કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૨૩. કવિકર્મ અંતે

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૨૩. કવિકર્મ અંતે

માગું છું મૌન, પ્રભુ આપે છે શબ્દ,
એકથી અનંત સુધી નામ, રૂપ, શબ્દ!
ઉરનો ઉઘાડ મળ્યે જગમાં ખોવાઈને
સ્વર-વ્યંજન અર્થ ભાવ ભટક્યા;
મનની મથામણમાં નિતરાઈ પિંડરસો
આતમની ઓશરીએ અટક્યા;
હાશ કરી બેઠો ત્યાં—
કોણ જાણે કેમ, પ્રભુ ચીંધે છે સત્ય,
સાંતથી અનંત સુધી નામ, રૂપ સત્ય!
“જાઉં હવે કેમ ફરી જગની જંજાળમહીં
ભાવ અર્થ વ્યંજન સ્વર બોલું?
ઉરના અવકાશમહીં ડૂબાડી મન, પ્રભુ
કેમ કરી અન્ય વાક્ ખોલું?
મૌન હવે આપો તો—”
મૌન પોતે ધરીને આપે છે શબ્દ
એકથી અનંત સુધી નામ, રૂપ શબ્દ!

૭ માર્ચ ’૬૮
અડિસ અબાબા

(સાયુજ્ય, પૃ. ૪૬)