અલ્પવિરામ/૨૬ જાન્યુઆરી ૧૯૫૦

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨૬ જાન્યુઆરી ૧૯૫૦

દિલ્હીમાં
ત્રણ ગોળીઓના અગ્નિની (ન ઠરે હજીય!) ચિતા વિશે
શો દાહ દીધો વેદને!
નોઆખલીમાં
કબ્રના કલમા પઢી મઝહબ મિષે
શું શું કીધું ન કુરાનને?
પંજાબમાં
બસ ગ્રંથના તો મોં જ સામું જોયું ના
એવા કયા તે કોણ જાણે ખ્વાબમાં?
ને હવે આજે છતાંય વિધાનમાં
તારી વિભૂતિ પુન:પુન: પ્રગટાવવી,
પ્રારંભમાં જોકે ન તારું નામ મેલ્યું
કે નથી પામ્યા તને શું ગ્રંથમાં શું કુરાનમાં કે વેદમાં,
પણ પામશું પુરુષાર્થના પ્રસ્વેદમાં.
ને આ ધરા પર લાવવી
જો તાહરી સત્તા,
હવે તો આજથી આ શીશ પૂર્વે જે નમ્યું ના
એ નમે, આશિષ તું એવી આપ
અમને આપ તારી નમ્રતા!