કુંવરબાઈનું મામેરું/કડવું ૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૨

[રાસલીલા જોયાનો નરસિંહનો ઉમંગ વિરાજે જી..., વાજે જી... એમ -જી- વાળા રાગ-લયથી રજૂ થયો છે. દુઃખવેળા સંભારજે... એવું કૃષ્ણવચન હવે પછીની નરસિંહ-કથાનો જાણે પૂર્વ-સંકેત કરે છે. ભક્તનું હવે ફરી ગૃહ-આગમન, અને ઘરસંસાર.]



(રાગ ધન્યાશ્રી)
અદ્‌ભુત લીલા રાસ વિરાજે જી, ગોપિકા ગાયે, વાજાં વાજે જી;
દર્શન કીજે ભવદુખ ભાજે જી, મહાસુખ દીધું શિવ મહારાજે જી. ૧

ઢાળ
મહારાજ શ્રી મહાદેવજીએ ગ્રહ્યો મહેતાનો હાથ;
સદાશિવજીને દેખીને સામા આવ્યા વૈકુંઠનાથ.          ૨

હરિ-હર હરખીને મળ્યા, નમી ગોપી શિવને પાય;
નરસૈંયો નમ્યો નાથને, તવ બોલ્યા ગોકુલરાયઃ          ૩

‘કહો, સદાશિવ! કોણ છે આ, તમો દેખાડો આ ઠામ?’
મહાદેવ કહે, ‘એ દાસ તમારો, વિપ્ર નરસૈયો નામ.          ૪

એ ભક્તિ ઇચ્છે, પ્રભુ! તમારી, કીર્તન કરે, ગુણ ગાય,
કરો કરુણા, કૃષ્ણજી!’ તવ બોલ્યા વૈકુંઠરાય :          ૫

‘હાથ ગ્રહી તમો તેડી લાવ્યા, સદાશિવ ભગવાન!
એ નરસૈંયો મેં દાસ કીધો ઉદ્ધવ-વિદુર[1] સમાન.’          ૬

મસ્તક ઉપર હાથ મૂકી કહે શ્રી ગોપાળ :
‘દુખવેળા સંભારજે, હું ધાઈ આવીશ તત્કાળ.          ૭

કીર્તન કરજે ભક્તિ માહરી, તરીશ તું સંસાર,
આ જોઈ તેવી લીલા ગાજે કેવલ રસ-શૃંગાર.’          ૮

રાસમંડળ તણી રચના દેખાડી તેણી વાર;
નરસિંહ મહેતા પ્રત્યે બોલ્યા સ્વામી શ્રી ત્રિપુરાર[2] :          ૯

‘રખે લોકાચારનો ભય ગણતો મસ્તક સાટે મુક્તિ;
કૃષ્ણગોપીનો વિહાર ગાજે, જોઈ જેહવી જુક્તિ.’          ૧૦

અંતર્ધાન પામ્યા એહવું કહી ભોળા શંકરરાય;
મુહૂર્તમાત્રમાં મહેતો મૂક્યા જૂનાગઢ તે માંહ્ય.          ૧૧

થઈ નરસૈંયાની નિર્મલ વાણી, કવિશક્તિ ભક્તિ અપાર;
રાધાકૃષ્ણ-શું રંગ લાગ્યો, તૃણવત્‌ ગણે સંસાર.          ૧૨

તાલ વાતા, ગીત ગાતા, પધાર્યાં પુર માંહ્ય;
નરસિંહ મહેતો જઈ નમ્યા નિજ ભાભી કેરે પાય :          ૧૩

‘તું ગોરાણી મેં પ્રમાણી[3], જે કહ્યું વજ્રવચન,
શ્રીહરિ-હર મુજને મળ્યા તે, ભાભી! તમારું પુણ્ય.          ૧૪
વલણ
પુણ્ય તમારું, માતા માહરી! જે મળ્યા શ્રીપરિબ્રહ્મ રે’
છે સાધ્વી સ્રી મહેતા તણી, મહેતે માંડ્યો ગૃહસ્થાશ્રમ રે.          ૧૫



  1. ઉદ્ધવ-વિદુર = એવા મહાન ભક્તોની હરોળમાં નરસિંહને સ્થાન આપ્યુ
  2. ત્રિપુરાર = ત્રણ પુર(નગર)ને જીતનાર મહાદેવ શંકર
  3. તું ગોરાણી મેં પ્રમાણી = તારી મને સાચી ઓળખ થઈ, તારા વજ્ર(કડવા) વચનથી જ છેવટે હું હરિને પામ્યો