ચિત્તવિચારસંવાદ/છંદોબંધ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
જ. છંદોબંધ

‘ચિત્તવિચારસંવાદ’ સળંગ ચોપાઈબંધમાં રચાયેલી કૃતિ છે. પરંતુ એ ગેય કૃતિ છે તેથી એમાં ચોપાઈની દેશી વપરાયેલી છે એમ કહેવું જોઈએ. આથી જ એમાં ચોપાઈનો ચુસ્ત માત્રાબંધ આ૫ણને જોવા મળતો નથી. ગેયતાને કારણે એમાં મોકળાશ આવેલી છે. ચરણને આરંભે લટકાના શબ્દો ઉમેરાય છે અને ઉચ્ચારણમાં લાઘવ કે વિસ્તારની અપેક્ષા રહે છે. મધ્યકાળની લેખનપદ્ધતિ ચુસ્ત નહોતી. તેથી પણ છંદનો માત્રાબંધ અસ્તવ્યસ્ત થઈ ગયો હોય. આમ છતાં આ ગેય રૂપની પાછળ માત્રાબંધનું માળખું તો પડેલું જ છે અને છંદને ઓળખવા માટે તે તારવવું જરૂરી છે. અહીં થોડી પંક્તિઓને આધારે આપણે એ તારવવા કોશિશ કરીએ. ચોપાઈ ૧૫ માત્રાનો છંદ છે અને તેનું બંધારણ દાદા દાદા દાદા ગાલ અથવા તો દાદા દાદા દાદા લગા એમ છે. અહીં આ બંને પ્રકારના ચોપાઈબંધ વપરાયેલા છે. જેમકે :

Chitta Vichar Samvad - Chhand 1.png

આરંભમાં લટકાના શબ્દો નીચેની પંક્તિઓમાં જોઈ શકાય છે :

Chitta Vichar Samvad - Chhand 2.png

એ નોંધપાત્ર છે કે ‘ચિત્ત કહે’ પ્રકારના શબ્દો બધે જ છંદ બંધારણની બહારના નથી. જેમકે, નીચેની પંક્તિમાં એ શબ્દો છંદના બંધારણનો ભાગ છે :

Chitta Vichar Samvad - Chhand 3.png

જોઈ શકાય છે કે કેટલાક અક્ષરોનું લિપિઅનુસારી નહીં પણ ઉચ્ચારણ-અનુસારી માપ આપણે લેવું પડે છે. આવાં બીજાં ઉદાહરણો પણ જુઓ :

Chitta Vichar Samvad - Chhand 4.png
Chitta Vichar Samvad - Chhand 5.png

‘ર’કારથી થતો જોડાક્ષર હળવો ગણવાની સ્થિતિ પણ જોવા મળે છે.

Chitta Vichar Samvad - Chhand 6.png

ગુરુ સ્વરોનું લઘુ ઉચ્ચારણનું ગેય કૃતિઓમાં થઈ શકતું હોય છે એનાં ઉદાહરણ પણ અહીં મળે છે.

Chitta Vichar Samvad - Chhand 7.png

પહેલા ઉદાહરણમાં ‘ઓ’નું અને બીજામાં ‘આ’નું લઘુઉચ્ચારણ અભિપ્રેત છે, તે ઉપર બતાવેલ છે. કોઈ વાર ચતુષ્કલ સંધિના મેળથી નહીં પણ કેવળ માત્રાના મેળથી છંદ ચાલતો હોય એવું પણ બતાવી શકાય છે. જેમકે નીચેની પંક્તિમાં સંધિનો મેળ સચવાયો નથી :

Chitta Vichar Samvad - Chhand 8.png

પહેલી ‘દાદા’ની ચતુષ્કલ સંધિ છે પણ પછી ‘દાદા’ની ચતુષ્કલ સંધિ જુદી પાડી શકાતી નથી, ‘દાદાદાદા’ એમ અષ્ટકલ સંધિ લેવી પડે છે. ‘ચિત્તવિચારસંવાદ’માં જોવા મળતી છંદોબંધની એક લાક્ષણિકતા તરફ ખાસ ધ્યાન ખેંચવું જોઈએ. એક કડીમાંથી બીજી કડીમાં વિચાર કે ચિત્ર ચાલતાં હોય એવાં દૃષ્ટાંતો ઘણાં મળે છે અને કેટલેક સ્થાને તો કડીને અંતે અટકીએ તો નિરૂપણ ઘણું અછડતું રહી જાય છે. વિચાર કે ચિત્ર ગ્રહણ કરવા માટે આપણે કડીઓને સાંધવી પડે છે. જેમકે :

વિવેક વિચાર સંજ્યમ ને શાંત્ય, સાહાસ સત્ય સંતોષ અચ્યંત. ૨૯૫
એ આદ્યે દેઈ છે તાં બહુ, નિવૃત્તિ કુટુંબ હું કેટલું કહું. ૨૯૬

જોઈ શકાશે કે અહીં ૨૯૫મી કડીમાં તો માત્ર નામયાદી છે અને તેનું પ્રયોજન ૨૯૬મી કડીમાં સ્ફુટ થાય છે. બે કડીઓને જોડીને આપણે આવું વાક્ય રચવાનું છે : વિવેક, વિચાર, સંયમ... વગેરે ઘણાં (નિવૃત્તિનાં) સંતાનો છે. બીજાં પણ કેટલાંક દૃષ્ટાંત જુઓ :

૧. જ્યારે હું જાઉં તેહેને પ્રીછવા, લક્ષણરૂપ મોટમ્ય ઈછવા. ૧૭૮
ત્યારે લક્ષ અહરો જૈ પડે, શરાડે જૈને બુધ્ય નવ્ય ચઢે
૨. ...જ્યમ કો બાણ નાખે મહારથી. ૧૭૯
બલ સારું ઘણું તે જાઇ, પણ આકાશ વિષે નહીં લેખા માંહે. ૧૮૦
૩. ...જ્યારે અરભક જનમે માત ૩૭૧
પરસવતાં ખેવ કરે પયપાન, ત્યારે જે ગુરુ આપે છે જ્ઞાન,
તે ગુરુ તો સાથ્યે છે સદા,... ૩૭૨

આ હકીકત નોંધપાત્ર એટલા માટે છે કે આ ગેયકવિતા હોવા છતાં એમાં કડીને અંતે અર્થવિરામ આવવો આવશ્યક લેખાયો નથી. મધ્યકાલીન ગુજરાતી કવિતામાં આ એક સ્વીકૃત પદ્ધતિ હોવાનું દેખાય છે પરંતુ આપણા ખ્યાલમાં તે વસ્તુ ઝાઝી આવી નથી અને એની નોંધ તો કશે લેવાઈ નથી, તેથી આ નિર્દેશ અહીં આવશ્યક ગણ્યો છે.