ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અભિનવભારતી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અભિનવભારતી : સંભવત : દસમી સદીના અંતભાગ કે અગિયારમી સદીના પૂર્વાર્ધમાં રચાયેલો અભિનવગુપ્તકૃત ભરતના ‘નાટ્યશાસ્ત્ર’ પરનો અપૂર્ણ રૂપે મળતો ટીકાગ્રન્થ. એમાં ‘નાટ્યશાસ્ત્ર’ના ૭, ૧૦, ૩૩ અને ૩૪ અધ્યાયો પરની ટીકા અત્યારે ઉપલબ્ધ નથી, તેમજ બીજા અધ્યાયોમાં પણ કેટલીક જગ્યાએ વચ્ચેવચ્ચે પાઠ લુપ્ત થયા છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રના ઇતિહાસમાં આ ગ્રન્થનું મહત્ત્વનું સ્થાન છે, ખાસ એમાં ‘નાટ્યશાસ્ત્ર’ના છઠ્ઠા અધ્યાયમાં થયેલી રસવિષયક ચર્ચા પરની ટીકા. પોતાની રસવિષયક માન્યતાને સ્પષ્ટ કરતાં પહેલાં અભિનવગુપ્તે પોતાના પુરોગામી કાવ્યમીમાંસકોના રસવિષયક વિચારો ઉદ્ધૃત કર્યા છે. ભટ્ટ લોલ્લટ, ભટ્ટ શંકુક, ભટ્ટ નાયક અને ભટ્ટ તૌતના વિચારો માત્ર આ ગ્રન્થ સિવાય અન્યત્ર નથી મળતા એ દૃષ્ટિએ તે મૂલ્યવાન છે પરંતુ અભિનવગુપ્તે પોતાના પુરોગામી રસમીમાંસકોની ચર્ચાનું માત્ર દોહન નથી કર્યું, એનું શોધન પણ કર્યું છે. ધ્વનિવાદ અને શૈવ પ્રત્યભિજ્ઞાદર્શનની પીઠિકા પર રસપ્રક્રિયા વિશે એમણે બાંધેલો મત પછીથી સંસ્કૃત કાવ્યમીમાંસામાં બહુધા સ્વીકૃત થયો છે. અભિનવગુપ્તના પિતાનું નામ નૃસિંહગુપ્ત અથવા ચુખલ અને માતાનું નામ વિમલા હતું. તેઓ કાશ્મીરનરેશ લલિતાદિત્યના આશ્રિત હતા. અનેક વિદ્યાઓના તજજ્ઞ ને શૈવ પ્રત્યભિજ્ઞાદર્શનના આચાર્ય અભિનવગુપ્તે ૪૧ જેટલા તંત્રવિદ્યા, દર્શનશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રના ગ્રન્થો રચ્યા છે. અભિનવગુપ્તે તંત્રવિદ્યા, દર્શનશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રના ‘ધ્વન્યાલોકલોચન’, ‘તંત્રાલોક’, ‘ઈશ્વરપ્રત્યભિજ્ઞાવિમશિર્ણી’ વગેરે ૪૧ જેટલા ગ્રન્થો રચ્યા છે. જ.ગા.