બૃહદ છંદોલય-અન્ય/સિત્તેરમે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સિત્તેરમે

સિત્તેર વર્ષો વાતમાં ને વાતમાં વહી ગયાં,
જોતજોતાં વહી જશે થોડાંક જે રહી ગયાં.
પાછી એક નજર જ્યાં નાંખું,
જોઉં કંઈ દૂર ઝાંખું ઝાંખું –
મારે હતું શૈશવનું લીલું લીલું સ્વર્ગ,
એનો અચાનક થયો શો વિસર્ગ!
થાય મને કદીક એ પાછું મળે!
થાય મને આટલી જો આશા ફળે!
એકાન્ત ને એકલતા,
મનુષ્યમાત્રના ભાગ્યમાં એ અનિવાર્ય વિરહની વિકલતા,
એને જીવવાને, મરજીવવાને હતો ઝાઝો પ્રેમ, હતાં થોડાં કાવ્યો;
એમાં જોકે જાણું નહિ ફાવ્યો કે ન ફાવ્યો.
આઘી એક નજર જ્યાં નાંખું,
જોઉં છું હું આયખું આ આખું –
નાનો હતો ત્યારે મને મોટા મિત્રો મળ્યા હતા,
મોટો થયો ત્યારે એમાં નાના મિત્રો ભળ્યા હતા;
મારી વયના જે મિત્રો, એ તો એવા હળ્યા હતા,
વડલાની છાંય જેવા સદાયના ઢળ્યા હતા;
જતાં જતાં કહીશ  : ન અન્ય સ્વપ્નો ભલે ફળ્યાં,
મારું મોટું સદ્ભાગ્ય મને આવા મિત્રો મળ્યા.

૧૮ મે ૧૯૯૬