ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દ્વૈતાદ્વૈતવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



દ્વૈતાદ્વૈતવાદ : સવિશેષ બ્રહ્મવાદની વિષ્ણુપરક વિચારધારાઓમાં દ્વૈતાદ્વૈત-ભેદાભેદવાદના પ્રવર્તક નિમ્બાર્કે [તેલઙ્ગ બ્રાહ્મણ, નિમ્બગામ. અગિયારમી સદી] બ્રહ્મસૂત્રના ભાષ્ય વેદાન્ત પારિજાત, દશશ્લોકી જેવા ગ્રન્થો દ્વારા દ્વૈત-અદ્વૈતના સમન્વયનો સિદ્ધાન્ત પ્રસ્થાપિત કર્યો : બ્રહ્મ (કારણ) અદ્વૈત અને સંસાર (કાર્ય) દ્વૈત – નાનાવિધ હોઈ, બ્રહ્મ જ સંસારનું રૂપ ધારણ કરતું હોવાથી ઉભય નિત્ય-સત્ય છે. તત્ત્વત : બાદરાયણની પૂર્વે ઔડુલોમિ અને આશ્મરથ ભેદાભેદવાદી હોવાનું બ્રહ્મસૂત્ર પરથી જણાય છે. સિદ્ધાન્તત : આ વિચારધારા જ્ઞાનકર્મ-સમુચ્ચયવાદી અને બ્રહ્મપરિણામવાદી છે. તેના મતે જીવનમુક્તિ નહિ; વિદેહમુક્તિ જ સંભવ છે. ઈશ્વર, ચિત્ (જીવ), અચિત્ (જડ) ત્રણ પરમતત્ત્વો છે. ઉત્પન્ન કરવાની શક્તિના અનુભવમાત્રથી ઈશ્વર સંસારનું સ્વરૂપ ધારણ કરે છે. જીવ જ્ઞાનસ્વરૂપ – જ્ઞાનાશ્રય, જ્ઞાતા, કર્તા, ભોક્તારૂપ અણુ છે. ભેદ માત્ર એટલો જ છે કે ઈશ્વર નિયન્તા અને જીવ નિયમ્ય છે. નિમ્બાર્ક પ્રથમ વૈષ્ણવ હતા જેમણે સખીઓથી ઘેરાયેલા રાધા અને સગુણસર્વવ્યાપક વલ્લભ-કૃષ્ણને પોતાના આરાધ્ય માની તેમની લીલામાં રહેલા સૃષ્ટિના રહસ્યને પ્રમાણ્ય . એ રહસ્યને પામવા માટે જીવે પ્રપત્તિ-આત્મસમર્પણ કરવાનું છે. પ્રપત્તિ એટલે : સમર્પણનો સંકલ્પ [आनुकूलस्य सङ्कल्प :], વિરોધના પરિહાર [प्रातिकूल्य सवज्रानम्], ઈશ્વર રક્ષણ કરશે એવો વિશ્વાસ [रक्षिष्यतीतिविश्वास :], ઈશ્વરના રક્ષણ-ગોપ્તૃત્વનો સ્વીકાર [गोप्तृत्ववरणम्], તેના પર પોતે ન્યોચ્છાવર થવું [आत्मनिक्षेप :] અને નિ :સહાયતાનો અનુભવ [कार्पणम्य] એ નિમ્બાર્ક સૂચિત સાધના છે. તેમના મતનો પ્રચાર વૃન્દાવન અને બંગાળમાં વિશેષ થયો. પ્રતિપક્ષીનું આક્ષેપાત્મક ખંડન કર્યા વિના તેમણે અને અનુયાયીઓએ અદ્વૈત અને દ્વૈતનો સમન્વય સાધી બતાવ્યો. શા.જ.દ.