માટીનો મહેકતો સાદ/પ્રકરણ ૧૮

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૮

કૃષ્ણ અને અર્જુને વાડીમાં જે રીતે ધામા નાખ્યા એ જોઈ બળરામને થયું કે આ લોકોને કશી ઉતાવળ લાગતી નથી. દુર્યોધન નારાયણી સેનાને લઈ રવાના થઈ ગયો હતો. કૃતવર્મા એક અક્ષૌહિણી સેના સાથે દુર્યોધનને મળી ગયો હતો. માર્ગમાં તેઓ રાજાઓને પોતાના તરફ વાળી સેના વધારતા જવાના હતા. ત્યારે અહીં આ બંને જણાનું રૂંવાડુંય ફરકતું નહોતું. અર્જુન ઘણો પ્રસન્ન હતો. આટલો પ્રસન્ન બળરામે તેને આ પહેલાં ક્યારેય નહોતો જોયો. નિ:શસ્ત્ર કૃષ્ણને પામી તે શું ન્યાલ થઈ ગયો હશે? જેને એક દિવસની ફુરસદ ન મળે તે કૃષ્ણ આઠ આઠ દિવસ થયા કેમ જવાનું નામ નથી લેતા? બળરામને પગલે પગલે કૃષ્ણ અને અર્જુન નર્યા પ્રેમની સુગંધ પાથરતા હતા. બળરામને મનમાં ફાળ પડી, કદાચ આ તેમનું છેલ્લું મિલન તો નહીં હોય ને? અને કૃષ્ણની એક વાત સાંભળતાં તો તે ધ્રૂજી ઊઠ્યા. કૃષ્ણે કહ્યું : “મોટા, તમને હું એક સોંપણી કરવા માગું છું. સ્વીકારશો ને?” બળરામે ઉત્સુકતાથી કાન માંડ્યા. કૃષ્ણે આગળ કહ્યું : “આપણે જગતની સમૃદ્ધિ દ્વારિકામાં ખેંચી લાવ્યા છીએ. પણ ધન તો વહેતું ભલું. મારો અંગત ખજાનો પણ છલકાઈ ગયો છે. તમારી યાત્રામાં આ ધન વપરાય એમ ઇચ્છું છું. તમે દાનદક્ષિણામાં તેને સાર્થ કરો!” “એટલી ઉતાવળ શું છે? તું યુદ્ધમાંથી પાછો આવ ત્યારે તારી સંપત્તિનો પણ નિકાલ કરી નાખીશું.” “ના, મોટા. તમારી યાત્રામાં હું સાથે નથી આવી શકતો પણ આ રીતે થોડો ભાગ લઈ શકું તો મને ગમશે. તમને તીર્થોનાં દર્શન કરવાથી સંતોષ વળવાનો નથી. તમે પુરાણાં તીર્થોમાં નવું ચેતન પૂરશો, નવાં તીર્થો ઊભાં કરશો. વળી જ્યાં જશો ત્યાં ગાય, બળદ, ખેતીનાં સાધનો, અનાજનું દાન કર્યા વિના તમારાથી કાંઈ થોડું રહેવાશે? આમાં પુષ્કળ દ્રવ્ય જોશે. ભાભીનું સમગ્ર ધન તમે આ કાર્યોમાં વાપરી નાખશો તે જાણું છું. પણ મારો ખજાનોયે ખાલી થઈ જાય તો મારે માટે એ આનંદથી ભરપૂર બની જશે." અર્જુને બળરામને કહ્યું : "મહાબાહુ, વનવાસ દરમિયાન મેં ઘણું તીર્થાટન કર્યું છે. ઘણા આશ્રમોનાં દર્શન કર્યાં છે. ઋષિમુનિઓના પરિચયમાં આવ્યો છું. તમારા કાર્યમાં સહાયરૂપ થાય એવા તાપસોનાં નામ મારી પાસે તૈયાર છે. તમારું