માડી મને સાંભરે રે/માય...ઓ....માયો...ઈ...

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૨.
માય...ઓ...માયો...ઇ...

પ્રા. મણિલાલ રાનવેરિયા

સ્વજનના મૃત્યુ ટાણે એની પથારી પાસે હોવું એ સદ્‌ભાગ્ય ગણાય છે. મારાં માતાપિતાના મૃત્યુ ટાણે હું એમની પાસે ન હતો એનું દુઃખ ઊંડે ઊંડેથી કોતર્યા કરે છે. આ બંને પ્રસંગે મારી પત્ની તેમની સાથે હતી, એ એનું સદ્‌ભાગ્ય ! મારી માતાના મૃત્યુના દસ દિવસ પહેલાં હું એની સાથે હતો. દસેક દિવસ સાથે રહ્યો. રોજ રાતના પથારી પાસે બેસી રહું. એથી ઊંગ ઊડી જાય ત્યારે અચૂક કહે : "મગન, હું કા ઉજાગરો કઈરા કરે. હૂઈ જા. પાણીબાણી જોઈહે તો તને ઉઠાડાં." મને ધરપત નહીં તે હું રાતભર જાગ્યા કરું. ૩૦મી ઑગસ્ટ, ૧૯૭૯ને દિવસે એણે છેલ્લો શ્વાસ લીધો ત્યારે હું મુંબઈ હતો. નોકરીને લીધે મારે કમને એને છોડીને આવવું પડેલું. પાંચ વર્ષની પ્રદીર્ઘ બીમારી એને લઈ જશે તે તો નક્કી જ હતું. મૃત્યુના પાંચેક વર્ષ પહેલાં અમે સાથે હતાં ત્યારે એક દિવસે એને મૂર્છા આવી ગયેલી. તાવતડિયો તો કાંઈ હતાં નહીં. નબળાઈ જરૂર હતી. તપાસ કરતાં મારી બેન પાસેથી જાણવા મળ્યું કે એને સફેદ પાણી પડતું હતું. હું એને મુંબઈ લઈ આવ્યો. તપાસ કરાવી તો માલુમ પડ્યું કે એને ગર્ભાશયનું કૅન્સર હતું. એ વખતે ફક્ત ટાટા ઇસ્પિતાલમાં એની સારવાર થાય. હું એને ટાટામાં લઈ ગયો. દાક્તરે એને તપાસ માટે અંદર રૂમમાં લીધી. દાક્તર તપાસ પૂરી કરે તે પહેલાં જ તે રૂમમાંથી બહાર નીકળી આવી. મને કહે : "મારે કોઈ દવા-બવા કરવી નથી, તું મને ગામ મૂકી આવ." ખૂબ સમજાવી પણ ન માની તે હું ગામ મૂકી આવ્યો. પછી તો એક આખું વર્ષ નીકળી ગયું. શરીર કથળતું જતું હતું. કાંઇક દવા દારૂ કરવાં જોઈએ, નહીં તો પરિણામ સારું ન આવે એવું સમજાવતાં, ફરી પાછા મારી સાથે મુંબઈ આવવા તૈયાર થઈ. પછી અમે એને ટાટામાં લાઇટ અપાવી. બેત્રણ મહિના મુંબઈ રહી, પછી ગામ ચાલી ગઈ, તે પાછી ક્યારે પણ આવવા તૈયાર થઈ નહીં. આ ગાળા દરમિયાન ગામના ખેતરમાં કૂવો ખોદાવેલો હતો. વીજળીનું જોડાણ મળી ગયું હતું. વીજળીનં જોડાણ મળી ગયું હતું. પમ્પ બેસડેલો હતો. બાપુજી ખેતરમાં ખૂબ મહેનત કરતા હતા. લીલીવાડીમાં આંખ ઠરતી હતી. ઘઉં, શાકભાજી વાવેલાં હતાં. આમ તો બાપુજી મજૂરો સાથે કામ કરે પણ મારી માનું મજબૂત મન અને ઘેર બેસતાં ડરે. એ ખેતરમાં જાય અને બને એટલું કામ કરે. એક દિવસે ખેતરમાં ઘઉં વાવવાના હતા. ક્યારા તૈયાર કરી દીધેલા હતા. અમે ઘઉં વાવી દીધા. પછી ક્યારામાં પાણી છોડ્યું. વાવેલા ઘઉં પાણીમાં માટી તળે ઢાંકવા જોઈએ. કરાંઠીથી હું એ કામ કરતો હતો. મારું કામ ગમ્યું નહીં તે પાળ પરથી મા ક્યારામાં