ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/અંબાલાલ નૃસિંહલાલ શાહ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
અંબાલાલ નૃસિંહલાલ શાહ

એઓ જ્ઞાતે વિશા ખડાયતા વૈષ્ણવ વણિક અને અમદાવાદ પાસે હળધરવાસના (મહીકાંઠા એજન્સી) વતની છે. એમનો જન્મ તા. ૨૯મી ઑગષ્ટ ૧૮૯૮ના રોજ હળધરવાસમાં (સ્વ. મણિકાન્તની જન્મભૂમિ–જેમનું સંક્ષેપ જીવનચરિત્ર એમણે લખ્યું છે) થયો હતો. એમના પિતાનું નામ નૃસિંહલાલ ભગવાનદાસ અને માતુશ્રીનું નામ કૃષ્ણાબ્હેન લલ્લુભાઈ હતું. એમનું લગ્ન હળધરવાસમાં સન ૧૯૨૦ ના મે માસમાં થયું હતું. એમના પત્નીનું નામ સૌ. રૂક્ષ્મણીબ્હેન છે. નાની વયમાં માતપિતા ગુજરી જવાથી એઓ એમના મોસાળમાં ઉછર્યા હતા. પ્રાથમિક શિક્ષણ એમણે હળધરવાસમાં લીધું. તે પછી ઘણીખરી માધ્યમિક અને ઉંચી કેળવણી અમદાવાદમાં લીધી હતી. માત્ર પ્રિવિયસનો અભ્યાસ સામળદાસ કૉલેજ ભાવનગરમાં કર્યો હતો. મહાત્માજીએ સત્યાગ્રહની લડત શરૂ કરી ત્યારે તેઓ ગુજરાત કૉલેજમાં ઇન્ટર વર્ગમાં હતા; તે છોડી દઈને તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા. ત્યાં એમણે “ભાષા વિશારદ”ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. વળી ડ્રોઈંગમાં ફર્સ્ટ ગ્રેડ અને સેકન્ડ ગ્રેડ તથા ઇન્ટરમીડિએટની પરીક્ષાઓ પાસ કરેલી છે. શાળામાં તેઓ ઉંચો નંબર રાખતા અને સનાતન ધર્મની પરીક્ષાઓ લેવાતી તેમાં પણ તેમને ઇનામો મળ્યાં હતાં. વિદ્યાપીઠમાંથી છૂટા પડ્યા પછી સુરત જીલ્લામાં આવેલા ચિખલીથી માંડી તે કચ્છમાં અંજાર સુધી ન્હાના મોટા ગામોમાં શિક્ષક તરીકે તેમણે કાર્ય કર્યું છે. થોડાક સમય પર કલકત્તામાં મેસર્સ જીવણલાલ (૧૯૨૯) લી. હસ્તકની ભવાનીપુર ગુજરાતી શાળામાં આચાર્ય તરીકે નિમાયલા અને હમણા એ પેઢીના શેઠ રામજીભાઈ મુંબઈ આવી વસતાં તેઓ તેમના સેક્રેટરી તરીકે કામ કરે છે. એમના જીવન પર મહાત્માજીએ બહોળી અસર કરી છે. એમનાં પ્રિય પુસ્તકો કલાપીનો કેકારવ અને સરસ્વતીચંદ્ર છે. કવિતા રચવાનનો છંદ ન્હાનપણથી લાગેલો. ચોથા ધોરણમાં હતા ત્યારે ‘વૈશ્ય પત્રિકા’માં એક કવિતા લખી મોકલી હતી. જૂદાં જૂદાં માસિકો જેવાં કે, સાહિત્ય, બુદ્ધિપ્રકાશ, ખડાયતા મિત્ર, નવચેતન, શારદા વગેરેમાં એમના લેખો પ્રસિદ્ધ થયલા છે અને એમનું અનુવાદ પુસ્તક ‘ગરીબાઈનો ગઝબ’ પ્રથમ “ગુજરાતી પંચ” અઠવાડિકમાં કટકે કટકે પ્રસિદ્ધિ પામ્યું હતું.

: : એમની કૃતિઓ : :

ગરીબાઈને ગઝબ* સન ૧૯૨૯
જાલીસ જલ્લાદ  ”  ૧૯૩૦
હૃદય જ્વાળા  ”  ૧૯૩૨

* રેનોલ્ડઝનો ભાવાનુવાદ