બે હજાર ચોવીસ સમક્ષ/કૃતિ-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કૃતિ-પરિચય

‘બેહજારચોવીસસમક્ષ’

૨૦૨૪માં પ્રકાશિત ગુજરાતી સાહિત્યગ્રંથોની સમીક્ષાઓનું આ પુસ્તક ‘બેહજારચોવીસસમક્ષ’ આપની સામે રજૂ કરતાં ખૂબ હર્ષની અનુભૂતિ થઈ રહી છે. આ પુસ્તકને સંપાદક તરીકે આપણી ભાષાના એક યોગ્ય સંપાદક અને વિદ્વાન સાહિત્યકાર શ્રી રમણ સોની મળ્યા એ પરિષદ માટે સદ્‌ભાગ્યની વાત છે. આ પુસ્તક દ્વારા બે બહુ મહત્ત્વની વિશેષ સિદ્ધિઓ પણ હાંસલ થઈ છે : ૧. થોડા નવ-લેખકો પણ અહીં સમીક્ષાક્ષેત્રમાં પ્રવેશ પામ્યા છે. ૨. સમીક્ષાનાં પુસ્તકોમાં બાળસાહિત્યનાં પુસ્તકોની બહુધા અવગણના થતી હોય છે, જ્યારે અહીં કાળજીપૂર્વક ખ્યાલ રાખીને એનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવ-લેખકો માટે સંપાદકશ્રી કેવી સરસ નોંધ લખે છે! : ‘ચર્ચા-માર્ગદર્શનના શ્રમ પછી તૈયાર થયેલી નવ-લેખકોની સમીક્ષાઓને આ સમીક્ષાવાર્ષિકની એક વિશેષ ઉપલબ્ધિ ગણું છું.’ સંપાદકશ્રીના આ સંપાદનના સમગ્ર અનુભવના નિચોડ સમા આ શબ્દોને અહીં ટાંકવાનો લોભ હું જતો નથી કરી શકતો – ‘એક બાબતે મને ઊંડી પ્રસન્નતા થઈ છે. લગભગ દરેક સમીક્ષકમિત્રે નિખાલસ, સ્પષ્ટ અભિપ્રાય નોંધ્યા છે. ઘણાં સૂઝ-શ્રમપૂર્વક કેટલાંકે પોતાની વિષ્લેષક દૃષ્ટિ પણ પરોવી છે. લેખક/વ્યક્તિ નહીં પણ કૃતિ/પુસ્તક પર એમનું ધ્યાન કેન્દ્રિત રહ્યું છે. એટલે ૨૦૨૪ના ગુજરાતી સાહિત્ય-વિચાર-જગતનો મહદંશે નરવો કહી શકાય એવો આલેખ ઊપસ્યો છે.’ સંપાદકશ્રી રમણ સોનીની આ પ્રસન્નતામાં ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રસન્નતા પણ આ પ્રકાશન-કાર્યમાં ઉમેરાઈ છે. સંપાદકશ્રી રમણભાઈ અને પુસ્તકનિર્માણમાં સહયોગી સૌ મિત્રો માટે પણ આ અવસરે ખૂબ આદર, આભાર અને આનંદની લાગણી વ્યક્ત કરું છું. આ પુસ્તકની e-Edition એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રગટ થવાની છે એ માટે પરિષદ વતી મિત્ર અતુલ રાવલનો પણ આભાર માનું છું.

—ભિખેશ ભટ્ટ