ઊતરી પડી. મારા હાથમાંથી કરાંઠો લઈને વાવવા લાગી. "આવી રીતે કરહાંટો પકડવાનો" મને કહેવા લાગી. કલાક-દોઢ કલાક હું જોતો રહ્યો. એ કામ કરતી રહી. કૅન્સરની બે વર્ષની માંદગી પછી પણ આટલું બધું મનોબળ જોઈને મને નવાઈ લાગી. મારી મા એ ખેડૂતની દીકરી. બાળપણમાં ખૂબ કામ કરેલું. ખેતીકામની જબરદસ્ત આવડત. આમ તો શરીર પાતળું પણ મજબૂત. આખો દિવસ ખેતરમાં કામ કરી શકે. જ્યારે એની યાદ આવે છે ત્યારે પેલી હરીભરી નાનકડી ખેતી યાદ આવ્યા કરે છે. આમ તો મારા બાપુની વાવલાની ફક્ત ત્રણેક વીઘાં જમીન પણ પછી અમે સાતેક વીઘાં ખરીદેલી. થોડીક મારા મામાએ લઈ આપેલી, એમાં મા મહેનત કરે. ઘઉં, રીંગણ, ટામેટા, જુવાર, મૂળા, રાઈ એ બધું એણે અમારા ખેતરમાં મરતાં પહેલાં ઉગાડેલું. બધું લીલુંછમ. ખેતરની પાળે ખેરનાં ઝાડ. ઝાડ ઉપર વાલોરના વેલા. વેલા ઉપર ધોળા બાચકા જેવા વાલોરના ફાફડા. હૈયું ત્યાંનું ત્યાં ઠરી જાય. પાપડી ઉતારીએ અને એમાંથી વાલોરના લાલ લાલ મોટા મોટા દાણા નીકળે. મોઢામાં પાણી આવી જાય. કાંદા તો એક વર્ષે એટલા બધા પાકેલા કે ઘરમાં રાખવાની જગ્યા જ ન મળે. અમે બધા કાંદા રૂપિયે-દોઢ રૂપિયે મણ વેચી નાંખેલા ! ખેતરની એકેએક વસ્તુમાં મારા બાપુનો જીવ હતો અને મારી માનું રૂપ હતું. એકવડો, પાતળો બાંધો ને ભીનો વાન ! એવી જ આ બધી વનસ્પતિ ! હૈયું ભરાઈ આવે એવું દૃશ્ય ! આજે એમાંનું કાંઈ નથી, ઝાડ બધાં કપાઈ ગયાં છે અથવા સુકાઈને મરી ગયાં છે. કૂવો અવાવરુ પડ્યો છે. ખેતરમાં કાંટાળા–ખેર બાવળ ઊગી નીકળ્યા છે. ખેતર મારાં માતાપિતાને યાદ કરીને રડ્યા કરે છે. ગામ જાઉં છું ત્યારે ખેતર તરફ જોતાં મારું હૈયું ફાટી જાય છે અને પગ એ તરફ જવાની ઘસીને ના પાડી દે છે. ગામમાં અમારું છાણમાટીકામઠીનું નાનકડું ઘર હતું. પહેલાં અમે એને પરાળથી છાતા. પછી બાપુએ કરજ કરીને નળિયાં મુકાવેલાં. એ જ ઘરમાંથી બંનેએ વિદાય લીધી. બાપુની ઇચ્છા તો મોટી કે વાડીમાં પાકું મકાન બંધાય, પણ માતાના મૃત્યુ પછી બે વરસે એમણે વિદાય લીધી ત્યાં સુધી એ ઇચ્છા ફળી નહીં. મારી માએ એવી કોઈ ઇચ્છા કોઈ દિવસે પ્રગટ કરેલી નહીં. એ ખૂબ જ નિસ્પૃહી હતી. નાના હતા ત્યારે છાજના ઘરમાં રહેતા. ઘણી વાર ઘર છાવાનું રહી જાય ને ચોમાસું બેસી જાય. એટલે ઘરના છજામાંથી લાલ પાણી ગળવા માંડે. આખું ઘર પાણીથી તરબતર થઈ જાય. મારી મા અમને ત્રણ ભાઈબેનને પાંખમાં સંતાડીને એકાદ ખૂણે મરઘી બચ્ચાંને સાચવે તેમ સાચવ્યા કરે. એ વખતે જમીન ઓછી અને ખાસ કાંઈ પાકે નહીં એટલે બાપુ મુંબઈ નોકરી કરવા ગયેલા. મુંબઈમાં અંગ્રેજોને ત્યાં ઘરકામ કરે પણ પગાર પૂરો પંદર રૂપિયા. તે એમાંથી પાંચ-છ રૂપિયાનો મ. ઓ. કરે. એમાંથી આખો મહિનો ચલાવવાનું. અમે