ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આસગ-આસિગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આસગ/આસિગ [ઈ.૧૨૦૧માં હયાત] : રાસકવિ. જૈન શ્રાવક. શાંતિસૂરિના શિષ્ય. પિતાનું નામ અસાઈત જણાય છે. અને તેનો વાલા-મંત્રી સાથેનો કશોક સંબંધ કાવ્યમાં ઉલ્લેખાયેલો છે. મોસાળ જાલોરથી આવીને સહજિગપુરમાં પાર્શ્વનાથના દેરાસરમાં ‘જીવદયા-રાસ’ની રચના કરી. ૫૩ કડીની ‘જીવદયા-રાસ’ (ર.ઈ.૧૨૦૧/સં. ૧૨૫૭, આસો સુદ ૭; મુ.), ગેય પ્રકારના ચરણાકુલની છંદોરચનાની દૃષ્ટિએ ધ્યાન ખેંચતી બોધપ્રધાન રચના છે. એમાં તત્કાલીન નગરો-ગામો-સ્થાનોનો ઉલ્લેખ મળે છે એટલી એની ઐતિહાસિક ઉપયોગિતા છે. એ જ પ્રકારની છંદોરચના ધરાવતી ૩૫ કડીની ‘ચંદનબાલા-રાસ’ (મુ.), ચંદનબાળાનું ધર્મકથાનક રજૂ કરતી કૃતિ છે. આ કવિએ ૫૮ કડીની ‘કૃપણગૃહિણી-સંવાદ’ (મુ.) નામની રચના પણ કરી છે. ‘પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન’માં પરિશિષ્ટમાં આ કવિની ‘જીવદયા-રાસ’ અને ‘ચંદનબાલા-રાસ’ ઉપરાંત શીર્ષક વિનાની ૧ કૃતિ પણ નોંધાયેલી છે તે કઈ છે તે કહી શકાય તેમ નથી. કવિની કૃતિઓની ભાષા અપભ્રંશપ્રધાન ગુજરાતી છે. કૃતિ : પ્રાગુકાસંચય. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧; ૨. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮; ૩. મરાસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૩(૧).[કા.શા.]