વાવેતર ઊગે એવાં સ્થળની માહિતી પણ મેં એકઠી કરી છે. માગો એટલી વાર." બળરામને હવે ખ્યાલ આવ્યો કે આ બંને અત્યાર સુધી શું કરી રહ્યા હતા. જ્યારે મહાયુદ્ધની બાજી ગોઠવવી જોઈએ ત્યારે તે યાત્રાને સફળ કરવાની યોજના ઘડતા હતા! બળરામથી કહેવાઈ ગયું : “મારી યાત્રાની તમને આટલી ફિકર છે તો મારી સાથે જ શા માટે આવતા નથી? મૂકી દો આ લડાઈબડાઈનાં લફરાં.” અર્જુને કૃષ્ણ તરફ જોઈ હસીને કહ્યું : “માધવ, જોઈને મોટા ભાઈની મમતા!” પછી બળરામને સંબોધી કહ્યું : “તમને ખબર છે, છતાંયે તમે મને નહીં તો કૃષ્ણને ખેંચી રાખો છો, નહીં? પણ શું કહું? અમને જો જરાક ન્યાય મળ્યો હોત, પશ્ચાત્તાપનાં બે વેણ મળ્યાં હોત તો હજુ અમે આ માર્ગેથી પાછા વળી ગયા હોત, પણ અમારી સામે તો નિર્લજ્જ હુંકાર છે, પડકાર છે, તુચ્છકાર છે. અને ત્યારે અમે પાછા ફરીએ? એ ધર્મ છે?” અર્જુનનો અવાજ તપી ગયો. બળરામે તેને શાંત પાડતાં કહ્યું : “દુર્યોધન મદદ માગવા આવ્યો ત્યારે તેને મેં કહેલું, ક્ષત્રિયોને છાજે તેવું ધર્મયુદ્ધ લડી લેજે. અર્જુન, તને પણ એ જ કહું છું. પણ મને એક સવાલ થાય છે. કૃષ્ણ તો હથિયાર લેવાનો નથી, તો પછી તેને યુદ્ધમાં સાથે રાખવાની જરૂર શી?” અર્જુને કહ્યું : “માધવ આ બેઠા, તેમને જ પૂછી લો! શા માટે એ મારા સારથિ થવા સંમત થયા છે?" કૃષ્ણે કહ્યું : “પાર્થ, હું તો મારી ગરજે તારો રથ હાંકવા માગું છું. નાનપણથી જ મને આતતાયીઓને મારવામાં રસ છે. માસીને મારી, મામાને માર્યો અને પછી ફોઈના દીકરાનું માથું ઉડાવ્યું. તું મારી જેમ હરામી સગાને ખતમ કરતો હો એ તો મારે માટે ધન્ય પ્રસંગ. આવો મોકો જવા દઉં? અને તું આવા કામમાં મોળો પડ તો દ્રૌપદીનું નિર્ઘુણ અપમાન કરનારાનું મારે હાથે નિકંદન કાઢી નાખું.” બળરામ ઉત્તેજિત થઈ બોલી ઊઠ્યા : “અરે! અરે! તારી પ્રતિજ્ઞાનું શું? આટલી વારમાં ભૂલી ગયો? તેં હથિયાર ન ઉપાડવાની પ્રતિજ્ઞા તો લીધી શા માટે?” “એકમાત્ર હથિયારથી જ યુદ્ધ નથી જીતી શકાતું એ બતાવવાની મારામાં ઊંડે ઊંડે ઇચ્છા હશે. મહા બળવાન કૌરવોની સામે ‘યતો ધર્મસ્તતો જય:!’