બધાં નાનાં એટલે કાંઈ કામ કરી શકીએ નહીં. મા અમને મૂકીને મજૂરીએ જાય. મજૂરી ન મળે તો બાપડી-પચાહી (ખજૂરીનાં પાનની સાવરણી અને દોરી) કરે. એમાંથી પૈસા-બે પૈસા મળે. એણે બેત્રણ મરઘી પાળેલી તે ઈંડા આપે ઈંડાના પૈસો-બેપૈસા મળે. તેમાંથી સાંજ પેરે મરચું, તેલ, મીઠું છૂટે. આમ અમારા દિવસ ગબડે. વળી અંભેટિયાની છાશ બે પૈસામાં દોરિયો ભરીને મળે તે બેત્રણ દા’ડા ચાલે. જરૂર પડે ગામની દુકાનમાંથી ઉધાર લાવીએ. મા ખૂબ પરિશ્રમ કરે અને અમને સંભાળે. મારો નાનો ભાઈ ખૂબ મસ્તી કરે. નિશાળે ભણવા ન જાય. ઘરમાં ખાવાનું ન હોય તો તોડફોડ કરે. મુંબઈથી બાપુએ આણેલાં કાચનાં કપ-રકાબી તોડી નાખે. મા દુઃખી થાય. રડે તો પણ પેલો ન માને ત્યારે અમને છોડીને ઘરમાંથી ચાલી જાય. અમે ભેગા મળીને રડીએ. કલાક-અડધા કલાકે એ પાછી આવે. અમને સોડમાં તાણીને ખૂબ રડે. પછી ક્યાંકથી ક્યાંક ઉછીપાછીનું લાવીને અમને ખવડાવે. ચોથા ધોરણમાં ભણતો હતો. ઘરમાં ખાવાનું કાંઈ હતું નહીં. ખૂબ ખૂબ વિપદા પડતી. હું દસેક વર્ષનો હતો. કામ મળે તો કરી શકું એવું માને થયું. મને મુંબઈ મોકલી દે તો ક્યાંક પેટ ભરતો થાઉં. પછી ગામમાંથી એણે બેત્રણ રૂપિયાનો બંદોબસ્ત કરી એક દિવસ ગાડીમાં બેસાડી દીધો. ટિકિટ માસ્તર પાસે મુંબઈની અડધી ટિકિટ લીધી ત્યારે માસ્તરે એને પૂછ્યું કે આવડો છોકરો એકલો મુંબઈ શી રીતે જશે ? ત્યારે એણે તરત જ જવાબ આપેલો કે આગલા સ્ટેશનથી એક સંગાથ છે, વાસ્તવમાં એવો કોઈ સંગાથ હતો નહીં. હું એકલો મુંબઈ આવેલો. અલબત્ત, મારા બાપુ સેન્ટ્રલ સ્ટેશન પર લેવા આવેલા. સ્ટેશન માસ્તરને એણે આપેલા જવાબનું મને આજે પણ આશ્ચર્ય છે ! ૧૯૪૮માં મારી બહેનનો જન્મ થયો પછી મારી માનું શરીર કથળેલું. તે સાવ પીળી પડી ગયેલી. હું નાનો હતો. લોકો કહેતા એને પાંડુરોગ થયેલો. ગામના દાક્તરની દવા કરેલી પણ રોગ મટતો ન હતો. મારા બાપુની કોઈ આવક ન હતી. ઘરમાં તકલીફ પડતી. તેઓ મુંબઈ નોકરી માટે ચાલી ગયા હતા. અમને બધાંને મોસાળમાં મૂકતા ગયા હતા. મારા આજાઆજી, મામા-મામી બધાં અમારી મહેનત કરતાં. મારી માની તબિયત સુધરે તે માટે મામા ખૂબ પ્રયત્ન કરતા. જાતજાતના ભગત ભૂવાને તેડી આવતા. તે ખડી જોતા, ધૂણતા ને ખાખરું કાઢતા. મંડપ રચતા. વચ્ચે મારી માને બેસાડીને ધુણાવતા. ડાકણસાકણને શરીરમાંથી બહાર કાઢવાના આ બધા પ્રયત્નો હતા. મામાની બધી મહેનત નિષ્ફળ જતી હતી. રોગ હઠીલો બની ગયો હતો અને માને બચાવવાની કોઈ ઉમેદ જણાતી ન હતી. અમે ત્રણે ભાઈબેન નાનાં હતાં. છેવટે કોઈ સગાવહાલાંએ આવીને કહ્યું કે ‘વલહાડમાં મોટા પીર છે તાં લે જાવ તો હારી થહે.’ મામાએ આ સલાહ પણ સાંભળી. એક દિવસે માને લઈને મારા બાપુ સાથે મામા વલસાડ ગયા. તળાવ કિનારે પીરની દરગાહ, મોટી વિશાળ ! તળાવમાં પાણી ને ખીલેલાં કમળ. દરગાહની બાજુમાં ચાલી. ચાલીમાં દર્દીઓને રહેવા માટેની ઓરડીઓ. હું સાથે હતો. બધું જોતો હતો. તળાવનાં પગથિયાં પર હાથપગ ધોઈને અમે દરગાહ પર ગયાં. મુજાવરે અમારી માહિતી લીધી. મામાએ એની સાથે વાતચીત કરી. દરગાહ પાસે માને બેસાડી. મુજાવરે એને પીછી નાંખી અને મીયાંદાતાર સારું કરી દેશે એવું કહ્યું, મામાને તેણે કહ્યું : ‘એકલી બંદગીથી રોગ માટે એમ નથી દવા પણ કરવી પડશે. સાંજે દાક્તર આવશે. આપણે બતાવી લેશું.’ પછી અમને રહેવાની ઓરડી મળી. સાંજે દાક્તર આવ્યો. માને તપાસીને તેણે મસમોટું અગરેસન આઈપું. હું જોતો રહ્યો. પછી તો અમે ત્રણ-ચાર મહિના ત્યાં રહ્યાં. માની તબિયત સુધરી ત્યારે અમે ગામ ગયાં. મીયાંદાતારની હાજરી ભરતી અને ગડથોલિયાં ખાતી, જમીન પર આળોટતી, માનું ચિત્ર હજી મારી નજર સમક્ષ તરવર્યા કરે છે, એનું કોઈ કાર્યકારણ હજી સુધી સમજાયું નથી છતાં માની તબિયત સારી થઈ એનો સંતોષ હતો. માબાપ જીવ્યાં ત્યાં સુધી, અનુકૂળતાએ વલસાડની દરગાહે જઈ આવતાં. મારી બા ખૂબ પ્રેમાળ હતી અને આખું ગામ એને ચાહતું હતું. એ તો સવિશેષ એના મૃત્યુ વખતે જ હું જાણી શક્યો હતો. કેટલા બધા લોકો એના સ્વભાવની, એની પરોણાગતની, એની આવભગતની વાતો કરતા હતા. મારી મા હતી ત્યાં સુધી અમારે ઘેર કોઈ ને કોઈ મહેમાન આવતું જ. એમની સાતે જે સ્નેહભાવથી એ વર્તતી તે જોવાનો પણ એક લ્હાવો હતો. મોડે મોડે અમે કરેલા ખેતરમાં મજૂરીએ આવતા મજૂરો ઉપર એને ખૂબ ચાહના હતી. સાંજના છેડે મજૂરોને મજૂરી તો એ ચૂકવતી જ પણ સાથે સાથે કોઈને વાલ તો કોઈને મગ, કોઈને વાલની દાળ તો કોઈને ચણાની, કોઈને કાંદા તો કોઈને મરચાં, કોઈને ચોખા તો કોઈને જુવાર એવું આપી દેતી. મજૂરો કદાચ એટલે જ એને ખૂબ ચાહતાં. મજૂરોને એણે ક્યારેય મજૂરો ગણ્યાં જ ન હતાં. કારણ કે, એ પોતે જ એક મજૂર હતી. એમની જોડે એમને ખૂબ બનતું આજે સારા સંબંધો જાળવવા માટેના આપણે અભ્યાસક્રમો પાસ કરવા પડે છે જ્યારે મજૂરો સાથેના સંબંધો વણસતા જાય છે. મા ખૂબ ઓછું બોલતી. પણ એની નજર બધું કહી દેતી. મુંબઈથી મારે જવાનું થાય ત્યારે સામે દોડી આવતી અને મને સોડમાં તાણી લેતી. આજે એ મૂર્તિ ઘરમાં નથી તેથી વસમું વસમું સૂનું સૂનું લાગ્યા કરે છે. મેં નોકરી કરી. પૈસા કમાયો પણ મારી પાસે આગ્રહ કરીને કોઈવાર એણે કશું માગ્યું નથી. એને માટે હું કંઈ લઈ શકતો નહી. એ ચાલી ગઈ પછી એ વાત ફરી ફરી યાદ આવ્યા કરે છે. એ ક્યાં ખોવાઈ ગઈ તેનું મેન વિસ્મય છે. બાળપણમાં માય...ઓ...મા...યો...ઈ...કરીને લાંબેથી-મોટેથી બૂમ પાડતો. આજે પણ એ જ સાદે એને બોલાવવાનું મન થયા કરે છે.