્વ સાથ;
પારથ પ્રત્યે બોલિયા, કુશસ્થળીના નાથ.          સંજય૦ ૩

‘ઇન્દ્રપ્રસ્થ જાઓ ઉતાવળા, અર્જુનજી તમો;
મોસાળું લઈ આવું છું, પૂંઠળથી અમો.’          સંજય૦ ૪

સવ્યસાચી પછે સંચર્યા, સાથે સુભદ્રા નારી;
નકુળ-સહદેવ સામા આવિયા, મળ્યા ગાંડિવધારી.          સંજય૦ ૫

જયજયકાર વરતી રહ્યો, હરખ્યા રાજા ધર્મ;
શાસ્રે કહ્યાં સીમંતનાં જે, કીધાં તે તે કર્મ.          સંજય૦ ૬

મોહન મોસાળું લાવિયા, આવ્યા તે સાથે રામ;
જેને ઘટે તેવું આપિયું, ખરચ્યા બહુ દામ.          સંજય૦ ૭

દુુઃશલાએ બાંધી રાખડી, થયો નકુળ બુસટિયો;
વેવાઈ થઈને માગતો વૃકોદર મહાહઠિયો.          સંજય૦ ૮

‘કહો જાદવ, તમો આવિયા, લેઈને મોસાળું;
પૂરું પડે તો આંહીં રહો, નહિ તો કાઢો કરવાળું.          સંજય૦ ૯

‘કૃપા કરો,’ કહે કૃષ્ણજી, ‘રામ પાડશે પૂરું;
તમ સરખા સગા છો, ક્યમ રહેશે અધૂરું?’          સંજય૦ ૧૦

વલણ
અધૂરું કાંઈ રહેશે નહિ, રામ આપશે તે લેઈ નહિ શકો રે;
બળભદ્ર કહે, ‘સહુ ઊભા રહો, જોઈએ તે કાગળમાં લખો રે.’          ૧૧