મિથ્યાભિમાન/પૂર્વરંગ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


પૂર્વરંગ

(એટલે પાત્ર આવ્યા પહેલાં ગાનારા ગાય છે તે.)

રાગ બિહાગ. “બાનાની પત રાખ, પ્રભુ તારા બાનાની પત રાખ” એ રાગનું પદ છે.

મેલ મિથ્યા અભિમાન, મનવા મેલ મિથ્યા અભિમાન;

મન મિથ્યા અભિમાન ધરે તે, નર કહીએ નાદાન, મનવા૰ 
— ટેક.



મિથ્યાભિમાને માન મળે નહિ, ગને ન કોઈ ગુણવાન;

ઉલટું અધિક અપમાન મળે ને, જરૂર ઉપજે જાન 
— મ૰ ૧



મિથ્યાભિમાન તે દુઃખનુંજ મંદિર, સુખનું નથી રે સંસ્થાન;

નથિ નથિ તેમાં સ્વાદ કે શુભ ફળ, નથિરે ધનનું નિધાન
— મ૰ ૨



માટે તું મિથ્યા માન મૂકીને, કર ગોવિંદગુણ ગાન;

તત્ત્વ વિચારી તારા હિતનું કહું તે, કથન ધરી લે કાન 
— મ૰ ૩



નમ્રપણા રૂપી નિર્મળ જળમાં, સ્નેહ સહિત કર સ્નાન;

તેના પ્રતાપથી તારા અંતરમાં, પ્રભુની પડશે પિછાન 
— મ૰ ૪



મિથ્યાભિમાનનું મૂરખ થઈને, તું નવ રાખીશ તાન;

મિથ્યાભિમાનથી મહા પ્રભુ તને, દેશે નહિ સુખદાન 
— મ૰ ૫



માન મૂકીને માન કહ્યું તો, ઘર હરિપદનું ધ્યાન;

સારમાં સાર તો તેથી નથી બીજું, સંસારમાં તે સમાન 
— મ૰ ૬



માન રૂપી વિષપાન તજીને, કર પ્રભુગુણ પયપાન;

મિથ્યાભિમાનમાં મોહિત થઈને, તું ન કરીશ તોફાન
 — મ૰ ૭



નમ્રપણા પર નિશદિન તારૂં, કર તન ધન કુરબાન;

ભોળપણાથકી ભ્રમિત થઈને, ભૂલીશ નહિ કદિ ભાન 
— મ૰ ૮



નમ્રપણા થકી નાથ રિઝે એમ, કહે છે પુરાણ કુરાન;

મિથ્યાભિમાન તો મહાભયંકર, સળાગતું છે સમશાન 
— મ૰ ૯



મિથ્યાભિમાનિના મનમાં ભલે કદી, ગમે તેવું હોય જ્ઞાન;

તોપણ તેને તૃણની જ તુલ્યે, જાણે છે સકળ જહાન
— મ૰ ૧૦



મિથ્યાભિમાનનું મૂળમાંથી કદી, થાય ખેદાન મેદાન;

દશમુખ, દુરજોધન, આદિકનું, સૃષ્ટિમાં ન રહ્યું સંતાન 
— મ૰ ૧૧



નમ્રપણામાં નિત્ય રહે નર, મનાય એજ મહાન;

નમ્રપણા થકી નિર્ભય પદનો, જગપતિ થાય જમાન 
— મ૰ ૧૨



મિથ્યાભિમાનથી મુઆ કમોતે, ખાનખાનાં સુલતાન;

મિથ્યાભિમાની માણસ મનમાં, હઠ ધરી થાય હેરાન 
— મ૰ ૧૩



મિથ્યાભિમાન તો મુઆ પછી પણ, નરકનું જાણ નિશાન;

જુના ગ્રથોમાં જુઓ તપાસીને, અનેક છે આખ્યાન 
— મ૰ ૧૪

આ નાટકમાં જ્યારે ફૂરસદ મળે ત્યારે ઉપલા પદમાંની બે ચાર લીટીઓ ગાવી. અંક પૂરો થતાં ગાવાનું સાત વાર આવશે, માટે દરએક પ્રસંગે બબ્બે ચરણ ગાઈને ૧૪ ચરણ પૂરાં કરવાં.)