મિથ્યાભિમાન/સર્જક-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સર્જક-પરિચય

દલપતરામ (ત્રવાડી દલપતરામ ડાહ્યાભાઈ, જન્મ 21, જાન્યુ. 1820 — અવ. 25, માર્ચ 1898)ની અટક ‘કવિ’ થઈ એ, વિદ્યાપ્રેમી અંગ્રેજ અમલદાર એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સે એમને ‘કવેશર’(કવીશ્વર) કહ્યા એ કારણે. કવિતા પર, પદ્યની ઘણી ખાસિયતો પર એમની હથોટી હતી — એમણે જ કહ્યું છે એમ, ‘રચ્યા છે રૂડા છંદ દલપત્તરામે’. ‘વેનચરિત્ર’ નામનું લાંબું કથાકાવ્ય એમણે પ્રવચનરૂપે રજૂ કરેલું. ‘એક શરણાઈવાળો..’, ‘ઊંટ કહે આ સભામાં..’, જેવાં જાણીતાં થયેલાં એમનાં પ્રસંગકાવ્યોએ કાવ્યશિક્ષણનું તેમજ બાળશિક્ષણનું કામ પણ કરેલું. આખાય લોકવ્યવહારને બલકે બહોળા સમાજને વિષય કરતી છંદોબદ્ધ અને પદ-ગરબીસ્વરૂપની અનેક કાવ્યરચનાઓ એમણે કરી છે. દલપતરામે ‘ભૂતનિબંધ’, ‘દૈવજ્ઞદર્પણ’, વગેરે જેવા સમાજ-સુધારાલક્ષી ગદ્યગ્રંથો પણ લખેલા છે. એમનું ‘લક્ષ્મી નાટક’ એ, એમણે કોઈ પાસેથી સાંભળેલા અંગ્રેજી નાટકનું મુક્ત રૂપાંતર છે, ‘મિથ્યાભિમાન’ સમાજસુધારાને લક્ષ્ય કરતું, વિનોદ-કટાક્ષની શક્તિઓવાળું એમનું — અને ગુજરાતી નાટ્યસાહિત્યનું પણ એક ઉત્તમ નાટક છે. છેક આજસુધી એ ભજવાતું અને શીખવાતું આવ્યું છે. દલપતરામે ‘બુદ્ધિપ્રકાશ’ સામયિક દ્વારા પણ સમાજની, વિદ્યાજગતની અને સાહિત્યજગતની ઘણી મોટી સેવા કરેલી છે. એમના સમયના એ એક અગ્રણી સંસ્કારપુરુષ હતા એથી એમના સમગ્ર કાર્યને ‘સાહિત્ય દ્વારા કરેલી સંસ્કૃતિસેવા’ તરીકે પણ ઓળખાવી શકાય.

— રમણ સોની