નો જયઘોષ જગાવવો હશે.” પછી અર્જુન સામે જોઈ કહ્યું : “અને બીજું તો મોટા, અર્જુન હોય ત્યાં મારે હથિયાર ઉપાડવાની જરૂર શી? ખરું ને પાર્થ!" બળરામે વચ્ચે જ કહ્યું : “તારી ઘણી વાતો મને નથી સમજાતી, પણ એક વાત સમજાય છે. તું આ કુન્તીના પુત્રને ખૂબ ચાહે છે, અને એનું ગૌરવ વધતું હોય તો તું કાંઈ બાકી ન રાખે.” “મારે માટે પણ તમારું આવું જ ગાંડપણ નથી, મોટા?” કૃષ્ણે હસતાં હસતાં પૂછ્યું. તેમની નજર ઝાંપા ભણી ગઈ. મોટેથી કહ્યું : “લો, આ એક મહાયાત્રાળુ આવી પહોંચ્યા.” ઉદ્ધવે આવી સહુને નમસ્કાર કર્યા. બળરામની નજીક આસન લઈ કહ્યું : “મોટા ભાઈ, યાત્રાના શુભ પ્રયાણ માટે હું તિથિ, મુહૂર્ત જોઈ આવ્યો છું. તીર્થયાત્રા માટે સાધનો ને સામગ્રીનો તોટો નથી. ગદ, સારણ, અક્રૂર બધું એકઠું કરવા લાગ્યા છે. પણ સમુદાય ધાર્યા કરતાં મોટો થશે. હજુ તો ઘણા નામ નોંધાવતા જાય છે. શું કરીશું?” બળરામે જવાબ આપ્યો : “ઉદ્ધવ, કોઈને ના ન પાડશો.” પછી કૃષ્ણ અને અર્જુન ભણી જોઈ કહ્યું : “આ લોકો પોતાના લશ્કરની ભરતીમાં આડા હાથ નથી દેતા તો આપણે શા માટે અટકાયત ઊભી કરવી? દ્વારિકામાં ઢંઢેરો પિટાવો કે જેમને યાત્રામાં આવવું હોય તે સપ્તાહમાં તૈયાર થઈ જાય. યાત્રાનાં વાહન, ઉપનિવાસ અને ખાદ્યસામગ્રીની વ્યવસ્થા મારા તરફથી કરવામાં આવશે. અંધ, અપંગ, વૃદ્ધોને પણ આવવું હોય તો અચૂક આવવાનું કહી દો. તેમની પૂરી સંભાળ લેવાશે.” કૃષ્ણે હસતાં હસતાં કહ્યું : "મોટા, તમારા લશ્કરમાં તો જેમ માણસ વધુ અપંગ એમ તેનું સ્થાન આગળ લાગે છે.” પછી અર્જુનને કહ્યું : “પાર્થ, આપણે પાછા ફરીએ ત્યાં સુધી મોટા ભાઈની યાત્રા લંબાય તો આપણે મોખરે આવી જઈએ.” ઉદ્ધવે વચ્ચે જ કહ્યું : "રહેવા દો, માધવ! તમે તો જ્યાં નથી હોતા ત્યાં પણ મોખરે જ હો છો. યાદ છે ને! તમે મને વ્રજમાં મોકલ્યો હતો. અને તમે ત્યાં નહોતા તોપણ તમારે વિષે મેં ત્યાં શું અનુભવ્યું તે ફરી કહી સંભળાવું?” બળરામે વ્રજની યાદને ઊંચકી લેતાં કહ્યું : “ઉદ્ધવ, આપણે જ્યારે જ્યારે નાનકાને સાથે રાખવો હોય છે ત્યારે તેને દૂર કરી દેવો પડે છે. આ પાઠ ઘણો વસમો છે પણ મારે વારંવાર શીખવો પડે છે.” અર્જુનને અંતરમાં ઊંડે થવા માંડ્યું કે પોતે કોઈની સંપત્તિ હરી જાય છે. ઘડી વાર તેને થઈ ગયું કે કૃષ્ણને હાથેપગે લાગી કહી દેવું કે, રોકાઈ જાઓ. ના, તમારે મારા સારથિ થઈ મારી સાથે નથી આવવું. તમે ખુશીથી બળરામ સાથે યાત્રાએ જાઓ. હું યુદ્ધનું