શાંત કોલાહલ/અચલ નયને

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અચલ નયને

અચલ નયને ન્યાળુ છું આ ધરા, વન, વ્યોમ તે
લય સહજમાં પામી રે’તાં અશેષ બની, ત્યહીં
અનહદ તણાં ઊંડાણોનો પ્રશાંત લહું નિધિ
નહિવત શમે જે, વ્યાપે જ્યાં અરૂપની શૂન્યતા.

અહીં વિષયની કોઈ રેખા નહીં, નહિ રે છટા
તરલ દ્યુતિના રંગોની યે, અહીં નહિ વૃત્તિનો
ઉદય, મન નિર્વાણે પોઢ્યું, અભાવ ન ભાવનો,
અરવ લયની લ્હેરંતી હ્યાં પરાત્પર સંમુદા.

સમયથલનું જેને સ્પર્શે ન લેશ નિયંત્રણ,
અચલ નયને પામું હું તે ક્ષણો શી વિલક્ષણ !