આચમની/૧૭

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૭

પશ્ચિમી સંગીતનાં ગગનભેદી શિખરોને યાદ કરતાં બિથોવનનું (૧૭૭૦-૧૮૨૭) નામ લેવું જ પડે. બહુ નાની વયે તેણે મોત્સાર્ટને (૧૭૫૬-૧૭૯૧) સંગીત સંભળાવ્યું હતું. મોત્સાર્ટે તેને સાંભળી બાજૂની ઓરડીમાં જઈ મિત્રોને કહેલું: ‘આ છોકરા પર તમારી આંખો ઠેરવજો. એક દિવસ એ સંગીતમાં કાંઈક એવું આપશે જે દુનિયાના સ્મરણમાં રહી જશે.’ બિથોવન પોતાના જીવનકાળ દરમિયાન જ દંતકથા બની ગયા હતા. તેમના સંગીતને જેટલું બહુમાન મળ્યું એટલી વ્યક્તિ તરીકે તેમની બદનામી પણ થઈ. બિથોવનને તેમનો અતડો સ્વભાવ, ઉદ્દંડતા લેખાય એટલું સ્વાભિમાન અને વિરોધાભાસી લાગતા વ્યવહારને પરિણામે સામાજિક જીવનમાંથી બહિષ્કૃતિ વેઠવી પડી હતી. એક ધૂની સંગીતકારમાં ગણાતાં ઘણાં બધાં અપલક્ષણો તેમને નામે નોંધાયાં. એમાં વળી તેમના કાન પર બહેરાશે પકડ જમાવી. આ સંગીતકાર પોતાના પ્રાણના ઊંડાણેથી ઊઠના સંગીતને ઝીલવા માટે જીવનભર સાધના કરતો રહ્યો. બિથોવનના પત્રો. ડાયરીઓ તથા વાર્તાલાપોમાંથી સંકલન કરી મિશેલ હેમ્બર્ગરે એક પુસ્તક પ્રગટ કર્યું છે. તેમાંથી સંગીતકારની અંતરંગ અવસ્થાની ઝાંખી થાય છે. એક મિત્રના આલ્બમમાં બિથોવને નીચેની પંક્તિઓ લખી છે :

હું દુષ્ટ નથી.
મારો દોષ હોય તો તે છે ધગધગતું લોહી,
મારો ગુનો છે જુવાની.
ના હું દુષ્ટ નથી. ખરેખર હું દુષ્ટ નથી.
મારા હૃદયની સામે જંગલી ઉછળાઓ અવારનવાર
ભલે માથાફોડ કરે, પણ મારું હૃદય ભલું છે.
જ્યાં થઈ શકે ત્યાં મદદ કરવી,
બીજી બધી વસ્તુઓ બાદ કરતાં સ્વતંત્રતાને ચાહવી,
સત્યનો કદી ઈન્કાર ન કરવો,
સિંહાસન સમક્ષ પણ નહીં

(બિથોવન : લેટર્સ જર્નલ્સ એન્ડ કોન્વરસેશન્સ સં૦ મિશેલ હેમ્બર્ગર, પાનાં ૨૨-૨૩)

***