એકલે હાથે ફોડી લઈશ. અર્જુનના મનોભાવ વાંચી કૃષ્ણે કહ્યું : “મોટા, કોણ કોને બાંધી રાખે છે? કોણ દૂર હડસેલી દે છે? અને તેમાં માનવીના પ્રેમની કેવી કસોટી છે તે કોને ખબર? “ઉદ્ધવને એક વાર મેં એક ભિક્ષુનું ગાન સંભળાવ્યું હતું. પણ એ ભૂલી ગયો લાગે છે. એ ભિક્ષુને અપમાનો, ગાળો, પ્રહારો વચ્ચે ઘૂમવાનું આવ્યું હતું. પ્રેમની છાંયડી તજીને એ ઉઘાડા તાપમાં ફરતો, પણ એ તો આનંદે ગાન ગાતો જતો. કારણ તેણે પોતાના અંતરમાં જ આનંદનું પાન કર્યું હતું. તમારે હાથે મેં પણ આવા પ્રેમના કટોરા પીધા છે અને તેથી તો મારો વિધાતા મને પ્રહારોની દુનિયામાં ફગાવે છે ત્યારે મારું હૈયું ભાંગી નથી પડતું. મારા અને તમારા બંનેના પ્રેમની કસોટી ચાલતી હશે ને?” પછી અર્જુન ભણી અપાર પ્રેમથી મીટ માંડી કહ્યું : “પાર્થ, માત્ર સાદ પાડી બોલાવે એની જ નહીં પણ દૂર મોકલી આપવા માગે તેનીયે કસોટી ચાલે છે. મારાથી ક્યાંક સાદને જવાબ નથી આપી શકાતો, પણ મને દૂર કાઢી મૂકે તેની પાસેથી ખસવાનું તો મારામાં જોર નથી.” અર્જુનની આંખ ભીની થઈ ગઈ. ઉદ્ધવે કૃષ્ણની નજીક સરકી કહ્યું : “મધુસૂદન, તમારા પર જે પ્રહારો કરે છે તેને પણ તમે પ્રેમથી વંચિત કેમ રાખી શકો? એ તમારાં અંગો જ નથી? ભિક્ષુના ગાનમાં શું આવે? ‘યદંગમંગેન નિહન્યતે ક્વચિત્ ધ્યેત કસ્મૈ પુરુષ: સ્વદેહે?’ ‘મારે કદાપિ નિજ અંગ અંગને, કોના પરે ક્રોધ કરે મનુષ્ય?’" કૃષ્ણે કહ્યું : “પોતાના હાથે જ પોતાનાં અંગો છેદાય તેની ચીડ વધે કે પીડા તેની ખબર નથી, ઉદ્ધવ, પણ અત્યારે એટલી ખબર પડે છે કે તું ભિક્ષુનું ગાન ભૂલ્યો નથી.” “મને એક ખબર પડી ગઈ છે, નાનકા!” બળરામે આનંદથી છલકતા સ્વરે કહ્યું : “શું?” કૃષ્ણે પૂછ્યું. “કે તું ગમે તેટલું ચાહ્ય તોય અમારા પર ચિડાઈ શકવાનો નથી.” ગંભીર વાતાવરણમાં જાણે પારિજાતનાં ફૂલ વરસી પડ્યાં. યાત્રા-પ્રયાણનો દિવસ આવી પહોંચ્યો. બળરામ સાથે યાત્રાએ જવા માટે અડધું દ્વારિકા ખાલી થઈ ગયું. એક મોટું નગર જ ઘોડા, ઊંટ, પાલખી અને રથચક્રો પર મુકાઈ ગયું. ધનાઢ્ય શ્રેષ્ઠીઓ માટે આ નિર્વિઘ્ને યાત્રા કરવાનો અવસર હતો, તો દરિદ્રો અને શ્રમિકો માટે વિના ખર્ચે યાત્રાનું પુણ્ય કમાઈ લેવાનો દુર્લભ મોકો હતો. આંધળાં, લૂલાં, અપંગ, નિ:સહાય માટે દેવતાનું