સાહિત્ય પલ્લવ – ભાગ ૨/વિશ્વનાથ જાની
[પ્રેમાનંદે લખેલું ‘કુંવરબાઈનું મામેરું’ તો પ્રસિદ્ધ છે જ. પણ તેની પહેલાં પણ નરસિંહ મહેતાના જીવનપ્રસંગોને કાવ્યમાં ગૂંથવાનો કવિઓએ પ્રયત્ન કર્યો હતો. ખુદ નરસિંહે જ પોતાના પુત્ર શામળશાનો વિવાહ તો લખ્યો છે. મામેરું પ્રેમાનંદનું ઉત્તમ છે. પણ વિશ્વનાથ જાનીનું લખેલું મામેરું ક્યાંક પ્રેમાનંદને પણ ટપી જાય છે. વળી એ પણ ભૂલવાનું નથી કે, પ્રેમાનંદે વિશ્વનાથના મામેરામાંથી મહત્ત્વની બાબતો ઉપાડવામાં નાનમ પણ ગણી નથી. નરસિંહ મહેતાની વહેલનું વર્ણન જાનીએ રથનું વર્ણન કર્યું છે તે મુજબનું જ છે. સાસરિયાંનાં ને તેમાં ખાસ તો નણદીનાં મહેણાં-ટોણાં પ્રેમાનંદે આબેહૂબ વર્ણવ્યાં છે, તે જાનીના વર્ણન જોડે સરખાવવા જેવાં છે : કરિયાવરની ચીજ વસ્તુની યાદી કરવાની વાત આવે છે ત્યારે, નકામો કાગળ શા માટે બગાડે એમ સાસુ બોલે છે, ને લખી રહ્યા પછી નણંદ કહે છે કે, હવે બે પહાણા લખો છેવટે! કેમકે મહેતો એ સિવાય બીજું શું આપી શકવાના હતા! છેવટે ગામના પુછાતા આબરૂદાર માણસથી માંડી વસવાયાં સુધીના દરેકને સંભારી સંભારીને કાંઈ ને કાંઈ ભેટ વહેંચી એનું વર્ણન, અને તેમાં દળનારી દાસી અને ‘પશુ તણો પિંડાર’ (ભરવાડ) પણ ભૂલમાં ગયાં નથી, એ કવિના હૃદયની મોટાઈ બતાવવા પૂરતાં છે. પ્રેમાનંદે ‘ગોળ વિના જેવો કંસાર, મા વિના તેવો સંસાર,’ વગેરે ઉપમા-વાણીથી માતાનું મહત્ત્વ ગાયું છે. વિશ્વનાથે પણ, સાસુ મહેણાં બોલશે કે ‘લાડકી લહોનારું નથી કો નયણાંનું પાણી’ એમ વર્ણવી, અને ‘માતા તે હીરો’ કહી, તે વાત સચોટ રીતે મૂકી છે. અને કુંવરબાઈનો વર સુંદરજી પણ સસરાના સંચ (ઢંગ) જોઈને લજાયો તે સંબંધમાં કવિએ કેટલી સુંદર બે પંક્તિ આપી છે : ‘સાસુ સસરાનો જણ્યો સમજણો સાથી, મન રાખે મહિલાતણું ત્રિભુવનમાં ક્યાંથી?’ પતિને ‘સાથી’ તરીકે વર્ણવ્યો છે એ પણ લક્ષમાં લેવાનું છે. પહેલાંના જમાનામાં પણ આપણા કવિઓ સ્ત્રી અને પુરુષને સમાન અને સાથીદારીમાં જોડાયેલાં ગણતા અને વર્ણવતા. ૧. ૬. નકાંનતર - અવાજ પરથી અનુકરણવાચક શબ્દ (?) ૮. પોહોતો - પહોંચ્યો. ૧૧. જ્યમ અપ્સરા નીકળે તેમ સ્ત્રીઓએ કામ મેલ્યાં અને હારબંધ ગોઠવાઈ ગઈ. પંક્તિ ૧૪ સાથે અન્વય. ૧૬. પરહો - મર્યાદામાં, બરોબર. ૩.. ૮. નારીકુંજરની છાપવાળાં કપડાં. ૪. મહેતાએ તો મામેરા વખતે ઈશ્વરભજન કર્યું, અને કુંવરબાઈનાં સાસરિયાંએ લખાવેલો યાદીનો કાગળ છાબમાં મૂક્યો ત્યાં ‘ઉધ્રકી ઊઠિયા વેગે વૈકુંઠપતિ, ગરુડ ક્યાં ગરુડ ક્યાં વદત વાણી,’ અને પોતે શેઠ થઈને આવ્યા ને મહેતાની લાજ રાખી એવી દંતકથા છે. પછી સૌને શું શું આપ્યું તે અહીં વર્ણવ્યું છે]