સુખ પૃથ્વી પર આવી વસ્યું હતું. કૃષ્ણે યાત્રાળુઓનાં સંરક્ષણ અને સંભાળની વ્યવસ્થા નિહાળી સંતોષ વ્યક્ત કર્યો. પોતાના કોષાધ્યક્ષને બળરામની સાથે રહેવા અને યાત્રાનું તમામ ખર્ચ ઉપાડી લેવાની સૂચના આપી. બંને બંધુઓ માટે જુદી જુદી દિશા પકડવાની ઘડી આવી. કૃષ્ણે અને અર્જુને બળરામને પ્રણામ કર્યા. બંનેને બાથમાં ઉપાડી લેતાં બળરામે કહ્યું : “મારા કૃષ્ણો, તમારો વીરધર્મ ઉજ્જ્વળ રહો! આપણે થોડા સમયમાં જ ફરી મળીશું. તમે જે તાપસોને મળવાનું કહ્યું છે તેમને મળી લઈશ. તમે સૂચવેલાં સ્થળે જઈ આવીશ. પણ મુખ્યત્વે તો મારો વિચાર સરસ્વતીના તટપ્રદેશોમાં યાત્રા કરવાનો છે. તમે મહાકાલીનું ખપ્પર ભરો ત્યાં હું સરસ્વતીનું પૂજન કરી લઉં. સરસ્વતી જ્યાં લુપ્ત થઈ છે એ વિનશન તીર્થમાં ખાસ જવું છે. જોઉં, તેની કૃપા ફરી વહેતી થાય તો.” બળરામ કોઈ સ્વપ્ન જોતા હોય તેમ દૂર જોઈ રહ્યા પછી સજાગ બની અર્જુનને કહ્યું : “અર્જુન, ધર્મરાજને મારી શુભેચ્છાઓ પાઠવજે, અને પુરોહિત ધૌમ્યને અમારી સાથે યાત્રામાં થોડા દિવસો જોડાવાનું આમંત્રણ આપજે.” અર્જુને માથું નમાવ્યું. કૃષ્ણ સામે જોઈ બળરામે કહ્યું : “ને નાનકા, તને એમ કે મોટો ભાઈ ભોળિયો છે એટલે એને કાંઈ ખબર નહીં પડે. પણ તારી લુચ્ચાઈ હું બરાબર જાણી ગયો છું.” “જાણો જ તો. પણ કહેશો કંઈ?” “આ તારા કોષાધ્યક્ષને ખજાનો લઈ મારી સાથે મોકલ્યો છે ને તે.” “હા. તેનું શું?” “તેનું કાંઈ નહીં. તારે મોટા ભાઈની યાત્રાનું બધું જ પુણ્ય ખાઈ જવું છે ને?” આ બળરામ. આવી વિદાય વેળાએ કાળજું ચિરાઈ જતું હોય તોપણ હાસ્યના ગોટેગોટામાં વેદનાને ઉછાળી દે. કૃષ્ણે એવી જ હળવાશથી કહ્યું : “મારા કોષાધ્યક્ષને બીજી એક સૂચના મેં આપી રાખી છે તેની તમને ખબર નહીં હોય!" "કઈ?" બળરામના હૃદય ઉપર હાથ મૂકી કૃષ્ણે કહ્યું : “કે મારું બધું જ પુણ્ય હમણાં અહીં જમા કરી રાખે. હું પાછો આવીશ ત્યારે વ્યાજ સહિત પાછું લઈ જઈશ.” હાસ્ય. બળરામના મનમાં ઝબકારો થયો. કૃષ્ણે બહુ સૂચક રીતે પોતાના પાછા આવવાની ખાતરી નહોતી આપી દીધી? હવે આશંકાને સ્થાન ખરું? બળરામના ચિંતિત હૃદયમાં શાતા વળવા માંડી. કૃષ્ણ અને અર્જુને વિદાય લીધી. તેમના રથની ધજા દેખાઈ ત્યાં સુધી બળરામ એ દિશામાં મીટ માંડી જોઈ રહ્યા.